You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વૅક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવા મામલે સ્વાસ્થ્ય મંત્રાલયે શું કારણ આપ્યું?
દેશમાં કેટલાક સમયથી કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસની સંખ્યા સરકારી આંકડા પ્રમાણે ઘટતી જણાવાઈ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રસી અને વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ-કૉન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વીકે પૉલે કહ્યું કે દેશમાં કોરોના મહામારીને કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, જે સારી વાત છે.
સંક્રમણના કેસ હવે ઘટી રહ્યા છે અને કેસ ઓછા થવાની ગતિ કોરોનાની પહેલી લહેર કરતાં તેજ છે.
વૅક્સિનના ઉત્પાદનને લઈને ડૉક્ટર વીકે પૉલે જણાવ્યું કે હાલમાં દર મહિને કોવૅક્સિનના દોઢ કરોડ ડોઝનું ઉત્પાદન થઈ રહ્યું છે. સરકારની યોજના તેને વધારીને દર મહિને 10 કરોડ ડોઝ કરવા સુધીની છે.
બે ડોઝ વચ્ચેના અંતર મામલે શું કહ્યું?
કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતર વધારવાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે એવું કહેવાઈ રહ્યું છે કે રસી ઓછી પડી રહી છે અને આ નિર્ણય દબાણમાં આવીને લેવામાં આવ્યો છે, પણ આ દુખની વાત છે.
તેમણે કહ્યું કે આ નિર્ણય વૈજ્ઞાનિક આધાર પર લેવામાં આવ્યો છે અને વૈજ્ઞાનિકોના સમૂહના સૂચન પર લેવામાં આવ્યો છે.
અગાઉ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં રસીની અછત હોવાના સમાચારો મળ્યા હતા અને કેટલાંકે વૅક્સિનેશનની કામગીરી થોડા સમય માટે રોકી દીધી હતી.
દિલ્હીમાં પણ કોવૅક્સિનના ડોઝ ખતમ થઈ જતાં રસીકરણકેન્દ્રોને થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધી બાબતો વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ-કૉન્ફરન્સમાં બ્રિટનના નિર્ણયનો ઉલ્લેખ પણ કરાયો અને કહેવામાં આવ્યું કે બ્રિટને રસી વચ્ચેના અંતરનો નિર્ણય લીધો હતો, એ એ સમયના ડેટા પર આધારિત હતો.
બ્રિટનના નિર્ણયના કારણ અંગે તેમણે કહ્યું કે ડેટામાં જોવા મળ્યું હતું કે અસલી જિંદગીમાં આ 60થી 65 ટકા પ્રભાવી છે અને તેનાથી સંક્રમણને રોકી શકાય છે. એ આધારે અંતર વધારવાનો નિર્ણય લેવાયો છે.
તેમણે કહ્યું કે રસીની અછત અને કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને લઈને કોઈ કયાસ ન લગાવવામાં આવે. આપણે વૅક્સિનને લઈને ભારતની સંસ્થાઓના રિસર્ચ અને કોશિશોનું સન્માન કરવું જોઈએ.
તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં રોજના છ લાખ સુધીના કોરોના ટેસ્ટિંગ કરાતા હતા, પણ જરૂર પડતાં અમે તેને રોજના 18 લાખ સુધી વધાર્યા. આ સાથે જ અમે કેટલાક દિવસોમાં 19 લાખ 80 હજાર સુધીના ટેસ્ટ કર્યા, તે વિશ્વરેકૉર્ડ છે.
જો બીજો ડોઝ સમયસર ન મળે તો આડઅસર થાય?
જે લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે પરતું બીજો ડોઝ નિયત સમયમાં નથી લઈ શકાયો તો શું તેમને કોઈ આડઅસર થઈ શકે છે?
તેના જવાબમાં ઇન્ડિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં અસોસિએટ પ્રોફેસર ડૉ. અનીશ સિન્હા બીબીસીને જણાવ્યું હતું, "વૅક્સિનનો બીજો ડોઝ નક્કી કરેલ સમયની અંદર લઈ લેવો જોઈએ પરતું જે કોઈ કારણસર તે શક્ય નહીં બને તો શરીરમાં કોઈ આડઅસર થતી નથી. હા, વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે."
તેમણે કહ્યું હતું કે જો બીજો ડોઝ નહીં મળે તો વ્યક્તિ કોરોના વાઇરસથી સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ શકતી નથી, જેના કારણે તે સંક્રમિત થઈ શકે છે.
તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક ડૉ. દિલીપ માવળંકરે કહ્યું હતું કે "વૅક્સિનની જે 70 ટકા અથવા 90 ટકા અસરકારતા છે તે ત્યારે જ છે જ્યારે તમે બંને ડોઝ લીધા હોય."
"જો માત્ર પ્રથમ ડોઝ લીધો તો ઇમ્યુનિટી એટલી મજબૂત થતી નથી."
તેમના મતે, "જો કોવિશિલ્ડ હોય તો બીજો ડોઝ ત્રણ મહિના સુધી લો તો કઈ વાંધો ન આવે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો