You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની રસીઓ સુરક્ષિત છે કે કેમ એ કોણ નક્કી કરે છે?
- લેેખક, મિશેલ રોબર્ટ્સ
- પદ, હેલ્થ એડિટર, બીબીસી ન્યૂઝ ઑનલાઇન
દેશભરમાં કોરોના વાઇરસ સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકોના મનમાં રસીને લઈને અનેક સવાલો પેદા થયા છે. અહીં આપણે આજે આ સવાલોના કેટલાક જવાબો જોઈશું.
આપણને કેવી રીતે ખબર પડે કે રસી સુરક્ષિત છે?
આ સૌપ્રથમ અને સૌથી અગત્યનો પ્રશ્ન છે જે વૈજ્ઞાનિકો કોઈ નવી રસી અથવા સારવારને વિકસાવતી કે તેનું પરીક્ષણ કરતી વખતે પૂછે છે.
માણસ પર તેમનું પરીક્ષણ કરવામાં આવે તે પહેલાં તે લૅબમાં કોષો અને પ્રાણીઓ પર રસીનું પરીક્ષણ કરાય છે.
પરીક્ષણની શરૂઆત નાના પાયે કરવામાં આવે છે. અને આગલા સ્ટૅજ તરફ ત્યારે જ આગળ વધાય છે જ્યારે તેમાં સલામતીને લગતી કોઈ મોટી સમસ્યા ન જોવા મળે.
ટ્રાયલની ભૂમિકા શું હોય છે?
જ્યારે લૅબમાં સલામતી અંગેનો ડેટા સારો આવે ત્યારે વૈજ્ઞાનિકો જે તે રસી કે સારવાર કાર્યક્ષમ હોવાનો સિક્કો મારે છે.
આ તબક્કે મોટી સંખ્યામાં સ્વયંસેવકો પર પરીક્ષણ કરવામાં આવે છે.
જે પૈકી અડધાને રસી આપવામાં આવે છે જ્યારે અન્ય અડધાને બનાવટી રસી આપવામાં આવે છે. સંશોધકો અને તેમા ભાગ લેનારાઓને કયા જૂથને શું આપવામાં આવ્યું છે તેની માહિતી હોતી નથી. પરિણામોનું વિશ્લેષણ ન થાય ત્યાં સુધી આ કાળજી રાખવામાં આવે છે. જેથી પૂર્વગ્રહ ટાળી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ તમામ પરિણામોની સ્વતંત્રપણે ફેરચકાસણી કરવામાં આવે છે.
કોરોનાની રસીના ટ્રાયલમાં ગજબ ઝડપનું પ્રદર્શન કરાયું છે પરંતુ આ પ્રક્રિયામાં આ કોઈ પણ તબક્કાને છોડી દેવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે ઑક્સફર્ડ/એસ્ટ્રાઝેન્કા કોવિડ રસી ટ્રાયલને તેમાં ભાગ લેનારાઓ પૈકી એક સ્વયંસેવકના મૃત્યુ બાદ હોલ્ડ પર રાખી દેવામાં આવી હતી જેથી આ સ્વયંસેવકના મૃત્યુનુ કારણ રસી સંબંધી છે કે કેમ તે જાણી શકાય. બાદમાં આ મૃત્યુ રસી સંબંધિત ન હોવાનું સામે આવતાં ટ્રાયલ ફરીથી શરૂ કરાઈ હતી.
રસી કે સારવારને મંજૂરી કોણ આપે છે?
રસીને ત્યારે મંજૂરી અપાશે જ્યારે સરકારી નિદેશકને (ધ મેડિસિન્સ ઍન્ડ હેલ્થકૅર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી/ MHRA) રસી સલામત અને કાર્યક્ષમ હોવા અંગે વિશ્વાસ આવે.
મંજૂરી બાદ પણ લાંબાગાળે રસીની કોઈ આડઅસર છે નથી એ સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો ચાલુ રહે છે.
જો કોઈને લાગે કે રસીકરણને કારણે તેમને આડઅસર થઈ છે તો તેઓ MHRAનો સંપર્ક સાધી શકે છે.
કોરોનાની રસીમાં શું છે?
હાલ કોરોનાની ઘણી રસીઓ વિકસાવવાનું કામ ચાલુ છે.
જે પૈકી ઘણી રસીઓમાં નબળી અવસ્થામાં વાઇરસ હોય છે.
ઑક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા રસીમાં પણ બિનનુકસાનકારક વાઇરસ હોય છે. જેને કોવિડ-19નું સંક્રમણ લગાડતા Sars-CoV-2 વાઇરસ જેવો દેખાવવા માટે બનાવવામાં આવ્યો છે.
પીફાઇઝર/બાયોએનટૅક અને મૉડર્નાની રસીઓ શરીરમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયા શરૂ કરવા માટે જેનેટિક કોડનો ઉપયોગ કરે છે. તેને mRNA કહે છે.
આ તત્ત્વો મનુષ્યના કોષો પર અસર કરતા નથી. તે સૂચનો સાથે શરીરનું પ્રતિનિધિત્વ કરશે જે કોરોના સામે રક્ષણ આપશે.
અમુક રસીઓમાં કોરોના વાઇરસના પ્રોટીન હોય છે.
ઘણી વખત ઘણી રસીઓમાં એલ્યુમિનિયમ જેવાં અન્ય તત્ત્વો પણ હોય છે, જે રસીને વધુ ભરોસાપાત્ર અને કાર્યક્ષમ બનાવે છે.
શું આ રસી મને બીમાર કરશે?
આટલી ઓછી માત્રામાં આ તત્ત્વોનો ઉપયોગ કરવાથી કોઈ નુકસાન થતો હોવાના કોઈ પુરાવા નથી.
રસીના કારણે કોઈ રોગ થતો નથી. ઊલટાનું રસી તેને જે બીમારી સામે રક્ષણ આપવા માટે વિકસાવાઈ છે તેની સામે શરીરની રોગપ્રતિકારક શક્તિને લડતા શીખવે છે.
જોકે, અમુક લોકોમાં રસીકરણ બાદ શરીરમાં દુખાવો અને તાવ જેવાં લક્ષણ જોવા મળે છે.
પરંતુ તે કોઈ બીમારી નહીં પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિની રસી સામે પ્રતિક્રિયા હોય છે.
ઘણી વાર સોશિયલ મીડિયા પર રસી અંગે ખોટા પ્રચાર કરતી કહાણીઓ મૂકવામાં આવે છે. જે કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારિત ન પણ હોઈ શકે.
કોરોનાથી સંક્રમિત થયેલાને રસી આપવી સુરક્ષિત?
કોરોના વાઇરસની રસીને મંજૂરી મળે તો એ વાતની પૂરી શક્યતા છે કે જેને પહેલાં કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે તેમને પણ આ રસી અપાશે.
આવું એટલા માટે આ રોગ સામેની કુદરતી રોગપ્રતિકારક શક્તિ એટલો ઝાઝો સમય કદાચ ન પણ ટકી શકે અને રસીકરણથી વધુ રક્ષણ મળી શકે છે.
રસીઓકેટલી એનિમલ-ફ્રેન્ડલી છે?
શિંગલ્સ વૅક્સિન અને બાળકોની નૅસલ ફ્લૂ વૅક્સિનમાં સૂવરનું જિલેટિન હોઈ શકે છે.
અમુક રસી મરઘીનાં ઈંડાં અને ગર્ભના કોષો પર વિકસિત કરવામાં આવે છે.
દુનિયામાં હાલ સેંકડો કોરોનાની રસી તૈયાર થઈ રહી છે. હાલ અમારી પાસે રસીમાં શું શું છે તે અંગેની વિગતો નથી. મોટા ભાગની કોરોનાની રસીઓ વેજીટેરિયન અને વિગન ફ્રેન્ડલી હશે.
જો બીજા બધાને રસી મળી જાય તો મારે ચિંતિત થવા માટે કોઈ કારણ નથી?
ગંભીર ચેપ સામે રસીકરણ રક્ષણ આપે છે તે અંગે ઘણા વૈજ્ઞાનિક પુરાવા છે.
કોરોનાની રસી લોકોને વધુ બીમાર પડતાં રોકશે અને જીવ બચાવશે.
રસીના પ્રથમ ડોઝ, જે લોકોને વધુ જરૂરિયાતમંદ છે તેમને અપાશે જેમકે મોટી ઉંમરના લોકો. જેઓ વધુ ગંભીરપણે બીમાર પડી શકે છે.
જોકે, હજુ એ વાત અંગે કોઈ સ્પષ્ટતા નથી કે કોરોનાની રસી લોકોને આ વાઇરસને ફેલાવતા કેટલા પ્રમાણમાં અટકાવશે.
જો રસી આ કામ સારી રીતે કરી શકશે તો પૂરતા પ્રમાણમાં લોકોને રસી આપવાથી રોગનો જડમૂળથી નાશ થઈ જશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો