You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- લેેખક, રિચર્ડ ગ્રે
- પદ, બીબીસી ફ્યૂચર
કોવિડ-19 ફેલાઈ રહ્યો છે અને તેના ફેલાવા સાથે કોઈ સપાટીને સ્પર્શ કરવા માટેનો આપણો ડર પણ વધી રહ્યો છે.
હવે આખી દુનિયામાં જાહેર સ્થળોએ એકસમાન દૃશ્ય જોવા મળી રહ્યું છે. લોકો પોતાની કોણીથી દરવાજા ખોલવાના પ્રયાસ કરી રહ્યા છે.
ટ્રેન મારફત પ્રવાસ કરતાં લોકો કોચમાંનાં હૅન્ડલ પકડવાનું ટાળી રહ્યા છે. ઑફિસમાં કર્મચારીઓ રોજ સવારે તેમની ડેસ્ક સાફ કરતા જોવા મળે છે.
કોરોના વાઇરસનો સૌથી વધુ પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં કર્મચારીઓને પ્રૉટેક્ટિવ વસ્ત્રો મોકલવામાં આવી રહ્યા છે. આ કર્મચારીઓની ટીમો પ્લાઝા, પાર્ક્સ અને રસ્તાઓ પર ચેપને રોકતી દવાઓ છાંટતી હોય છે.
ઑફિસો, હૉસ્પિટલો, દુકાનો તથા રેસ્ટોરાંમાં સાફ-સફાઈની કામગીરી પહેલાં કરતાં ઘણી વધારે ચોકસાઈ સાથે કરવામાં આવી રહી છે.
કેટલાંક શહેરોમાં સ્વયંસેવકો એટીએમનાં કી-પેડ્સને પણ રાતે સાફ કરી રહ્યા છે.
ફ્લૂ જેવા બીજા શ્વસનતંત્ર સંબંધી વાઇરસની માફક કોવિડ-19 પણ, તેનો ચેપ જેને લાગ્યો હોય એ વ્યક્તિની છીંક કે ખાંસી વખતે મોં તથા નાકમાંથી નીકળતાં પાણીનાં ટીપાંથી ફેલાઈ શકે છે.
એક વાર છીંક ખાવાથી આવાં 3,000 ટીપાં પેદા થઈ શકે છે. એ ઝીણા કણ બીજા લોકો પર, તેમનાં કપડાં પર કે તેમની આસપાસની સપાટી પર પડી શકે છે. જોકે, કેટલાક નાના પાર્ટિકલ્સ હવામાં તરતાં રહી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાઇરસ મળ પર લાંબા સમય સુધી ટકી શકતો હોવાના થોડા પુરાવા પણ મળ્યા છે. તેથી ટૉઈલેટ જઈને આવેલી કોઈ વ્યક્તિએ તેના હાથ બરાબર ન ધોયા હોય તો, એ વ્યક્તિ જે કોઈ ચીજને સ્પર્શ કરે તેના પર ચેપ લાગી શકે છે.
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
હાથથી ચહેરાને સ્પર્શ કરવો એ મુખ્ય કારણ નથી
સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા અનુસાર, વાઇરસવાળી કોઈ પણ સપાટી કે વસ્તુને સ્પર્શ કર્યા બાદ એ હાથથી પોતાના ચહેરાને સ્પર્શવાને 'વાઇરસ ફેલાવાનું મુખ્ય કારણ ગણવામાં આવ્યું નથી.'
તેમ છતાં સીડીસી, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને અન્ય આરોગ્ય સંસ્થાઓ એક વાત ભારપૂર્વક જણાવી રહી છે કે હાથ ધોવા અને જેને વારંવાર સ્પર્શવાનું થતું હોય એવી સપાટીને રોજ સાફ કરવાથી આ વાઇરસને ફેલાતો અટકાવી શકાય છે.
અલબત્ત, સંક્રમિત સપાટીને સ્પર્શવાથી આ વાઇરસ ફેલાયાના કેટલા કેસ બહાર આવ્યા છે એ આપણે જાણતા નથી, પણ નિષ્ણાતો આ બાબતમાં સતર્ક રહેવાની વાત કરતા રહે છે.
કોવિડ-19 બીમારી ફેલાવતો Sars-CoV-2 નામનો આ વાઇરસ માનવશરીરની બહાર કેટલો સમય જીવંત રહી શકે, એ બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી.
28 દિવસ સુધી ટકી શકે છે વાઇરસ
સાર્સ અને મર્સ જેવા બીજા કોરોના વાઇરસ વિશેના કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તે મેટલ, ગ્લાસ અને પ્લાસ્ટિક પર નવ દિવસ સુધી જીવંત રહી શકે છે. કેટલાક વાઇરસ ઓછા ઉષ્ણતામાનમાં 28 દિવસ સુધી ટકી શકે છે.
કોરોના વાઇરસની ખાસ વાત એ છે કે તે તેને અનુકૂળ માહોલમાં મજબૂતીથી ટકેલો રહે છે.
સંશોધનમાં થયા નવા ખુલાસા
નવા કોરોના વાઇરસને પ્રસાર બાબતે સંશોધકોને વધારે ને વધારે માહિતી મળી રહી છે.
યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (એનઆઈએચ)ના વાઇરોલૉજિસ્ટ નીલ્તજે વાન ડોરમાલેન અને મોન્ટાનાના હેમિલ્ટનસ્થિત રોકી માઉન્ટન લૅબોરેટરીઝમાંના તેમના સાથીઓએ Sars-CoV-2 અલગ-અલગ સપાટી પર કેટલો સમય ટકી શકે છે એ વિશે પ્રારંભિક પરીક્ષણ કર્યું છે.
તેમના અભ્યાસની વિગત ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવી છે. એ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ વાઇરસ છીંક કે ખાંસી વખતે બહાર નીકળતાં ટીપાંમાં ત્રણ કલાક સુધી જીવંત રહી શકે છે.
એકથી પાંચ માઇક્રોમીટરના કદનાં આ ટીપાં માનવવાળની પહોળાઈથી લગભગ 30 ગણાં નાનાં હોય છે. એ ટીપાં અનેક કલાકો સુધી હવામાં ટકી રહેતાં હોય છે.
તેનો અર્થ એ થયો કે વાઇરસ ફિલ્ટર વિનાની ઍરકન્ડિશનિંગ સિસ્ટમમાં થોડા કલાક જ જીવંત રહી શકે છે. ખાસ કરીને એરોસોલનાં ટીપાં ઝડપથી સપાટી પર પહોંચી જતાં હોય છે.
ક્યાંય લાંબુ ટકતો નથી આ વાઇરસ
એનઆઈએચના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે Sars-CoV-2 વાઇરસ કાર્ડબોર્ડ પર 24 કલાક અને પ્લાસ્ટિક તથા સ્ટેનલેસ સ્ટીલની સપાટી પર બે-ત્રણ દિવસ સુધી ટકેલો રહી શકે છે.
આ માહિતી દર્શાવે છે કે વાઇરસ દરવાજાનાં હૅન્ડલ્સ, પ્લાસ્ટિક કોટેડ અને લેમિનેટેડ વર્ક ટૉપ્સ તથા બીજી સખત સપાટી પર વધુ સમય સુધી જીવંત રહી શકે છે.
કોપર એટલે કે તાંબાની સપાટી પર આ વાઇરસ ચારેક કલાકમાં જ મરી જતો હોવાનું જાણવા મળ્યું છે.
તેને તત્કાળ રોકવાનો એક વિકલ્પ છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે 62થી 71 ટકા આલ્કોહોલ અથવા 0.5 ટકા હાઇડ્રોજન પેરોક્સાઇડ બ્લીચ અથવા 0.1 ટકા સોડિયમ હાઇપોક્લોરાઇટવાળા ઘરવપરાશના બ્લીચિંગ પાવડર વડે સપાટી સાફ કરવાથી કોરોના વાઇરસને એક મિનિટમાં જ નિષ્ક્રિય કરી શકાય છે.
વધુ ઉષ્ણતામાન અને ભેજ પણ અસરકારક
વધુ ઉષ્ણતામાન અને ભેજને લીધે પણ બીજા કોરોના વાઇરસ ઝડપથી ખતમ થઈ જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે સાર્સની બીમારીનું કારણ બનેલો કોરોના વાઇરસ 56 ડિગ્રી સેલ્સિયસ કે 132 ફેરનહાઇટથી વધુ ઉષ્ણતામાનમાં ખતમ થઈ શકે છે.
યુએન એનવાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (ઈપીએ)એ Sars-CoV-2 વાઇરસને ખતમ કરવા માટેનાં ડિસઇન્ફેક્ટર્સ અને ઍક્ટિવ ઇનગ્રિડિયન્ટ્સની એક યાદી બહાર પાડી છે.
કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિના છીંકવાથી નીકળતાં પ્રત્યેક ટીપાંમાં કેટલા વાઇરસ પાર્ટિકલ્સ હોઈ શકે એ બાબતે કોઈ આંકડા ઉપલબ્ધ નથી, પણ ફ્લૂ વાઇરસ વિશેના સંશોધનમાં જાણવા મળ્યું છે કે નાનાં ટીપાંમાં એન્ફ્લૂએન્ઝા વાઇરસની હજ્જારો કોપી હોઈ શકે છે.
અલબત્ત, વાઇરસ ક્યા શ્વસનતંત્રમાંથી મળી આવ્યો છે અને સંબંધિત વ્યક્તિમાં ચેપનો ક્યો તબક્કો ચાલી રહ્યો છે તેના પર પણ તેનો આધાર હોય છે.
કપડાં અને એવી બીજી સપાટીઓને ડિસઇન્ફેક્ટ કરવાનું મુશ્કેલ હોય છે. તેમાં વાઇરસ કેટલા સમય સુધી ટકેલો રહે છે એ હજુ સ્પષ્ટ થયું નથી.
કાણાવાળી સપાટી પર સુકાઈ જાય વાઇરસ
રોકી માઉન્ટન લૅબોરેટરીઝમાં વાઇરસ ઇકૉલૉજી વિભાગના વડા અને એનઆઈએચની અભ્યાસના વડા વિન્સેન્ટ મન્સ્ટરના જણાવ્યા અનુસાર, કાર્ડબોર્ડમાં મોજુદ એબ્ઝોર્બેટ નેચરલ ફાઇબરમાં વાઇરસ, પ્લાસ્ટિક તથા મેટલની સરખામણીએ જલદી મરી જાય છે.
વિન્સેન્ટ મન્સ્ટરે કહ્યું હતું, "કાણાયુક્ત મટીરિયલ હોવાને કારણે આ વાઇરસ જલદી સુકાઈ જાય છે અને ફાઈબરમાં ફસાઈ જાય છે, એવું અમારું અનુમાન છે."
ઉષ્ણતામાનમાં ફેરફાર અને ભેજને લીધે પણ વાઇરસને લાંબા સમય સુધી ટકવામાં મુશ્કેલી થાય છે. તેથી સમજાય છે કે આ વાઇરસ હવામાં મોજુદ ટીપાંઓમાં ઓછો સમય શા માટે કરી શકે છે.
વિન્સેન્ટ મન્સ્ટરે કહ્યું હતું, "ઉષ્ણતામાન અને ભેજની અસરને વધારે ઝીણવટથી સમજી શકાય એટલે અમે વધુ પ્રયોગ કરી રહ્યા છીએ."
તેમના જણાવ્યા મુજબ, હાથની સફાઈ અને સપાટીની સ્વચ્છતાનો આગ્રહ આપણે વધારે શા માટે રાખવો જોઈએ એ વાઇરસ વધુ લાંબા સમય સુધી ટકેલો રહેતો હોવાથી સમજી શકાય છે.
તેમણે કહ્યું હતું, "આ વાઇરસ અનેક માધ્યમ મારફત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવાની શક્યતા ધરાવતો હોય છે."
(આ લેખ સૌપ્રથમ 2020ની 18 માર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી તેમાં નીલ્તજે વાન ડોરમાલેન અને તેમના સાથીઓએ કરેલા અને ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત તેમના રિસર્ચનાં તારણોને સામેલ કરી શકાય. નેચરલ ફાઇબર્સ પર વાઇરસના ટકવા સંબંધી પરીક્ષણ માત્ર કાર્ડબોર્ડ પર જ કરવામાં આવ્યું હોવાની સ્પષ્ટતા પણ જરૂરી છે. ઈપીઈએ Sars-CoV-2નો પ્રસાર રોકવા માટે તૈયાર કરેલી ડિસઈન્ફેક્ટન્ટ્સ અને ઍક્ટિવ ઇન્ગ્રિડિયન્ટ્સની યાદીને સામેલ કરી શકાય એટલા માટે આ લેખ 2020ની 24 માર્ચે સંપાદિત કરવામાં આવ્યો હતો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો