You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં હવે કોરોનાની છ રસી, કઈ કેટલી અસરદાર?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતની કંપની ઝાયડસ કૅડિલાને તેની વૅક્સિન ZyCoV-Dના ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી ગઈ છે. એ સાથે જ ભારતમાં કોરોનાની મંજૂર થયેલી રસીની સખ્યા છ થઈ ગઈ છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, DCGI (ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા)એ આ રસીને મંજૂરી આપી દીધી છે.
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલૉજી મંત્રાયલ દ્વારા કહેવામાં આવ્યું કે દુનિયાની પ્રથમ અને ભારતમાં બનાવાયેલી ડીએનએ બેઝ્ડ વૅક્સિન છે, તેને 12 વર્ષનાં બાળકો અને તેથી વધુની ઉંમરના લોકોને આપી શકાશે.
ગુજરાતમાં બનેલી અને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂર કરાયેલી બાળકોની રસી Zydus Cadila ZyCov-D અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો :
આ પહેલાં ભારત સરકારે જૉન્સન ઍન્ડ જૉન્સનની કોરોના રસીને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
અગાઉ ભારતમાં મૉડર્ના, રશિયાની સ્પુતનિક V, ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનકા દ્વારા નિર્મિત કોવિશિલ્ડ અને ભારત બાયૉટેક દ્વારા વિકસાવાયેલી કોવૅક્સિનનો ઉપયોગ થઈ રહ્યો હતો.
કેવી રીતે બનાવાઈ જૉન્સન ઍન્ડ જૉન્સન રસી?
જૉન્સન ઍન્ડ જૉન્સનની કોરોના સામે રક્ષણ આપતી સિંગલ ડોઝ વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટેની પરવાનગી ફેબ્રુઆરી 2021માં અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા આપી દેવાઈ હતી.
કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત બાદ જૉન્સન ઍૅન્ડ જૉન્સન દ્વારા ચીન પાસેથી તેની સિક્વન્સ ઇન્ફર્મેશન મગાવી લેવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ કંપનીએ અલગ-અલગ સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને કોરોના વાઇરસના પ્રતિકાર માટે વૅક્સિન વિકસાવવાની શરૂઆત કરી હતી.
કંપનીની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે ગત વર્ષના માર્ચથી જૂન સુધી તેમણે ઘણાં પરીક્ષણો કર્યાં હતાં.
એ બાદ વૅક્સિનની ચકાસણી કરવા માટે બે તબક્કાની ટ્રાયલ પર એક સાથે કામ શરૂ કરાયું, આ તબક્કા બાદ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરાઈ. જેમાં ત્રણ ભૂખંડોના આઠ દેશોમાંથી 43,783 લોકોએ ભાગ લીધો હતો.
આ ટ્રાયલના ડેટા પરથી સામે આવ્યું કે આ વૅક્સિન કોરોના વાઇરસ સામે 85 ટકા સુધી રક્ષણ આપે છે.
નોંધનીય છે કે આ વૅક્સિનનો માત્ર એક જ ડોઝ અપાય છે, જ્યારે ભારતમાં ઉપલબ્ધ અન્ય રસીના બે ડોઝ આપવામાં આવે છે.
વૈજ્ઞાનિકો જે ડેલ્ટા વૅરિયન્ટને ભયજનક અને જોખમકારક ગણાવે છે, તેની સામે જૉન્સન ઍન્ડ જૉન્સનની રસીથી હવે એક નવી આશા જન્મી છે.
કંપનીએ કહ્યું છે કે આ વૅક્સિનનો સિંગલ ડોઝ કોવિડનાં ગંભીર લક્ષણો સામે 85 ટકા સુધી રક્ષણ આપી શકે છે. આ વૅક્સિનના પ્રથમ ડોઝના 29 દિવસ બાદ ડેલ્ટા વૅરિયન્ટ નિષ્ક્રિય થઈ જાય છે.
આ રસી કોરોના વાઇરસના અન્ય વૅરિયન્ટ સામે પણ અસરકારક હોવાનો કંપનીએ દાવો કર્યો છે.
જૉન્સન ઍન્ડ જૉન્સનની કોરોના રસી વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.
મૉડર્ના રસી કેવી રીતે કામ કરે છે?
અમેરિકન કંપની મૉડર્નાની રસીના ટ્રાયલના ડેટા અનુસાર, આ રસી કોવિડ મહામારી સામે સુરક્ષા આપવામાં 95 ટકા સફળ માનવામાં આવે છે.
મોડર્નાએ RNA વૅક્સિન બનાવી છે. તેનો અર્થ એ થયો કે કોરોના વાઇરસના જેનેટિક કોડનો એક ભાગ શરીરમાં ઇંજેક્ટ કરાશે.
તે શરીરમાં વૉયરલ પ્રોટિન બનાવે છે ન કે સંપૂર્ણ વાઇરસ. આમ કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિને વાઇરસ પર હુમલો કરવાનું શીખવવામાં આવે છે.
આ રસી કોરોના વાઇરસ સામે લડવા માટે શરીરને એન્ટિબૉડી અને રોગપ્રતિકારક શક્તિનાં તત્ત્વ ટી-સેલનું નિર્માણ કરતા શીખવશે.
કોવૅક્સિન અને સ્પુતનિકની અસરકારકતા
આ અગાઉ 22મી જૂને કોરોનાની ભરતમાં વિકસાવાયેલી રસી કોવૅક્સિનની અસરકારકતા અંગે આંકડા આવ્યા હતા.
કોવૅક્સિન રસી કોરોના વાઇરસ સામે 77.8 ટકા રક્ષણ આપે છે, કોવૅક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ અંગે સબ્જેક્ટ ઍક્સપર્ટ્સ કમિટી દ્વારા કરાયેલી સમીક્ષામાં આ માહિતી બહાર આવી છે.
આ અંગે સમાચાર સંસ્થા એએનઆઈએ સૂત્રોને ટાંકીને માહિતી આપી હતી.
આ અગાઉ ધ લૅન્સેટમાં સ્પુતનિક વીના પરીક્ષણનું પરિણામ પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જે મુજબ સ્પુતનિક V કોવિડ 19 સામે લગભગ 92% જેટલું રક્ષણ આપે છે.
અત્યાર સુધી કોવિશિલ્ડ અને કોવૅક્સિન એમ બે રસી ભારતમાં મંજૂર થયેલી હતી અને તેના 10 કરોડ કરતાં વધુ ડોઝ આપી દેવાયા છે.
સ્પુતિનક V રસી ભારતમાં
ભારતમાં રશિયાની કોરોના વૅક્સિન સ્પુતનિક Vનું ઉત્પાદન પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં કરવામાં આવશે. રશિયન ડિરેક્ટ ઇન્વેસ્ટમૅન્ટ ફંડે જણાવ્યું છે, "ભારતમાં દર વર્ષે 300 મિલિયન ડૉઝનું ઉત્પાદન કરવાની ઇચ્છા છે."
આ માટેની ટેકનૉલૉજીનું આદાનપ્રદાન શરૂ કરી દેવાયું છે અને રસીની પ્રથમ બૅચ સપ્ટેમ્બરમાં તૈયાર થઈ જાય એવું માનવામાં આવી રહ્યું છે.
આ રસી મૉસ્કોની (રશિયા) ગામેલિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના અંતિમ પરીક્ષણના ડેટા બહાર આવ્યા તે પહેલાં જ રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે શરૂઆતમાં થોડો વિવાદ થયો હતો.
જોકે વિજ્ઞાનીઓનું કહેવું છે કે હવે તેનો લાભ મળવા લાગ્યો છે. તે શીતપ્રકારના વાઇરસનો ઉપયોગ કરે છે, તેને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે અને તેમાં વાહક તરીકે કોરોના વાઇરસની બહુ થોડી માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે છે.
વાઇરસના આંશિક જિનેટિકલ કોડને સલામત રીતે દાખલ કરવામાં આવે છે, જેથી કરીને તે સંભવિત જોખમને પારખી શકે અને તેની સામે લડી શકે, તેમાં બીમાર થવાનો ભય નથી રહેતો.
વૅક્સિન મળ્યા બાદ શરીર પોતે જ ઍન્ટિબોડી પેદા કરવા લાગે છે, જે વિશેષ કરીને કોરોના વાઇરસ સામે લડે છે.
આનો અર્થ એ થયો કે વાસ્તવમાં શરીર અને કોરોના વાઇરસનો મુકાબલો થાય તે પહેલાં જ શરીરની રોગપ્રતિકારકતાનો તેની સાથે મુકાબલો કરાવવામાં આવે છે.
સ્પુતનિક Vને બેથી આઠ ડિગ્રી તાપમાનમાં વચ્ચે સંગ્રહ કરી શકાય છે, (કોઈ સામાન્ય ફ્રિજ મહદંશે ત્રણથી પાંચ ડિગ્રીનું તાપમન જાળવે છે) આથી તેનું પરિવહન અને સંગ્રહ સરળ બની રહે છે.
ગામેલિયા નેશનલ રિસર્સ સેન્ટર ઑફ ઍપિડેમાયૉલૉજી ઍન્ડ માઇક્રોબાયૉલૉજી તથા રશિયન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે જણાવ્યું છે કે સ્પુતિક V રસી લેનારી વ્યક્તિને કોરોનાના નવા વૅરિયન્ટ સામે રક્ષણ મળતું હોવાનું દૃઢ અધ્યયન સામે આવ્યું છે.
કંપનીના જણાવ્યા અનુસાર કોરોનાના નવા વૅરિયન્ટ આલ્ફા B.1.1.7 (સૌ પ્રથમ યુકેમાં દેખાયો) બીટા B.1.351 (સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં દેખાયો) ગામા P.1 (સૌ પ્રથમ બ્રાઝિલમાં દેખાયો), ડેલ્ટા B.1.617.2 અને B.1.617.3 (સૌ પ્રથમ ભારતમાં દેખાયો) તથા મૉસ્કો ઍન્ડેમિક વૅરિયન્ટ B.1.1.141 અને B.1.1.317 સામે સ્પુતિક V રસી રક્ષણાત્મક ઍન્ટીબૉડી ઉત્પન્ન કરે છે.
કોરોના રસીનો બીજો ડોઝ 'જુદો'
કોરોના વાઇરસની અન્ય વૅક્સિનની કરતાં સ્પુતનિક થોડી અલગ છે, તેમાં પહેલાં અને બીજા ડોઝમાં અલગ-અલગ આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવે છે તથા તે 21 દિવસના અંતરે આપવામાં આવે છે.
તે બંને કોરોના વાઇરસના સ્પાઇકને નિશાન બનાવે છે, પરંતુ અલગ-અલગ દિશાએથી.
આની પાછળની વિભાવના એવી છે કે એક જ પ્રકારની રસી બે અલગ-અલગ વખત આપવાની સરખામણીએ અલગ-અલગ ફૉર્મ્યુલાથી અપાયેલી રસી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કદાચ લાંબા સમય સુધી સંરક્ષણ પણ આપે છે.
તે સલામત હોવાનું પુરવાર થયું છે તથા પરીક્ષણ દરમિયાન તેની કોઈ દેખીતી ગંભીર આડઅસર બહાર આવી ન હતી. વૅક્સિનની કેટલીક આડઅસર થવી સ્વાભાવિક છે, જેમ કે ઇન્જેક્શન અપાયું હોય તે બાજુમાં દુખાવો, થાક અને થોડો તાવ.
જોકે આ રસી લેનારમાં મૃત્યુ કે ગંભીર બીમારીના લક્ષણ જોવા નથી મળ્યા.
વિશ્વમાં 60 દેશોએ સ્પુતનિકને મંજૂરી આપી છે, જેમાં આર્જેન્ટિના, વેનેઝુએલા, હંગેરી, UAE તથા ઈરાન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.
કોવૅક્સિન રસી - ભારતની એકમાત્ર સ્વદેશી રસી
કોવૅક્સિન એ ઇનઍક્ટિવેટેડ વૅક્સિન છે, મતલબ કે તે મૃત કોરોના વાઇરસની બનેલી છે, અને તે શરીરમાં પ્રવેશ કરાવવા માટે સલામત મનાય છે.
ભારત બાયૉટેક 24 વર્ષથી વૅક્સિન બનાવે છે તથા 123 દેશોમાં 16 અલગ-અલગ પ્રકારની રસીઓની નિકાસ કરે છે, તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજી દ્વારા આપવામાં આવેલા કોરોના વાઇરસના નમૂનાનો ઉપયોગ કર્યો હતો.
ભારતમાં ઉપલબ્ધ વૅક્સિનોમાંથી તે એકમાત્ર સ્વદેશી છે.
જ્યારે રસીનો ડોઝ આપવામા આવે છે, ત્યારે શરીરની રોપ્રતિકારકતા સાથે સંકળાયેલા કોષો તેને ઓળખી કાઢે છે અને મહામારી ફેલાવતા વાઇરસની સામે ઍન્ટિબોડી તૈયાર કરવા લાગે છે.
કોવૅક્સિનના બે ડોઝ વચ્ચે 28 દિવસનો ગાળો રાખવામાં આવે છે તથા આ રસીને બેથી આઠ ડિગ્રીની વચ્ચે સંગ્રહિત કરી શકાય છે.
ત્રણ તબક્કાના પ્રાથમિક ડેટા મુજબ તેની અસરકારકતા 81 ટકા જેટલી છે. જાન્યુઆરી મહિનામાં ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું હતું, ત્યારે જ તેના તાત્કાલિક વપરાશને મંજૂરી આપી દેવામાં આવી હતી.
આથી કેટલાક નિષ્ણાતોએ સંશય અને સવાલ ઉઠાવ્યા હતા. ભારત બાયૉટેકનું કહેવું છે કે તેની પાસે બે કરોડ ડોઝનો સ્ટોક છે તથા બે શહેરમાં આવેલાં ચાર ઉત્પાદન એકમોમાંથી વર્ષાંત સુધીમાં 70 કરડો ડોઝ તૈયાર કરી શકે છે.
તેણે રસી બનાવતી સરકારી કંપનીઓને ફૉર્મ્યુલા આપવાની તૈયારી દાખવી છે અને આ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
કોવૅક્સિન મંજૂરી વિવાદ
જાન્યુઆરી મહિનામાં એક નિયામકે કહ્યું હતું કે "જાહેર હિતમાં ખૂબ જ સાવધાની સાથે ઇમર્જન્સીની સ્થિતિમાં નિયંત્રિત વપરાશ માટે, ક્લિનિકલ ટ્રાયલ મોડમાં, ખાસ કરીને અલગ-અલગ સ્ટ્રેનને જોતા આ મંજૂરી આપવામાં આવી છે."
હજુ વૅક્સિનનું પરીક્ષણ થઈ રહ્યું છે તેમ છતાં લાખો સંવેદનશીલ લોકો પર વપરાશને માટે તેને કેવી રીતે મંજૂરી આપી દેવામાં આવી, તે અંગે નિષ્ણાતોને આશ્ચર્ય થયું હતું.
ધ ઑલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નેટવર્કના કહેવા પ્રમાણે, "જેનું બરાબર પરીક્ષણ નથી થયું"
'તેની પાછળનો વૈજ્ઞાનિક તર્ક સમજાય એવો નથી' અને 'અપૂરતો ડેટા અનેક સવાલ ઊભા કરે છે.'
ઉત્પાદન તથા દવા નિયામકોએ આ નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે "તે સલામત છે અને સારી એવી રોગપ્રતિકારક ક્ષમતા પૂરી પાડે છે."
ભારત બાયૉટેકે કહ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલને લગતાં કાયદામાં જોગવાઈ છે કે દેશમાં જ્યારે જીવલેણ બીમારીઓ ઝળૂંબી રહી હોય ત્યારે આવી રીતે ઉપયોગને મંજૂરી આપી શકાય છે. તેની અસરકારકતાનો ડેટા ફેબ્રુઆરી મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો અને તેને પાળ્યો હતો.
કોવિશિલ્ડ રસી કઈ રીતે કામ કરે છે?
ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકાની આ વૅક્સિન સ્થાનિક સ્તર પર સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. જે વિશ્વની સૌથી મોટી વૅક્સિનનિર્માતા કંપની છે.
કંપનીનું કહેવું છે કે તે દરમહિને છ કરોડ ડોઝનું ઉત્પાદન કરે છે. સામાન્ય રીતે ઍડ્નોવાઇરસનું તે હળવું સ્વરૂપ છે.
તેમાં એવી રીતે સુધારો કરવામાં આવ્યો છે કે કોરોના વાઇરસ જેવો લાગે, આ સુધારાને કારણે શરીર ઉપર કોઈ વિપરીત અસર નથી થતી.
સિરમ ઇન્સ્ટિટ્યૂટનો દાવો છે કે આ રસી 'ખૂબ જ અસરકારક' છે અને બ્રાઝિલ તથા યુકેમાં ત્રીજા તબક્કાના પરિણામો ઉત્સાહજનક રહ્યાં છે."
ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં એ બાબત જાણવા મળે કે શું વૅક્સિનને કારણે સારી એવી રોગપ્રતિકારક ક્ષમતા ઊભી થાય છે કે નહીં તથા તેની કોઈ ભારે અનિચ્છનીય આડઅસર નથી થતીને?
દરદીઓના અધિકાર માટે કામ કરતા ઓલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નેટવર્કનું કહેવું છે કે ઉત્પાદકે ભારતીયો ઉપરનું 'બ્રિજિંગ સ્ટડી' નથી કર્યું.
કોરોનાની અન્ય સંભવિત રસીઓ
બીજી કેટલીક રસીઓ પણ ભારતમાં પરીક્ષણના અલગ-અલગ તબક્કામાં છે અને તેની સલામતી તથા અસરકારકતાની ચકાસણી થઈ રહી છે.
હૈદરાબાદસ્થિત બાયૉલૉજિકલ ઈ ભારતની પ્રથમ ખાનગી વૅક્સિનિર્માતા કંપની છે, તેના દ્વારા અમેરિકાસ્થિતિ ડ્યાનવૅક્સ તથા બેલોર કૉલેજ ઑફ મેડિસિન સાથે મળીને રસી વિકસાવવામાં આવી રહી છે.
કંપની દ્વારા અમેરિકાની જૉન્સન ઍન્ડ જૉન્સન દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીનું ઉત્પાદન કરવામાં આવશે.
પુણેસ્થિત જિનોવા દ્વારા HGCO 19 વૅક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. જે ભારતની પહેલી mRNA આધારિત રસી છે.
આ માટે કંપનીએ અમેરિકાની એચબીટી બાયૉટેક કૉર્પોરેશન સાથે કરાર કર્યા છે. જિનૉમ કોડનો અમુક ભાગ વાપરીને રોગપ્રતિકારક શક્તિ ઊભી કરવામાં આવી રહી છે.
ભારત બાયૉટેક દ્વારા નાકથી આપી શકાય તેવી વૅક્સિન તૈયાર કરવામાં આવી રહી છે.
સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા વધુ એક રસી વિકસાવવામાં આવી રહી છે, જેના માટે અમેરિકાની કંપની નોવૅક્સ સાથે ગઠબંધન કર્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો