You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી-મમતા બેનરજી મિટિંગ વિવાદ : જ્યારે ગુજરાતના CM મોદી પીએમ મનમોહન સિંહની બેઠકમાં ગેરહાજર રહ્યા
- લેેખક, શુભમ કિશોર
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મમતા બેનરજીના મોડાં પહોંચવા અને દસ્તાવેજ સોંપ્યા બાદ કથિતપણે તરત નીકળી જવાના મામલા પર ચર્ચા ગરમ છે અને બંને પક્ષે સતત આરોપ-પ્રત્યારોપ ચાલુ છે.
કેન્દ્ર સરકારે આ બનાવ બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવી લીધા છે. અમુક દિવસ પહેલાં જ બંદોપાધ્યાયને કેન્દ્ર સરકારે ઍક્સટેન્શન આપ્યું હતું.
મમતા બેનરજીએ આ આદેશને રદ કરવાની માગ કરી છે.
પશ્ચિમ બંગાળના વરિષ્ઠ પત્રકાર પ્રભાકરમણિ તિવારીએ બીબીસીને જણાવ્યું કે TMCનાં સૂત્રોનું કહેવું છે કે મમતા બેનરજી આ મામલે કાયદાકીય સલાહ લઈ શકે છે.
ભાજપના નેતાઓએ મમતા બેનરજી પર પ્રોટોકૉલ તોડવાના અને વડા પ્રધાનનું અપમાન કરવાના આરોપ લગાવ્યા છે. જોકે મમતા બેનરજીએ આ આરોપોથી ઇન્કાર કર્યો છે.
મમતા બેનરજીએ શું કહ્યું?
તેમણે શનિવારે એક પત્રકારપરિષદ કરીને કહ્યું કે પહેલાં સમીક્ષા બેઠક વડા પ્રધાન અને મુખ્ય મંત્રી વચ્ચે થવાની હતી. તેથી મેં મારી મુલાકાત ટુંકાવીને કલાઈકુંડા જવાનો કાર્યક્રમ ઘડ્યો.
"પરંતુ બાદમાં બેઠકમાં આમંત્રિત કરાયેલા લોકોની સંશોધિત યાદીમાં રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષના નેતાનું નામ પણ સામેલ કરવામાં આવ્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેથી મેં બેઠકમાં ભાગ ન લીધો કારણ કે તે વડા પ્રધાન અને મુખ્ય મંત્રીની બેઠક હતી જ નહીં..."
જોકે, બંગાળમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીએ મમતા બેનરજીના આરોપોને ખોટા ઠેરવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "ઓડિશા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી બંનેને મિટિંગ વિશે એક જ પ્રક્રિયા હેઠળ જણાવવામાં આવ્યું હતું. તેઓ બહાનાં બનાવી રહ્યાં છે."
"તેમણે કહ્યું કે તેઓ વિપક્ષના નેતાના કારણે મિટિંગમાં ન ગયાં. તેઓ પોતાના અહમ્ માટે ખોટું બોલી રહ્યાં છે, તેઓ પોતાને બંગાળની નહીં, સમગ્ર દેશનાં મુખ્ય મંત્રી માને છે."
મારે ઘણી વાર સુધી રાહ જોવી પડી - મમતા બેનરજી
મમતા બેનરજીએ કહ્યું, "એટીસીએ જણાવ્યું હતું કે વડા પ્રધાનનું હેલીકૉપ્ટર ઉતરવાના કારણે મને સાગર દ્વીપથી કલાઈકુંડા માટે રવાના થવામાં 20 મિનિટ મોડું થશે."
"ત્યાર બાદ કલાઈકુંડામાં પણ લગભગ 15 મિનિટ બાદ હૅલીકૉપ્ટર ઉતરવાની અનુમતિ મળી."
"ત્યાં સુધી વડા પ્રધાન પહોંચી ગયા હતા. મેં ત્યાં જઈને તેમની સાથે મુલાકાત માટે મંજૂરી માગી. પરંતુ ઘણી રાહ જોયા બાદ મને તેમની સાથે મુલાકાતની મંજૂરી મળી."
"મેં વડા પ્રધાનને રિપોર્ટ સોંપ્યો અને તેમની મંજૂરી મેળવીને દીઘા જવા માટે રવાના થઈ ગઈ પરંતુ સાંજે વડા પ્રધાન અને ગૃહ મંત્રીની ઑફિસે મને બદનામ કરવાના અભિયાન હેઠળ સતત ખોટા સમાચાર અને નિવેદનો જારી કર્યાં."
"ત્યાર બાદ રાજ્ય સરકાર સાથે સલાહ-મસલત કર્યા વગર મુખ્ય સચિવને અચાનક દિલ્હી બોલાવી લીધા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર હંમેશાં અથડામણના મૂડમાં રહી છે. ચૂંટણીનાં પરિણામો બાદ પણ રાજ્યપાલ અને બીજા નેતા સતત આક્રમક મૂડમાં છે."
"ખરેખર, ભાજપ હારને પચાવી નથી શક્યો. તેથી બદલાની ભાવનાથી રાજકારણ કરી રહ્યો છે."
મમતા બેનરજીએ આરોપ લગાવ્યા કે મુખ્ય સચિવને દિલ્હી બોલાવીને કેન્દ્ર સરકાર વાવાઝોડા સામે રાહત અને કોવિડ વિરુદ્ધ યુદ્ધમાં સરકારને અશાંત કરવા માગે છે.
મમતા બેનરજીએ કેન્દ્નને મુખ્ય સચિવને પ્રતિનિયુક્તિ પર બોલાવવાના આદેશને રદ કરવાની અપીલ કરી.
તેમણે કહ્યું, "મુખ્ય સચિને રાજકીય બદલાનો શિકાર ન બનાવો."
આધિકારિક મુલાકાત પર શંકા કેવી રીતે?
ભાજપનું કહેવું છે કે વડા પ્રધાનને રાહ જોવી પડી અને મમતાનું કહેવું છે કે તેમણે મંજૂરી માગી હતી. બંને નિવેદનોમાં વિરોધાભાસ છે.
વડા પ્રધાન અને મુખ્ય મંત્રી વચ્ચે કોઈ મિટિંગને લઈને વિરોધાભાસ સામાન્ય બાબત નથી.
બંને તરફથી સમય રહેતા જાણકારીઓ એકબીજાને આપવામાં આવે છે. દર મિનિટનું શેડ્યુલ તૈયાર કરવામાં આવે છે.
પરંતુ મમતાનો આરોપ છે કે મિટિંગનું સ્વરૂપ બદલવામાં આવ્યું હતું અને તે "મુખ્ય મંત્રી અને વડા પ્રધાન વચ્ચેની મિટિંગ નહોતી."
તેથી તેઓ આ મિટિંગમાં ન ગયાં તેને લઈને વિવાદ ન થવો જોઈએ.
વરિષ્ઠ પત્રકાર પ્રભાકરમણિ તિવારી કહે છે કે, "જો આ વડા પ્રધાન અને મુખ્ય મંત્રી વચ્ચેની મુલાકાત નહોતી, તો પહેલાં પણ મુખ્ય મંત્રી આવી મિટિંગો છોડતાં રહ્યાં છે, પોતે વડા પ્રધાન પણ જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે પણ આવું કર્યું છે."
પરંતુ આ વખતના ઘટનાક્રમના કારણે મમતા બેનરજી પર ભાજપ રાજકારણ કરવાના અને વડા પ્રધાનનું અપમાન કરવાના આરોપ લગાવી રહ્યો છે.
ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે, "દીદીએ લોકોની ભલાઈ કરતાં વધુ મહત્ત્વ પોતાની જીદને આપ્યું છે, તેમનું વર્તન તો આવું જ જણાવે છે."
ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ લખ્યું, "વડા પ્રધાનની બેઠકમાં તેમની ગેરહાજરી બંધારણીય મર્યાદા અને સહકારી સંઘવાદની સંસ્કૃતિની હત્યા છે."
શું મમતાએ વિરોધમાં નિર્ણય લીધો હતો?
રાજકારણના આરોપ વડા પ્રધાન પર પણ લાગી રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર પ્રભાકર મણિ તિવારીએ કહ્યું, "TMCનાં કેટલાંક સૂત્રો પ્રમાણે, એ મિટિંગમાં ભાજપના ધારાસભ્ય શુભેંદુ અધિકારીને પણ આમંત્રણ અપાયું હતું. જ્યારે આ વાતની મમતાને ખબર પડી ત્યારે તેમણે મિટિંગમાં જવાનો ઇન્કાર કરી દીધો."
મમતા બેનરજીએ સ્પષ્ટતા કરતાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, "રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષ"ના નેતાઓનાં નામ જોડવાથી મિટિંગ વડા પ્રધાન અને મુખ્ય મંત્રી વચ્ચેની નહોતી રહી. જોકે, તેમણે સ્પષ્ટપણે શુભેંદુ અધિકારી વિરુદ્ધ કશું નહોતું કહ્યું.
વડા પ્રધાને એ જ દિવસે ઓડિશાના મુખ્ય મંત્રી, રાજ્યપાલ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી. મમતા બેનરજીએ એ મિટિંગમાં વિપક્ષના નેતાને ન બોલાવવા અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું, "આખરે ગુજરાત અને ઓડિશામાં તો આવી બેઠકોમાં વિપક્ષના નેતાઓને નહોતા બોલાવ્યા."
જોકે શુભેંદુ અધિકારીએ મમતા પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે અમુક તસવીરો ટ્વીટ કરીને લખ્યું, "પહેલાં વડા પ્રધાન પૂર, વાવાઝોડા જેવી આપદાઓ સમયે એ મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી ચુક્યા છે, જેઓ એનડીએના નથી."
"કોઈએ પણ મમતા દીદી જેવું વર્તન નથી કર્યું. રાજકારણનો સમય અલગ હોય છે, અને સરકાર ચલાવવાનો અલગ, દીદીએ આ સમજવાનું રહેશે."
શુભેંદુ અધિકારીએ મમતા બેનરજીને વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામમાં હરાવ્યાં હતાં.
બંને વચ્ચે પહેલાં પણ ઘર્ષણના સમાચારો આવ્યા છે.
મુખ્ય મંત્રી હતા ત્યારે મોદી પણ મિટિંગથી રહી ચુક્યા છે ગેરહાજર
ભાજપ મમતા પર વડા પ્રધાનના અપમાનનો આરોપ લગાવી રહ્યો છે, પરંતુ મુખ્ય મંત્રી હતા ત્યારે મોદી પણ વડા પ્રધાન સાથેની મિટિંગમાં ગેરહાજર રહી ચુક્યા છે.
વર્ષ 2013માં મુઝફ્ફરનગર હુલ્લડો બાદ મનમોહન સિંહ નૅશનલ ઇન્ટિગ્રૅશન કાઉન્સિલની મિટિંગ બોલાવી હતી જેમાં તત્કાલીન ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાગ નહોતો લીધો.
ભાજપના છત્તીસગઠના તત્કાલીન મુખ્ય મંત્રી રમણ સિંહ પણ આ મિટિંગ નહોતા પહોંચ્યા. ત્યારે નરેન્દ્ર મોદીને પણ ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
લાલ કિલ્લા જેવા મંચથી ભાષણ
વર્ષ 2013માં વડા પ્રધાન મનમોહન સિંહના લાલ કિલ્લાથી અપાયેલા ભાષણ બાદ ગુજરાતના કચ્છમાં મોદીએ તેમના ભાષણની ટીકા કરતાં કહ્યું હતું, "ટીવી ચૅનલ, મીડિયા બતાવી રહ્યાં છે કે આ વડા પ્રધાન મનમોહન સિંહનું છેલ્લું ભાષણ છે. તેઓ(વડા પ્રધાન) કહી રહ્યા છે કે, તેમને ઘણું દૂર જવું છે. તેઓ કયા રૉકેટ પર બેસીને આ અંતર કાપવા માગે છે?"
ત્યાર બાદ અમુક દિવસો બાદ નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં લાલ કિલ્લા જેવા બનાવાયેલા એક સ્ટેજ પરથી ભાષણ આપ્યું હતું.
આપદા દરમિયાન રાજકારણ
મુંબઈ હુમલા દરમિયાન નરેન્દ્ર મોદી પર આપદા દરમિયાન રાજકારણ કરવાનો આરોપ લાગ્ય હતા.
28 નવેમ્બરે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી હતી, નરેન્દ્ર મોદીએ મુંબઈના હોટલ ઓબેરૉય પાસે એક પત્રકારપરિષદને સંબોધિત કરીને મનમોહન સિંહની ટીકા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "દેશને વડા પ્રધાન પાસેથી ઘણી આશા હતી. પરંતુ કાલનું ભાષણ નિરાશાજનક રહ્યું."
ત્યાંથી જ તેમણે મૃત્યુ પામેલા સૈનિકોના પરિવારો માટે આર્થિક મદદની જાહેરાત કરી હતી.
મોદી વડા પ્રધાન બન્યા બાદ ઘણા પ્રસંગોએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વિવાદ થઈ ચુક્યા છે.
કેજરીવાલે મિટિંગનું લાઇવ પ્રસારણ કર્યું
23 એપ્રિલના રોજ નરેન્દ્ર મોદી દેશનાં સર્વાધિક પ્રભાવિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા હતા.
જ્યારે દિલ્હીના મુખ્ય મંત્રીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમનું ભાષણ લાઇવ સ્ટ્રીમ થવા લાગ્યું.
આ અંગે નરેન્દ્ર મોદીએ આપત્તિ વ્યક્ત કરી. નરેન્દ્ર મોદીએ કહ્યું, "આ આપણી જે પરંપરા છે, આપણા જે પ્રોટોકૉલ છે, એક મુખ્ય મંત્રી આવી ઇન-હાઉસ મિટિંગોને લાઇવ ટેલિકાસ્ટ કરે એ તેની વિરુદ્ધ થઈ રહ્યું છે. આ ઉચિત નથી. આપણે હંમેશાં તેનું પાલન કરવું જોઈએ."
મોદીની આ ટિપ્પણી પર મુખ્ય મંત્રી કેજરીવાલ અસહજ થઈ ગયા અને તેમણે કહ્યું, "ઠીક છે સર, આગળથી અમે આ વાતનું ધ્યાન રાખીશું."
"જો મારી તરફથી કોઈ ભૂલ થઈ હોય. જો હું કંઈ કઠોર બોલી ગયો હોઉં, જો મારા આચરણમાં કોઈ ભૂલ હોય તો હું માફી માગું છું."
અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કોરોનાને લઈને નૅશનલ પ્લાનની વાત કરી. ઓક્સિજનની કમીનો મુદ્દો ઉઠાવ્યો.
તેમણે ઓક્સિજનના ટૅન્કરો રોકાઈ રહ્યાં હોવાની વાત કરી અને વડા પ્રધાન મોદીને આ અંગે કોઈ સમાધાન શોધવાની અપીલ કરી.
બાદમાં સમાચાર એજન્સી ANIએ કેન્દ્ર સરકારનાં સૂત્રોના હવાલાથી ખબર આપી કે આવી બેઠકને લાઇવ ન કરવું જોઈએ.
હેમંત સોરેનનો મોદી પર આરોપ
છ મેના રોજ વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત બાદ ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને ટ્વિટર પર લખ્યું, "આજે આદરણીય વડા પ્રધાનજીએ ફોન કર્યો."
"તેમણે માત્ર પોતાના મનની વાત કરી. બહેતર હોત કે તેઓ કામની વાત કરત અને કામની વાત તેમણે સાંભળી હોત."
આ નિવેદનને લઈને પણ ઘણો વિવાદ સર્જાયો, ભાજપશાસિત રાજ્યો સહિત ભાજપના નેતાઓએ સોરેનની ઘણી ટીકા કરી.
મમતા પહેલાં પણ લગાવી ચુક્યાં છે આરોપ
20 મેના રોજ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ગુરુવારે એવો આરોપ લગાવ્યો હતો કે વડા પધાન સાથે થયેલી બેઠકમાં ઘણા મુખ્ય મંત્રીઓને બોલવા નહોતા દેવાયા અને કહ્યું કે તે 'અપમાનજનક' હતું.
મમતા બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકને સુપર ફ્લૉપ ગણાવી હતી. જ્યારે સમાચાર એજન્સી પીટીઆઈએ કેન્દ્ર સરકારનાં સૂત્રોના હવાલાથી કહ્યું કે મમતા બેનરજી વડા પ્રધાન અને મુખ્ય મંત્રીઓની બેઠકમાં ભાગ નથી લેતાં આવ્યાં.
કોરોના મહામારીની સ્થિતિ પર થયેલી આ બેઠકમાં વડા પ્રધાન મોદી સિવાય ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોના મુખ્ય મંત્રીઓએ ભાગ લીધો હતો.
મુખ્ય મંત્રી મમતા બેનરજીએ એવો પણ દાવો કર્યો છે કે આ મિટિંગમાં માત્ર ભાજપશાસિત રાજ્ચોના મુખ્ય મંત્રીઓ બોલવા દેવાયા જ્યારે બાકી લોકોની સ્થિતિ 'કઠપૂતળી' જેવી કરી દેવાઈ હતી.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે કોરોના મહામારી સામે લડવા માટે યોગ્ય યોજનાનો અભાવ છે.
"આ એક સામાન્ય અને સુપર ફ્લૉપ મિટિંગ હતી. અમને આ અપમાનજનક લાગ્યું."
"આ દેશના સંઘીય માળખાને નષ્ટ કરવાના પ્રયત્નો છે. વડા પ્રધાન એટલું અસુરક્ષિત અનુભવે છે કે તેમણે અમારી વાત જ ન સાંભળી."
TMC-BJP વચ્ચે ચૂંટણી પહેંલાંથી વિવાદ
ચૂંટણીપ્રચાર દરમિયાન TMC અને ભાજપા નેતાઓએ એક બીજા પર કડક ટિપ્પણીઓ કરી હતી.
બંને એકબીજા પર લોકતંત્રને અપમાનિત કરવાના આરોપ લગાવતા રહ્યા.
મમતા બેનરજીએ ચૂંટણી પર મોદીના ઇશારા પર કામ કરવાનો આરોપ લગાવ્યો તો મોદીના 'દીદી'વાળા નિવેદનની ઘણી ટીકા થઈ.
ચૂંટણીપરિણામ આવ્યાં બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ. રાજ્યપાલ અને ભાજપના નેતાઓએ TMC પર હિંસા ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. જેનાથી TMC ઇન્કાર કરે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો