You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં લૉકડાઉન : 20 શહેરોમાં રાત્રી કર્ફ્યુ, વિજય રૂપાણીએ કઈ નવી પાબંદીઓ જાહેર કરી?
ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસો મામલે આજે ગુજરાત હાઈકોર્ટના લૉકડાઉનના સૂચન બાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં નવા પ્રતિબંધો અને અને નિયમોની જાહેરાત કરી છે.
મંગળવારે સાંજે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રધાનો અને અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે નવા નિષેધાત્મક આદેશો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાતના 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ થશે, અગાઉ માત્ર ચાર મહાનગરપાલિકાના (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ) હદવિસ્તારમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
આ સિવાય રાજકીય અને સામાજિક મેળાવડા અંગે પણ નિષેધાત્મક નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ પહેલાં ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસો અંગે મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં ઉચ્ચ અદાલતે આકરું વલણ અપનાવ્યું હતું અને સરકારની સજ્જતા અંગે સવાલ પૂછ્યા હતા.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કોરોનાનો પ્રસાર અટકાવવા માટે ત્રણ-ચાર દિવસનો કર્ફ્યુ લાદવાનું સૂચન કર્યું હતું.
20 શહેરમાં રાત્રી કર્ફ્યુ
મંગળારે મોડી સાંજે મુખ્ય મંત્રી વિજય રૂપાણી સુરતથી ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વરિષ્ઠ પ્રધાનો તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
આ બેઠકમાં ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં થયેલી કાર્યવાહી તથા ખંડપીઠના 'અવલોકનો' અંગે માહિતી આપી હતી. એ પછી સરકારે કેટલાક પગલાં લેવાની જાહેરાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, પાટણ, મોરબી, ગોધરા, દાહોદ, ભૂજ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલી એમ 20 શહેરમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ સિવાય લગ્નસમારંભમાં મહત્તમ 100 લોકોને બોલાવી શકાશે. આ સિવાય રાજકીય અને સામાજિક મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિષેધાત્મક આદેશોની સીધી અસર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ઉપર થઈ શકે છે.
અહીં તા. 16મી એપ્રિલ સુધી ચૂંટણીપ્રચાર થવાનો છે અને 18મી એપ્રિલે મતદાન થશે, તા. 20મી એપ્રિલે પરિણામો જાહેર થશે.
તા. 30મી એપ્રિલ સુધી સરકારી કર્મચારીઓને શનિવારે રજા આપવામાં આવશે, એટલે કે શનિ-રવિવારે સરકારી કચેરીઓ બંધ રહેશે.
શું થયું હતું હાઈકોર્ટમાં?
મંગળવારે ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ તથા જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે કોરોનાના કેસોની વધતી જતી સંખ્યા ઉપર ચિંતા પ્રગટ કરી હતી.
ખંડપીઠે જરૂર જણાય તો કોરોનાની ચેઇનને તોડવા માટે ત્રણ-ચાર દિવસનો કર્ફ્યુ લાદવાનું અવલોક્યું હતું.
મંગળવારે સવારે હાઈકોર્ટે કોવિડના વધતા જતા કેસ વિશે ચિંતા વ્યક્ત કરી સરકાર તે માટે શું કરી રહી છે, તે જાણવા માટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમારને બોલાવ્યાં હતાં.
ઍડ્વોકેટ જનરલ ત્રિવેદીએ કહ્યું હતું, હવેનો સંઘર્ષ ખરેખર લોકો અને કોવિડ વચ્ચે છે અને લોકોએ જ સમજીને બહાર જવાનું કે લોકોને મળવાનું બંધ કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોવિડનું સંક્રમણ વધારે છે, પરંતુ તેનાથી મરનાર લોકોની સંખ્યા વધારે નથી અને જે લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં રહ્યાં છે, તેના માટે અન્ય બીમારીઓ જવાબદાર છે.
જસ્ટિસ ભાર્ગવ કારિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મૃત્યુદર હાલમાં 4.5 ટકા છે ખૂબ વધારે છે.
જસ્ટિસ વિક્રમનાથે ઍડ્વોકેટ જનરલ ત્રિવેદીને કહ્યું હતું કે, હવેથી ગુજરાતમાં કોઈ પણ રાજકીય મેળાવડા, લગ્નપ્રસંગો વગેરે ન થવાં જોઈએ. લગ્નપ્રસંગોમાં લોકોની સંખ્યા 200થી ઘટાડી 20-25 જ કરી દેવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે ગત વર્ષ માર્ચ મહિનામાં જે પ્રકારનું લૉકડાઉન હતું, તે પ્રકારનું લૉકડાઉન, જેમ કે એક-બે દિવસનો કર્ફયું, વિકઍન્ડ કર્ફ્યુ વગેરે જેવા પ્રયાસો કરીને સરકારે વાઇરસની ચેઇન તોડવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે, જો સરકારને તે માટે હાઈકોર્ટની કોઈ મદદ જોઈતી હોય તો તે ફરીથી તેમની પાસે આવી શકે.
જોકે, ઍડ્વોકેટ કમલ ત્રિવેદીએ કહ્યું કે, લૉકડાઉન પછી બીજી સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ સરકારે હાલમાં હૉસ્પિટલોની સંખ્યા વધારી છે, કૉન્ટૅક્ટ ટ્રેસિંગ માટે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ ઘરે-ઘરે જઈ સર્વે કરી રહ્યાં છે.
કમલ ત્રિવેદીએ ક્હ્યું, કે સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓએ રવિવારે બેઠક કરી લૉકડાઉન લાદવા અંગે ચર્ચા કરી હતી, પરંતુ તે અંગે કોઈ નિર્ણય નહોતો લીધો કારણ કે લૉકડાઉન બીજી અનેક સમસ્યાઓ ઊભી થાય છે.
જસ્ટિસ વિક્રમનાથે કહ્યું કે, અમદાવાદ શહેરનો એક દિવસનો આંકડો 700 કેસ સુધી પહોંચી ચૂક્યો છે, શહેરમાં 3000 જેટલી પથારીઓ ઉપલબ્ધ છે, જે ઝડપથી ભરાઈ રહી છે, અને બીજી તરફ કેસ વધી રહ્યાં છે માટે સરકારે હવે પછી શું કરવું જોઇએ તે અંગે વિચારવું જોઈએ.
અત્રે એ નોંધવું ઘટે કે લૉકડાઉન અંગે ખંડપીઠનું 'અવલોકન' માત્ર હતું, તે 'આદેશ' કે 'નિર્દેશ' ન હતો. માટે તે રાજ્યની વિજય રૂપાણીની સરકાર માટે બંધનકર્તા નહોતો.
'જનતાને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખીશું'
આ પહેલાં સુરતમાં કોરોનાની સ્થિતિ અંગે જાતસમીક્ષા કરવા માટે પહોંચેલા મુખ્ય પ્રધાને પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું :
"ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી અંગે અમને મીડિયા દ્વારા માહિતી મળી છે. ઍડ્વોકેટ (જનરલ) કમલભાઈ ત્રિવેદી સાથે વાત થઈ છે."
"સાંજે ગાંધીનગર પહોંચીશું એટલે સમગ્ર રિપોર્ટ મળશે.તેના ઉપર સરકાર ચર્ચાવિચારણા કરીશું અને હાઈકોર્ટની લાગણીને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય કરીશું."
લોકોને તકલીફ ન પડે કે ઓછામાં ઓછી તકલીફ પડે અને કોરોનાનો ફેલાવો પણ ન થાય, તે રીતે નિર્ણય લેવાની વાત રૂપાણીએ કહી હતી
ગુજરાતમાં વકરી રહેલો કોરોના
ભારતમાં ફરી કોરોના વાઇરસના કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેશબોર્ડ ઉપર ઉપલબ્ધ માહિતી પ્રમાણે, છ એપ્રિલની સાંજે 46 હજાર 393 નવા કેસ સાથે દેશમાં ઍક્ટિવ કેસોની સંખ્યા સાત લાખ 88 હજાર 223ની હતી.
આ સાથે દેશમાં કુલ ચેપગ્રસ્તનો આંકડો એક કરોડ 27 લાખને આંબી ગયો હતો.
દેશમાં કોરના થકી થનારા મૃત્યુનો આંક નવેમ્બર-ડિસેમ્બર 2020ના સ્તરે પહોંચી ગયો છે. એ વખતે દેશમાં દૈનિક ધોરણે 500થી વધુ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં હતાં.
ભારતમાં ત્યાર સુધી કોરોનાના સંક્રમણને લીધે એક લાખ 65 હજાર 547 લોકોનાં મૃત્યુ થયાં છે.
કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસને જોતાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.
રાજ્ય સરકારના આરોગ્યવિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંગળવારની સાંજે રાજ્યમાં 17 હજાર 348 ઍક્ટિવ કેસ છે.
સૌથી વધારે અસરગ્રસ્ત સુરતમાં આશરે 4000 જેટલા ઍક્ટિવ કેસ છે, તે પછી અમદાવાદમાં 2600 જેટલા ઍક્ટિવ કેસ છે.
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કુલ 3280 નવા કેસ નોંધાયા છે.
તેમજ રાજ્યમાં કોરોનાને લીધે 17 દર્દીનાં મૃત્યુ થયાં છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 2167 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.24 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4598 પર પહોંચ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો