કોરોના વાઇરસ હવાથી પણ ફેલાય - આ રહ્યાં 10 કારણો : ધ લૅન્સેટનો રિપોર્ટ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કોરોના વાઇરસની મહામારીના પ્રકોપથી દુનિયાનો કોઈ ખૂણો બચી શક્યો નથી. સમયની સાથે આ બીમારીએ પોતાનું સ્વરૂપ પણ ઘણી વખત બદલ્યું છે અને તે સાથે જ કોરોના ભારત સહિત ઘણા દેશોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

દેશમાં કોરોના વાઇરસના દૈનિક કેસોની સંખ્યા રેકૉર્ડ તોડી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના બે લાખ 73 હજાર કેસ નોંધાયા છે.

કોરોનાથી બચવા રસી આવી ગઈ પણ હજુ સુધી એ સ્પષ્ટતા ચોક્કસ રીતે થઈ નથી કે આ વાઇરસ કેવી રીતે ફેલાય છે.

તેવામાં મેડિકલ જર્નલ 'ધ લૅન્સેટ'માં છપાયેલા એક અહેવાલમાં પ્રમાણે પુરાવા મળ્યા છે કે કોરોના વાઇરસ હવાથી ફેલાય છે. આ દાવાને સાબિત કરવા માટે અહેવાલમાં 10 કારણ પણ અપાયાં છે.

અહેવાલમાં અપાયેલાં 10 કારણો

  • અહેવાલમાં જણાવ્યું છે કે વાઇરસના સુપરસ્પ્રેડર ઇવેન્ટ બીમારીને ઝડપથી ફેલાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આવું ટ્રાન્સમિશન હવાના માધ્યમથી વધારે સહેલું છે.
  • ક્વોરૅન્ટીન હોટલોમાં એકબીજાની નજીક આવેલા રૂમમાં રહેતા લોકો વચ્ચે સંક્રમણ જોવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આ લોકો એકબીજાના રૂમમાં ગયા ન હતા.
  • એસિમ્પ્ટોમેટિક લોકોથી સંક્રમણ - જેમને ઉધરસ કે છીંક ન આવી રહી હોય, તેમના થકી વાઇરસ ફેલાવવાના એક તૃતિયાંશ કેસ નોંધાયા છે અને દુનિયામાં વાઇરસ ફેલાવવાનું તે એક મોટું માધ્યમ છે.
  • બિલ્ડિંગોની અંદર ટ્રાન્સમિશન બહારની સરખામણીએ વધારે છે અને જો વૅન્ટિલેશન હોય તો તે ઓછું થઈ જાય છે.
  • હૉસ્પિટલો અને મેડિકલ સંસ્થાઓની અંદર પણ ઇન્ફૅક્શન ફેલાયું છે, જ્યાં કૉન્ટેક્સ અને ડ્રૉપલેટ્સ સાથે જોડાયેલા કડક નિયમો જેમ કે PPE કિટ સુધીનું પાલન કરવામાં આવે છે.
  • લૅબોરેટરીમાં કોરોના વાઇરસ હવામાં મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન વાઇરસ ત્રણ કલાક સુધી હવામાં સંક્રામક હાલતમાં રહ્યો હોવાનું અહેવાલ જણાવે છે.
  • હૉસ્પિટલો અને કોરોનાના દર્દીઓવાળી બિલ્ડિંગોના ઍર ફિલ્ટર્સ અને નળીઓમાં વાઇરસ મળ્યો છે, જ્યાં માત્ર હવાથી સંક્રમણ શક્ય છે.
  • અલગ-અલગ પીંજરામાં કેદ પ્રાણીઓમાં પણ સંક્રમણ મળ્યું છે જે ઍર ડક્ટ સાથે જોડાયેલાં હતાં.
  • હવાથી વાઇરસ ફેલાતો નથી, એ સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવા નથી.
  • બીજી રીતે વાઇરસ ફેલાવવાના ઓછા પુરાવા છે.

WHOએ શું કહ્યું છે?

ગયા વર્ષે WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન)એ પણ સ્વીકાર કર્યો હતો કે કોરોના વાઇરસનું સંક્રમણ હવાના માધ્યમથી ફેલાવવાના મજબૂત પુરાવા મળ્યા છે.

WHOમાં કોરોનાની મહામારી સાથે સંકળાયેલા ટેકનિક લીડે કહ્યું હતું, "સાર્વજનિક સ્થળે, ખાસકરીને ભીડ ધરાવતી જગ્યાઓ પર, ઓછી હવા ધરાવતી અને બંધ જગ્યાઓ પર હવાના માધ્યમથી વાઇરસ ફેલાવવાની આશંકાને નકારી શકાય નહીં."

"જોકે, આ પુરાવાને ભેગા કરીને તેમને સમજવાની જરૂર છે. અમે એ કામ ચાલુ રાખીશું."

આ પહેલાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહેતું રહ્યું છે કે કોરોના વાઇરસ મુખ્ય રૂપે સંક્રમિત વ્યક્તિનાં નાક અને મોઢામાંથી નીકળેલા ડ્રૉપલેટ્સના માધ્યમથી ફેલાય છે અને 3.3 ફૂટનું અંતર રાખવાથી કોરોના વાઇરસનું સંક્રમણ રોકી શકાય છે.

જોકે હવે હવાના માધ્યમથી વાઇરસના પ્રસારની વાત જો સંપૂર્ણપણે સાબિત થાય તો 3.3 ફૂટનું અંતર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો કામ કરશે?

નિષ્ણાતો શું કહે છે?

નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ વાઇરસ ઍરબૉર્ન હોય તો સંક્રમિત વ્યક્તિ બોલતાં, શ્વાસ લેતાં, બૂમો પાડતાં, ગાતાં કે છીંક ખાતી વખતે ઍરોસોલ છોડે છે. તેને બીજી વ્યક્તિ શ્વાસ દરમિયાન પોતાના શરીરમાં લે છે.

તેનાથી સંક્રમણનો ખતરો છો. ઍરબૉર્ન ટ્રાન્સમિશન પર નિયંત્રણ માટે યોગ્ય પગલાં ઉઠાવવા જરૂરી છે.

તેના માટે વૅન્ટિલેશન, ઍર ફિલ્ટરેશન, ભીડને એકઠી ન થવા દેવી અને ચાર દિવાલોની વચ્ચે હોવા છતાં માસ્ક પહેરવું અને હેલ્થકૅર વર્કર્સે PPE કિટ પહેરવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો