You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાએ હુમલો કર્યો તો ઈરાન યુદ્ધ માટે 'તૈયાર', ટ્રમ્પે શું ધમકી આપી?
ઈરાનના વિદેશમંત્રીનું કહેવું છે કે તેહરાન પૂર્વનિયોજિત સૈન્ય હુમલાની કોઈ યોજના ધરાવતું નથી, પરંતુ જો તેમના પર હુમલો કરવામાં આવશે તો તેઓ યુદ્ધ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં અમેરિકી હસ્તક્ષેપ અંગે સંકેત આપ્યા હતા. ઈરાની સુરક્ષાદળો દ્વારા પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલા કથિત હુમલાના અહેવાલો બાદ ટ્રમ્પે જણાવ્યું હતું, "સેના આ બાબતે નજર રાખી રહી છે, અને અમે કેટલાક અત્યંત પ્રભાવશાળી વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ."
તેહરાનમાં વિદેશી રાજદૂતોને સંબોધતા અબ્બાસ અરાગચીએ કહ્યું કે ઈસ્લામિક રિપબ્લિક "યુદ્ધ ઈચ્છતું નથી", પરંતુ સાથે જ તેમણે વિરોધીઓને કોઈ પણ પ્રકારની "ખોટી ગણતરી" ન કરવા ચેતવણી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઈરાન જૂન મહિનામાં ઈઝરાયેલ સાથે થયેલા 12 દિવસના સંઘર્ષ સમયની સરખામણીએ હાલ "વધુ સારી સજ્જતાની સ્થિતિમાં" છે.
અરાગચીએ એવું પણ જણાવ્યું કે ઈરાન હજુ પણ વાટાઘાટ માટે તૈયાર છે, પરંતુ તે ફક્ત એવી શરતો પર જ શક્ય છે જેને તેઓ ન્યાયસંગત, ગૌરવપૂર્ણ અને સમાન ગણે છે.
આ દરમિયાન નિષ્ણાતો અને નજરે જોનારા પ્રમાણે, ઈરાનમાં સરકારવિરોધી વિરોધપ્રદર્શનો ખૂબ વ્યાપક બની ગયાં છે, આવું ક્રાંતિ બાદનાં 47 વર્ષના ઇતિહાસમાં અગાઉ ક્યારેય નથી જોવા મળ્યું.
દેશભરનાં શહેરોમાંથી લોકો રસ્તા પર ઊતરતાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેવતણી આપી કે જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો તેઓ 'જોરદાર હુમલો કરશે.' ટ્રમ્પે કહ્યું કે તેઓ 'જેનાથી સૌથી વધુ દુ:ખાવો થાય એવી જ ઈજા પહોંચાડશે.' તેમણે એવું પણ કહ્યું કે અમરિકા ઈરાની શાસનનો વિરોધ કરનારાની મદદ માટે તૈયાર છે.
ઈરાની અધિકારીઓએ આના જવાબમાં કહ્યું કે જો આવું થશે તો તેઓ ક્ષેત્રમાં અમેરિકન સહયોગીઓ અને તેનાં હિતો પર હુમલો કરશે.
આવો, જાણીએ કે ઈરાનનાં આ વિરોધપ્રદર્શનો અને વિદ્રોહો પર ઈરાન સરકારની પ્રતિક્રિયા દેશમાં અગાઉ થયેલાં વિરોધપ્રદર્શનોથી કેટલાં અલગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આખા ઈરાનમાં પ્રદર્શનો
નિષ્ણાતોનું માને છે કે ઈરાનમાં થઈ રહેલાં તાજેતરનાં વિરોધપ્રદર્શનોનો આકાર અને તેનો વિસ્તાર ઐતિહાસિક છે.
સમાજશાસ્ત્રનાં સંશોધક એલી ખોરસંદફર કહે છે કે એક તરફ ઈરાનનાં મોટાં શહેરોમાં રેલીઓ થઈ છે, તો બીજી તરફ આ પ્રદર્શનો નાના કસબામાં પણ ફેલાયેલાં છે, "ઘણાએ તો આ કસબાનાં નામ સુધ્ધાં ક્યારેય સાંભળ્યાં નહીં હોય."
ઈરાનમાં અગાઉ પણ વિરોધપ્રદર્શન થયાં છે, વર્ષ 2009ની કહેવાતી 'ગ્રીન મૂવમેન્ટ' કથિત ચૂંટણી ગોટાળા વિરુદ્ધ મધ્યમ વર્ગનું વિરોધપ્રદર્શન હતું.
જોકે, એ ચળવળ આકારમાં મોટી હતી, પરંતુ એ માત્ર મોટાં શહેરો સુધી જ સીમિત હતી. જ્યારે વર્ષ 2017 અને 2019નાં અન્ય મોટાં વિરોધપ્રદર્શન દેશના ગરીબ વિસ્તાર સુધી જ સીમિત હતાં.
દેશમાં હાલનાં વર્ષોમાં તાજેતરનાં વિરોધપ્રદર્શનોથી સૌથી વધુ મળતાં આવતાં વિરોધપ્રદર્શનો વર્ષ 2022માં થયાં હતાં, જ્યારે 22 વર્ષનાં મહસા અમિનીના કસ્ટડીમાં મૃત્યુ બાદ લોકો રોષે ભરાયા હતા.
આ યુવતીની ઈરાનની મૉરાલિટી પોલીસે હિજાબ પહેરવાની રીત માટે ધરપકડ કરી હતી.
ઘણાં રિપોર્ટો અનુસાર, અમિનીના મૃત્યુ બાદ આ વિરોધપ્રદર્શન તીવ્ર ગતિએ વધ્યાં, પરંતુ છ દિવસ બાદ આ પ્રદર્શનો ચરમસીમાએ પહોંચ્યાં હતાં.
તેનાથી વિપરીત, હાલનાં વિરોધપ્રદર્શન વધુ વ્યાપક જણાઈ રહ્યાં છે અને 28 ડિસેમ્બરના રોજ શરૂ થયા બાદ આ પ્રદર્શનો સતત વધુ તીવ્ર બનતાં જણાઈ રહ્યાં છે.
'તાનાશાહનો અંત થાય'
વર્ષ 2022નાં વિરોધપ્રદર્શનોની માફક, હાલના વિરોધનાં મૂળ પણ એક ખાસ ફરિયાદ સાથે સંકળાયેલાં છે, જે શાસનવ્યવસ્થામાં વ્યાપક બદલાવની માગમાં પરિવર્તિત થઈ ગઈ.
ખોરસંદફર કહે છે કે, "વર્ષ 2022નું આંદોલન મહિલાઓ મુદ્દે શરૂ થયું હતું. પરંતુ તેમાં બીજી ફરિયાદો પણ સામે આવી. ડિસેમ્બર 2025નાં વિરોધપ્રદર્શન આર્થિક મુદ્દા સાથે શરૂ થયાં અને ખૂબ ઓછા સમયમાં, એ જ પ્રદર્શનો જેવી માગો સામેલ થઈ ગઈ."
ડિસેમ્બરના અંતિમ દિવસોમાં, તહેરાનના કેન્દ્રમાં સ્થિત બજારના વેપારીઓએ અમેરિકન ડૉલરની સરખામણીમાં ઈરાની રિયાલના ઍક્સચેન્જ રેટમાં તીવ્ર ઉતાર-ચઢાવના વિરોધમાં હડતાળ પાડી દીધી.
આ વિરોધપ્રદર્શન દેશના પશ્ચિમમાં સૌથી ગરીબ વિસ્તારોમાં ફેલાઈ ગયાં. વર્ષ 2022ની માફક, ઇલમ અને લોરિસ્તાન પ્રાંત તેનાં મુખ્ય કેન્દ્ર હતાં.
ડિસેમ્બરના અંતમાં હજારો લોકોએ માર્ચ યોજી માર્ચ કાઢી, કારણ કે દેશના મધ્યમ વર્ગ સહિત લાખો ઈરાની ગંભીર આર્થિક સંકટ અને તીવ્ર ગતિએ વધી રહેલી મોંઘવારીથી હેરાન થઈ રહ્યા હતા.
ત્યારથી જ રસ્તા પર માર્ચ કાઢી રહેલા લોકો 'તાનાશાહ મુર્દાબાદ'ના નારા લગાવી રહ્યા છે. તેઓ ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈ અને તેમના શાસનને હઠાવવાની માગ કરી રહ્યા છે.
શું પ્રદર્શનકારી રઝા પહેલવીને શાસક બનાવવા માગે છે?
ઈરાનમાં વર્ષ 2022ના વિરોધપ્રદર્શન કોઈ પણ પ્રકારની નેતાગીરી વગર થઈ રહ્યાં હતાં અને તેથી ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ ગયાં. તેનાથી ઊલટું, હાલનાં પ્રદર્શનોમાં કેટલાક જાણીતા લોકો પણ સક્રિય છે, જેમ કે, રઝા પહેલવી.
તેમના પિતા રઝા શાહ પહેલવીને વર્ષ 1979માં ઇસ્લામિક ક્રાંતિ બાદ સત્તા પરથી હઠાવી દેવાયા હતા.
હવે રઝા પહેલવી નિર્વાસનમાં રહીને દૂરથી જ આંદોલનને આકાર આપવાની કે નેતૃત્વ કરવાની કોશિશ કરી રહ્યા છે. કદાચ આ જ કારણે આ પ્રધર્શન વધુ સમય સુધી ચાલી રહ્યાં છે.
હાલનાં વિરોધપ્રદર્શનોમાં, પહેલવી પરિવારની વાપસીની માગવાળા નારા પહેલાં કરતાં વધુ સંભળાઈ રહ્યા છે.
પહેલવીએ અમેરિકામાં નિર્વાસન દરમિયાન પોતાની જાતને ઈરાનના શાહ જાહેર કર્યા છે.
રસ્તા પર ઊતરીને નારા લગાવવાની તેમની અપીલને ઘણા લોકોએ મોટા પાયે શૅર કરી છે.
ઈરાનની અંદર સોશિયલ મીડિયા પર યુવાનો એકબીજાને પરોક્ષપણે પ્રદર્શનોમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
તહેરાન જેવાં શહેરોમાં હાલનાં વિરોધપ્રદર્શનોનો વ્યાપ પહેલવીની અપીલની અસરને સાબિત કરે છે.
વિશ્લેષકોનું કહેવું છે કે આ પ્રકારે શાસનનો વિરોધ કરનારા એક જાણીતા નેતાની હાજરીએ કેટલાક પ્રદર્શનકારીઓને એ વિશ્વાસ અપાવ્યો છે કે જો હાલની સરકાર પડી જશે તો એક સંભવિત વિકલ્પ હાજર છે.
જોકે, ઘણા લોકોનું માનવું છે કે પહેલવી માટે કોઈ પ્રકારના સમર્થનનો અર્થ એ નથી કે લોકો રાજાશાહી પરત ફરે એવું ઇચ્છતા હોય. બલકે, આ વાત મૌલવી શાસન માટે નિરાશા બતાવે છે, ખાસ કરીને દેશની અંદર ધર્મનિરપેક્ષ વિપક્ષના નેતાઓની ગેરહાજરીના કારણે આવું થઈ રહ્યું છે.
'આંતરરાષ્ટ્રીય મદદ'નો ભરોસો
રઝા પહેલવીએ ઈરાની પ્રદર્શનકારીઓના નામે એક પોસ્ટમાં કહ્યું છે કે દેશની આઝાદી નિકટ છે.
તેમણે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "ગત બે અઠવાડિયાંમાં, ખાસ કરીને ગત ચાર દિવસમાં, તમે મોટા પાયે, દેશવ્યાપી પ્રદર્શનોથી ગેરકાયદેસર ઇસ્લામિક રિપબ્લિકના પાયા હચમચાવી નાખ્યા છે."
"હું ઇસ્લામિક રિપબ્લિકને ઉખાડી ફેંકવા અને પોતના પ્યારા ઈરાનને પરત મેળવવા માટે રાષ્ટ્રીય વિદ્રોહના એક નવા તબક્કાની જાહેરાત કરું છું."
તેમણે લખ્યું, "ઈરાનની સ્વતંત્રતા નજીક છે... આપણે એકલા નથી. ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય મદદ મળશે."
ઈરાનમાં દખલની ટ્રમ્પની ધમકી
આ આંદોલનોને વર્ષ 2022માં થયેલા આંદોલનથી અલગ કરતું વધુ એક પરિબળ અમેરિકા છે.
ગત વિરોધપ્રદર્શનોથી ઊલટું, આ વર્ષનાં પ્રદર્શનોને વ્હાઇટ હાઉસનું સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. ટ્રમ્પે પ્રદર્શનકારીઓના સમર્થનમાં સરકારી ઠેકાણાં પર હુમલા કરવાની ધમકી આપી છે - આવું પહેલાં ક્યારેય નથી થયું.
વર્ષ 2009માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કથિત ગોટાળા વિરુદ્ધ થઈ રહેલા આંદોલન દરમિયાન, પ્રદર્શનકારીઓએ નારા લગાવ્યા, 'ઓબામા, ઓબામા, કાં તો તેમની સાથે કાં અમારી સાથે.'
બરાક ઓબામા જ વર્ષ 2009માં અમેરિકાના રાષ્ટ્રપતિપદે હતા. તેમણે બાદમાં રસ્તા પર ઊતરેલા પ્રદર્શનકારીઓનું વધુ ખૂલીને સમર્થન કરવાની વાત અંગે પસ્તાવો વ્યક્ત કર્યો હતો.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે આ પ્રદર્શનોનો "ઈરાનના દુશ્મન" લાભ ઉઠાવી રહ્યા છે.
જોકે, તેમના માટે મુદ્દો એ છે કે ઈરાન પાસે હાલનાં વર્ષોની સરખામણીએ ઘણા ઓછા મિત્રો છે.
ઈરાની અધિકારીઓએ પોતાના પ્રમુખ સહયોગીઓને ગુમાવી દીધા છે. સીરિયામાં બશર અલ-અસદને રાષ્ટ્રપતિપદેથી હઠાવી દેવાયા છે અને લેબનોનમાં હિઝબુલ્લાહ પણ ઇઝરાયલી સૈન્ય કાર્યવાહીથી ઘણું કમજોર પડી ગયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું છે કે તેઓ ઈરાન મામલે કેટલાક અત્યંત મજબૂત વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.
પ્રેસ સાથેની વાતચીતમાં ટ્રમ્પને સવાલ કરાયો હતો કે 'શું અમેરિકાએ ઈરાન પર કાર્યવાહી કરવી પડશે.'
આના જવાબમાં તેમણે કહ્યું, "(ઈરાનમાં) એવા લોકો માર્યા ગયા છે, જે નહોતા મરવા જોઈતા. જો તમે નેતાઓની વાત કરો, તો મને નથી ખબર કે તેઓ નેતા છે કે માત્ર હિંસા મારફતે જ રાજ કરે છે."
ટ્રમ્પે કહ્યું, "પરંતુ અમે અને અમારું સૈન્ય એ વાત પર ખૂબ ગંભીરતાથી નજર રાખી રહ્યાં છીએ અને કેટલાક અત્યંત મજબૂત વિકલ્પો અંગે વિચાર કરી રહ્યા છીએ."
'શાસન યુદ્ધનો લાભ ન ઉઠાવી શક્યું'
વર્ષ 2022નાં વિરોધપ્રદર્શનોથી ઊલટું આ વર્ષનાં વિરોધપ્રદર્શન ઇઝરાયલ સાથે 12 દિવસની લડાઈ અને બાદમાં ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાના તરત બાદ થઈ રહ્યાં છે.
પત્રકાર અબ્બાસ અબ્દીનું માનવું છે કે આ ઘટનાઓએ ઈરાની અધિકારીને લોકો વચ્ચે અમુક પ્રકારનો સંપ અને તાલમેલ બેસાડવાની તક આપી, પરંતુ સરકાર તેનો લાભ ઉઠાવવામાં નાકામ રહી.
કેટલાક વિશેષજ્ઞોનું એવું પણ કહેવું છે કે ગત વર્ષે સૈન્યને પડેલા ભારે ફટકાથી ઈરાનીઓની નજરમાં દેશની મુખ્ય સૈન્ય સંસ્થા તરીકે ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઇઆરજીસી)ની છબિ અને પ્રતિષ્ઠાને ખતમ કરી નાખી છે.
વર્ષ 2022નાં પ્રદર્શનોની ભાવનાને આગળ વધારતાં, ખોરસદંફર હાલનાં વિરોધપ્રદર્શનો વિરુદ્ધ કાર્યવાહીમાં એક સ્થાયી બદલાવ જુએ છે.
ત્રણ વર્ષ પહેલાં રસ્તા પર ઊતરેલાં મહિલાઓ સાથે ઇન્ટરવ્યૂમાં, ઘણાં મહિલાઓએ જણાવ્યું હતું કે તેમની સૌથી મોટી ઉપલબ્ધિ એક દમનકારી શાસનના ડરને ખતમ કરવાની હતી.
બીબીસી ફારસી સેવા, બીબીસી ગ્લોબલ જર્નાલિઝ્મ અને મધ્ય-પૂર્વના પત્રકાર નેદા સાનીઝનાં રિપોર્ટિંગ અને વિશ્લેષણ સાથે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન