કોરોના વાઇરસ : RT-PCR ટેસ્ટની CT વેલ્યુ શું છે અને તેને કેવી રીતે સમજશો?

    • લેેખક, ગુરપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે અને હજુ પણ વધુમાં વધુ ટેસ્ટિંગ પર ભાર અપાઈ રહ્યો છે.

સંક્રમણની જાણ કરવા માટે સૌથી વિશ્વાસપાત્ર રીત છે આરટી-પીસીઆર ટેસ્ટ. અને આ આરટી-પીસીઆર ટેસ્ટની પ્રક્રિયાનો મહત્ત્વનો ભાગ છે સિટી વેલ્યુ. આ વેલ્યુ જ નક્કી કરે છે કે તમને કોરોના થયો છે કે નહીં.

સિટી વેલ્યુ શું છે?

(આ લેખ RT-PCR ટેસ્ટની CT વેલ્યુની પ્રાથમિક સમજ માટે છે. તે કોઈ પણ રીતે અમુક CT વેલ્યુને વધારે કે ઓછી ગંભીર દર્શાવવાનો પ્રયાસ નથી. બીમારીના કોઈ પણ તબક્કે સારવાર કરી રહેલા ડૉક્ટર અનેક બાબતોને ધ્યાને લઈ દરદીની સ્થિતિ કેટલી ગંભીર છે તે નક્કી કરતા હોય છે.)

સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આરટી-પીસીઆર ટેસ્ટ શું છે. આરટી-પીસીઆર એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમરેઝ ચેન રિએક્શન ટેસ્ટ. આ ટેસ્ટના માધ્યમથી કોઈ વાઇરસના જેનેટિક મટીરિયલને ટેસ્ટ કરવામાં આવે છે.

કોરોના એક આરએનએ વાઇરસ છે. ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતા આરએનએ દર્દીના સ્વેબથી લેવામાં આવે છે.

આરટી-પીસીઆર ટેસ્ટ માટે સૅમ્પલ લીધા પછી આ આરએનએને આર્ટિફિશિયલ રીતથી ડીએનએમાં બદલવામાં આવે છે. પછી આ ડીએનએમાં ચેન રિએક્શન કરવામાં આવે છે. એટલે કે એક રીતે તેની કૉપી બનાવવામાં આવે છે.

આ રીતે ખબર પડે છે કે કોઈ સૅમ્પલમાં વાઇરસ છે કે નહીં. વાઇરસની જાણ માટે જેટલી વાર ચેન રિએક્શનની સાઇકલ દોહરાવવી પડશે, એ જ હશે સિટી વેલ્યુ.

સિટી વેલ્યુ કેવી રીતે કાઢવામાં આવે છે?

સિટી વેલ્યુ એટલે કે સાઇકલ થ્રેશોલ્ડ, આ એક નંબર હોય છે. આઈસીએમઆરે કોરોના વાઇરસની પુષ્ટિ માટે આ સંખ્યા 35 નક્કી કરી છે. એટલે કે 35 સાઇકલની અંદર વાઇરસ મળે તો તમે કોરોના પૉઝિટિવ હશો.

35 સાઇકલ સુધી વાઇરસ ન મળે તો તમે નૅગેટિવ છો.

પ્રક્રિયા એવી હશે કે પહેલાં એક કૉપીમાંથી બે કૉપી બનશે. પછી બેથી ચાર અને એ રીતે બનતી રહેશે, જ્યાં સુધી વાઇરસ ન મળે.

ઘણા લોકોમાં 8 કે 10 સાઇકલ બાદ જ વાઇરસ મળી જાય છે. ઘણામાં 30 કે 32 સાઇકલમાં મળે છે.

જલદી વાઇરસ મળી જવાનો અર્થ કે વાઇરલ લોડ વધુ છે, ત્યારે તો જલદી પકડમાં આવી ગયો. જ્યારે વધુ સાઇકલ બાદ વાઇરસ પકડમાં આવે તો મતલબ કે ઓછો વાઇરલ લોડ છે.

તમારા ટેસ્ટમાં 10 સાઇકલમાં વાઇરસ મળી ગયો તો મતલબ સિટી વેલ્યુ 10 છે અને 30 સાઇકલમાં મળે તો સિટી વેલ્યુ 30 છે.

સિટી વેલ્યુ વધુ તો શું દર્દીનો ગંભીર હોવાનો ખતરો વધુ?

તમે એ તો સમજી ગયા હશો કે સિટી વેલ્યુ જેટલી ઓછી, વાઇરલ લોડ એટલો વધુ અને સિટી વેલ્યુ જેટલી વધુ વાઇરલ લોડ એટલો ઓછો હશે. પણ શું વાઇરલ લોડ વધુ હોવાનો મતલબ એ હશે કે દર્દીની હાલત બગડી શકે છે?

આ સવાલનો જવાબ મેળવવા માટે અમે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વાયરોલૉજિસ્ટ વિદ્યા અરંકલ સાથે વાત કરી.

તેઓ કહે છે, "એ જરૂર નથી કે વાઇરલ લોડ વધુ છે તો દર્દીની હાલત બગડવાનો વધુ ખતરો છે. સામાન્ય રીતે એવું બની શકે કે જેનો વાઇરલ લોડ વધુ છે, તેની હાલત ગંભીર બની શકે છે. પણ એવો કોઈ નિયમ નથી કે હંમેશાં એવું જ થાય. ઘણી વાર જેનો વાઇરલ લોડ ઓછો હોય એ દરદી પણ ગંભીર થઈ જાય છે. જો સિટી વેલ્યુ 10 છે તો શક્ય છે કે દર્દીની હાલત ગંભીર હોઈ શકે છે, પણ એવું નથી કે સિટી વેલ્યુ 30 હોય એ ગંભીર ન થઈ શકે."

માય લૅબ્સના નિદેશક ડૉ. ગૌતમ વાનખેડે પણ બીબીસી સાથે વાત કરતા કહે છે કે સિટી વેલ્યુ ઓછી આવવા પર દર્દીએ ગભરાવવાની જરૂર નથી.

તેઓ કહે છે, "જો કોઈ સિટી વેલ્યુ 12 છે, તો એ ન સમજવું જોઈએ કે એ સિરિયસ છે, કેમ કે દરેકનું શરીર અલગઅલગ રીતે વર્તન કરે છે. ભલે સિટી વેલ્યુ 12 હોય કે 32, એકસમાન સાવધાની રાખવી જોઈએ અને સમાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશન રાખવું જોઈએ."

સંક્રમણ હોવા છતાં આરટી-પીસીઆર ટેસ્ટ નૅગેટિવ કેમ આવે છે?

એવા ઘણા કેસ સામે આવ્યા છે કે લક્ષણો હોવાં છતાં પણ આરટી-પીસીઆર ટેસ્ટ નૅગેટિવ આવે છે. જ્યારે કોઈ સિટી સ્કેન કરાવે ત્યારે પૉઝિટિવ આવે છે. તેનું કારણ શું છે?

વાયરોલૉજિસ્ટ વિદ્યા અરંકલ કહે છે કે તેનાં બે કારણ હોઈ શકે છે. એક વાઇરસ બદલાઈ રહ્યો છે. નવા વેરિએન્ટને ટેસ્ટ પકડી શકતો નથી. બીજી વાત એ કે સૅમ્પલ લેતી વખતે તેમાં વાઇરસ બહુ ઓછો હતો, આથી નૅગેટિવ રિપોર્ટ આવે.

ડૉ. ગૌતમ વાનખેડે કહે છે, "બની શકે કે સૅમ્પલ યોગ્ય રીતે લીધું ન હોય. યોગ્ય રીતે ટ્રાન્સપોર્ટ ન કરાયું હોય. લૅબમાં ઑટોમેશન બહુ ઓછું હોય છે, ટેસ્ટ દરમિયાન ઘણી ચીજો મેન્યુઅલી કરવાની થાય છે. જેમ કે કૅમિકલનું મિલાવવું. ટેસ્ટ કરતી વખતે જો ઑટોમેશનનો ઉપયોગ ઓછો થયો હોય, વધુ કામ મેન્યુઅલી થયું હોય તો માણસની ભૂલ થવાની શક્યતા છે, કેમ કે હજુ સુધી એવો કોઈ સ્ટડી સામે આવ્યો નથી કે દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, યુકે કે ભારતમાં મળેલી ડબલ મ્યુટેન્ટ વાઇરસને આરટી-પીસીઆરમાં ડિટેક્ટ કરવામાં મુશ્કેલી છે. માન્ય આરટી-પીસીઆર કિટમાં એવું થવાની શક્યતા ઓછી છે. ટેસ્ટ નૅગેટિવ આવવાનાં અન્ય કારણો પણ હોઈ શકે છે."

તેઓ કહે છે, "હું એવું નથી કહેતો કે ભૂલ લૅબની છે. અમે જોયું કે તમામ લૅબ પર પ્રેશર વધી ગયું છે. જ્યાં તેઓ એક દિવસમાં 50 ટેસ્ટ કરતા હતા, ત્યાં હવે 500 ટેસ્ટ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે દબાણ વધે તો માણસની ભૂલ થવાની શક્યતા પણ વધુ રહેવાની."

એવું પણ કહેવાય છે કે આરટી-પીસીઆર ગળામાં રહેલા વાઇરસને પકડી પાડે છે, પણ ફેફસાંના વાઇરસને પકડી શકતો નથી. આથી સિટી સ્કેન કરાવવો પડે છે.

પણ ડૉ. ગૌતમ કહે છે, "જો વાઇરસ ફેફસાંમાં હોય તો એ ગળામાં બિલકુલ ન હોય એમ થવું મુશ્કેલ છે. જો યોગ્ય રીતે ઑટોમેટેડ રીતથી ટેસ્ટ કરવામાં આવે તો વાઇરસ ટેસ્ટમાં પકડમાં આવી શકે છે."

સિટી વેલ્યુ શું કામમાં આવે છે?

અગાઉ તમે કદાચ સિટી વેલ્યુ અંગે સાંભળ્યું પણ ન હોય, કેમ કે ટેસ્ટ કરાવ્યા બાદ તમે બસ એ જુઓ છો કે તમે નૅગેટિવ છો કે પૉઝિટિવ. જવાબ 'હાં કે ના'માં હોય છે.

પણ સિટી વેલ્યુથી પૉઝિટિવ હોવા પર વાઇરલ લોડની પણ ખબર પડે છે. જોકે, ડૉ. ગૌતમ અનુસાર, કોવિડ મૅનેજમૅન્ટમાં આપણે વાઇરલ લોડને ઓછું મહત્ત્વ આપીએ છીએ. તેના કરતાં પૉઝિટિવ કે નૅગેટિવ પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ.

તેનું કારણ તેઓ જણાવે છે, "વૈજ્ઞાનિકો અને મેડિકલ બિરાદરીને પણ આ વાઇરસના સ્વભાવ અંગે બધું ખબર નથી. ઉદાહરણ તરીકે જ્યારે આપણે એચઆઈવીનો ઇલાજ કરીએ છીએ તો આપણને ખબર હોય છે કે આ દવા લેવાથી 15 દિવસમાં વાઇરસ 50થી 40 કે 20 પર આવી જવો જોઈએ. પણ કોવિડ નવી બીમારી છે. હજુ આપણને એ આત્મવિશ્વાસ નથી કે આ દવા આટલા દિવસમાં વાઇરલ લોડ ઓછો કરી દેશે. આથી લોકો હાલમાં પૉઝિટિવ કે નૅગેટિવ પર ધ્યાન આપે છે. જોકે ક્લિનિકલ રીતે સિટી વેલ્યુ મહત્ત્વની હોઈ શકે છે અને ડૉક્ટરો માટે ઘણી ચીજો સમજવામાં મદદ કરી શકે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો