You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોવિડ 19 : લસણ ખાવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જાય?
- લેેખક, રિયાલિટી ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ઉનાળો આવવાથી કોરોનાના વાઇરસ નાબૂદ થઈ જશે એવી ચર્ચા ફરી શરૂ થઈ છે.
એક વર્ષ બાદ પણ કોરોના વાઇરસની મહામારી ભારત સહિત અનેક દેશોમાં કહેર વર્તાવી રહી છે અને અત્યાર સુધી આ વાઇરસનો કોઈ સચોટ ઇલાજ નથી શોધી શકાયો.
ભયના આ માહોલમાં એવી ઘણી માહિતી સોશિયલ મીડિયા પર દ્વારા ફેલાઈ રહી છે, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે કેટલીક વસ્તુઓના ઉપયોગ થકી કોરોના વાઇરસની અસર ઘટાડી શકાય છે.
પરંતુ આ પ્રકારની જાણકારીઓ માત્ર અફવા નથી ફેલાવી રહી, પરંતુ આ પ્રકારની ટિપ્સનો ઉપયોગ કરવાથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી અસ્વસ્થ પણ થઈ શકે છે.
અમે આવા જ કેટલાક દાવા અંગે તપાસ કરી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ ટિપ્સની અસર ખરેખર કોરોના વાઇરસ પર થાય છે કે નહીં. શું આવી ટિપ્સ અજમાવવાથી લોકોને નુકસાન પણ થઈ શકે?
આવો જાણીએ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આવા જ કેટલાક દાવાઓ વિશે.
લસણ ખાવાથી કોરોના ખતમ
આ યાદીમાં પ્રથમ છે લસણ. ફેસબુક પર એવી ઘણી પોસ્ટ જોવા મળી રહી છે કે જેમાં દાવો કરાઈ રહ્યો છે કે લસણ ખાવાથી કોરોના વાઇરસની અસરને ખતમ કરી શકાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO લસણને એક સારું અને સ્વાસ્થ્યપ્રદ કંદ માને છે. જેમાં ઘણી બધી બીમારીઓ સામે લડવાની ક્ષમતા છે. પરંતુ લસણ ખાવાથી કોરોના વાઇરસની અસર ખતમ થાય છે એ વાતના કોઈ નક્કર પુરાવા નથી મળતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ તો લસણ ખાવાથી કોઈ નુકસાન નથી થતું, પરંતુ લસણના સેવનમાત્રથી કોરોના વાઇરસથી બચી શકાય છે એવું વિચારીને વધારે પડતું લસણ ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર તેની અવળી અસરો જરૂર પડી શકે છે.
'સાઉથ ચાઇના મૉર્નિગ પોસ્ટ'ના રિપોર્ટ પ્રમાણે એક મહિલા આવા જ એક ખોટા દાવા પર વિશ્વાસ કરી લગભગ દોઢ કિલો કાચું લસણ ખાઈ ગયાં, જે બાદ તેમના ગળામાં ખૂબ વધારે પરેશાની થઈ ગઈ.
એ વાત તો બધા જાણે છે કે ફળ, શાકભાજી અને પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે, પરંતુ શું ખાવાથી કોરોના વાઇરસની અસર નાબૂદ કરી શકાય છે એ અંગે નક્કર માહિતી ઉપલબ્ધ નથી.
ચમત્કારિક મિનરલ
બીજો દાવો એવો કરાઈ રહ્યો છે કે એક ચમત્કારી મિનરલના સેવનથી કોરોના વાઇરસ સામે રાહત મળે છે.
જૉર્ડન સેથર એક યૂટ્યૂબર છે, જેમનાં અલગઅલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર અસંખ્ય ફૉલોઅર્સ છે.
તેમણે દાવો કર્યો છે કે 'મિરેકલ મિનરલ સપ્લિમૅન્ટ' જેને તેઓ MMS કહે છે, તેના સેવનથી વાઇરસની અસરને ખતમ કરી શકાય છે.
તેમણે કહ્યું હતું કે આ ચમત્કારી મિનરલમાં ક્લોરિન ડાઇઑક્સાઇડ છે.
સેથર અને કેટલાક અન્ય લોકોએ આ પ્રોડક્ટને કોરોના વાઇરસના ફેલાવા પહેલાં જ પ્રમોટ કરવાનું શરૂ કરી દીધું હતું.
ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમણે ટ્વીટ કર્યું હતું, "ક્લોરિન ડાઇઑક્સાઇડથી ન માત્ર કૅન્સર સેલને ખતમ કરી શકાય છે, બલકે કોરોના વાઇરસને પણ ખતમ કરી શકાય છે."
વર્ષ 2019માં વર્ષે અમેરિકન ખાદ્ય અને ઔષધિ પ્રશાસન એટલે કે એફડીએએ એમએમએસના સેવનને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યું હતું.
આ સિવાય અન્ય પણ ઘણા દેશોના સ્વાસ્થ્ય વિભાગો દ્વારા આ મિનરલના સેવન બાબતે ઍલર્ટ જારી કરાયું હતું.
એફડીએ આ અંગે કહ્યું હતું કે, "એવું કોઈ સંશોધન નથી થયું જેમાં આ મિનરલના સેવનથી કોઈ પણ બીમારી ઠીક થતી હોવાનો દાવો કરાયો હોય."
એફડીએ મિનરલના સેવન અંગે ચેતવણી આપતાં કહે છે કે તેના સેવનથી ઊલટી આવવી, અતિસાર અને શરીરમાં પાણીની કમીનો અનુભવ જેવાં લક્ષણો જોવા મળે છે.
ઘરે બનતા સૅનિટાઇઝર
આ યાદીમાં ત્રીજી ગેરમાન્યતા છે ઘરમાં બનેલા સેનિટાઇઝર અંગેની.
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે હાથની સ્વચ્છતા મોટો ભાગ ભજવે છે. આ કારણે હાથ સ્વચ્છ રાખવા માટે ઉપયોગી સૅનિટાઇઝરની માગ બજારમાં વધી ગઈ છે, જે કારણે અમુક સ્થળોએ તેની તંગી સર્જાઈ છે અને તેનો ભાવ પણ વધી ગયો છે.
બજારમાં સૅનિટાઇઝરની તંગીને જોતાં સોશિયલ મીડિયા પર ઘરે સૅનિટાઇઝર બનાવવાની રીતો જણાવાઈ રહી છે.
ભારત સહિત ઘણા દેશોમાં સોશિયલ મીડિયા પર આવા નવા તથા જૂના વીડિયો ખૂબ જોવાઈ રહ્યા છે.
પરંતુ આ રીતો દ્વારા જે સૅનિટાઇઝર બનાવતાં શીખવાડવામાં આવી રહ્યું છે તેમાં માણસની ત્વચાની સંપૂર્ણ કાળજી નથી રાખવામાં આવી રહી.
આ સૅનિટાઇઝર અન્ય કોઈ સપાટીને સાફ કરવા માટે તો યોગ્ય હોઈ શકે, પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રકારના સૅનિટાઇઝરનો ઉપયોગ માણસની સ્કિન પર કરવો યોગ્ય નથી.
આલ્કોહોલવાળી હૅન્ડજેલમાં સામાન્યપણે તેના પ્રભાવને ઘટાડનાર તત્ત્વો ઉમેરવામાં આવે છે, જેથી તે માણસની ત્વચા માટે અનુકૂળ બની જાય છે.
લંડન સ્કૂલ ઑફ હાઇજિન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિનમાં પ્રોફેસર સેલી બ્લૂમફીલ્ડ જણાવે છે કે, "હું એ વાત સાથે સંમત નથી કે કોઈ વ્યક્તિ ઘરે બેઠા સૅનિટાઇઝર બનાવી શકે. એટલે સુધી કે વોડકામાં પણ 40 ટકા આલ્કોહોલ હોય છે."
સિલ્વર પીવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જશે
ગેરમાન્યતાઓની યાદીમાં અન્ય છે સિલ્વર પીવાથી કોરોના ઠીક થતો હોવાની વાત.
અમેરિકાના ટીવી પર દેખાતા ઉપદેશક જિમ બેકરે પોતાના શોમાં કોલોડાઇલ સિલ્વરના ઉપયોગનો પ્રચાર કર્યો હતો.
કોલોડાઇલ સિલ્વર એ ધાતુના નાના-નાના કણ હોય છે જે પ્રવાહી પદાર્થ સ્વરૂપે મળે છે.
આ શોમાં હાજર એક મહેમાને દાવો કર્યો હતો કે તેના સેવનથી કોરોના વાઇરસ 12 કલાકની અંદર જ ખતમ કરી શકાય છે. જોકે, તેમણે એ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે તેનું પરીક્ષણ કોવિડ-19 પર નથી કરાયું.
તેમનો આ દાવો સોશિયલ મીડિયા પર ઘણો પ્રચલિત બની રહ્યો છે. ખાસ કરીને મેડિકલ ફ્રીડમવાળાં ગ્રૂપો દ્વારા આવી પોસ્ટ વધુ શૅર કરાઈ રહી છે.
કોલોડાઇલ સિલ્વરવાળા દાવાનો સમર્થન કરનાર લોકો કહે છે કે તેની મદદથી કોઈ પણ પ્રકારની બીમારી ઠીક કરી શકાય છે. તે એક ઍન્ટિસૅપ્ટિક તરીકે કામ કરે છે અને માણસની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
પરંતુ અમેરિકન સ્વાસ્થ્ય વિભાગ તરફથી સ્પષ્ટ સલાહ અપાઈ હતી કે આ વાતની સાબિતી માટે કોઈ પણ પુરાવા નથી.
ઊલટું તેના સેવનથી કિડનીને નુકસાન થઈ શકે છે અને ત્વચા પર પણ અસર થઈ શકે છે.
સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે આર્યન કે ઝિંકની જેમ સિલ્વરનું પણ માનવશરીરમાં કોઈ ખાસ કામ હોતું નથી.
તેના સેવન અંગેની ફેસબુક પોસ્ટ કરનારની પોસ્ટ પર હવે ફેસબુક તરફથી પણ ચેતવણી પૉપ-અપ આવે છે.
દર 15 મિનિટ પર પાણી પીવું
જાપાનના એક ડૉક્ટરના નિવેદનને ઘણા લોકો કૉપી-પેસ્ટ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે, જેમાં કહેવાયું છે કે દર 15 મિનિટે પાણી પીવાથી આપણા મોંમાં જતાં કોઈ પણ વાઇરસને કાઢી શકાય છે.
પ્રોફેસર બ્લૂમફીલ્ડ કહે છે કે એવું કોઈ પ્રમાણ નથી કે પાણી પીવાથી વારઇસને શરીરમાંથી કાઢી શકાય છે.
હવાથી ફેલાતા વાઇરસ શ્વાસ લેવાથી આપણા શરીરમાં પ્રવેશી જાય છે. તેમાંના કેટલાક મોઢાથી પણ શરીરમાં પ્રવેશે છે.
પરંતુ સતત પાણી પીવાથી વાઇરસને શરીરમાં જતો રોકી ન શકાય અને ન તો શરીરમાંથી બહાર કાઢી શકાય છે.
જોકે પાણી પીવું એ સામાન્ય રીતે એક સારી મેડિકલ સલાહ ચોક્કસ છે.
ગરમીથી કોરોના ખતમ થઈ જશે
આ યાદીમાં છેલ્લો દાવો એ છે કે કોરોના વાઇરસ ગરમીથી ખતમ થઈ શકે છે.
ઘણા લોકો એવા દાવા કરી રહ્યા છે કે ગરમીથી કોરોના વાઇરસને ખતમ કરી શકાય છે. તેમજ ઘણા લોકો પાણી પણ ઉકાળીને પીવાની સલાહ આપી રહ્યા છે.
તેમજ સ્નાન માટે પણ ગરમ પાણીનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ રહી છે.
આવી જ એક પોસ્ટ કે જે અનેક દેશોમાં હજારો લોકો દ્વારા શૅર કરાઈ ચૂકી છે, તેમાં દાવો કરાઈ રહ્યો છે કે ગરમ પાણી પીવાથી અને સૂર્યપ્રકાશમાં રહેવાથી આ વાઇરસને ખતમ કરી શકાય છે.
તેની સાથે આઇસક્રીમ ન ખાવાની પણ સલાહ અપાઈ રહી છે.
આટલું જ નહીં આ તમામ પગલાં યુનિસેફ દ્વારા સૂચવાયેલાં હોવાની ગેરમાન્યતા પણ ફેલાવાઈ રહી છે.
યુનિસેફ માટે કામ કરનાર ચાર્લેટ ગોર્નિક્સ જણાવે છે કે, "હાલ યુનિસેફના નામથી એક મૅસેજ ઑનલાઇન ફરી રહ્યો છે. જેમાં આઇસક્રીમ અને ઠંડી વસ્તુઓથી દૂર રહીને કોરોના વાઇરસથી બચી શકાય છે તેવો દાવો કરાઈ રહ્યો છે. આ એક ફેક મૅસેજ છે."
આપણે જાણીએ છીએ કે ફ્લૂ વાઇરસ ગરમી દરમિયાન શરીરની બહાર નથી રહી શકતા, પરંતુ આપણને હજુ એ વાત અંગે કોઈ નક્કર જાણકારી નથી કે કોરોના વાઇરસ પર ગરમીની કેવી અસર થાય છે.
પ્રોફેસર બ્લૂમફીલ્ડ પ્રમાણે જો ગરમીથી આ વાઇરસ ખતમ થતો હોવાનું વિચારી આપણે વધુ સમય સુધી તડકામાં રહીશું તેનાં દુષ્પરિણામ ભોગવવાં પડી શકે છે.
જો એક વાર આ વાઇરસ શરીરમાં પ્રવેશી ગયો તો તેને ખતમ કરવાની રીત અત્યાર સુધી શોધી નથી શકાઈ. આપણા શરીરે તેની સામે લડવું પડશે.
જોકે જો આપણે આપણી ચાદરને સારી રીતે ધોઈને ઉપયોગ કરીશું તો તેની સપાટી પરથી આ વાઇરસ જરૂર દૂર થઈ જશે, પરંતુ શરીરમાં પ્રવેશી ચૂકેલા વાઇરસને શરીર ધોઈને નહીં કાઢી શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો