અમેરિકા : કેલિફોર્નિયામાં રેલ કર્મચારીનો ગોળીબાર, 8 લોકોનાં મૃત્યુ

અમેરિકાના કેલિફોર્નિયામાં એક બંદૂકધારીએ રેલ યાર્ડમાં ગોળીઓ વરસાવી 8 લોકોનો જીવ લઈ લીધો છે. ગોળીબારની આ ઘટના સૈન હોજમાં સેંટા ક્લારા વેલી ટ્રાન્સપોર્ટેશન ઑથોરિટીના રેલવે યાર્ડમાં બની છે.

અધિકારીઓનું કહેવું છે કે મૃતકોમાં અહીંના કર્મચારીઓ પણ સામેલ છે.

આ હુમલો કરનાર અહીંના જ એક કર્મચારી છે અને વળતી કાર્યવાહીમાં એમનું પણ મૃત્યુ થયું છે.

આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે પોણા સાત વાગે બની છે.

અધિકારીઓનું કહેવું છે કે સંદિગ્ધે આ ઘટનાને અંજામ આપતા અગાઉ પોતાના ઘરને આગ લગાવી દીધી હતી.

અમેરિકાના ગન વાયોલન્સ આર્કાઇવ્ઝ અનુસાર આ વર્ષમાં 230 ઘટનાઓ ગન વાયોલન્સની બની છે. આ સંગઠન મુજબ માસ શૂટિંગ યાને કે એક સાથે અનેક લોકો પર ગોળીબાર ત્યારે મોટી ઘટના ગણવામાં આવે છે જ્યારે એમાં ચાર કે તેથી વધારે લોકોને ગોળી મારવામાં આવી હોય.

અત્યાર સુધી શું ખબર છે?

સ્થાનિક મીડિયા સીબીએસ મુજબ ગોળીબારની શરૂઆત રેલવે કર્મચારીઓની એક મિટિંગ દરમિયાન થઈ હતી. સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ત્યારે ગોળીબાર ચાલી રહ્યો હતો.

હુમલો કરનાર સહિત નવ લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકન મીડિયાની અમુક ખબરો મુજબ હુમલો કરનાર આપઘાત કર્યો હોવાનુ પણ કહેવાઈ રહ્યું છે પરંતુ પોલીસે એની પુષ્ટિ કરી નથી.

બીબીસીના સહયોગી સીબીએસ ન્યૂઝને અધિકારીઓએ કહ્યું કે, બંદૂકધારીનું નામ સૈમ્યુઅલ સહીડી હતું અને એમની ઉંમર 57 વર્ષ હતી.

આમાં વધારે વિગતો ઉમેરાઈ રહી છે.

સેંટા ક્લારા કાઉન્ટીના શેરિફ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, 'સંદિગ્ધ અને પોલીસ વચ્ચે ઘર્ષણ નથી થયું. હું માનું છું કે સંદિગ્ધે પોતાને ગોળી મારી છે.'

ગોળીબાર કરતા અગાઉ સંદિગ્ધના ઘરે આગ લાગી હતી. હવે એ વાતની તપાસ ચાલી રહી છે કે હુમલાને અંજામ આપતા અગાઉ સંદિગ્ધે પોતે આ આગ લગાવી હતી કે નહીં.

સૈન હોજે ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા એરિકા રે મુજબ, આ ઘટનામાં અનેક ક્રાઇમ દૃશ્યો છે. મતલબ હુમલાખોરે અલગ અલગ સ્થળોએ જઈને ગોળીબાર કર્યો છે.

કેલિફોર્નિયાના ગર્વનર આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

એક પત્રકારપરિષદમાં એમણે કહ્યું કે, આપણે એક ઘટનાથી બહાર નીકળીએ છીએ અને ફરી એવી ઘટના બને છે અને ચક્ર ચાલતું રહે છે. ક્યારે આપણે આના પર અંકુશ લગાવીશું? આપણે ક્યારે હથિયાર છોડીશું?"

વ્હાઇટ હાઉસે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું છે કે "દેશ બંદૂકની હિંસાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. ગોળીબારની ઘટનાઓ અને રોજ થઈ રહેલો ગોળીબાર અખબારની હેડલાઇન નથી બની રહ્યો."

એમણે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જલદીથી પગલાં લેવા માટે રાષ્ટ્રપતિએ કૉંગ્રેસને અપીલ કરી છે અને કહ્યું છે કે બંદૂક ખરીદવાના નિયમો કડક કરવા માટે બિલ પાસ કરવું જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો