નવા કાયદાને પગલે શ્રીલંકાનો એક હિસ્સો ચીનની 'વસાહત' બની જશે?

શ્રીલંકાની સંસદે 20 મેએ પોર્ટ સિટી ઈકોનૉમિક કમિશન નામનો એક ખરડો પસાર કર્યો હતો.

આ નવો કાયદાના અમલને પગલે, ચીનની મદદ વડે નિર્માણ પામેલા પોર્ટ સિટી વિસ્તારને કેટલાક રાષ્ટ્રીય કાયદાઓમાંથી છૂટછાટ મળી જશે અને આ વિસ્તારમાં તેના માટે બનાવવામાં આવેલા ખાસ કાયદાઓનો અમલ થશે.

સ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે સ્પેશિયલ ઈકોનૉમિક ઝોનમાં શ્રીલંકાના ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ, અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના કાયદા લાગુ પડશે નહીં.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષે અને તેમના ભાઈ મહિંદા રાજપક્ષેના નેતૃત્વ હેઠળની સરકારને આશા છે કે નવો કાયદો અત્યંત જરૂરી રોકાણને આકર્ષવામાં મદદરૂપ થશે.

નવા કાયદાને કારણે દેશના સાર્વભૌમત્વ પર જોખમ સર્જાવાની આશંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે. પોર્ટ સિટીનો ઉપયોગ મની લૉન્ડરિંગ તથા બીજા નાણાકીય કૌભાંડો માટે કરવામાં આવશે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ નિર્ણયની ટીકા કરતા લોકો એવું પણ કહી રહ્યા છે કે સરકારે આ કાયદો ઉતાવળે પસાર કરાવ્યો છે અને આ બાબતે લોકોનો અભિપ્રાય જાણવાની કે જાહેર ચર્ચાની દરકાર સરકારે કરી નથી.

ચીનને 99 વર્ષની લીઝ પર આપી જમીન

સીએચઈસી પોર્ટ સિટી કોલંબો, શ્રીલંકાની કમર્શિયલ રાજધાનીમાં 269 હેક્ટરમાં ફેલાયેલી 1.4 અબજ ડૉલરનો એક ભૂમિ સુધારણા પ્રકલ્પ છે.

આ પ્રકલ્પનું નિર્માણકાર્ય તથા ફંડિગ ચાઈના હાર્બર એન્જિનિયરિંગ કંપની (સીએચઈસી) કરી રહી છે.

આ કંપની ચીનની સરકારી કંપની ચાઈના કમ્યુનિકેશન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ(સીસીસીસી)ની પેટા કંપની છે. આ પ્રકલ્પની ચીનની બૅલ્ટ ઍન્ડ રોડ ઈનિશિએટિવ (બીઆરઈ) યોજનામાં ખાસ ભૂમિકા હશે એવું પણ માનવામાં આવે છે.

269 હેક્ટર જમીન પૈકીની 116 હેક્ટર જમીન સીસીસીસીને 99 વર્ષની લીઝ પર આપવામાં આવી છે. આ શ્રીલંકાના ઇતિહાસમાંની સૌથી મહત્વાકાંક્ષી યોજના છે.

તેમાં મોટા આર્થિક, વ્યાવસાયિક અને આવાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

નવા કાયદા મુજબ પોર્ટ સિટી હવે સ્પેશિયલ ઈકોનૉમિક ઝોન ગણાશે. તેના પર સ્થાનિક વહીવટી તંત્રનું શાસન નહીં હોય.

એ જવાબદારી ઈકોનૉમિક કમિશનની હશે. સ્પેશિયલ ઈકોનૉમિક ઝોનમાં દેખરેખ માટે ઈકોનૉમિક કમિશનની રચના કરવામાં આવશે.

શ્રીલંકાના એક ખાનગી જૂથના અખબાર ડેઈલી મિરરે ફેબ્રુઆરી-2020માં એવા સમાચાર પ્રકાશિત કર્યા હતા કે 2041 સુધીમાં આ યોજના સંપૂર્ણપણે અમલી બની જશે ત્યારથી એ શ્રીલંકાની જીડીપીમાં દર વર્ષે 11.8 અબજ ડોલરનું યોગદાન આપશે.

સરકારે જે ખરડો પસાર કર્યો છે તેને આ વર્ષે માર્ચમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ડેઈલી મિરરના અહેવાલ મુજબ, પ્રસ્તાવિત ઈકોનૉમિક કમિશન પાસે ઢગલાબંધ અધિકારો હશે અને પોર્ટ સિટીને એક ઈન્ટરનેશનલ બિઝનેસ હબ તરીકે વિકસાવવા માટેના બધા નિર્ણય કમિશન જ કરશે.

અખબારના જણાવ્યા અનુસાર, આ કમિશનને વેપારી ગતિવિધિ માટે લાઈસન્સ આપવાથી માંડીને 40 વર્ષ સુધી ટૅક્સ ચૂકવણીમાંથી રાહત આપવા સુધીના અધિકાર હશે.

'પોર્ટ સિટી ચીનની વસાહત બની જશે'

કમિશનના સભ્યોની નિમણૂંક શ્રીલંકાના રાષ્ટ્રપતિ કરશે અને એ પ્રદેશમાં મુખ્ય રાષ્ટ્રીય કાયદાઓનો અમલ થશે નહીં. તેના પર સંસદનો પણ કોઈ અધિકાર નહીં હોય.

વિદેશી રોકાણ આકર્ષવા માટે કરમાં રાહત આપવાના શ્રીલંકા સરકારના નિર્ણયનો બચાવ કરતાં કૅબિનેટના સહ-પ્રવક્તા ઉદાયા ગામ્માનપિલાએ ડેઈલી ફાઈનાન્શિઅલ ટાઈમ્સને 31 માર્ચે કહ્યું હતું, "પોર્ટ સિટી દુબઈ, હૉંગકૉંગ અને અન્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોની સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. તેથી આ પ્રોજેક્ટને મદદ કરવી જરૂરી છે."

જોકે, સરકારના આ પગલાંની સરકારમાંના લોકો તેમજ વિરોધ પક્ષ દ્વારા બે કારણસર ટીકા કરવામાં આવી રહી છે.

કેટલાકે એવી આશંકા વ્યક્ત કરી છે કે આ કાયદાથી શ્રીલંકાનું સાર્વભૌમત્વ જોખમમાં મુકાશે.

બીજી તરફ અન્ય લોકો એવું કહી રહ્યા છે કે દેશ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે સરકારે એક કાયદા પર ધ્યાન કેન્દ્રિત કર્યું એ યોગ્ય નથી.

શ્રીલંકામાં સત્તાધારી પક્ષ શ્રીલંકા પુડ્ડુજાના પેરામુના(એસએલપીપી)ના સંસદસભ્ય વેજાયાદાસા રાજપક્ષેએ મીડિયાને એપ્રિલમાં કહ્યું હતું કે નવા કાયદાને લીધે પોર્ટ સિટી ચીનની વસાહત બની જશે.

કોલંબો પેજ ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, રાજપક્ષેએ કહ્યું હતું કે "ઈકોનૉમિક કમિશન ચીની કંપનીઓની જરૂરિયાત અનુસાર કામ કરશે. દેશના ઘણા કાયદા પોર્ટ સિટીમાં લાગુ પડશે નહીં."

શ્રીલંકાના ભૂતપૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે "પોર્ટ સિટી પરનું સંપૂર્ણ નિયંત્રણ શ્રીલંકન સેન્ટ્રલ બૅન્કના હાથમાં શા માટે નથી? પોર્ટ સિટીને શ્રીલંકાની સંસદના નિયંત્રણમાંથી શા માટે હઠાવવામાં આવ્યું છે? યોગ્ય કાયદાઓનો અમલ નહીં કરવામાં આવે તો પોર્ટ સિટી કાળા નાણાંનો અડ્ડો બની જશે."

'બંધારણની અનેક જોગવાઈઓનું ઉલ્લંઘન'

શ્રીલંકાની સુપ્રીમ કોર્ટમાં એપ્રિલમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

પોર્ટ સિટી સંબંધી કાયદાની બંધારણીય યોગ્યતાને એ અરજીઓ દ્વારા પડકારવામાં આવી હતી. અરજી દાખલ કરનારાઓમાં વિરોધ પક્ષના નેતા, વિખ્યાત બૌદ્ધગુરુ અને ગોટાભાયા રાજપક્ષેના સહયોગી મુરુથાથાટુએવે આનંદ થેરોનો પણ સમાવેશ થાય છે.

તેમણે પણ દાવો કર્યો હતો કે પોર્ટ સિટીને ચીની કૉલોની બનાવવામાં આવી રહ્યું છે.

આવા આરોપોનો જવાબ શ્રીલંકાના કાયદા પ્રધાન અલી સાબરેએ 18 એપ્રિલે આપ્યો હતો.

શ્રીલંકાના સરકારી અખબાર ડેઈલી ન્યૂઝના જણાવ્યા મુજબ, અલી સાબરેએ કહ્યું હતું કે "પોર્ટ સિટી સંપૂર્ણપણે શ્રીલંકાનું છે. આ પ્રોજેક્ટને ઝડપભેર વધુ રોકાણકારો મળે તેના પ્રયાસ અમે કરી રહ્યા છીએ."

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ શ્રીલંકા(ટીઆઈએસએલ)એ પણ આ કાયદાને પડકાર્યો છે.

સાઈક્લોન ટૂડે અખબારના અહેવાલ મુજબ, ટીઆઈએસએલે જણાવ્યું હતું કે પોર્ટ સિટી પ્રોજેક્ટમાં શ્રીલંકન બંધારણની અનેક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટને કારણે ભ્રષ્ટાચાર, પૈસાના ગેરકાયદે લેવડદેવડ તથા મની લૉન્ડરિંગને વેગ મળશે.

શ્રીલંકાના સંસદસભ્ય મહિંદા યાપા અબેયવર્દનેએ 18 મેના રોજ સુપ્રીમ કોર્ટના સંકલ્પોની જાહેરાત કરી હતી.

સુપ્રીમ કોર્ટને કેટલાક જોગવાઈઓ બંધારણીય જોગવાઈ અનુસારની જણાઈ નથી. સુપ્રીમ કોર્ટે કેટલાંક સૂચનો પણ કર્યાં છે. સરકારે એ સંકલ્પોને સ્વીકારીને કાયદામાં સુધારા કરવાની ખાતરી આપી છે.

એ દિવસે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે 19 અને 20 મેના રોજ નવા કાયદા બાબતે ચર્ચા અને મતદાન થશે. એ પછી કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઈને 21 મેથી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યો છે.

વિરોધ પક્ષના નેતા તથા ધાર્મિક નેતાઓએ પણ આ સંબંધે સવાલ ઉઠાવ્યા છે.

સિંહલાના લોકપ્રિય દૈનિક લંકકાદાપીની વેબસાઇટ પરના એક અહેવાલ મુજબ, મુખ્ય વિપક્ષી નેતા લક્ષ્મણ કિરિએલાએ સંસદમાં કહ્યું હતું કે કોવિડ-19 મહામારીના સમયમાં દેશમાં આવા કાયદા પસાર કરવા એ શરમજનક કૃત્ય છે.

ખાનગી માલિકીના સિંહલા અખબાર માઉબિમાના જણાવ્યા મુજબ, કોલંબોના આર્કબિશપ કાર્ડિનલ મેલકમ રણજીત અને બૌદ્ધ ધર્મગુરૂ એલિ ગુનાવાન્સા થારોએ આ ખરડા બાબતે પછીથી વોટિંગ કરાવવાની વિનતી સરકારને કરી હતી.

જોકે, સરકારની યોજના અનુસાર જ આ ખરડા પર ચર્ચા થઈ હતી અને મતદાન પણ થયું હતું. સરકારની તરફેણમાં 149, જ્યારે વિરોધમાં 58 મત પડ્યા હતા.

ગંભીર ચિંતા

ખરડો પસાર થયો તે ઘટનાની નોંધ 21 મેએ સરકારી માલિકીના પ્રકાશનોમાં હકારાત્મક રીતે લેવામાં આવી હતી, જ્યારે ખાનગી માલિકીના મીડિયામાં આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

સરકારી અંકુશ હેઠળના સિંહલા અખબાર દિનામિનાએ જણાવ્યું હતું કે "કોલંબો પોર્ટ સિટી શ્રીલંકાને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડવાની દિશામાંનો એક બહેતર પ્રયાસ છે."

ખાનગી માલિકીના અંગ્રેજી દૈનિક ધ આઈસલેન્ડ ન્યૂઝપેપરે જણાવ્યું હતું કે "સંસદમાં બહુમતિ અને ન્યાયિક મંજૂરીથી કોઈ કાયદાને લોકોમાં સ્વીકાર્ય બનાવી શકાય નહીં. આગામી સમયમાં લોકોની અદાલતમાં આ કાયદાની સમીક્ષા થશે અને તેનો નિર્ણય આગામી ચૂંટણીમાં કરવામાં આવશે."

કોલંબો પેજે 26 મેએ જણાવ્યું હતું કે ટીઆઈએસએલએ નવા કાયદા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ટીઆઈએસએલએ જણાવ્યું છે કે "જે ઉતાવળથી આ ખરડો પસાર કરવામાં આવ્યો છે એ લોકોના માહિતી મેળવવાના અધિકારનું પણ ઉલ્લંઘન છે. આ ખરડાનો અભ્યાસ કરવા માટે શ્રીલંકાના સંસદસભ્યોને પણ પૂરતો સમય મળ્યો નથી."

"અભ્યાસ કરવાનો સમય મળ્યો હોત તો તેઓ બહેતર નિર્ણય કરી શક્યા હોત."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો