Doctors' Day : અનેકનો જીવ બચાવનારા ગુજરાતના ડૉક્ટરને જ જ્યારે વૅન્ટિલેટર ન મળ્યું અને જીવ ગુમાવ્યો

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદાતા

પાલનપુર શહેરમાં કોઈને તાવ આવે કે પેટમાં દુખે એટલે તરત લોકોને ડૉ. નરેશ શાહનું નામ જ યાદ આવે. કોઈ દરદી રીક્ષાવાળાને માત્ર એટલું કહે કે નરેશના દવાખાને જવાનું છે એ પછી રિક્ષા સીધી તેમના દવાખાનાને આંગણે જઈને ઊભે.

નરેશ શાહ પાલનપુર ગામના એટલા લોકપ્રિય ડૉક્ટર હતા કે ગામમાં કોઈ એવી વ્યક્તિ ન મળે કે જેણે ડૉ.નરેશ શાહનું દવાખાનું ન જોયું હોય.

ખેદની વાત એ છે કે એ ડૉક્ટરને કોરોના થતાં વૅન્ટિલેટર ન મળવાને વાંકે જીવ ગુમાવવાનો વારો આવ્યો.

તેમનો વિસ્તાર 'નરેશની ગલી' તરીકે ઓળખાતો

પાલનપુરથી તેમના પુત્ર અને ડૉક્ટર એવા દર્શન શાહ બીબીસીને જણાવે છે કે, "મારા પપ્પા 1967થી પાલનપુરમાં દવાખાનું ચલાવતા હતા."

"ગામમાં જ્યારે કોઈની તબિયત બગડે એટલે તરત 'નરેશના દવાખાને' લઈ જાવ એવું કહેવાતું."

"પપ્પાના દવાખાનાના વિસ્તારને કોઈ નામકરણ વગર લોકો 'નરેશની ગલી' તરીકે ઓળખે છે. પાલનપુરમાં તેમનું નામ ઘરે-ઘરે એટલું જાણીતું હતું કે લોકો તેમને પ્રેમથી એક નામે જ બોલાવતા હતા."

આટલી વાત કર્યા પછી સહેજ રોકાઈને દર્શન શાહ કહે છે કે, "અમને ખબર નહોતી કે જે માણસે કોરોનાના કપરા સમયમાં અનેક લોકોના જીવ બચાવ્યા તે આવી રીતે મૃત્યુ પામશે."

"8 એપ્રિલે તેમને સામાન્ય શરદી થઈ હતી. બે કે ત્રણ દિવસ પછી તેમને પાલનપુરમાં જ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. શરૂઆતમાં તેમને બે લિટર ઓક્સીજનથી ચાલતું હતું. તબિયત લથડતાં તેમની ઓક્સીજનની જરૂરીયાત પચાસ લીટર સુધી પહોંચી ગઈ હતી."

"એ પછી તેમને હાઈફ્લો ઓક્સીજન આપવો પડે એમ હતો. તેમને વૅન્ટિલેટર પર મૂકવા પડે તેમ હતા. અમે પાલનપુરમાં જે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યાં વૅન્ટિલેટર વગેરેની સગવડ હતી પરંતુ એ બધાં જ સંસાધનો અન્ય દરદીના ઉપયોગમાં હતાં."

"પિતાજી માટે વૅન્ટિલેટર અન્ય સ્થળેથી મળી રહે એ માટે અમે પાલનપુર, મહેસાણાથી માંડીને છેક અમદાવાદ સુધી તપાસ કરી હતી."

"જો વૅન્ટિલેટર મળે તો ત્યાંથી લઈ આવવા તૈયાર હતા, પણ અમને ન મળ્યું. દરેક જગ્યાએ દરદી જ દરદી હતા અને સંસાધનો ખાલી ન હતાં. અંતે 17 એપ્રિલે રાત્રે સાડા અગિયાર વાગ્યે અમે પિતાજીને લઇને અમદાવાદ રવાના થયા. રાત્રે બે વાગ્યે અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કર્યા. એ જ રાત્રે સાડા ત્રણ વાગ્યે તેમણે દેહ છોડ્યો."

ત્રણ દિવસના પ્રયાસ પછી અમદાવાદમાં હૉસ્પિટલમાં પલંગ મળ્યો

ડૉ.નરેશ શાહે રસીના બંને ડોઝ લીધા હતા. તેમને એમ હતું કે બંને ડોઝ લઈ લીધા છે એટલે વાંધો નહીં આવે.

ડૉ. દર્શન શાહ કહે છે કે, "જો અમે લોકો કદાચ વહેલા અમદાવાદ આવી ગયા હોત તો પિતાજી કદાચ બચી જાત એવું લાગે છે."

"હકીકત એ છે કે પિતાજીએ દેહ છોડ્યો તેના ત્રણેક દિવસ અગાઉથી અમે પ્રયાસ કરતા હતા, પરંતુ અમદાવાદમાં બધી હૉસ્પિટલો ફુલ હતી. કોઈ હૉસ્પિટલમાં વૅન્ટિલેટરવાળો પલંગ જ નહોતો મળી શક્યો."

'જો ડૉક્ટરોનાં મૃત્યુ થશે તો નાના શહેરોના દરદી ક્યાં જશે?'

પાલનપુરથી રાજસ્થાન ખૂબ નજીક છે. નરેશ શાહે ડૉક્ટર તરીકે એવી નામના કાઢી હતી કે કેટલાંક દરદી રાજસ્થાનથી પણ તેમની પાસે ખાસ પાલનપુર આવતા હતા.

જે માણસે કોરોનામાં પોતાનું દવાખાનું ધમધમતું રાખ્યું. દરદીઓના જીવ બચાવ્યા એ ડૉક્ટરને વૅન્ટિલેટર ન મળતાં જીવ ગુમાવવો પડ્યો.

ડૉ. દર્શન શાહ જણાવે છે કે, પપ્પાને જે હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યાં અમને પૂરતો સહકાર મળ્યો હતો. ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશનની પાલનપુર શાખાના ડૉક્ટરોએ અમને ખૂબ મદદ કરી હતી."

"કોરોના જે રીતે ફેલાઈ રહ્યો છે અને અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ વિશે હું એટલું જ કહીશ કે હૉસ્પિટલોએ, સરકારે અને દરદીએ પોતે એમ દરેક તબક્કે પૂર્વ આયોજન થવું જોઈએ."

"એટલું જરૂર કહીશ કે જે ડૉક્ટર્સ - મેડિકલ સ્ટાફ વગેરે જે કોરોના સામે આગળની હરોળમાં લડતાં લોકો છે તેમને કમસેકમ મૂશ્કેલીના સમયમાં ખાટલો મળી જાય એવી વ્યવસ્થા થવી જોઈએ. ડૉક્ટરો જીવ ગુમાવવા માંડશે તો નાના શહેરોના દરદીઓ ક્યાં જશે?"

મોરબી અને વાંકાનેરથી લોકો પાલનપુર હૉસ્પિટલમાં પૂછે છે કે, ખાટલો છે?

નરેશ શાહના બીજા પુત્ર અપૂર્વ શાહ જણાવે છે કે "મારા પિતાજી પાલનપુરના પ્રથમ પાંચ કે દશ એમબીબીએસ ડૉક્ટર પૈકીના એક હતા."

"હું જ્યારે પપ્પા માટે વિવિધ હૉસ્પિટલોમાં ફર્યો હતો. એ વખતે જોયું કે સ્થિતિ ખૂબ ખરાબ છે. લોકો વાંકાનેર અને મોરબીથી પાલનપુર ફોન કરીને પૂછે છે કે હૉસ્પિટલમાં પલંગ ખાલી છે?"

"જે રીતે લોકો ઓક્સીજન માટે કે વૅન્ટિલેટર માટે કે ખાટલો મેળવવા વલખાં મારી રહ્યા છે એ જોઈને દીલ દ્રવી ઊઠે છે. ખબર નહીં ક્યારે અને ક્યાં જઈને અટકશે આ બધું?"

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો