કોરોના અપડેટ : 'અમેરિકાને વર્ષ 2020ના અંત સુધીમાં રસી મળી જશે'

કોરોના વાઇરસની વૅક્સિનને લઈને બુધવારે અમેરિકામાંથી એક સારા સમાચાર મળ્યા હતા. અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની 'મૉડેરના'ને રસીના પરીક્ષણ દરમિયાન સકારાત્મક પરિણામ મળ્યાં હતાં.

બુધવારે જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે 'રસીને લઈને મોટા સમાચાર છે.'

હવે અમેરિકાનાં ચેપજન્ય રોગોના ટોચના ડૉક્ટર ઍન્થોની ફાઉચીએ અનુમાન લગાવ્યું છે કે અમેરિકાને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાઇરસની રસી મળી જશે.

ડૉક્ટર ફાઉચીએ સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું, "જે સમયનું અનુમાન લગાવાયું છે એને લઈને હું ખુશ છું."

તેમણે જણાવ્યું છે કે તેઓ એ વિચારને લઈને 'ચિંતિત' નથી કે ચીન રસી બનાવવાની દિશામાં અમેરિકા કરતાં આગળ નીકળી જશે.

તેમણે કહ્યું, "મને લાગે છે કે બધા એક જ ટ્રૅક પર ચાલી રહ્યા છે. તેઓ આપણા કરતાં પહેલાં આને મેળવી નહીં લે. એ બિલકુલ નક્કી છે."

અન્ય વૈજ્ઞાનિકોની માફક તેમનું પણ કહ્યું છે કે આ સંબંધે એ સવાલનો હજુ પણ કોઈ જવાબ નથી મળી શક્યો કે રસી થકી શરીર ક્યાં સુધી બીમારીથી બચી શકશે?

ભારતમાં કોરોના વાઇરસથી 24 હજારથી વધુ લોકોનાં મૃત્યુ

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ પર પ્રાપ્ય આંકડા પ્રમાણે ભારત દુનિયાનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે.

ભારતમાં સંક્રમણના કેસ નવ લાખથી વધારે છે. પીઆઈબીના આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના 3,19,840 ઍક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં 24,309 લોકોનાં સંક્રમણને લીધે મૃત્યુ થયાં છે.

15 જુલાઈ સાંજે સાડા છ વાગ્યા સુધીના આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના દર્દીઓના સ્વસ્થ થવાનો દર 63.24 ટકા છે. અત્યાર સુધી અંદાજે છ લાખ દર્દી સારવાર બાદ ઠીક થયા છે.

પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીનું કોરોનાથી મૃત્યુ

અમદાવાદના મણિનગર સ્થિત સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના સ્વામી પુરુષોત્તમપ્રિયદાસનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે.

દિવ્ય ભાસ્કરના જણાવ્યા મુજબ જૂન મહિનામાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તબિયત વધારે બગડતા તેમને ખાનગી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ઘણા દિવસથી વૅન્ટિલેટર પર હતા.

સ્વામીનારાયણ ગાદી સંસ્થાને સવારે સાત વાગ્યાથી એમની વેબસાઇટ પર ઑનલાઇન અંતિમદર્શનની જાહેરાત કરી છે અને કોરોના મહામારીને લઈને કોઈને મંદિર ન આવવા અપીલ કરી છે.

પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસ સ્વામીની નિમણૂંક કરવામાં આવેલી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન પુરૂષોત્તમપ્રિયદાસ મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એ વીડિયોમાં તેઓ કથિત રીતે ભક્તોને મોંમાંથી કાઢી પ્રસાદ વહેંચતા દેખાયા હતા.

બીબીસી સ્વતંત્ર રીતે એ વીડિયોની પુષ્ટિ કરી શક્યું નથી પરંતુ અનેક લોકોએ એ વીડિયો શૅર કર્યો હતો અને તેના પર ટિપ્પણી કરી હતી.

ગુજરાતમાં ફરી વધતો આંક, 24 કલાકમાં 925 કેસ

કોરોના વાઇરસના સંક્રમણના 925 નવા કેસ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયા છે. 15 જુલાઈની સાંજની માહિતી મુજબ રાજ્યમાં આ મોટો ઉછાળો છે.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 791 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

સૌથી વધારે 173 કેસ સુરત શહેરમાં નોંધાયા છે, 159 કેસ અમદાવાદ શહેરમાં, 63 કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 61 કેસ વડોદરા શહેરમાં, 39 કેસ રાજકોટ શહેરમાં અને 33 કેસ ભાવનગર શહેરમાં નોંધાયા છે.

આ સાથે જ 10 દર્દીઓનાં મૃત્યુ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં કુલ ઍક્ટિવ કેસની સંખ્યા 11,221 છે અને અત્યાર સુધીમાં 2,081 લોકોનાં મૃત્યુ થયાં છે.

ગુરુવાર, 16 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

15 જુલાઈ સુધીની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસની રસીને લઈને ટ્વીટ કર્યું છે કે "વૅક્સિન અંગે મોટા સમાચાર છે."

આ સિવાય તેમણે કોઈ વધારે માહિતી આપી નથી.

એવું મનાઈ રહ્યું છે કે ટ્રમ્પે કોવિડ-19ની એ રસી વિશે ટ્વટ કર્યું છે જેને અમેરિકામાં સફળતાપૂર્વક ટેસ્ટ કરાયેલી પ્રથમ વૅક્સિન માનવામાં આવે છે.

આ વૅક્સિનના પરીક્ષણનાં પરિણામો વૈજ્ઞાનિકોની આશા પ્રમાણેનાં જ આવ્યાં છે. જેને મહત્ત્વપૂર્ણ બાબત ગણવામાં આવી રહી છે.

આ વૅક્સિન વિશે વધુ વાંચવા માટે ક્લિક કરો.

IT સિટી બેંગ્લુરુમાં ફરી લૉકડાઉન લાગુ

અત્યારસુધી કોરોનાની મહામારીથી બચેલું રહેલું બેંગ્લુરુ હવે આ બીમારીના ભરડામાં આવી ગયું છે.

જૂન મહિનાના મધ્યભાગ સુધી શહેરમાં એક હજાર જેટલા કેસ હતા, જે હવે વધીને 20 હજારને પાર કરી ગયા છે.

ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કર્ણાટક સરકારે ફરીથી લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.

લૉકડાઉન દરમિયાન શહેરના ધાર્મિકસ્થળ સાર્વજનિક પરિવહનના સાધન, સરકારી કચેરી, સ્કૂલ, કૉલેજ તથા રેસ્ટોરાં ઉપરાંત મોટાભાગની દુકાનો બંધ રહેશે.

નાગરિકોને ઘરમાં જ રહેવા તથા માત્ર જીવજરુરિયાતની ચીજો લેવા જવાની છૂટ આપવામાં આવશે.

જનઆરોગ્યક્ષેત્રના નિષ્ણાતોના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે અન-લૉકિંગ કર્યું, જેના કારણે લાખો લોકો અવરજવર કરવા લાગ્યા હતા, જેના કારણે કોરોનાનો ચેપ મોટાપાયે ફેલાયો.

બેંગ્લુરુમાં કોવિડ-19ની કામગીરી સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારી હેફિશા કોરલાપતિએ ન્યૂઝ એજન્સી રૉઇટર્સ સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી.

કોરલાપતિના કહેવા પ્રમાણે, જૂનના છેલ્લા અઠવાડિયાં દરમિયાન ટેસ્ટિંગ અને લોકોની પ્રવૃત્તિમાં વધારો થયા બાદ, કેસ નોંધાવાની સંખ્યામાં ઉછાળ જોવા મળી રહ્યો છે.

મંગળવારે કોરોનાના વધુ 28 હજાર 498 કેસ નોંધાયા હતા, જેના કારણે કુલ કેસની સંખ્યા નવ લાખ છ હજાર 752 ઉપર પહોંચી ગઈ છે.

વિશ્વમાં એક કરોડ 30 લાખ કરતાં વધુ કેસ

અમેરિકાની જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આજે સવારે આઠ વાગ્યે અપડેટ થયેલા ડૅશ-બૉર્ડ પર વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ 32 લાખ 87 હજાર 651 પર પહોંચી ગઈ છે. વિશ્વમાં કોરોના મહામારીનો મરણાંક 5 લાખ 77 હજાર 954 થઈ ગયો છે.

અમેરિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા 34 લાખ 29 હજાર 072 થઈ ગઈ છે. તો અમેરિકામાં કોરોના વાઇરસ મહામારીથી મરણાંક હવે 1 લાખ 36 લાખ 440 થઈ ગયો છે.

અમેરિકામાં રાજ્યો પ્રમાણે સૌથી વઘુ 32,408 મૃત્યુ ન્યૂયૉર્કમાં નોંધાયા છે.

કોરોના મહામારીથી વિશ્વમાં બીજા ક્રમના સૌથી વઘુ અસગ્રસ્ત દેશ બ્રાઝિલમાં સંક્રમિતોની કુલ સંખ્યા 19 લાખ 26 હજાર 824 પર પહોંચી ચૂકી છે, તો બ્રાઝિલમાં કોરોના સંક્રમણ બાદ મૃત્યુ પામનારાઓની સંખ્યા 74,133 થઈ ગઈ છે.

ભારતની આજની સ્થિતિ

ભારત 9 લાખ 06 હજાર 752 કુલ સંક્રમિતો સાથે સંક્રમિતોની દેશવાર યાદીમાં ત્રીજા ક્રમે છે.

ડૅશ-બૉર્ડ પર ત્યાર પછીના ક્રમે રશિયા, પેરુ, ચિલી અને મેકિસકોનો ક્રમ આવે છે.

દક્ષિણ આફ્રિકા, યૂકે અને ઈરાન પણ સંક્રમિતોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વના પ્રથમ દસ સૌથી વધુ અસરગ્રસ્ત દેશો છે.

પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના નવા 29,429 કેસ નોંધાયા છે . આ સાથે દેશમાં સંક્રમિતોનો કુલ આંક 9 લાખ 36 હજાર 181 પર પહોંચ્યો છે. આમાં ઍક્ટિવ કેસની સંખ્યા 3 લાખ 19 હજાર 840 છે, જ્યારે સ્વસ્થ થયેલા દરદીઓની સંખ્યા 5 લાખ 92 હજાર 032 છે.

સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં મહામારીનો કુલ મરણાંક 24,309 થઈ ગયો છે. સરકારે જણાવ્યું કે દેશમાં કોવિડ-19 દરદીઓનો રીકવરી રેટ 63.20 ટકા થયો છે.

એએનઆઈએ આપેલા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR)ના આંકડા પ્રમાણે દેશમાં પાછલા 24 કલાકમાં 3 લાખ 20 હજાર 161 પરીક્ષણ કરાયા. જે સાથે દેશમાં કોરોના વાઇરસની તપાસ માટે અત્યાર સુધી થયેલા પરીક્ષણની સંખ્યા 1 કરોડ 24 લાખ 12 હજાર 664 થઈ છે.

14 જુલાઈ - ગુજરાતમાં 915 કેસનો ઉછાળો

ગુજરાતમાં ગત 24 કલાક દરમિયાન રેકર્ડ 915 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે ઍક્ટિવ કેસની સંખ્યા 11 હજારને પાર કરીને 11,097 ઉપર પહોંચી ગઈ છે, જેમાંથી 71 પેશન્ટ વૅન્ટિલેટર ઉપર છે.

14 પેશન્ટ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2,071 ઉપર પહોંચી ગયો છે. સુરત જિલ્લામાં પાંચ, અમદાવાદ અને વડોદરામાં ત્રણ-ત્રણ મૃત્યુ થયાં છે. જ્યારે ભાવનગર ગાંધીનગર તથા બનાસકાંઠામાં એક-એક મૃત્યુ થયાં છે.

749 પેશન્ટે કોરોનાને માત આપીને હૉસ્પિટલમાંથી રજા મેળવી હતી, રાજ્યમાં કુલ 30 હજાર 555 પેશન્ટે આ રોગને માત આપી છે.

ઍક્ટિવ કેસની સંખ્યાની દૃષ્ટિએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર ટોચ ઉપર છે.

દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈની શું સ્થિતિ છે?

ભારતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 9,06,752 થઈ ગઈ છે અને સૌથી વધુ સંક્રમિત રાજ્યો મહારાષ્ટ્ર, દિલ્હી અને તામિલનાડુ છે.

ત્રણ રાજ્યોમાં દિલ્હી, મુંબઈ અન ચેન્નાઈ જેવાં દેશનાં સૌથી મોટાં મહાનગરો સામેલ છે, જ્યાં પ્રારંભિક સ્તરે જ ઘણા મામલા સામે આવ્યા હતા.

જોકે, હવે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વાઇરસનો ફેલાવો નિયંત્રિત થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

બીજી બાજુ, દક્ષિણ ભારતમાં કોરોના વાઇરસના ઝડપી ફેલાવાએ વિશેષજ્ઞોને ચિંતામાં મૂકી દીધા છે.

દક્ષિણ ભારતમાં ખાસ કરીને તેલંગણા અને કર્ણાટકમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

તેલંગણામાં અત્યાર સુધી 36,221 લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે. બીજી બાજુ, કર્ણાટકમાં 41,581 લોકો આ વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

આ બન્ને રાજ્યોનાં શહેરો હૈદરાબાદ અને બેંગલુરુમાં આગામી કેટલાંક સપ્તાહોમાં વાઇરસ ચરમ પર પહોંચી એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

આ દરમિયાન દક્ષિણ ભારતમાં કોરોના વાઇરસનો સૌથી વધુ માર સહન કરનારા તામિલનાડુએ એક વાર ફરીથી લૉકડાઉન લાગુ કરી દીધું છે.

ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં રેકર્ડ 915 કેસ, 30 હજારથી વધુ દરદી રોગમુક્ત

ગુજરાતમાં ગત 24 કલાક દરમિયાન રેકર્ડ 915 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે ઍક્ટિવ કેસની સંખ્યા 11 હજારને પાર કરીને 11,097 ઉપર પહોંચી ગઈ છે, જેમાંથી 71 પેશન્ટ વૅન્ટિલેટર ઉપર છે.

14 પેશન્ટ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2,071 ઉપર પહોંચી ગયો છે. સુરત જિલ્લામાં પાંચ, અમદાવાદ અને વડોદરામાં ત્રણ-ત્રણ મૃત્યુ થયાં છે. જ્યારે ભાવનગર ગાંધીનગર તથા બનાસકાંઠામાં એક-એક મૃત્યુ થયાં છે.

749 પેશન્ટે કોરોનાને માત આપીને હૉસ્પિટલમાંથી રજા મેળવી હતી, રાજ્યમાં કુલ 30 હજાર 555 પેશન્ટે આ રોગને માત આપી છે.

ઍક્ટિવ કેસની સંખ્યાની દૃષ્ટિએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર ટોચ ઉપર છે.

ભારતમાં દરદીની સંખ્યા 9 લાખને પાર

પાછલા 24 કલાકમાં દેશમાં સંક્રમણના નવા 28,498 કેસ નોંધાયા. આ સાથે દેશમાં સંક્રમણના અત્યાર સુધીના કેસની કુલ સંખ્યા 9 લાખને પાર થઈ ગઈ છે.

ભારતમાં મહામારીનો કુલ મરણાંક 23,727 થયો છે જેમાં પાછલા 24 કલાકમાં 553 મૃત્યુ થયાં.

સમાચાર એજન્સી એએનઆઈએ સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને આપેલા આંકડા પ્રમાણે ભારતમાં હવે કોરોના વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા 9 લાખ 06 હજાર 752 છે.

ભારતમાં હાલ 3 લાખ 11હજાર 565 ઍક્ટિવ કેસ છે, જ્યારે કે મહામારીમાંથી સ્વસ્થ થનાર દરદીઓની સંખ્યા 5 લાખ 71 હજાર 460 થઈ છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR)ના આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની તપાસ માટે કલ 2 લાખ 86 હજાર 247 પરીક્ષણ થયાં છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં થયેલા પરીક્ષણની સંખ્યા 1 કરોડ 20 લાખ 92 હજાર 503 થઈ છે.

મુંબઈમાં સંક્રમણના નવા 1174 કેસ નોંધાતા કુલ સંખ્યા 93,894 થઈ ગઈ છે. પીટીઆઈએ આપેલા મુંબઈ મહાનગરપાલિકાના આંકડા અનુસાર મુંબઈમાં પાછલા 24 કલાકમાં 47 સંક્રમિતોના મૃત્યુ થતા મહામારીનો કુલ મરણાંક 5,332 થયો છે.

દિલ્હીમાં નવા 1246 કેસ સાથે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 13 હજાર 740 થઈ છે, જ્યારે મરણાંક 3411 થયો છે. સેન્ટ્રલ દિલ્હીમાં આવેલા ભારતીય રેલના વડામથક રેલભવનમાં સંક્રમણના વધુ કેટલાક મામલા સામે આવતા 14 અને 15 જુલાઈએ રેલભવનને બંધ રાખવાના આદેશ અપાયા છે.

મધ્ય પ્રદેશમાં આ વર્ષે કોવિડ-19 મહામારીને કારણે ગણેશ પંડાલ અને ઈદની સામૂહિક નમાઝને મંજૂરી નહીં મળે. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર મધ્ય પ્રદેશ સરકારે લગ્ન અને અંતિમવિધિના આયોજનમાં પણ હાજરીની સંખ્યા સીમિત કરી છે.

ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર(NOIDA) જિલ્લામાં કોરોના સંક્રમણના નવા 90 કેસ સાથે કુલ કેસની સંખ્યા 3495 થઈ ગઈ છે જે ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં સૌથી વધુ સંખ્યા છે. સત્તાવાર આંકડા પ્રમાણે અહીં 872 ઍક્ટિવ કેસો છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને રાજ્યમાં પરીક્ષણની દૈનિક સંખ્યા 50 હજાર સુધી લઈ જવાની સૂચના આપી છે, જેમાંથી 20 હજાર પરીક્ષણો રેપિડ ઍન્ટિજેન કિટથી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં વધુ બે પોલીસકર્મીઓએ કોરોના વાઇરસના સંક્રમણથી જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 79 પોલીસકર્મીઓ કોરોના મહામારીની ચપેટમાં આવી મૃત્યુ પામ્યા છે જ્યારે કે કુલ 1204 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે.

મંગળવાર, 14 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળ, 902 કેસ નોંધાયા - 13 જુલાઈ સુધીની અપડેટ

સોમવાર સાંજની સ્થિતિ પ્રમાણે, ગુજરાતમાં કોરોનાના 10 હજાર 945 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 74 દરદી વૅન્ટિલેટર ઉપર છે, જ્યારે 10 હજાર 871 સામાન્ય અવસ્થામાં છે.

રાજ્યમાં વધુ 10 મૃત્યુ (સુરત-5, અમદાવાદ-3, ગાંધીનગર-1 અને મોરબી-1) સાથે કુલ મરણાંક 2057 નોંધાયો છે.

વધુ 608 દરદીને રજા અપાતાં બીમારીને માત આપનારાઓની કુલ સંખ્યા 29 હજાર 806 ઉપર પહોંચી ગઈ છે.

કેસની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતમાં અત્યાર સુધીનો સૌધી વધુ (902 કેસ)નો ઉછાળ જોવા મળ્યો છે.

સુરત (307) અને અમદાવાદ (164) એમ બે જિલ્લામાં ત્રણ આંકડામાં નવા કેસ નોંધાયા હતા.

રાજકોટમાં જયંતી રવિ

ગુજરાતમાં એક તરફ કોરોના વાઇરસના કેસની સંખ્યાની દૃષ્ટિએ કેન્દ્રમાં રહેલા અમદાવાદમાં હાલમાં સંખ્યા ઘટી રહી છે, પરંતુ અન્ય જિલ્લામાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો થયો છે, જેના કારણે તંત્ર હરકતમાં આવી ગયું છે.

આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરતની મુલાકાત લીધા બાદ વિભાગનાં અગ્રસચિવ જયંતી રવિ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે.

સોમવારે સવારે તેમણે જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી, ત્યાં જિલ્લા કલેક્ટર, કમિશનર તથા આરોગ્યતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રવર્તમાન સ્થિતિનો તાગ લીધો હતો.

બાદમાં સાંજે તેઓ રાજકોટ આવી પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે કલેક્ટર રેમ્યા મોહન, રાજકોટ સિવિલ હૉસ્પિટલ, જિલ્લા પંચાયત તથા મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.

ગત 24 કલાક દરમિયાન જામનગર કૉર્પોરેશન વિસ્તારમાં 22 તથા ગ્રામીણમાં 12 મળીને કુલ 34, જ્યારે જામનગરના કૉર્પોરેશન વિસ્તારમાં 10 તથા ગ્રામીણ વિસ્તારમાં ત્રણ મળીને કુલ 13 કેસ નોંધાયા હતા.

જો અમદાવાદમાં જાહેરમાં થંકશો તો...

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના વાઇરસની મહામારીને ધ્યાને લેતાં માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ પહેલાં દંડની રકમ બસો રૂપિયા હતી, જેને હવે વધારી દેવાઈ છે.

આ ઉપરાંત પાનના ગલ્લા નજીક થંકનાર પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલવાનું નક્કી કરાયું છે.

શહેરમાં મહામારીને અટકાવવા માટે લેવાઈ રહેલાં પગલાંની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

પરીક્ષણના મામલે પાટનગર પાછળ કેમ?

ગુજરાતમાં કોરોના વાઇરસ મહામારીને કારણે પાટનગર ગાંધીનગરમાં અત્યારસુધી 32 લોકોએ જીવ ગુમાવ્યા છે, જે રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર જિલ્લાવાર મરણાંક પ્રમાણે અમદાવાદ, સુરત અને વડોદરા પછી ચોથા ક્રમનો સૌથી વધુ મરણાંક છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે ગાંધીનગરમાં રવિવાર કોરોના વાઇરસની તપાસ માટે 177 નમૂનાઓનું પરીક્ષણ થયું, જે રવિવારના જિલ્લાવાર પરીક્ષણના આંકડા પ્રમાણે રાજ્યમાં 13મા ક્રમે હતું.

આની સામે સરખામણી માટે રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓના આંકડા જોઈએ તો છોટા ઉદેપુરમાં 401, જૂનાગઢમાં 225, કચ્છમાં 207 તો દાહોદમાં 187 પરીક્ષણ થયાં હતાં..

અત્યાર સુધી થયેલાં પરીક્ષણના આંકડા જોઈએ તો પણ ગાંધીનગર પાછળ જણાય છે.

ગાંધીનગરમાં અત્યાર સુધી કુલ 10,211 પરીક્ષણ થયાં છે, જે રાજ્યમાં જિલ્લાવાર કુલ પરીક્ષણની યાદી બનાવાય તો નવમા ક્રમે આવે.

સરખામણી માટે જોઈએ તો બનાસકાંઠા, જામનગર કે જૂનાગઢ પણ અત્યાર સુધીના કુલ પરીક્ષણના મામલે ગાંધીનગરથી આગળ છે.

ભારતમાં પોણા નવ લાખ કોરોના કેસ, મરણાંક 23 હજારને પાર

પાછલા 24 કલાકમાં દેશમાં નવા 28,701 કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા 8 લાખ 78 હજાર 254 પર પહોંચી ગઈ છે, તો વધુ 500 સંક્રમિતોના મૃત્યુ સાથે આ મહામારીનો દેશમાં કુલ મરણાંક 23,174 થઈ ગયો છે.

સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં હાલ 3 લાખ 01 હજાર 609 ઍક્ટિવ કેસ છે,જ્યારે સારવાર બાદ સ્વસ્થ થયેલા દરદીઓની સંખ્યા 5 લાખ 53 હજાર 471 છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR)ના જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં ગઈ કાલે કુલ 2 લાખ 19 હજાર 103 પરીક્ષણ થયાં. આ સાથે અત્યાર સુધી દેશમાં થયેલા કોરોના પરીક્ષણની સંખ્યા 1 કરોડ 18 લાખ 06 હજાર 256 થઈ છે.

કોરોનાને પગલે દક્ષિણ આફ્રિકાએ દારૂનું વેચાણ બંધ કર્યું

કોરોના મહામારીથી વિશ્વમાં કુલ મરણાંક 5 લાખ 68 હજાર 500 થઈ ગયો છે. વિશ્વમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 28 લાખથી પણ ઉપર પહોંચી ચૂકી છે

અમેરિકાની જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના કોવિડ-19 ડૅશ-બૉર્ડ પર 13 જુલાઈએ સવારે 7 વાગ્યે અપડેટ થયેલા આંકડા અનુસાર અમેરિકામાં મહામારીથી અત્યાર સુધી કુલ 1 લાખ 35 હજારથી વધુ દરદીઓએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા 33 લાખથી પણ વધારે છે.

અમેરિકામાં મરણાંકની દૃષ્ટિએ ન્યૂયૉર્ક સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે જ્યાં અત્યાર સુધી 32,350 દરદીઓએ જીવ ગુમાવ્યા છે. ત્યાર પછીના ક્રમે ન્યૂ જર્સી રાજ્યમાં 15,525 સંક્રમિતોના મૃત્યુ થયાં છે.

વિશ્વમાં બીજા ક્રમના સૌથી અસરગ્રસ્ત દેશ બ્રાઝિલમાં સંક્રમિતોની કુલ સંખ્યા 18 લાખ 64 હજાર 681 છે અને કુલ મૃત્યુ 72,100 છે.

કોરોના વાઇરસનો પ્રકોપ વધતા દક્ષિણ આફ્રિકાએ આલ્કોહોલ શૉપ બંધ કરવાનો અને રાત્રિ કર્ફ્યુનો આદેશ આપ્યો છે. દક્ષિણ આફ્રિકામાં 4000 લોકોનાં મૃત્યુ થયા છે અને સરકારનો અંદાજ વર્ષના અંત સુધી 50 હજાર લોકોનાં મૃત્યુ થઈ શકે તેવો છે.

ભારત લગભગ સાડા આઠ લાખ દરદીઓ સાથે વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી વધુ સંક્રમિતો ધરાવતો દેશ છે. કુલ સંક્રમિતોની યાદીમાં ત્યાર પછીના ક્રમે રશિયા, પેરુ, ચિલી અને મેક્સિકો છે.

ભારતની આજની સ્થિતિ

પૂણેમાં 24 કલાકમાં જ કોરોના સંક્રમણના નવા 1088 કેસ નોંધાયા જે પૂણેમાં અત્યાર સુધી નોંધાયેલો સૌથી ઊંચો દૈનિક આંક છે. આ સાથે પૂણેમાં અત્યાર સુધીના સંક્રમિતોની કુલ સંખ્યા 38,502 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં વધુ 39 સંક્રમિતોના મૃત્યુ થતા કુલ મૃત્યુ આંક 1,075 થઈ ગયો છે.

મુંબઈમાં કોરોના વાઇરસ મહામારીથી વધુ 44 સંક્રમિતોના મૃત્યુ થતાં કુલ મરણાંક 5.285 થઈ ગયો છે. પાછલા 24 કલાકમાં મુંબઈમાં કોરોના સંક્રમણના નવા 1263 કેસ નોંધાયા જે સાથે સંક્રમિતોની કુલ સંખ્યા મુંબઈમાં 92,720 થઈ છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર મહારાષ્ટ્રમાં સંક્રમિતોની કુલ સંખ્યાનો આંક અઢી લાખને પાર થઈ ગયો છે. ગઈકાલે રાજ્યમાં નવા 7,827 કેસ સાથે સંક્રમિતોનો કુલ આંક 2 લાખ 54 હજાર 427 થઈ ગયો છે એમ રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા જણાવે છે. પાછલા 24 કલાકમાં 173 વધુ સંક્રમિતોના મૃત્યુ સાથે કુલ મૃત્યુ આંક 10,289 થઈ ગયો છે.

દિલ્હીમાં નવા 1,573 સંક્રમિતો નોંધાયા જે સાથે અહીં સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 12 હજાર 494 થઈ છે. પાછલા 24 કલાકમાં દિલ્હીમાં વધુ 37 સંક્રમિતોના મૃત્યુ થતા દિલ્હીમાં મહામારીનો કુલ મરણાંક 3,371 થયો છે.

કર્ણાટક સરકારમાં મંત્રી સીટી રવિ કોરોનાથી સંક્રમિત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે જો કે તેમનાં પત્ની અને સ્ટાફ સભ્યોનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે.

સોમવાર, 13 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

રશિયાનો દાવો, કોરોનાની રસીનું કર્યું સફળ પરીક્ષણ - 12 જુલાઈની અપડેટ

રશિયાની સેકનોફ યુનિવર્સિટીએ વૉલન્ટિયર્સ પર કોવિડ-19ની રસીના સફળ પરીક્ષણનો દાવો કર્યો છે.

રશિયાની સમાચાર એજન્સી તાસ સાથે વાત કરતાં ચીફ રિસર્ચર્સ ઈલીના સ્મૉલયુારચુકે કહ્યું છે કે શોધનાં પરિણામ જણાવે છે કે વૅક્સિન અસરકારક છે.

તેમણે કહ્યું, "શોધ પૂર્ણ થઈ ગઈ છે અને સાબિત થયું છે કે આ દવા સુરક્ષિત છે. વૉલન્ટિયર્સને 15 જૂલાઈ અને 20 જુલાઈએ ડિસ્ચાર્જ કરી દેવાશે." ઈલીના સેકનોફ યુનિવર્સિટીમાં ક્લિનિકલ રિસર્ચ અને મેડિકેશન્સનાં પ્રમુખ છે.

યુનિવર્સિટીમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ વૉલન્ટિયરોને દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ વૅક્સિન 18 સ્વયંસેવકોના પ્રથમ સમૂહને 18 જૂને આપવામાં આવી હતી, જ્યારે બીજા સમૂહને 23 જૂને આપવામાં અપાઈ હતી.

ભારતમાં રશિયન દૂતાવાસે આ સંબંધમાં ટ્વીટ કરતાં આને કોવિડ-19 વિરુદ્ધની દુનિયાની પ્રથમ રસી ગણાવી છે.

આ દરમિયાન ભારતમાં બનેલી વૅક્સિનની ટ્રાયલ પણ ચાલી રહી છે. બ્રિટનની ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં બનેલી વૅક્સિન પણ પરીક્ષણના તબક્કામાં છે. તેનાં પ્રાંરભિણ પરિણામો પણ ઉત્સાહવર્ધક રહ્યાં છે.

ગુજરાતમાં ચેપગ્રસ્તનો આંકડો 41,906, 2,047 મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 879 નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક 41,906 થઈ ગયો છે. જ્યારે કુલ મૃતાંક 2,047 થઈ ગયો છે.

આ દરમિયાન 29,198 દરદીઓ સારવાર બાદ સાજા થઈ ગયા છે.

અનુપમ ખેરના પરિવારજનો ને ચેપ

અભિનેતા અનુપમ ખેરનાં પરિવારજનોનો કોરોના વાઇરસ સંક્રમણનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

આ અંગે અનુપમ ખેરે વીડિયો ટ્વીટ કર્યો છે.

વીડિયોમાં તેમણે માહિતી આપી છે કે તેમનાં માતાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

આ પછી અનુપમ ખેર અને તેમના ભાઈએ પણ ટેસ્ટ કરાવ્યા હતા.

જેમાં તેમના ભાઈનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, જોકે અનુપમ ખેરનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે.

આ સાથે જ અનુપમ ખેરનાં ભાભી અને તેમનાં ભત્રીજીનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો છે.

અત્યાર સુધીની કોરોના અપડેટ

વિશ્વમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 1.26 કરોડ નજીક પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી આ વાઇરસના લીધે 5 લાખ 64 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત અમેરિકામાં 32 લાખથી વધુ લોકોને આ વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે અને 1 લાખ 34 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.

બ્રાઝિલમાં ચેપગ્રસ્તનો આંકડો 18 લાખને પાર થઈ ગયો છે, જ્યારે અહીં વાઇરસના લીધે 71,469 લોકોનો જીવ જતો રહ્યો છે.

ભારતમાં આઠ લાખ 20 હજાર લોકો આ વાઇરસની ઝપેટમાં આવી ગયા છે. શુક્રવારે દેશમાં કોરોનાના 27,114 મામલા સામે આવ્યા હતા. જે કોઈ એક દિવસમાં સામે આવેલી અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ સ્વીકાર્યું છે કે દેશમાં કોરોનાનું સક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જોકે, એમનું કહેવું છે કે દેશ વધુ એક વખત લૉકડાઉન લાદવાનું જોખમ લઈ શકે એમ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત માસ્ક સાથે દેખાયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ અગાઉ અનેક વાર માસ્ક પહેરવાનો ઇન્કાર કરી ચૂક્યા હતા, તેઓ શનિવારે પહેલી વખત માસ્ક પહેરીને જતા દેખાયા હતા.

સમાચાર એજન્સી એએનઆઈની માહિતી અનુસાર 'ધ હિલ'ના અહેવાલ પ્રમાણે ટ્રમ્પ ઘાયલ સૈનિકોની મુલાકાત લેવા વૉલ્ટર રીડ પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે માસ્ક પહેર્યો હતો.

વિમાનમાં સવાર થતાં પહેલાં ટ્રમ્પે કહ્યું કે "હું ક્યારેય માસ્ક પહેરવાના વિરોધમાં નહોતો, પણ યોગ્ય સમય અને જગ્યાએ તે પહેરવા જોઈએ એમ હું ચોક્કસ માનું છું."

બીજી તરફ અમેરિકામાં કોરોના મહામારીનો મૃત્યુઆંક એક લાખ 34 હજારને પાર પહોંચ્યો છે.

ભારતમાં 24 કલાકમાં નવા 28,637 કેસ

પાછલા 24 કલાકમાં દેશમાં નવા 28,637 કેસ નોંધાતાં સંક્રમિતોનો કુલ આંક આઠ લાખ 49 હજાર 553 થઈ ગયો છે.

આ સાથે જ દેશમાં 551 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે, આ સાથે કુલ મૃત્યુઆંક 22,674 પર પહોંચ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને આપેલા આંકડા અનુસાર દેશમાં હાલ બે લાખ 92 હજાર 258 ઍક્ટિવ કેસ છે.

જ્યારે સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા પાંચ લાખ 34 હજાર 621 પર પહોંચી છે.

સંક્રમિત દર્દીના મૃતદેહને રિક્ષામાં લઈ જવાયો

તેલંગણામાં નિઝામાબાદ સરકારી હૉસ્પિટલમાંથી કોવિડ-19ના એક દર્દીના મૃતદેહને ઑટોરિક્ષામાં લઈ જવાતો હોવાની તસવીરો સામે આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ તસવીરો સાથે આપેલી માહિતી અનુસાર હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એન રાવે કહ્યું ,"મૃત્યુ પામનાર દર્દીના એક સંબંધી જે હૉસ્પિટલમાં કામ કરે છે, તેમણે અમારી પાસે મૃતદેહની માગ કરી. તેણે ઍમ્બુલન્સ માટે રાહ ન જોઈ."

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે તેલંગણામાં અત્યાર સુધીમાં કોવિડ-19ની મહામારીને કારણે 339 લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 32,000થી વધુ છે.

રવિવાર, 12 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ભારતમાં સારવાર માટે નવી દવાને મંજૂરી

ભારતીય ડ્રગ કંટ્રોલર સંસ્થા સીડીએસસીઓએ ચર્મરોગ સોરાઇસિસની સારવારમાં ઉપયોગી 'આઇલાઇઝોમેવ' દવાને કોરોના વાઇરસની સારવારમાં ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી દીધી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈના મતે આ અનુમતિ આપતી વખતે એવું પણ કહેવાયું છે કે દવાનો ઉપયોગ માત્ર ઇમરજન્સીની સ્થિતિમાં જ કરવાનો રહેશે અને તેના ઉપયોગ પહેલાં દરદીનો લિખિત સ્વીકૃતિપત્ર પણ મેળવવો પડશે.

સંસ્થા સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું છે, "ભારતમાં કોવિડ-19ના દરદીઓ પર આ દવાની ક્લિનિકલ ટ્રાયલ કરાઈ છે. ઍમ્સના પ્લ્મનૉલૉજિસ્ટ, ફાર્માકૉલૉજિસ્ટ, મેડિસન એક્સપર્ટ સહિત અન્ય વિશેષજ્ઞોની એક સમિતિને આ દવા શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા કોવિડ-19ના દરદીઓમાં સાયટોકાઇન રિલીઝ સિન્ડ્રોમની સારવારમાં યોગ્ય જણાઈ છે. એ બાદ આ દવાને મંજૂરી અપાઈ છે."

WHOએ ધારાવીમાં કોવિડ-19ને અટકાવવાના પગલાની પ્રશંસા કરી

WHOએ મુંબઈના ગીચ સ્લમ વિસ્તાર ધારાવીમાં ફેલાયેલા કોરોના વાઇરસના સંક્રમણની રોકથામ માટે લેવાયેલાં પગલાંની પ્રશંસા કરી છે.

WHOએ કહ્યું કે માત્ર રાષ્ટ્રીય એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના સાથે લેવાયેલાં આકરાં પગલાં જ આ મહામારીના સમયને બદલવામાં મદદ કરી શકશે.

સમાચાર સંસ્થા એઅનઆઈના અહેવાલ અનુસાર WHOના વડા ટેડ્રોસ એધૅનોમ ગેબ્રેયિસસે કહ્યું, "વિશ્વભરમાંથી એવાં ઉદાહરણો મળી રહ્યાં છે, જેણે બતાવ્યું કે ભલે મહામારી ઘણી તીવ્ર હોય તેમ છતાં તેને કાબૂમાં લાવી શકાય છે."

"આમાંનાં કેટલાંક ઉદાહરણો ઇટાલી, સ્પેન, દક્ષિણ કોરિયા અને મહાનગર મુંબઈના ગીચ વિસ્તાર ધારાવીમાંથી પણ મળ્યાં છે, જેમકે ટેસ્ટિગ, ટ્રેસિંગ, આઇસોલેટિંગ અને સારવાર."

"સંક્રમણની ચૅઇન તોડવા માટેના આ કેટલાંક મુખ્ય પગલાં છે."અહેવાલ પ્રમાણે મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવીમાં ગુરુવારે વધુ 9 સંક્રમિતો નોંધાતા ધારાવીમાં સંક્રમિતોનો કુલ આંક 2,347 થયો હતો.

બ્રાઝિલમાં સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકા બાદ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત બ્રાઝિલમાં સંક્રમિતોની સંખ્યા 18 લાખના આંકડાને પાર થઈ ગઈ છે.

અહીં કોરોના વાઇરસથી મરનારનો આંકડો 70 હજારથી વધુ થઈ ગયો છે.

એ સાત દેશ જ્યાં કોરોના વાઇરસને કારણે સૌથી વધુ મૃત્યુ થયાં છે.

અમેરિકા- 133,969 મૃત્યુ

બ્રાઝિલ - 70,398 મૃત્યુ

બ્રિટન - 44,735 મૃત્યુ

ઇટાલી- 34,938 મૃત્યુ

મેક્સિકો - 33,526 મૃત્યુ

ફ્રાન્સ - 30,007 મૃત્યુ

સ્પેન - 28,403 મૃત્યુ

એક દિવસમાં રેકર્ડ 2,28,102 કેસ નોંધાયા

વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં દુનિયામાં કોરોના વાઇરસના 2,28,102 તાજા કેસ નોંધાયા છે.

સંગઠનના પ્રમાણે સંક્રમણના સૌથી વધારે કેસ અમેરિકા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકામાં નોંધાયા છે.

આ પહેલાં એક દિવસમાં સૌથી વધારે કેસ ચાર જુલાઈએ નોંધાયા હતા. જ્યારે 24 કલાકની અંદર કોરોના વાઇરસના સંક્રમણના 2,12,326 કેસ સામે આવ્યા છે.

જોહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ પ્રમાણે હજી સુધી દુનિયાભરમાં 1.237 કરોડ લોકો કોરોના વાઇરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.

કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકામાં સંક્રમણના 31.58 લાખ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 1,33,777 લોકોનાં મૃત્યુ કોરોનાથી થઈ ચૂક્યા છે.

શનિવાર, 11 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ગુજરાતમાં 24 કલાકમાં 875 કેસનો ઉછાળો

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં રાજ્યમાં 875 નવા સંક્રમિતો સામે આવ્યા છે જે અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલી સંક્રમિતોની સૌથી વધુ દૈનિક સંખ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં 14 સંક્રમિતોનાં મૃત્યુ સાથે રાજ્યમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 2024 થયો છે.

પાછલા 24 કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 269 સંક્રમિતો નોંધાયા. અમદાવાદમાં 165, વડોદરામાં 69 અને રાજકોટમાં 39 સંક્રમિતો નોંધાયા છે. આમ 875 કેસો પૈકી 542 કેસો મોટાં શહેરોમાં છે અને એ રીતે શહેરોની બહાર કેસોની સંખ્યા 333 થઈ છે.

રાજ્યસરકારના આંકડા પ્રમાણે અમદાવાદમાં 5, સુરત જિલ્લામાં 4 મૃત્યુ નોંધાયા. જ્યારે ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, મહેસાણા અને અરવલ્લીમાં પણ 1-1 સંક્રમિતનું મૃત્યુ થયું.

સમાચાર સંસ્થા પીટીઆઈ પ્રમાણે આ સાથે રાજ્યમાં સંક્રમિતની કુલ સંખ્યા 40,155 થઈ ગઈ છે. રાજ્યમાં હાલ ઍક્ટિવ કેસ 9948 છે.

દેશમાં કોરોના મહામારીનો મૃત્યુદર ઘટીને 2.72 ટકા થયો - સ્વાસ્થય મંત્રાલય

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના મહામારીમાં મૃત્યુ દર ઘટીને 2.72 ટકા થયો છે જે વિશ્વના ઘણા દેશોના દર કરતાં ઓછો છે.

પૂણે, પીંપરી-ચિંચવાડ અને પૂણેના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં 13 જુલાઈથી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન અમલમાં લવાયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર પૂણેના ડિવિઝનલ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે કેટલીક આવશ્યક સેવાઓ જેવી કે ડેરી, મેડિકલ સ્ટોર્સ અને હૉસ્પિટલ સિવાય તમામ દુકાનો બંધ રાખવાના આદેશ અપાયા છે.

પીટીઆઇ પ્રમાણે મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં સંપૂર્ણ લૉકડાઉનને 19 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોવિડ-19 મહામારીના સમયમાં પરીક્ષાઓ લેવી અયોગ્ય છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર રાહુલ ગાંધીએ UGCની ટીકા કરતા કહ્યું કે UGCએ વિદ્યાર્થીઓ અને શિક્ષાવિદોનો અવાજ સાંભળવો જોઈએ અને પરીક્ષાઓ રદ કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે પાછલા મેરિટના આધારે વિદ્યાર્થીઓને આગળ વધારી દેવા જોઇએ.

ગુજરાતમાં આરોગ્ય સચિવ જંયતી રવિની માફીની માગ

રાજ્યના ડૉકટર્સે સુરતમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારી મામલે રાજ્યના આરોગ્ય સચિવે આપેલા નિવેદન મામલે વિરોધ નોંધાવ્યો છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના નેજા હેઠળ રાજ્યના તબીબોએ એક પત્ર લખી આરોગ્ય સચિવ જયંતી રવિ તેમનું નિવેદન પુરવાર કરે અથવા તેને પાછું ખેંચી દિલગીરી વ્યક્ત કરે તેવી માગણી કરી છે અને જો માગણી નહીં સ્વીકારાય તો પ્રતીકાત્મક આંદોલન કરવાની વાત કહી છે.

પત્રમાં કહેવાયું છે કે ગઈ કાલે સુરતમાં કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારી મામલે થયેલી પત્રકારપરિષદમાં રાજ્યના આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જરૂર ન હોય તો પણ ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ઉપયોગ કરાતો હોવાથી સુરતમાં ઇન્જેક્શનની અછતની સ્થિતિ ઊભી થઈ છે એમ કહી તબીબો પર ઇન્જેક્શનના દુરૂપયોગનો જે ગંભીર આરોપ લગાવ્યો છે તેને કારણે તબીબોમાં રોષની લાગણી છે.

પત્ર દ્વારા તબીબોએ એમ પણ પૂછ્યું કે ટોસિલિઝમેબ ઇન્જેક્શનની સંપૂર્ણ વિતરણ વ્યવસ્થા સરકાર પાસે છે તો તબીબો કઈ રીતે જવાબદાર છે?

અમેરિકામાં એક જ દિવસમાં 65 હજાર નવા કેસ

કોરોના વાઇરસ મહામારીને કારણે વિશ્વભરમાં મૃત્યુનો આંક સાડા પાંચ લાખને પાર થઈ હવે 5 લાખ 55 હજાર 166 થઈ ગયો છે, એમ અમેરિકાની જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશ-બૉર્ડ પર આજે બપોરે 1 વાગ્યાની અપડેટ જણાવે છે.

વિશ્વભરમાં હવે કોરોના વાઇરસથી સંક્રમિત દરદીઓની સંખ્યા 1 કરો 22 લાખ 072 હજાર 098 પર પહોંચી ચૂકી છે.

આ મહામારીથી વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા 31 લાખને પાર પહોંચી ગઈ છે. અમેરિકામાં પાછલા 24 કલાકમાં જ 65,000થી વધુ મામલા નોંધાયા છે જે અત્યાર સુધી નોંધાયેલો સંક્રમણનો નવો દૈનિક વિક્રમી આંક છે. અમેરિકામાં સંક્રમિતોના મૃત્યુની કુલ સંખ્યા 1 લાખ 33 હજારથી પણ વધુ થઈ ગઈ છે.

કોરોના મહામારીથી વિશ્વના બીજા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બ્રાઝિલમાં મૃત્યુ આંક 69,184 છે, બ્રાઝિલમાં સંક્રમિતોની કુલ સંખ્યા 17 લાખ 50 હજારને પાર થઈ ચૂકી છે.

ભારત 7 લાખ 93 હજાર 802 કુલ કેસોની દૃષ્ટિએ વિશ્વનો ત્રીજો અસરગ્રસ્ત દેશ છે. ત્યાર પછીના ક્રમે રશિયા, પેરુ, ચિલી, યૂકે, મેકિસકો, સ્પેન, ઇરાન અને પાકિસ્તાન આવે છે.

જોકે, સંક્રમિતોના કુલ મૃત્યુની દૃષ્ટિએ અમેરિકા અને બ્રાઝિલ પછી યુકે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. યુકેમાં કોરોના મહામારીથી અત્યાર સુધી 44,000થી વધુ મૃત્યુ થયાં છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 26 હજારથી વધુ કેસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,506 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં કોરોના સંક્રમણના નોંધાયેલા કેસોનો સૌથી મોટો આંકડો છે.

મંત્રાલયના અધિકારીઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 475 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં સંક્રમણના કુલ કેસની સાત લાખ 93 હજાર 802 થઈ ગયા છે. જેમાંથી બે લાખ 76 હજાર 685 દર્દી ઍક્ટિવ કેસ છે.

જ્યારે ચાર લાખ 95 હજાર 513 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21,604 લોકોનાં મૃત્યુ થયાં છે.

વિશ્વમાં સાડા પાંચ લાખનાં મોત

જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી ડૅશબોર્ડ પ્રમાણે દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિતોનો કુલ આંક 1.2 કરોડને વટાવી ચૂક્યો છે.

બીજી તરફ આ વાઇરસને લીધે પાંચ લાખ 50 હજારથી વધારે લોકોનાં મોત થયાં છે.

કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધારે કેસ અમેરિકામાં છે, જ્યાં અત્યાર સુધીમાં 30 લાખ કરતાં વધારે લોકો વાઇરસની ઝપેટમાં આવ્યા છે અને 1.32 લાખ લોકો મોતને ભેટ્યા છે.

કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં બીજા ક્રમે બ્રાઝિલ છે.

શુક્રવાર, 10 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

ગુજરાતમાં મૃત્યુઆંક બે હજારને પાર

ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોવિડ-19ના રેકર્ડ 861 નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ઍક્ટિવ કેસની સંખ્યા નવ હજાર 528 પર પહોંચી ગઈ છે, જેમાં 72 કેસ વૅન્ટિલેટર ઉપર, જ્યારે 9,456 કેસ સામાન્ય અવસ્થામાં છે.

આ ગાળા દરમિયાન વધુ 429 કેસ સાજા થતાં, ડિસ્ચાર્જ થયેલાં દરદીઓની સંખ્યા 27 હજાર 742 પર પહોંચી ગઈ છે.

વધુ 15 પેશન્ટના મૃત્યુ થતાં કુલ મૃત્યુ આંક 2,010 ઉપર પહોંચી ગયો છે. આ ગાળામાં અમદાવાદ જિલ્લામાં પાંચ, સુરત જિલ્લામાં છ; અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને ભરૂચ જિલ્લામાં એક-એક મૃત્યુ થયાં હતાં.

સુરતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 200ને પાર કરી ગઈ છે.

ગુજરાતમાં બે લાખ 95 હજાર 749 લોકો હોમક્વોરૅન્ટીન છે, જ્યારે બે હજાર 989 ફૅસિલિટી (સરકારી અને ખાનગી)માં દાખલ છે. રાજ્યમાં અત્યારસુધી કુલ ચાર લાખ 41 હજાર 692 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

'ભારતમાં દર 10 લાખે મૃત્યુ ઓછાં'

ગુરુવારે લગભગ 20 દિવસ બાદ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે દેશમાં પ્રવર્તમાન કોવિડ-19ની સ્થિતિ અંગે મીડિયાને સંબોધિત કર્યું હતું.

મંત્રાલયના કહેવા પ્રમાણે, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પાંચ દેશોમાં દર 10 લાખે સરેરાશ કેસ તથા મૃત્યુની દૃષ્ટિએ ભારતની સ્થિતિ સારી છે.

ભારતમાં દર 10 લાખે સરેરાશ 538 કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 15 મૃત્યુ થયાં છે. જ્યારે વૈશ્વિક સરેરાશ 1,453 છે અને મૃત્યુની સરેરાશ 68.7 છે.

જોકે, ભારતમાં ટેસ્ટિંગ પણ ઓછું થયું છે. દેશે એક કરોડ ટેસ્ટનો આંકડો ગયા અઠવાડિયે પાર કર્યો હતો. ICMRના સિનિયર સાયન્ટિસ્ટ નિવેદિતા ગુપ્તાના કહેવા પ્રમાણે, દેશમાં દરરોજ સરેરાશ 60 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં ઍન્ટિજન ટેસ્ટ ટેકનૉલૉજી દ્વારા પરીક્ષણ હાથ ધરવામાં આવશે, જેથી કરીને વધુ ટેસ્ટ થઈ શકશે.

ભારતની વસતિ 130 કરોડ કરતાં વધુ છે અને અત્યારસુધીમાં કુલ સાડા સાત લાખ કરતાં વધુ લોકોને તેનો ચેપ લાગી ચૂક્યો છે, જ્યારે મૃતકોની સંખ્યા 21 હજારને પાર કરી ગઈ છે.

સ્વદેશી રસી ઉપર કામ ચાલુ

આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ઓફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી રાજેશ ભૂષણે જણાવ્યું : "દેશમાં કોરોનાની વૅક્સિન ઉપર કામકાજ ચાલુ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે મળીને ભારત બાયૉટેક ઇન્ટરનેશનલ લિમિટેડ તથા કૅડિલા હેલ્થકેર દ્વારા બે સ્વદેશી રસીનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે."

"આ બંને રસીનું પશુઓ ઉપરનું પરીક્ષણ પૂર્ણ કરી લેવાયું છે, હવે તેના હ્યુમન પરીક્ષણની તજવીજ હાથ ધરવામાં આવી છે."

વિગત દિવસોમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તે સ્વતંત્રતા દિવસે તા. 15મી ઑગસ્ટે ભારત દ્વારા કોરોના વાઇરસની સ્વદેશી વૅક્સિન લૉન્ચ કરી દેવામાં આવશે, જોકે નિષ્ણાતો આ દાવા ઉપર શંકા વ્યક્ત કરે છે.

દુનિયાભરમાં અત્યારે કોવિડ-19 સંદર્ભે 100 જેટલી રસી ઉપર સંશોધન ચાલુ છે.

24 કલાકમાં 24 હજાર કેસ

ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ફરી એક વખત કોરોના વાઇરસના સંક્રમણના કેસોનો નવો રેકર્ડ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 24,879 મામલા નોંધાયા છે અને 487 લોકોનાં મોત થયાં છે.

નવા કેસને ઉમેર્યા બાદ ભારતમાં સંક્રમણના કુલ કેસ વધીને સાત લાખ 67 હજાર 296 થઈ ગયા છે.

જેમાંથી બે લાખ 69 હજાર 789 ઍક્ટિવ કેસ છે, એટલે કે આ લોકોમાં સંક્રમણનાં લક્ષણો હજુ પણ દેખાઈ રહ્યાં છે.

ચાર લાખ 76 હજાર 378 લોકો સંક્રમણથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે અને હૉસ્પિટલમાંથી પણ રજા આપી દેવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય મુજબ આ મહામારી ભારતનો મૃત્યુઆંક 21,129 પર પહોંચી ગયો છે.

ગુરુવાર, 9 જુલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

અમેરિકામાં એક દિવસમાં જ 60 હજાર કેસ નોંધાયા

અમેરિકામાં મંગળવારે કોરોના વાઇરસના સંક્રમણના વિક્રમજનક 60 હજાર કેસ નોંધાયા. જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના મતે આ એક વિક્રમ છે.

આ પહેલાં અમેરિકામાં બીજી જૂને એક જ દિવસમાં સૌથી વધુ 55,220 કેસ સામે આવ્યા હતા.

કૅલિફોર્નિયા અને ટૅક્સાસ જેવાં પ્રાંતમાં એક દિવસમાં દસ-દસ હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

જોકે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે દેશ વાઇરસને લઈને સારી સ્થિતિમાં છે.

બીજી બાજુ, અમેરિકામાં ટોચના મહામારી રોગવિશેષજ્ઞ અને વ્હાઇટ હાઉસમાં કોરોના વાઇરસની બાબતના સલાહકાર ડૉ. ઍન્થની ફાઉચીએ કહ્યું હતું કે અમેરિકામાં હજુ પણ કોરોના વાઇરસના સંક્રમણના પ્રથમ તબક્કામાં સ્થિતિ વધુ ગંભીર બનશે.

વિશ્વમાં કોરોના વાઇરસની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી રહી છે. અત્યાર સુધી અહીં 30 લાખથી વધુ લોકોને ચેપ લાગી ચૂક્યો છે. જ્યારે એક લાખ 31 હજારથી વધુ મૃત્યુ થઈ ચૂક્યાં છે.

શું વાઇરસ માનવમગજને પણ અસર કરે છે?

કોરોના વાઇરસને લઈને નવી મુશ્કેલીઓ તરફ વૈજ્ઞાનિકોએ ધ્યાન દોર્યું છે. વૈજ્ઞાનિકોના મતે કોરોના વાઇરસને લીધે મગજમાં એવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે કે જેની સારવાર શક્ય નહીં હોય.

યુનિવર્સિટી કૉલેજ લંડનના રિસર્ચરોને કોવિડ-19ના દરદીઓનાં મગજમાં ગંભીર સમસ્યાઓ જોવા મળી છે. આ દરદીઓનાં મગજમાં સોજો જોવા મળ્યો છે અને તેમનામાં મનોવિકૃતિ તેમજ બકવાટ કરવાની આદત પણ જોવા મળી છે.

આ અભ્યાસ અનુસાર દરદીનું મગજ કામ કરવાનું બંધ કરી શકે છે. એમને હુમલો આવી શકે છે. આ ઉપરાંત મગજની નસોને પણ નુકસાન થઈ શકે છે અને મગજની બીજી મુશ્કેલીઓ પણ જોવા મળી શકે છે.

આ કૉલેજના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુરોલૉજીના ડૉક્ટર માઇકલ ઝાંડીએ જણાવ્યું, "કોરોનાને લીધે મોટા પાયે લોકોનાં મગજને નુકસાન થઈ શકે છે. એવું પણ શક્ય છે કે 1918ની સ્થિતિ સર્જાય. સ્પેનિશ ફ્લૂ બાદ 1920 અને 1930ના દાયકામાં માનસિક તાવ ઇન્સેફેલાઇટિસનો પ્રકોપ જોવા મળ્યો હતો.."

બીબીસીના મેડિકલ સંવાદદાતા ફર્ગ્યૂસ વાલ્શે હાલમાં જ અહેવાલ લખ્યો છે, જેમાં તેમણે કોરોના વાઇરસને પગલે કેટલાય પ્રકારની ન્યુરોલૉજીકલ મુશ્કેલીઓ સર્જાવાની વાત કરી છે.

ફરીથી આકરું લૉકડાઉન લાદવાનો મમતા બેનરજી સરકારનો નિર્ણય

પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસના ચેપને કાબૂમાં લેવા માટે રાજધાની કોલકાતા સહિતના કેટલાય કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં નવ જુલાઈથી 14 દિવસ સુધી આકરું લૉકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે.

ગૃહસચિવ આલાપન બેનરજીએ મંગળવારે આ વાતની જાણકારી આપી. રાજ્ય સરકારની અપીલ પર કેન્દ્ર સરકારે દેશના કોરોનાગ્રસ્ત વિસ્તારોથી કોલકાતા આવનારી કે કોલકાતાથી જનારી ટ્રેનોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય 10 જુલાઈથી લાગુ થશે. જે અંતર્ગત કોલકાતાથી દિલ્હી, મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી વિશેષ દૈનિકો ટ્રેનોને હવે સપ્તાહમાં એક વખત દોડાવાશે.

રાજ્ય સરકારે કોલકતાના 19 વિસ્તારો અને માલતામાં આકરું લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ અંગે જાણકારી આપી છે.

સોમવારથી ચાર રાજ્યોનાં છ શહેરોમાં ઉડાણની અવરજવરને બે સપ્તાહ માટે અટકાવી દેવાઈ છે.

રાજ્યમાં મંગળવારે કોરોના વાઇરસના 850 નવા કેસ નોંધાયા છે. ગત 24 કલાક દરમિયાન 25 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં કુલ મૃતાંક 804 થઈ ગયો છે.

મમતા બેનરજીએ નવ જુલાઈ સાંજે પાંચ વાગ્યાથી આકરું લૉકડાઉન લાગુ કરવાના આદેશ આપ્યા છે. જેને પગલે કન્ટેઇનમૅન્ટ અને બફર ઝોન પ્રભાવિત થશે.

આ દરમિયાન તમામ સરકારી અને અંગત કાર્યાલય, બિનજરૂરી ગતિવિધિઓ, સમારંભ, પરિવહન, બજાર, ઔદ્યોગિક તેમજ વેપારી હિલચાલ બંધ રહેશે.

લૉકડાઉન વચ્ચે સોનાના ભાવ કેમ વધ્યા?

કોરોના વાઇરસ અને લૉકડાઉનના સમયમાં જ્યાં વિશ્વના અનેક દેશોનાં અર્થતંત્ર ડગમગી રહ્યાં છે, ત્યાં બીજી બાજુ સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે.

સોનાના એક તોલાના ભાવ 50 હજાર રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. પરંતુ શા કારણે સોનાના ભાવમાં આટલો વધારો થઈ રહ્યો છે?

કોરાના રાઉન્ડઅપ : દેશ દુનિયામાં ક્યા, કેટલા મામલા?

  • સ્વાસ્થય મંત્રાલય અનુસાર ભારતમાં કોવિડ-19ના સંક્રમણના કુલ 7,19,665 કેસ છે. તેમાંથી 2,59,557 સક્રિય છે અને ચેપને લીધે અત્યાર સુધીમાં 20,160 લોકોનાં મોત થયાં છે.
  • તો 4,39,948 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે. અમેરિકાની જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ પ્રમાણે વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ કેસ 1,17,98,678 પર પહોંચી ગયા છે.
  • વિશ્વમાં કુલ મોતનો આંકડો 5,43,535 પર પહોંચી ગયો છે. સંક્રમણના કુલ કેસની દૃષ્ટીએ અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત ત્રીજા નંબરે છે અને ચોથા નંબરે રશિયા છે.

વિટામિન ડી રોગપ્રતિરોધક શક્તિ વધારે?

રિસર્ચરોમાં વિટામીન ડીને લઈને બહુ શરૂઆતથી પ્રશ્નો થતા રહ્યા છે. બ્રિટિશ સરકારમાં આરોગ્ય અને પોષણને લઈને કામ કરવાવાળી સંસ્થા 'સાઇન્ટિફિક ઍડવાઇઝડરી કમિશન' અને 'ન્યૂટ્રિશન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ઍન્ડ કૅર ઍક્સલેન્સ'એ કોરોનામાં વિટામીન ડીની ભૂમિકાને લઈને રિપોર્ટ તૈયાર કર્યો છે.

અમેરિકાએ WHO સાથેનો સંબંધ ઔપચારિક રીતે તોડ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી અમેરિકાને બહાર કાઢવાની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ અંગે તેમણે મે મહિનાના અંતમાં જાહેરાત પણ કરી હતી અને WHO પર ચીનની તરફેણ કરવાનો આરોપ મૂક્યો હતો.

જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી અમેરિકાને હઠાવવાની પ્રક્રિયાને પૂર્ણ થતાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુઝારિકે આ અંગે ખરાઈ કરતાં કહ્યું છે કે અમેરિકાએ સંગઠનમાંથી હટવા અંગે જાણ કરી છે, જે 6 જુલાઈ 2021થી અમલમાં આવશે.

અમેરિકન સંસદસભ્ય અને વિદેશ મામલાની સમિતિના વરિષ્ઠ સભ્ય એવા રૉબર્ડ મેનેન્ડીઝે આની પુષ્ટિ કરી હતી.

તેમણે ટ્વીટ કર્યું હતું, "કૉંગ્રેસને માહિતી મળી છે કે અમેરિકન રાષ્ટ્રપતિના કાર્યાલયે મહામારીની વચ્ચે સત્તાવાર રીતે અમેરિકાને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી હઠાવી લીધું છે. હવેથી અમેરિકાને લોકો બીમાર અને અમેરિકા એકલું રહેશે."

બુધવાર, 8 જૂલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોને ચેપ લાગ્યો

બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝૅઅર બોલસોનારો કોરોના ચેપગ્રસ્ત થઈ ગયા છે. સોમવારે ભારે તાવ બાદ તેમણે ચોથી વાર કોરોના વાઇરસનું પરીક્ષણ કરાવ્યું હતું.

જેમાં તેઓ પૉઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે તેમણે હંમેશાં કોરોના વાઇરસનું જોખમને ઓછું આંક્યું હતું. કેટલીય વાર તેમણે કોરના વાઇરસને મામુલી ફ્લૂ ગણાવ્યો હતો. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે તેમના પર વાઇરસની કોઈ અસર નહીં થાય.

જોકે, મંગળવારે તેઓ કોરોનાગ્રસ્ત થઈ ગયા.

બોલસોનારો દેશના વિવિધ પ્રાંતોમાં લદાયેલા લૉકડાઉનને હઠાવવા માટે કરાઈ રહેલાં જાહેર પ્રદર્શનોમાં પણ સામેલ થઈ ચૂક્યા છે.

પોતાનાં નિવેદનોમાં તેઓ ભલે કોરોના વાઇરસની અસરને હળવાશમાં લેતા હોય પણ કોરોનાએ સમગ્ર બ્રાઝિલને પોતાની ઝપેટમાં લઈ લીધું છે.

સોમવાર સુધી બ્રાઝિલમાં 16 લાખથી વધુ લોકો કોરોનાગ્રસ્ત હતા. જ્યારે દેશમાં અત્યાર સુધી 65 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.

કોરોના સંક્રમિત થયા એ પહેલાં સોમવારે કાયદામાં ફેરબદલ કરતાં તેમણે બ્રાઝિલમાં જાહેરસ્થળોએ માસ્ક પહેરવો ફરજિયાત કરી દીધો હતો.

આ પહેલાં સ્થાનિક નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાંય જાહેર આયોજનોમાં તેઓ માસ્ક પહેર્યા વગર પહોંચી ગયા હતા.

ગુજરાતમાં એક જ દિવસમાં વિક્રમજનક કેસો નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 778 કેસો નોંધાયા છે, જે એક જ દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી વધુ કેસો છે.

જ્યારે આ સમય દરિયાન વધુ 17 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓનો આંકડો 37636 થઈ ગયો છે, જ્યારે મૃતાંક 1,979 થઈ ગયો છે.

કોરોના અપડેટ : હવામાં વાઇરસના ફેલાવા પર WHOએ શું કહ્યું?

વિશ્વા સ્વાસ્થ્ય સંગઠન(WHO) નું કહેવું છે કે સાર્સ-કોવિડ-2 વાઇરસ કે જે લોકોમાં કોવિડ-19ની બીમારીનું કારણ બને છે, એ મુખ્ય રીતે ચેપગ્રસ્ત વ્યક્તિનાં નાક અને મોંમાંથી નીકળતાં સુક્ષ્મ ટીપાંના માધ્યમથી ફેલાય છે.

જોકે, 'ક્લિનકલ ઇન્ફેક્શનિયસ ડિસીઝ જર્નલ'માં સોમવારે પ્રકાશિત એક જાહેર પત્રમાં 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ એ વાતનાં પ્રમાણ આપ્યાં છે કે આ એક ફ્લૉટિંગ વાઇરસ છે, જે હવામાં રહી શકે છે અને શ્વાસ લેતી વખતે લોકોને ચેપ લગાડી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને લખાયેલા આ પત્રમાં વૈજ્ઞાનિકોએ વિનંતી કરી છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ કોરોના વાઇરસના આ પાસા પર ફરી એક વાર વિચાર કરવો જોઈએ અને નવા દિશાનિર્દેશો જાહેર કરવા જોઈએ.

સંગઠનના પ્રવક્તા તારીક જસારેવિકે કહ્યું છે કે 'સંસ્થા આ લેખથી અવગત છે અને પોતાના તકનીકી વિશેષજ્ઞો સાથે આ સામગ્રીની સમીક્ષા કરી રહી છે.'

કોરોના વાઇરસ હવામાં કઈ રીતે ફેલાય છે એ હજુ સુધી સ્પષ્ટ નથી. જોકે, આવું થયું તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વાઇરસથી બચાવ માટે અત્યાર સુધી અપાયેલાં સૂચનોમાં મોટા ફેરબદલ કરવા પડશે.

સંગઠન અનુસાર લોકો વચ્ચે ઓછામાં ઓછું 3.3 ફૂટનું અંતર કોરોના વાઇરસના સંક્રમણને અટકાવી શકે છે અને તે પોતાની જૂની સમજને આધારભૂત અને સાચી ગણી રહ્યું છે.

કોરોના વાઇરસની ભારતમાં શું સ્થિતિ?

ભારતમાં પાછલા 24 કલાકમાં સંક્રમણના નવા 22,252 કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા 7 લાખને પાર થઈ ગઈ છે.

સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા હવે 7 લાખ 19 હજાર 665 થઈ છે. પાછલા 24 કલાકમાં 467 સંક્રમિતોનાં મૃત્યુ થયાં. આ સાથે દેશમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 20,160 થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં હાલ 2 લાખ 59 હજાર 557 ઍક્ટિવ કેસ છે. સારવાર બાદ સ્વસ્થ થયેલા સંક્રમિતોની સંખ્યા 4 લાખ 39 હજાર 948 છે.

એએનઆઈએ આપેલા ICMRના આંકડા પ્રમાણે દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસની તપાસ માટે 2 લાખ 41 હજાર 430 પરીક્ષણ કરવામાં આવ્યાં છે.

ઑનલાઇન ભણનારાં વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં નહીં રહી શકે

હવે એ વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં રહેવાની પરવાનગી નહીં મળે જેમની યુનિવર્સિટીઓમાં વર્ગો સંપૂર્ણ રીતે ઑનલાઇન થઇ ગયા છે.

અમેરિકાની ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ એજન્સીએ કહ્યું છે કે આવા વિદ્યાર્થીઓના વીઝા પણ પરત લઈ લેવાશે.

એજન્સીનું કહેવું છે કે જો વિદ્યાર્થી નવા નિયમોનું ઉલ્લંઘન કરતા જણાયાં તો એમને એમનાં દેશ પરત મોકલી દેવાઈ શકે છે.

અમેરિકામાં અનેક જાણીતી યુનિવર્સિટીઓએ કોરોના વાઇરસ મહામારીને કારણે પોતાના વર્ગો સંપૂર્ણ રીતે ઑનલાઇન કરી દીધાં છે. અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ પોતાના તમામ વર્ગો ઑનલાઇન કરવાની જાહેરાત કરી હતી.

જોકે, નવી પ્રવાસન નીતિથી કેટલી મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓને અસર થશે એ હજી સુધી સ્પષ્ટ નથી. આ નવી જાહેરાત પછી હવે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ ગઈ છે.

ભારતની આજની સ્થિતિ

સમાચાર એજન્સી એએનઆઈની માહિતી પ્રમાણે પૂણેના કોંઢાવામાં પૂણે મહાનગરપાલિકાના ક્વોરૅન્ટીન સેન્ટરમાં એક 60 વર્ષના કોરોના પૉઝિટિવ દરદીઓ આત્મહત્યા કરી લીધી. આ વ્યક્તિ અને તેનો પુત્ર કોરોના પૉઝિટિવ આવતા અહીં દાખલ કરાયા હતા. પૂણે પોલીસ પ્રમાણે આત્મહત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી.

પીટીઆઈ પ્રમાણે દિલ્હીમાં સંક્રમિતોનો કુલ આંક 1 લાખને પાર. પાછલા 24 કલાકમાં 1,379 નવા સંક્રમિતો નોંધાયા. દિલ્હીમાં મૃત્યુનો કુલ આંક 3,115 થયો.

મુંબઈમાં કોરોના સંક્રમણના નવા 1201 કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા અહીં 85,326 થઈ છે. સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલા બીએમસીના આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં 39 સંક્રમિતોના મૃત્યુ થતાં મુંબઈમાં કુલ મૃત્યુ આંક 4,935 થઈ ગયો છે.

મુંબઇ મહાપાલિકાના આંકડા પ્રમાણે મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવીમાં સંક્રમણના વધુ 11 કેસ મળતા ધારાવીમાં અત્યાર સુધીના સંક્રમિતોની કુલ સંખ્યા 2,334 થઈ છે.

મહારાષ્ટ્રમાં નવા 5,368 કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 2 લાખ 11 હજાર 987 પર પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે પાછલા 24 કલાકમાં 204 સંક્રમિતોના મૃત્યુ થતાં કુલ મૃત્યુ આંક 9,206 પર પહોંચ્યો છે.

સાઉદી અરેબિયાએ હજ માટે પસંદગી પ્રક્રિયા જાહેર કરી

આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણને કારણે સાઉદી અરબે હાજીઓની સંખ્યા સીમિત કરી દીધી છે. આ સંખ્યામાં પણ કોણ-કોણ હશે એને લઈને પસંદગી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે.

સાઉદી અરેબિયાની સરકારી ન્યૂઝ એજન્સી સાઉદી પ્રેસ અનુસાર હાજી અને ઉમરા મંત્રાલયે હાજીઓની પસંદગી પ્રક્રિયાની ઘોષણા કરી છે.

આ વર્ષે 70% હાજી સાઉદીમાં રહેતા બિન-સાઉદી નાગરિક હશે. ફક્ત 30 ટકા હાજી સાઉદીના નાગરિક હશે. એમાં પણ એ લોકોને પસંદગી મળશે જેઓ સ્વાસ્થ્યકર્મી અને સુરક્ષાકર્મી છે અને જેઓ કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયા છે.

સાઉદી પ્રેસ એજન્સીના અનુસાર જેમણે કોરોના વાઇરસ સામેની લડતમાં પોતાના જીવની પરવા ન કરી એમને માટે આ ભેટ છે.

સાઉદીમાં રહેનારા 20થી 50 વર્ષની ઉંમરના બિન-સાઉદી નાગરિકોને કેટલીક શરતો સાથે પ્રાથમિકતા અપાશે. પસંદગી પ્રક્રિયા 6 જુલાઇથી શરૂ થઈ છે અને 5 દિવસ માટે 10 જુલાઈ સુધી ઑનલાઈન રજિસ્ટ્રેશન થશે.

મંગળવાર, 7 જૂલાઈ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

6 જૂલાઈની અપડેટ અહીં મેળવો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો