2-DG : DRDO દ્વારા વિકસિત દવા કોરોના વાઇરસનો ખાતમો કઈ રીતે કરશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

DRDO દ્વારા કોરોના વાઇરસની સારવાર માટે દવા 2-DG તૈયાર કરવામાં આવી છે, જે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે લૉન્ચ કરી હતી.

DRDOએ ટ્વીટ કરીને જણાવ્યું કે રાજનાથ સિંહ દવાનો પ્રથમ જથ્થો આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનને સુપરત કર્યો હતો.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોની અખબારી યાદી અનુસાર દવા લૉન્ચ કરતી વખતે રાજનાથ સિંહે જણાવ્યું કે કોરોના વાઇરસ સામેની લડતમાં આ દવા મહત્ત્વની પુરવાર થશે. સરકારી અને ખાનગી કંપનીઓએ સાથે મળીને આ દવાનું ઉત્પાદન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.

તેમણે કહ્યું કે, આ દવાની શોધ કરનાર વૈજ્ઞાનિકોની મુલાકાત મુલાકાત લેશે અને તેમને અભિનંદન આપશે.

ડૉ. હર્ષવર્ધને કહ્યું કે દવા લીધા બાદ કોરોના વાઇરસના દર્દીની સાજા થવાની ઝડપમાં વધારો થશે અને તેમને શ્વાસની તકલીફોમાંથી મુક્તિ મળી શકશે.

આ દવા શું છે?

દવાનું નામ 2 ડીઓક્સી-ડી-ગ્લુકોઝ છે જેને ટૂંકમાં 2-DG કહેવાય છે. રિપોર્ટ પ્રમાણે આ દવાને કારણે કોરોનાના દર્દીને ઓક્સિજન આપવાની જરૂરિયાત ઘટે છે.

આ દવા ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન એટલે કે DRDOની ઔષધિ અને સંબદ્ધ વિજ્ઞાન સંસ્થા INMASએ હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડીઝ લૅબ સાથે મળીને તૈયાર કરી છે.

આ દવાને ત્રણ તબક્કાની ટ્રાયલ બાદ મંજૂરી આપવામાં આવી હતી. પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોની યાદી અનુસાર ડીજીસીઆઈ (ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા) દ્વારા 8 મેના રોજ આ દવાની ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.

જે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી તેમાં સામે આવ્યું હતું કે આ દવાને કારણે કોરોના વાઇરસના દર્દીઓની તબિયતમાં ઝડપથી સુધારો આવ્યો અને દવા લીધા બાદ તેમને ઓક્સિજન આપવાની જરૂરિયાત રહેતી નથી.

યાદી અનુસાર દવા લીધા બાદ મોટાભાગના દર્દીઓનો RT-PCR રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. કોરોના વાઇરસની પ્રથમ લહેર ચાલી રહી હતી ત્યારે એપ્રિલ 2020માં 2-DGનું લૅબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષણ INMAS-DRDO અનેસીસીએમબી (સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મોલ્યુકુલર બાયૉલૉજી)ના વૈજ્ઞાનિકોએ દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રથમ પરીક્ષણમાં સારા પરિણામ બાદ મે 2020માં બીજી ટ્રાયલ માટેની મંજૂરી આપવામાં આવી હતી.

બીજી ટ્રાયલમાં દવાનું 110 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2020માં ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવી હતો, જેમાં દેશના વિવિધ રાજ્યોમાં આવેલી 27 કોવિડ હૉસ્પિટલોમાં 220 દર્દીઓ પર દવાનું પરીક્ષણ થયું હતું. ત્રીજી ટ્રાયલના તારણો પણ અપેક્ષા મુજબ આવતા 1 મેના રોજ દવાની ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી હતી.

હૈદરાબાદસ્થિત ડૉ. રેડ્ડીઝ લૅબએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે INMAS સાથે મળીને જે દવા તૈયાર કરવામાં આવી છે તેનો જરૂરી પ્રોટોકોલ સાથે યોગ્ય ઉપયોગ કરવા માટે DRDO દ્વારા લૉન્ચ કરવામાં આવી છે. જૂન 2021માં આ દવા બજારમાં મળવાપાત્ર થશે.

આ દવા કેવી રીતે કામ કરે છે?

આ દવા પાઉડર સ્વરૂપે હોય છે અને તે નાના પૅકેટમાં મળશે. જો કોઈ વાઇરસ શરીરમાં બીજી કોષિકાઓને સંક્રમિત કરી રહ્યો હોય તો આ દવા તેની જાણકારી મેળવી તે વાઇરસની અંદર જાય છે જે સંક્રમણનું કારણ હોય છે.

INMAS-DRDOના રેડિએશન બાયોસાયન્સ ડિપાર્ટમૅન્ટના વડા ડૉ. સુધીર ચાંદનાએ બીબીસીને જણાવ્યું કે, "આ દવા ગ્લુકોઝની જેમ શરીરમાં જાય છે. તે સંક્રમિત કોષિકાઓની અંદર જઈને તેની શક્તિ ઓછી કરી દે છે જેથી સંક્રમણ ફેલાતું નથી કે તેનો વિકાસ થતો નથી. ધીમે ધીમે દર્દીને ઓક્સિજન સપૉર્ટની જરૂર પડતી નથી."

આ દવાનો ઉપયોગ કોના પર થઈ શકે છે?

હૉસ્પિટલમાં દાખલ મૉડરેટથી ગંભીર દર્દીઓ જ તેનો ઉપયોગ કરી શકે છે. જે દર્દીઓ ઓક્સિજન સપૉર્ટ પર છે, તેમના પર ટ્રાયલ દરમિયાન વધારે અસર જોવા મળી હતી. ગર્ભવતી મહિલાઓ અને કિડનીની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને આ દવા હાલ નહીં આપવામાં આવે.

આ દવા કેવી રીતે લઈ શકાશે?

આ દવા પાઉડરના રૂપમાં મળશે. તેનો ગ્લુકોઝની જેમ પાણીમાં ઘોળીને ઉપયોગ કરી શકાશે. કોરોનાના દર્દીની હાલતના આધારે તેને પાંચથી સાત દિવસના ડોઝની જરૂર પડી શકે છે.

શું આ દવા ગમે ત્યાં મળી શકે છે?

ડૉક્ટરોના સુપરવિઝન અને પ્રિસ્ક્રિપ્શન વગર ઘરમાં ઇલાજ કરી રહેલા દર્દીઓને આ દવા નહીં મળી શકે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો