કોરોના રસી લેવાથી નપુંસકતા આવે? શું છે હકીકત?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દેશમાંથી કોરોના વાઇરસને પરાજિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોની મદદથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને વૅક્સિનનો પુરવઠો ફાળવવામાં આવે છે તથા રાજ્ય સરકારો અને સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાઓ પણ વિદેશથી રસી મંગાવીને રસીકરણની દિશામાં ઝડપભેર પ્રગતિ સાધવા માગે છે.

ભારત સરકાર વર્ષના અંતભાગ સુધીમાં લાયક હોય તેવા દરેક નાગરિકને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરી રહી છે, પરંતુ રંગ, ભાષા, ધર્મ અને સાંસ્કૃતિ બાબતોમાં વૈવિધ્ય ધરાવતા ભારતમાં 'રસીકરણ સાક્ષરતા'નો અભાવ આ અભિયાનમાં મોટો અવરોધ બનીને ઊભો છે.

સોશિયલ મીડિયા પર વાંચેલી, સાંભળેલી કે જોયેલી માહિતીના આધારે લોકોમાં ગેરમાન્યતા ઊભી થઈ રહી છે અને તેઓ રસીકરણ માટે પૂર્વાગ્રહ ધરાવવા માંડે છે. અહીં આવી જ કેટલીક ધારણાને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દેશમાં ટિટેનસ, ડિપ્થેરિયા, ટીબી, હિપેટાઇટિસ બી તથા ડાયેરિયા નાબૂદ થાય તે માટે અગાઉથી જ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાંથી શીતળા અને પોલિયોને નાબૂદ કરવામાં વિજ્ઞાનીઓ તથા સંશોધકોને સફળતા મળી છે.

'હું કોવિડયટ નથી'

"હું કોવિડયટ (કોવિડ સંદર્ભે ગેરમાન્યતા ધરાવનાર કે તેને હળવાશથી લેનાર) નથી. હું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરું છું, બહાર નીકળતી વખતે એન-95 માસ્ક પહેરું છું, જો એ ન હોય તો કપડાંના માસ્કની ઉપર સર્જિકલ માસ્ક પહેરું છું. તથા વારંવાર હાથ ધોતો રહું છું એટલે મારે રસી લેવાની જરૂર નથી."

રસીકરણની ચર્ચા વખતે નિષ્ણાતોએ આ એક બહુ સામાન્ય સવાલનો સમાનો કરવો પડે છે. વાસ્તવમાં આચરણસંબંધિત ઉપરોક્ત કાળજીને કારણે કોરોના થવાની શક્યતા ઘટી જાય છે, પરંતુ તે સંપૂર્ણપણે નિર્મૂળ નથી થતી.

જોકે કોવિડ-19 તથા અન્ય વાઇરસના સંદર્ભના અભ્યાસો પરથી વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે માને છે કે રોગની ઘાતકતાને ઘટાડવા કે રોગવિરોધી સંરક્ષણપ્રણાલીને માટે વૅક્સિન લેવી જ રહી.

'કોવિડ-19એ ફ્લૂ જ તો છે'

કેટલાક લોકોને લાગે છે કે કોવિડ-19એ એક પ્રકારનો ફ્લૂ (ઇન્ફ્લુએન્ઝા) જ તો છે, તેના કારણે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી.

બંને બીમારીમાં તાવ આવવો, ખાંસી, થાક લાગવો અને સાંધાના દુખાવા જેવાં લક્ષણ જોવા મળે છે એટલે આ પ્રકારની ભ્રમણા થતી હોય શકે છે.

વાસ્તવમાં ફ્લૂએ ઇન્ફ્લુએન્ઝાના વાઇરસથી ફેલાય છે, જ્યારે કોવિડ-19એ (Sars-Cov-2)થી ફેલાય છે.

આમ બંનેના મૂળ ગોત્ર અલગ-અલગ છે.

ફ્લૂની સરખામણીમાં કોવિડ-19નાં લક્ષણો દેખાવામાં સમય લાગે છે એટલે છેલ્લા કેટલાક સમયથી હાથ કે પગના નખનો રંગ ઊડી જવો, ડાયરિયા, સ્વાદ જતો રહેવો, સુગંધ ન આવવી વગેરે જેવાં લક્ષણો પણ કોવિડ-19 માટે જોવા મળી રહ્યાં છે.

'ઑલ-ઇન-વન' વૅક્સિન જ લઈશું'

કેટલાક લોકોને વૅક્સિનની સામે વાંધો નથી હોતો અને તેની ઉપયોગિતાને સ્વીકારે છે. પરંતુ તેઓ 'ઑલ-ઇન-વન વૅક્સિન'ની રાહમાં છે.

વાસ્તવમાં વર્તમાન સમયમાં કોરોના વાઇરસ તેનું સ્વરૂપ બદલી રહ્યો છે તથા અલગ-અલગ વૅરિયન્ટ અને સ્ટ્રેન સ્વરૂપે દેખા દઈ રહ્યો છે.

હાલમાં ઉપલબ્ધ રસીઓ અમુક વૅરિયન્ટ સામે કારગર નથી, એવા અહેવાલો આવી રહ્યા છે. એટલે અનિશ્ચિતતાની આશંકાએ સર્વસમાવેશ રસીની રાહ જોવાઈ રહી છે.

કોરોના વાઇરસનાં તમામ સ્વરૂપ સામે સંરક્ષણ આપે એવી રસીની શોધમાં વિશ્વની લગભગ 20થી વધુ ટીમ પ્રયાસ કરી રહી છે.

ચારેક રસી સંશોધનમાં ખૂબ જ આગળના તબક્કામાં છે, પરંતુ 'સર્વસમાવેશક' રસી શોધાવામાં કમ સે કમ બેએક વર્ષનો સમય લાગી શકે છે એ પછી તેનાં પરીક્ષણ, ઉત્પદાન અને વૅક્સિનેશનમાં વર્ષોનો સમય લાગશે.

ગ્લોબલ વાઇરસ નેટવર્સના સહ-સ્થાપક ડૉ. રૉબર્ટ સી. ગેલોના કહેવા પ્રમાણે, 'વૅક્સિન ન લેવા કરતાં મળે તે વૅક્સિન લઈ લેવી વધુ સારી બાબત છે. વૅક્સિન લીધા પછી બીમારી થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે એ વાત આપણે ન ભૂલવી જોઈએ.'

'નપુંસકતા આવી શકે છે'

કેટલાક લોકો સોશિયલ મીડિયા પર આવતી દરેક સામગ્રી, તસવીર કે વીડિયોને સાચા માની લે છે અને તેના ઉપર વિશ્વાસ કરી લે છે.

વૅક્સિનનું અભિયાન શરૂ થયું ત્યારે (અને હજુ પણ) એવી ચર્ચા ચાલી હતી કે વૅક્સિન લેનારી વ્યક્તિ નપુંસક બની શકે છે.

જાન્યુયુઆરી-2021માં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે કહ્યું હતું, "કોવિડ-19ની વૅક્સિનમાં એવું કશું હોય શકે છે કે જેના કારણે કંઈક નુકસાન થતું હોય. આવનારા સમયમાં લોકો એવું કહી શકે છે કે લોકોને મારી નાખવા કે વસતિ ઘટાડવા માટે વૅક્સિન આપવામાં આવી હતી. તમે નપુંસક બની શકો છો, કંઈ પણ થઈ શકે છે."

જોકે, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાના વીજી સોમાણીએ આ આરોપોને "સંપૂર્ણપણે બકવાસ" કહીને નકારી કાઢ્યા હતા.

તેમણે કહ્યું હતું, "સુરક્ષા બાબતે ચિંતા ઊભી કરે એવી કોઈ પણ બાબતને અમે ક્યારેય મંજૂરી નહીં આપીએ. વૅક્સિન 110 ટકા સલામત છે."

"સામાન્ય તાવ, દુખાવો કે ઍલર્જી જેવી આડઅસર દરેક વૅક્સિનમાં જોવા મળે છે. આ બધું (વૅક્સિનથી નપુંસક થઈ જાય તેવી અફવાઓ) સંપૂર્ણપણે બકવાસ છે."

કેન્દ્ર સરકાર દ્વારા વૅક્સિન મુદ્દે અફવા ફેલાવનારા સામે કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

પિરિયડ નજીક છે તો...

સોશિયલ મીડિયા ઉપર એક મૅસેજ વાઇરલ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે :

"પિરિયડ્સના પાંચ દિવસ પહેલાં અને પાંચ દિવસ પછી વૅક્સિન ન લો. આપણી પ્રતિરોધક ક્ષમતા આ સમય દરમિયાન ઓછી રહે છે."

"વૅક્સિનના પહેલા ડોઝથી પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે અને પછી ધીમે-ધીમે વધે છે. એટલે તમે જો પિરિયડ દરમિયાન વૅક્સિન લેશો તો સંક્રમણનો ભય વધી જાય છે. એટલા માટે સુનિશ્ચિત કરો કે પિરિયડ દરમિયાન વૅક્સિન ન લો."

નાણાવટી હૉસ્પિટલના ગાયનેકૉલૉજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ગાયત્રી દેશપાંડેનો સંપર્ક કરાયો હતો.

દેશપાંડેએ કહ્યું, "પિરિયડ એક નેચરલ પ્રક્રિયા છે. એટલા માટે આનાથી કોઈ પ્રકારની રુકાવટ થતી નથી, જ્યારે પણ તમને સમય મળે ત્યારે વૅક્સિન લઈ લેવી જોઈએ."

"અનેક મહિલાઓ ઘરેથી કામ નથી શકતી નથી, તેમને બહાર નીકળવું પડે છે. અનેક મહિલાઓ આવશ્યક સેવાઓ કામ કરી રહી છે, તેમને પિરિયડ કોઈ પણ તારીખે આવી શકે છે. જો તેમણે રજિસ્ટર કરાવ્યું હોય, તો વૅક્સિન લઈ જ લેવી જોઈએ."

એક વાર થઈ ગયો, એટલે ચિંતા નથી

કેટલાક લોકો એવું માને છે કે એક વખત કોરોના થઈ ગયો એટલે શરીરમાં ઍન્ટિબોડી ઉત્પન્ન થઈ જાય છે, જેથી ભવિષ્યમાં વૅક્સિન પણ લેવાની જરૂર નથી.

એ ખરું કે કોરોનાની બીમારીમાંથી મુક્ત થયા બાદ શરીરમાં તેની સામેની રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. સરકાર દ્વારા પણ બીમારીમાંથી મુક્ત થનારને ત્રણ મહિના બાદ વૅક્સિન લેવા માટે કહેવામાં આવે છે.

પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે, આ રોગપ્રતિકારક ક્ષમતા કેટલા સમય માટે આવે છે તે નક્કરપણ કહી નથી શકાતું.

આ દિશામાં વધુ અભ્યાસ કરવાની જરૂર છે. કેટલાક લોકોને બીજી વખત કોરોના થયો હોવાના દાખલા ભારતમાં તથા વિદેશમાં પણ નોંધાયા છે એટલે લોકોએ ગાફેલ ન રહેવું જોઈએ અને વૅક્સિન લઈ લેવી જોઈએ.

દેશના લગભગ 70 લોકોને વૅક્સિન મળી જાય તો 'હર્ડ ઇમ્યુનિટી' (સામૂહિક રોગપ્રતિકારક શક્તિ) વિકસી શકે છે.

'ઉતાવળમાં રસી બની'

કેટલાક લોકોને લાગે છે કે કોરોનાની રસીને ખૂબ જ ઉતાવળે વિકસાવવામાં આવ છે, તેના માટે પૂરતો વૈજ્ઞાનિક અભ્યાસ કે પરીક્ષણ કરવામાં નથી આવ્યાં, આથી તે સલામત નહીં હોય.

એ ખરું કે સામાન્ય રીતે કોઈ રસીને વિકસાવવા માટે પાંચથી 10 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. પરંતુ, વાસ્તવમાં કોવિડ મુદ્દે રાજકીય, ધંધાકીય અને વૈજ્ઞાનિક મજબૂરીને કારણે અને મોટી ફાર્મા કંપનીઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો સાથે આવ્યાં.

સરકારોએ પણ પોતાની શક્ય તમામ તાકત (જ્ઞાન,ધન, સંસાધન વગેરે) આ કામ માટે લગાડી દીધી એટલે સામાન્ય રીતે જેટલો સમય લાગે તેના કરતાં રસી વહેલી બની શકી.

આ સિવાય Sars-COV-2ના પૂરોગામીના અભ્યાસે પણ તેમાં મદદ કરી છે. આ મુદ્દે કામ ચાલી રહ્યું હતું, પરંતુ ઇબોલા તથા ઝીકા જેવા વાઇરસે દેખા દેતાં વિજ્ઞાનીઓની પ્રાથમિક્તા બદલાઈ ગઈ હતી.

ભારતમાં ત્રણ પ્રકારની વૅક્સિન ઉપલબ્ધ છે અને લાખો લોકોને તેના ડોઝ આપવામાં આવ્યા છે, જે દ્યોતક છે કે બધા વૅક્સિન લઈ શકે છે. ઇન્ડિયન કાઉન્સલિફ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા સઘન પરીક્ષણ કરવામાં આવ્યાં છે.

કોરોના વાઇરસ રહેશે જ

કેટલાક લોકોને લાગે છે કે કોરોના વાઇરસની વૅક્સિન એ તેનો જવાબ નથી અને એ વાઇરસ આપણી આસપાસ રહેશે જ. આ વાત સંપૂર્ણપણે સાચી નથી.

અન્ય વાઇરસની જેમ કોવિડ-19 સર્જતો વાઇરસ પણ તેનું સ્વરૂપ બદલી શકે છે.

આથી, કોરોનાવાઇરસ સામે રક્ષણ આપતી રસી લાંબાગાળા માટે કેટલી અસરકારક છે તે અંગે કશું નિશ્ચિતતાપૂર્વક કહી ન શકાય.

સાથે જ એ વાત પણ હકીકત છે કે રસીકરણને કારણે જ દેશમાંથી પોલિયો અને શીતળા જેવા રોગોની નાબૂદી થઈ શકી છે.

ડાયેરિયા, ડિપ્થૅરિયા, હિપ્પેટાઇટિસ-બી સહિતની બીમારીઓ માટે બાળકોને રસી આપવામાં આવે છે.

કોરોનાવાઇરસની ઉપર રાતોરાત વિજય નહીં મળે, પરંતુ તેનો ઉપાય પણ વૅક્સિનમાંજ છે.

વૅક્સિન મારફત માઇક્રૉચિપ

સોશિયલ મીડિયા ઉપર વહેતા થયેલા કેટલાક વીડિયો અને સંદેશમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વૅક્સિનની આડમાં શરીરમાં માઇક્રૉચિપ બેસાડી દેવામાં આવશે. સરકારો દ્વારા જેમને કોરોના થયો હોય તેવી વ્યક્તિની ઉપર તેના થકી નજર રાખવામાં આવશે.

વિશ્વ આરોયગ્ય સંસ્થાની યુરોપની પાંખના કહેવા પ્રમાણે, એવું નથી અને ટેકનિકલી આમ કરવું શક્ય પણ નથી. ખૂબ જ નિયંત્રિત વાતાવરણમાં વૅક્સિનનું નિર્માણ હાથ ધરવામાં આવે છે.

એક વાયલ (સરળ શબ્દોમાં શીશી)માંથી અનેક વ્યક્તિના માટેના ડોઝ તૈયાર કરવામાં આવે છે, એટલે તે શક્ય નથી.

આ અફવાને ઘણી વખત માઇક્રૉસોફ્ટના બિલ ગેટ્સ તથા તેમના ફાઉન્ડેશન સાથે જોડવામાં આવે છે.

બીબીસી રિયાલિટી ચેકમાં ગેટ્સ ફાઉન્ડેશને આ વાત 'ખોટી' કહીને નકારી કાઢી હતી.

ફાઉન્ડેશને રસીને વિકસાવવા માટેના સંશોધન માટે નાણાં ફાળવ્યાં છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે વ્યક્તિને રસી આપવામાં આવી છે કે નહીં તથા કઈ રસી ક્યારે આપવામાં આવી છે, જેવી માહિતીનો સંગ્રહ કરે છે, પરંતુ માઇક્રૉચિપ દ્વારા લોકોની હિલચાલ ઉપર નજર રાખવાનો સવાલ જ નથી.

પસંદની વૅક્સિન નથી મળતી

ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચના પરીક્ષણ બાદ ભારત સરકારે દેશમાં ત્રણ રસીને (કોવૅક્સિન, કોવિડશિલ્ડ કે સ્પુતનિક V) તત્કાલીન વપરાશ માટે મંજૂરી આપી છે.

આ સિવાય 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન (કોઈ બીમારી ન હોય તો પણ) અને 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કેન્દ્ર પરથી 'વૉક-ઇન' રસી લઈ શકે છે.

18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કોવિન પૉર્ટલ ઉપર નોંધણી કરાવીને પોતાની નજીકના કેન્દ્ર ઉપરથી નિર્ધારિત સમયે રસી મેળવી શકે છે. રસી ફ્રીમાં છે કે તેના માટે પૈસા ચૂકવવા પડશે તથા કઈ વૅક્સિન ઉપલબ્ધ છે, તેના વિશેની માહિતી હોય છે.

આસપાસના લોકો પાસેથી સાંભળેલી વાતો, ઇન્ટરનેટ કે પ્રચારમાધ્યમો પરથી સમાચારના આધારે પસંદ-નાપસંદના આધારે 'ચોક્કસ રસી સારી અને ચોક્કસ રસી ખરાબ' તેનાથી 'રોગપ્રતિકારક શક્તિ નબળી પડે' જેવી ધારણા બાંધી લે છે અને ચોક્કસ રસી માટે આગ્રહ રાખવા લાગે છે.

ચોક્કસ પ્રકારની રસીની ઉપલબ્ધતાને આધારે સંબંધિત રાજ્ય સરકારો દ્વારા અલગ-અલગ કેન્દ્ર ઉપર તેની ફાળવણી કરવામાં આવે છે. ક્યારેક પસંદગીની રસી ઉપલબ્ધ જ ન હોય, એવું પણ બને.

વાસ્તવમાં ત્રણેય રસીને પૂરતાં પરીક્ષણો બાદ દેશના વિજ્ઞાનીઓએ માન્યતા આપી છે.

રસી લેવાથી લોહીમાં ગાંઠો થાય?

કેટલાક લોકોને આશંકા રહે છે કે વૅક્સિન લેવાથી લોહીમાં ગાંઠો થઈ શકે છે, જે ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. ભારતમાં મુખ્યત્વે કોવિડશિલ્ડ તથા કોવૅક્સિન એમ બે પ્રકારની રસી આપવામાં આવે છે.

કોવૅક્સિન રસી લેનાર વ્યક્તિના લોહીમાં ગાંઠો આવી હોવાના કિસ્સા નથી નોંધાયા, કોવિશિલ્ડમાં અમુક લોકોમાં તે જોવા મળ્યું છે.

આની ટકાવારી દર 10 લાખે નવી આસપાસની છે, જેમાં પણ અતિગંભીર કેસ બહુ થોડા છે એટલે નિષ્ણાતો દ્વારા નિઃસંકોચપણે રસી લેવાની ભલામણ કરવામાં આવે છે તથા જો કોઈ સમસ્યા જણાય તો નજીકની હૉસ્પિટલમાં જાણ કરવા તથા કોવિન ઍપ્લિકેશન પર વિસ્તારપૂર્વક તેની માહિતી આપવા માટે પણ ભલામણ કરવામાં આવે છે.

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોવિશિલ્ડનો વપરાશ ચાલુ રાખશે. રોગના ફેલાવાના અટકાવવામાં તથા મૃત્યુદરને ઘટાડવામાં તે ભૂમિકા ભજવી રહી છે, એટલે તેનો વપરાશ અટકાવવામાં નહીં આવે.

રસીકરણ દરમિયાન ગંભીર કિસ્સાને કારણે સમગ્ર રસીકરણ અભિયાન ઉપર વિપરીત અસર પડતી હોવાથી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ તેની વિસ્તૃત નોંધ રાખવા જણાવે છે.

દરવર્ષે ભારતમાં કરોડો બાળકોને અને મહિલાઓને રસી આપવામાં આવે છે, જે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. બાળકોને બીસીજી, ડીપીટી તથા પોલિયોની રસી આપવામાં આવે છે, જે ભારતના રસીકરણની પ્રક્રિયાની સાર્થકતા સિદ્ધ કરે છે.

રસી લીધા પછી માસ્ક કેટલું જરૂરી?

કેટલાક લોકોને લાગે છે કે વૅક્સિન લીધા બાદ તેમણે માસ્ક પહેરવાની જરૂર નથી અને તેઓ મુક્ત રીતે હરીફરી શકે છે.

આ એક ગેરમાન્યતા છે, કારણ કે જ્યાં સુધી ઔપચારિક રીતે દેશની કુલ વસતિની નિર્ધારિત ટકાવારીને રસી ન અપાઈ જાય અથવા તો તેઓ આ બીમારીથી સાજા ન થઈ જાય, ત્યાર સુધી 'હર્ડ ઇમ્યુનિટી' વિકસી ન કહેવાય.

વાસ્તવમાં વૅક્સિન લીધા પછી પણ વાઇરસનો હુમલો થઈ શકે છે, પરંતુ તેની અસરકારકતા ઘાતક નથી રહેતી અને ગંભીર સ્થિતિ ઊભી નથી થતી.

કેટલાક નિષ્ણાતો કેરળની જેમ ડબલ માસ્કનો નિયમ લાગુ કરવાની ભલામણ પણ કરે છે.

વૅક્સિનેશન અને દારૂ

ગુજરાતમાં દારૂબંધી છે, છતાં કેટલાક લોકો એવું મને છે કે શરાબ પીવાથી કોરોનાવાઇરસની સામે રક્ષણ મળી શકે છે. આ માટે આલ્કોહોલવાળા સૅનિટાઇઝરથી હાથ ધોવાનો તર્ક આપવામાં આવે છે.

વાસ્તવમાં કોરોના વાઇરસ સામે રક્ષણ માટે સૅનિટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ 70 ટકા (કે તેથી વધુ) હોય તે જરૂરી છે છે, જ્યારે નશાકારક પીણાંમાં આ ટકાવારી 40 ટકા આસપાસ હોય છે. પીણાં આધારે આ ટકાવારીમાં ફેરફાર હોઈ શકે છે.

શરાબના વધુ પડતાં સેવનના કારણે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને નુકસાન થતું હોવાથી નિષ્ણાતો તેનું વધુ પ્રમાણમાં સેવન નહીં કરવાની સલાહ આપે છે. આ સિવાય વૅક્સિન લીધા પછી શરાબ પીવા અંગે પણ અવઢવ પ્રવર્તે છે.

શરાબ અને વૅક્સિનેશન વચ્ચેના સંબંધ અંકે નક્કર સંશોધન નથી થયા. છતાં અન્ય વૅક્સિનોના પરીક્ષણ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે શરાબને કારણે રસીની અસર ઘટી જાય છે.

આથી, આ વિશે તમારા જનરલ ફિઝિશિયન સાથે વાત કરીને માર્ગદર્શન લેવામાં આવે તે વધુ યોગ્ય રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો