કોવૅક્સિન : ભારતમાં 2થી 18 વર્ષનાં બાળકો પર રસીના પરીક્ષણને મંજૂરી, કેવી રીતે થશે આ ટ્રાયલ?

    • લેેખક, જિગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારત સરકારના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ બુધવારે 2થી 18 વર્ષનાં બાળકો પર કોવૅક્સિનના બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ કરવાની પરવાનગી આપી દીધી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલી પ્રેસનોટ અનુસાર, ડીસીજીઆઈએ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની ભલામણને સ્વીકારીને કોવૅક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકને પરીક્ષણ કરવાની પરવાનગી આપી દીધી છે.

કોવૅક્સિન હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ બનાવી છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ રસી શરીરમાં પ્રવેશ્યા બાદ કોરોનાના ચેપ વિરુદ્ધ એન્ટીબૉડી પેદા કરે છે. આ રસીની અસર થવા માટે તેના બે ડોઝ લેવા જરૂરી છે.

2થી 18 વર્ષની ઉંમર માટે રસીનું પરીક્ષણ 525 તંદુરસ્ત વૉલિન્ટિયર્સ પર કરવામાં આવશે.

પરીક્ષણમાં વૉલિન્ટિયર્સને બે ડોઝ આપવામાં આવશે. આ ડોઝ વચ્ચેનો સમયગાળો 28 દિવસનો હશે. પરીક્ષણ દરમિયાન રસી સ્નાયુઓમાં આપવામાં આવશે.

બાળકો પર થનારી આ ટ્રાયલ મહત્ત્વપૂર્ણ કેમ?

ભારત બાયોટેક કંપનીને 2થી 18 વર્ષનાં બાળકો પર પરીક્ષણ કરવાની પરવાનગી મળી છે તેના મહત્ત્વ અંગે વાત કરતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. અનીશ સિન્હા કહે છે કે "કોરોના વાઇરસની પહેલી લહેરમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો વધારે સંક્રમિત થયા હતા."

"જ્યારે આ ઉંમરના મોટા ભાગના લોકોને વચ્ચેના સમયમાં રસી મળી ગઈ હતી."

તેઓ આગળ કહે છે, "બીજી લહેરમાં 40થી 60 વર્ષના લોકો અને જેમને રસી લેવાની બાકી હતી તે વધારે સંક્રમિત થયા અને મૃત્યુ પણ થયાં."

"હાલ 18થી 45 વર્ષની ઉંમરના લોકોને રસી આપવાનું ચાલી રહ્યું છે. માટે જે કોરોના વાઇરસની ત્રીજી લહેર આવશે તો જેમણે રસી નહીં લીધી હોય તેવા ગ્રૂપને વધારે કોરોના વાઇરસનો ચેપ લાગવાની સંભાવના વધારે છે."

"આ ગ્રૂપમાં 18 વર્ષથી નીચેના લોકો હશે માટે આ ટ્રાયલ મહત્ત્વની છે."

વરિષ્ઠ બાળરોગ નિષ્ણાત ડૉ. નિશ્ચલ ભટ્ટ કહે છે, "પહેલી લહેર બાદ 60 વર્ષથી ઉપરનાનું રસીકરણ થવાથી તેઓ બીજી લહેરમાં સંક્રમિત ન થયા, આમ બીજી લહેર બાદ 18થી 44 વર્ષનાનું રસીકરણ થવાથી કોરોના વાઇરસનું સંક્રમણ બાળકોને લાગે એમ બની શકે છે."

બાળકો માટે રસી કેમ અગત્યની છે?

ડૉ. અનીશ સિન્હા કહે છે, "ભારતમાં કોરોના વાઇરસની પહેલી અને બીજી લહેર વચ્ચેના સમયગાળામાં લોકો માનતા હતા કે કોરોના વાઇરસ ખતમ થઈ ગયો, પરંતુ હાલ જે પ્રકારે કોરોના વાઇરસના કેસ વધ્યા છે તે ચિંતાજનક છે. કોરોના વાઇરસ ખતમ થવાનો નથી માટે રસી લેવી મહત્ત્વની છે."

બાળકોને જો કોરોના વાઇરસ થાય અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે તો એ એક મોટી ચેલેન્જ બની શકે છે.

તેના વિશે વાત કરતા અનીશ સિન્હા કહે છે, "ત્રીજી લહેરમાં જો બાળકો સંક્રમિત થાય તો તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે તો ખૂબ જ પરેશાની થાય. બાળકોની સાથે માતાઓને રહેવું પડે."

"ઘરમાં બે-ત્રણ બાળકો હોય તો બીજાં બાળકોનું શું થાય. તમે કોરોના વોર્ડમાં રહી ન શકો. બાળકોને સાચવવા કેવી રીતે? બાળકો શું ખાય, ન ખાય, માટે બાળકો માટે અઘરું પડે."

જોકે પીડિયાટ્રિશિયન નિશ્ચલ ભટ્ટ કહે છે, "સામાન્ય રીતે બાળકો કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો 90થી 95 ટકા બાળકો સિમ્ટમેટિક મેડિસિનથી સાજા થઈ જતા હોય છે.

"તેમને ઍન્ટી વાઇરલ કે ઍન્ટી બાયોટિક દવાની જરૂર પડતી નથી. 5થી 10 ટકાને જ હૉસ્પિટલાઇજેશનની જરૂર પડે છે."

"આજે બીજી લહેરમાં પણ બાળકો જલદી સાજાં થયાં છે. આમ ત્રીજી લહેરમાં પણ બહુ તકલીફ ન પડે એ માટે આપણે તંત્રને તૈયાર રાખવું પડશે."

"જો બાળકોને ઓક્સિજનની જરૂર પડે તો તે આપવો પડશે."

ડૉ. નિશ્ચલ ભટ્ટ કહે છે, "કોરોના વાઇરસની રસી બાળકોને જો આપણે ઑક્ટોબર સુધીમાં આપી દઈશું તો તે એક મોટો ઍડવાન્ટેજ હશે, કારણ કે આપણે દેશના મોટા વર્ગને રસી આપી દઈશું."

ભારતમાં પીડિયાટ્રિશિયન ડૉક્ટરોની ઘટ પર વાત કરતા ડૉ. અનીશ સિન્હા કહે છે, "ભારતમાં આમ પણ બાળકોના રોગોના ડૉક્ટરોની ઘટ છે."

"જો આવામાં કોરોના વાઇરસ બાળકોને સંક્રમિત કરે તો એ એજ ગ્રૂપ પર વધારે અસર પહોંચે."

બાળકો પર પરીક્ષણ કેવી રીતે કરવામાં આવશે?

કોરોના વાઇરસની રસીનું પરીક્ષણ બાળકો પર કેવી રીતે પરીક્ષણ કરવામાં આવશે તેના જવાબમાં ડૉ. અનીશ સિન્હા કહે છે, "બાળકો પર પરીક્ષણ કરવા માટે મોટી મેડિકલ કૉલેજ નક્કી કરવામાં આવશે. બીજા તબક્કામાં 500થી 1000 બાળકોને રસી અપાશે."

"ત્રીજી ટ્રાયલમાં 3 હજારથી 4 હજાર બાળકોને રસી અપાશે."

"કેટલાંક બાળકોને પ્લાસિબો અપાશે, જ્યારે કેટલાંકને સાચી રસી."

"ત્યારબાદ કેટલાં બાળકો સંક્રમિત થાય છે તેના આધારે નક્કી કરાશે કે રસીની અસરકારકતા કેટલી છે. જો રસીની અસરકારકતા 50 ટકાથી વધારે હશે તો જ પરવાનગી મળે."

પહેલી ટ્રાયલમાં 525 વૉલિન્ટિયર્સને રસી આપવાની પરવાનગી અપાઈ છે, જે ખૂબ જ નાની સંખ્યા છે.

આ અંગે વાત કરતા ડૉ. અનીશ સિન્હા કહે છે, "હાલ જે પરીક્ષણ થવાના છે તેમાં ઓછી સંખ્યામાં પરીક્ષણ કરવામાં આવે છે, કારણ કે અગાઉ 25થી 30 હજાર લોકો પર રસીના પ્રયોગ કરવામાં આવ્યા છે."

"જેનાં પરિણામો પ્રમાણે રસીની અસરકારકતા સારી રહી છે, માટે મોટા પ્રમાણમાં પ્રયોગ કરવાની જરૂર નથી."

અમેરિકા અને યુકેમાં બાળકોના રસીકરણની તૈયારી

સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ અમેરિકાની એજન્સીઓ ફાઇઝર અને બાયોએનટેકની કોવિડ-19ની રસી 12 વર્ષથી 15 વર્ષનાં બાળકો માટે આપવાનો નિર્ણય કર્યો છે.

ગુરુવારથી બાળકોને અમેરિકામાં કોરોનાની રસી પણ આપવાનું શરૂ થઈ શકે છે.

ફાઇઝરની રસી પ્રથમ એવી રસી છે જેને અમેરિકામાં 12થી 15 વર્ષનાં બાળકોને આપવાની મંજૂરી આપવામાં આવી છે.

બાળકોને ફરી સ્કૂલે મોકલવામાં રસીકરણનો મહત્ત્વનો રોલ હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાજ્યોને કિશોર વયનાં બાળકો માટે તરત રસી ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે.

બાઇડને એક નિવેદનમાં કહ્યું છે કે બાળકોને રસી આપવાની મંજૂરી આપીને તેમણે કોરોના વાઇરસ સામેની લડતમાં એક મહત્ત્વનું પગલું લીધું છે.

અમેરિકામાં અત્યાર સુધી 16 વર્ષના કિશોર વયનાં બાળકો માટે રસીને ઇમર્જન્સી યૂઝ ઑથૉરાઇઝેશન મળેલું હતું. રસીનિર્માતાઓ કહે છે કે તેમણે 16 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી માટે સંપૂર્ણ મંજૂરી માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના સેન્ટર ફૉર બાયોલૉજિક્સ ઇવેલ્યુએશન ઍન્ડ રિસર્ચના ડિરેક્ટર પીટર માર્ક્સે કહ્યું કે બુધવારે યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન 12થી 15 વર્ષના કિશોરોને રસી આપવા અંગે વિચારણા કરશે પછી રાજ્યો આ રસીકરણ કાર્યક્રમને વિસ્તાર આપી શકશે.

તો યુકેમાં પણ બાળકોને રસી આપવાની મંજૂરીની તૈયારીઓ ચાલી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો