You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Zydus Cadila ZyCov-D : ગુજરાતમાં બનેલી અને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી બાળકોની રસીમાં ખાસ શું છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત અને દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર શાંત પડી છે અને એવામાં બાળકોની રસીને લઈને એક સમાચાર આવ્યા છે.
ગુજરાતની કંપની ઝાયડસ કૅડિલાને તેની વૅક્સિન ZyCoV-Dને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, DCGI (ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા)એ આ રસીને મંજૂરી આપી દીધી છે.
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલૉજી મંત્રાયલ દ્વારા કહેવામાં આવ્યું કે દુનિયાની પ્રથમ અને ભારતમાં બનાવાયેલી ડીએનએ બેઝ વૅક્સિન છે, તેને 12 વર્ષના બાળકો અને તેથી વધુની ઉંમરના લોકોને આપી શકાશે.
અહેવાલ અનુસાર કંપનીએ દાવો કરાયો હતો કે કોરોના વાઇરસનાં ગંભીર લક્ષણો સામે ZyCoV-D 66.6 ટકા અસરકારક છે અને હળવાં લક્ષણો સામે 100 ટકા અસરકારક છે.
ZyCov-D : ડેલ્ટા પ્લસ સામે પણ 'અસરકાર રસી'
ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર ચાલતી હતી, ત્યારે વૅક્સિનની 50 અલગ-અલગ જગ્યાએ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી, જેમાં બહાર આવ્યું છે કે નવા વૅરિયન્ટ અને ખાસ કરીને ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ સામે પણ વૅકિસન અસરકારક છે.
ભારતમાં બાળકોના કોરોના રસીકરણ માટે આ રસી મહત્ત્વપૂર્ણ બની રહેશે, આ વૅક્સિન 12-18 વર્ષનાં બાળકોને આપવામાં આવશે.
ગુજરાતની ફાર્મા કંપનીની કોરોના રસી
ZyCoV-D અમદાવાદસ્થિત ઝાયડસ કૅડિલા ફાર્મા કંપની દ્વારા વિકસાવાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝાયડસ કૅડિલા અનુસાર વૅક્સિનની 28,000 લોકો પર ટ્રાયલ કરવામાં આવી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ક્લિનિકલ ટ્રાયલ છે. ટ્રાયલમાં 12-18 વર્ષનાં બાળકો સહિત દરેક ઉંમરની વ્યક્તિઓ સામેલ હતી.
વૅક્સિનના સ્ટોક વિશે માહિતી આપતી વખતે ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે જુલાઈ-ઑગસ્ટ સુધીમાં ZyCoV-D રસીકરણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. ઑગસ્ટ 2021થી ડિસેમ્બર 2021 વચ્ચે ભારત સરકારને 131 કરોડ વૅક્સિનના ડોઝ મળવાની સંભાવના છે.
આમાં કોવિશિલ્ડના 50 કરોડ ડોઝ, કોવૅકિસનના 40 કરોડ ડોઝ, બાયૉ-ઈ વૅક્સિનના 30 કરોડ ડોઝ, સ્પુતનિક - Vના 10 કરોડ ડોઝ અને ઝાયડસ કૅડિલાની રસીના 5 કરોડ ડોઝ મળવાનો અંદાજ છે.
જોકે ઝાયડસ કૅડિલા કંપનીના આયોજન પ્રમાણે મંજૂરી બાદ 45-60 દિવસમાં ZyCoV-D રસી બહાર પાડી શકે છે.
બાળકોએ વૅક્સિનના કેટલા ડોઝ લેવા પડશે?
ઝાયડસ કૅડિલા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 28 દિવસની અંદર ત્રણ ડોઝ આપવામાં આવશે.
અત્યારે ભારતમાં લોકોને કોવિશિલ્ડ, કોવૅક્સિન અને સ્પુતનિક રસી આપવામાં આવી રહી છે, જેમાં દરેક વ્યક્તિને બે ડોઝ આપવામાં આવે છે. કંપની અનુસાર ZyCoV-D એક ઇન્ટ્રા-ડર્મલ વૅક્સિન છે એટલે કે આ વૅક્સિન આપવા માટે ઇન્જેક્શનની જરૂર પડતી નથી.
બીબીસી સંવાદદાતા અનંત પ્રકાશ સાથેની વાતચીતમાં ડૉ. બી. એલ. શેરવાલ જણાવે છેઃ
"ત્રણ ડોઝ આપવામાં આવે છે, એથી ZyCoV-Dને ઓછી અસરકારક વૅક્સિન ન ગણી શકાય. પ્રથમ ડોઝ બાદ બીજો અને ત્રીજો ડોઝ બુસ્ટર તરીકે કામ કરશે. રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે. મારા મતે તેનાથી લાંબા સમય સુધી સુરક્ષા મળી શકે છે."
તેઓ કહે છે કે સામાન્યતઃ પ્રથમ ડોઝ બાદ જોવા મળે છે કે વૅક્સિન લીધા બાદ રોગપ્રતિકારક શક્તિમાં કેટલો વધારો થયો છે.
સ્વદેશી કોરોના રસી ZyCoV-D
ઝાયડસ કૅડિલાની આ રસી સ્વદેશી છે અને DNA આધારિત વૅક્સિન છે.
DNA આધારિત વૅક્સિનમાં વાઇરસના જિનેટિક કોડનો ઉપયોગ કરવામાં આવે છે, આ કોડ શરીરમાં ઍન્ટીજન તૈયાર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેના કારણે વાઇરસ શરીરને નુકસાન પહોંચાડી શકતા નથી.
ડૉ. બી. એલ. શેરવાલ કહે છે, "DNA આધારિત વૅક્સિન વધુ અસરકારક હોવાનું મનાય છે. શીતળા અને હર્પીસ જેવી બીમારીઓ માટે DNA આધારિત વૅક્સિન જ આપવામાં આવે છે."
ઝાયડસ કૅડિલા અનુસાર વૅક્સિનને 2થી 8 ડિગ્રી જેટલા તાપમાનમાં લાંબા સમય સુધી રાખી શકાય છે. 25 ડિગ્રી તાપમાનમાં ચાર મહિના સુધી રાખી શકાય છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે નવા વૅરિયન્ટ પ્રમાણે વૅક્સિનમાં સુધારા પણ કરી શકાય છે.
ઉત્પાદનની પરવાનગી કઈ રીતે મળે છે?
જો કોઈ રસીની બધી ટ્રાયલનાં પરિણામો અપેક્ષા મુજબ રહે તો સરકાર દ્વારા ઉત્પાદન માટેની પરવાનગી આપવામાં આવે છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં ઍસોસિયેટ પ્રોફેસર, ડૉ. અનીશ સિન્હા કહે છે, "જો ક્લિનિકલ ટ્રાયલમાં પુરવાર થાય કે વૅક્સિન લેવાથી શરીરમાં 50 ટકા ઍન્ટિ-બૉડી ઉત્પન્ન થાય છે, તો જે-તે દેશની સરકાર દ્વારા રસીના ઉત્પાદન માટે પરવાનગી આપવામાં આવે છે."
"ભારતમાં આ પરવાનગી ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે."
"કોઈ પણ રસીની પસંદગી કર્યા બાદ ભારત સરકાર ઇમર્જન્સી ઉપયોગ માટે રસીના ઉત્પાદનની પરવાનગી આપી શકે છે, જેથી ફ્રન્ટલાઇન વર્કરો માટે રસી મેળવી શકાય. તે બાદ જનરલ મંજૂરી મળવાથી દરેક વ્યક્તિ માટે રસી તૈયાર કરવામાં આવે છે."
બાળકો માટે કોરોના રસી કેમ જરૂરી છે?
ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ એટલે કે ICMRએ ફેબ્રુઆરી 2021માં સિરો સર્વેમાં જણાવ્યું હતું કે 25.3 ટકા બાળકોમાં વાઇરસના ઍન્ટિબૉડી હતા, બીજા શબ્દોમાં કહીએ તો 25.3 ટકા ટકા બાળકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.
જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉક્ટર વી. રવિએ બીબીસીને જણાવ્યું, “પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમણ અને સિરો સર્વેના આંકડા જોઈએ તો એવું કહી શકાય કે દેશમાં 40 ટકા બાળકો કોરોના વાઇરસના સંપર્કમાં આવી ચૂક્યાં છે.”
“તેનો અર્થ એ થયો કે 60 ટકા બાળકોને હવે કોરોનાના સંક્રમણનું જોખમ હોઈ શકે છે.”
નિષ્ણાતો મુજબ બાળકોની ઇમ્યુનિટી પુખ્તવયની વ્યક્તિની સરખામણીમાં વધારે સારી હોય છે, પણ બાળકોમાં કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે.
જો સંપૂર્ણ વસતીનું રસીકરણ કરવું હોય તો બાળકોને બાકાત રાખી શકાય નહીં.
પીડિયાટ્રિશિયન ડૉ. સંજીવ રાવ કહે છે, ''પુખ્તવયના લોકોમાં કોરોના વાઇરસ જેટલી ઝડપથી અસર કરે છે, તેટલી ઝડપથી બાળકોમાં અસર કરતો નથી, પણ બાળકો સુપરસ્પ્રેડર બની શકે છે."
"કોરોના વાઇરસના ડબલ મ્યુટન્ટ વૅરિયેન્ટને જોતાં લાગે છે કે બાળકો પર જોખમ વધારે છે અને જરૂરી છે કે વૅક્સિનની ટ્રાયલ કરવામાં આવે."
ZyCoV-D રસી વિશે ઝાયડસ કૅડિલા શું કહે છે?
ઝાયડસ કૅડિલાના સી.એમ.ડી. પંકજ પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચીનમાં કોરોના વાઇરસની મહામારી શરૂ થઈ અને ભારતમાં પગપેસારો થયો, ત્યારે જ અમે રસી બનાવવાનું નક્કી કર્યું હતું.
તેઓ કહે છે, "મેં અમારી ફાર્મા કંપનીના વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી હતી, જેમાં અમે નક્કી કર્યું કે આપણે દેશ માટે કોરોનાની રસી શોધવી છે અને અમે તેની પર કામ શરૂ કરી દીધું."
"તે સમયે ભારતમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું, છતાં અમે સંશોધનનું કામ ચાલું રાખ્યું હતું."
તેઓ વધુમાં જણાવે છે કે અમુક સાધનો અને સૅમ્પલ માટે અમે વૈજ્ઞાનિકોને કાર મારફતે પુણે, બૉમ્બે, કેરળ મોકલ્યા હતા. ફ્લાઇટની સેવાઓ બંધ હતી એટલે સમય લાગ્યો પણ અમને મળેલા કેટલાક સૅમ્પલ એવા હતા કે જેની પર ટૉક્સિસિટી ટેસ્ટ સફળ રહ્યા અને અમને બળ મળ્યું.
સંશોધન માટે કંપનીએ ઘણાં સાધનો ભારત અને વિદેશથી પણ મંગાવ્યાં હતાં. WHOની ગાઇડલાઇન પ્રમાણે કંપનીએ ડી.એન.એ. વૅક્સિન પ્લૅટફૉર્મ પર કામ શરૂ કર્યું. ટેસ્ટમાં ઍન્ટિ-બૉડી રિસ્પોન્સ મળતાં વૅક્સિન બનાવવામાં આવી.
પંકજ પટેલ કહે છે, "વૅક્સિનનો વારંવાર પ્રયોગ કરતાં જાણ થઈ કે તેના કારણે પ્રાણીઓમાં વાઇરસ ન્યુટ્રલાઇઝ થાય છે. આ પરિણામો અમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીને મોકલ્યાં હતાં. અમે ભારતભરમાં 1000 જગ્યાએ ક્લિનિકલ ટ્રાયલ કરી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો