કોરોના વાઇરસ : પ્રાઇવેટ લૅબમાં કરાવી શકાશે ટેસ્ટિંગ પણ આ છે ખાસ શરતો

    • લેેખક, ગુરપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં કોરોના વાઇરસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આશંકા છે કે આવનારા દિવસોમાં તેની સંખ્યા હજુ વધી શકે છે.

એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં સંક્રમિત લોકોની ભાળ મેળવવા માટે જેટલી ચકાસણી થવી જોઈએ તેટલી થઈ નથી રહી.

આ વાતને રદ્દ કરતા ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે આઈ.સી.એમ.આર.ના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ કહી ચૂક્યા છે કે દેશમાં યોગ્ય પ્રમાણમાં ચકાસણી થઈ રહી છે અને ભારત દરરોજ 10 હજાર ટેસ્ટ કરવા માટે સક્ષમ છે. આઈ.સી.એમ.આર.ના જણાવ્યા અનુસાર 24 માર્ચ સવારે 10 વાગ્યા સુધી 20,864 સૅમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવના કહેવા પ્રમાણે, "ફ્રાન્સ એક અઠવાડિયામાં 10 હજાર ટેસ્ટ કરે છે, બ્રિટન 16 હજાર, અમેરિકા 26 હજાર, જર્મની 42 હજાર, ઇટાલી 52 હજાર અને સાઉથ કોરિયાએ 80 હજાર કર્યા છે."

તેમણે કહ્યું કે હાલ ભારત એક અઠવાડિયામાં 50થી 70 હજાર ટેસ્ટ કરવામાં સક્ષમ છે અને પ્રાઇવેટ લૅબની મદદથી આ ક્ષમતાને વધારી પણ શકાય છે.

હવે પ્રાઇવેટ લૅબ પણ કરી શકે છે ટેસ્ટ

ભારતમાં પ્રાઇવેટ લૅબ્સને ટેસ્ટિંગની પરવાનગી આપી દેવાઈ છે. આઈ.સી.એમ.આરના ડૉ. રમને મંગળવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "મંગળવારે 22 લૅબને પરવાનગી આપવામાં આવી છે, આ લૅબ્સનાં દેશમાં કુલ સાડા 15 હજાર ક્લેક્શન સૅન્ટર છે."

પરંતુ ડૉ. રમને લોકોને અપીલ કરી છે કે પોતે જઈને પ્રાઇવેટ લૅબમાં ટેસ્ટ ના કરાવે. "ડૉક્ટરની સલાહ લઈને જ ટેસ્ટ કરાવો."

ગુજરાતમાં બે લૅબને મળી ટેસ્ટની પરવાનગી

ગુજરાતમાં અમદાવાદમાં આવેલી યુનિપેથ સ્પેશિયાલિટી લૅબોરેટરી અને સુપ્રાટેક માઇક્રોપાથ લૅબોરેટરી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પરવાનગી આપવામાં આવી છે.

યુનિપેથ સ્પેશિયાલિટી લૅબોરેટરીના હેડ ઑફ ઑપરેશન્સ ડૉ. નીતિન ગોસ્વામીએ બીબીસીને કહ્યું, "ટેસ્ટિંગ માટે અમને પરવાનગી મળી છે. હાલ અમે આઈ.સી.એમ.આર.ની કોવિડ-19ની ટેસ્ટિંગની ગાઇડલાઇન્સને ફૉલો કરી રહ્યા છીએ. તેની જરૂરિયાત અને એસઓપી એટલે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિઝર પ્રમાણે તૈયારી કરી રહ્યા છીએ."

તેમણે નજીકના જ દિવસોમાં ટેસ્ટિંગ શરૂ થવાની વાત પણ કરી હતી.

નીતિન કહે છે કે તેઓ પોતાના કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છીએ. તેમના કહેવા પ્રમાણે, તેમની લૅબમાં થોડા સમયમાં ટેસ્ટિંગ શરૂ થઈ જશે અને તૈયારી પૂર્ણ થવાની જાહેરાત પણ કરવામાં આવશે.

યુનિપૅથ લૅબના નીતિન ગોસ્વામીએ કહ્યું, "જ્યાં સુધી ટેસ્ટની કિંમતનો સવાલ છે, તેના માટે અમે સરકારી અધિકારીઓના સંપર્કમાં છીએ, ભારત સરકાર અને ગુજરાત સરકારની ગાઇડલાઇન્સને ફૉલો કરીશું. જે તેઓ નક્કી કરશે, તે અમે કરીશું."

દિલ્હીની લાલ પૈથ લૅબમાં શરૂ થયું ટેસ્ટિંગ

ડૉ. લાલ પૈથ લૅબ્સના મૅનેજિંગ ડિરેક્ટર અરવિંદ લાલે બીબીસીને કહ્યું, "લાલ પૈથ લૅબ્સમાં કોવિડ-19ના ટેસ્ટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

આ ટેસ્ટની કિંમત 4500 રૂપિયા હશે. જેમાં સ્ક્રિનિંગ અને કન્ફર્મેશન ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. ટેસ્ટ કરાવવા માટે ડૉક્ટરનાં પ્રિસ્ક્રિપશન અને ફૉર્મ 44 (જે લૅબ આપશે) અને ઓળખપત્રની જરૂર પડશે."

આઈ.સી.એમ.આર.એ પ્રાઇવેટ લૅબ્સ માટે ટેસ્ટિંગની જે ગાઇડલાઇન્સ જાહેર કરી છે, તે પ્રમાણે પ્રાઇવેટ લૅબ્સ કોરોનાની તપાસ માટે 4500 રૂપિયાથી વધારે નહીં લઈ શકે.

આઈ.સી.એમ.આર.ના કહેવા પ્રમાણે, કોરોનાથી સંક્રમિત શંકાસ્પદ કેસમાં પ્રાઇવેટ લૅબ સ્ક્રિનિંગ ટેસ્ટ માટે વધારે 1500 રૂપિયા લઈ શકે છે અને કન્ફર્મ ટેસ્ટ માટે વધારે 3,000 રૂપિયાની પરવાનગી આપવામાં આવી છે.

આઈ.સી.એમ.આર.એ પ્રાઇવેટ લૅબને અપીલ કરી છે કે બની શકે તો તે મફતમાં અથવા સબસિડી હેઠળ કોરોનાની ચકાસણી કરે.

જ્યારે દિલ્હીની ડૉ. ડાંગ્સ લૅબના સંસ્થાપક નવીન ડાંગે બીબીસીને કહ્યું, "અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ તૈયાર છે. મેન પાવર તૈયાર છે. તમામ લોકોને ટ્રેનિંગ અપાઈ ગઈ છે. બાયૉસેફ્ટી લૅબર અપ્રૂવ છે. પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમેન્ટ તૈયાર છે. રિપોર્ટનું ફૉર્મેટ તૈયાર છે.

અમે ખાલી સરકાર દ્વારા અપ્રૂવ્ડ ટેસ્ટિંગ કિટ્સની રાહ જોઈ રહ્યા છીએ. અમને હાલ સુધી કિટ્સ પણ નથી મળી. સરકારે ત્રણ કિટ્સ અપ્રૂવ કરી છે.

એના માટે અમે ઑર્ડર કર્યો છે. જ્યારે કિટ આવશે, ત્યારે બીજા દિવસથી કામ શરૂ કરી દઈશું."

આઈ.સી.એમ.આર.ના ડૉક્ટર રમને પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે કિટ્સ બનાવનારા મૅન્યુફૅક્ચર્સનું પણ વેલિડેશન શરૂ કરી દીધું છે.

તેમણે કહેવા પ્રમાણે, "15 કિટ મૅન્યુફૅક્ચર્સની કિટની તપાસ થઈ ગઈ છે. એમાં ત્રણ કિટને અપ્રૂવ કરવામાં આવી છે. ગર્વની વાત એ છે કે આમાં એક દેશી મૅન્યુફૅક્ચરર પણ છે. એવું લાગે છે કે આગળ જતાં કિટ્સની કમી નહીં સર્જાય."

પ્રાઇવેટ લૅબમાં કોણ ટેસ્ટ કરાવી શકે છે?

ગાઇડલાઇન્સ પ્રમાણે, જો તમને તાવ આવી રહ્યો હોય અને ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, તો તમારે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં જવાનું રહેશે. ત્યાંથી ડૉક્ટર નક્કી કરશે કે તમારે નોવેલ કોરોના વાઇરસની તપાસ કરાવવી કે નહીં.

તો શું ટેસ્ટ માટે કોઈ ડૉક્યુમેન્ટ જોઈશે?

ફૉર્મ 44 (કોવિડ-19), જેને ડૉક્ટરે સંપૂર્ણ ભર્યું હોય અથવા સહી કરી હોય, સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હોય. સાથે જે રેફર કરનાર ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પણ જરૂરી છે. સૅમ્પલ લેતી વખતે શંકાસ્પદ દર્દીનું સરકારી ઓળખપત્ર (આધારકાર્ડ/વોટર આઈડી/પાસપોર્ટ) અને ફોન-નંબર આપવો પડશે. આ દસ્તાવેજો વિના ટેસ્ટ નહીં કરાવી શકાય.

ટેસ્ટ માટે બુકિંગ કેવી રીતે કરાવી શકાશે?

સરકારે ટેસ્ટ માટે જે લૅબ્સને મંજૂરી આપી છે, તેમાં કોઈ એકની વેબસાઇટ પર જઈને અથવા તેની મોબાઇલ ઍપ દ્વારા રજિસ્ટર કરાવી શકાય છે અને ઑનલાઇન ઘરેથી ક્લેક્શન સ્લૉટ બુક કરાવી શકાય છે, તમે કસ્ટમર કૅર નંબર પર પણ ફોન કરી શકો છો.

તમારા ફૉર્મ 44 અને પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી કર્યા પછી લૅબવાળા સૅમ્પલ પિકઅપને રી-કન્ફર્મ કરશે.

ટેસ્ટ બુક કરાવવા માટે તમારે લૅબ પર જવાનું નથી. ઑનલાઇન જ બુકિંગ કરો અને સૅમ્પલ તમારા ઘરે આવીને જ લેવાશે. સૅમ્પલ લેવા આવનારી વ્યક્તિ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત હશે.

છેલ્લે સવાલ એ છે કે ભારત સરકાર પાસે આ ટેસ્ટ રિપોર્ટ કેવી રીતે પહોંચશે?

ભારત સરકાર/ આઈ.સી.એમ.આર.ની ગાઇડલાઇન્સ પ્રમાણે લૅબવાળા તમામ દર્દીઓનો રિપોર્ટ નક્કી કરેલી સરકારી સંસ્થાઓને પહોંચાડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો