નેપોલિયનના મૃત્યુ બાદ 18 વર્ષે મૃતદેહ બહાર કાઢીને ફરી કેમ દફનાવાયા હતા?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિંદી

વૉટરલૂની લડાઈમાં પરાજય પછી નેપોલિયનને લાગતું હતું કે યુરોપમાં તેમનું કોઈ ભવિષ્ય નથી, એટલે તેમણે અમેરિકા જવાનો નિર્ણય લીધો.

જોકે, બ્રિટિશ નૌકાદળના જહાજોએ ફ્રાન્સના એટલાન્ટિક કિનારે એટલી સજ્જડ ઘેરાબંધી કરી રાખી હતી કે ત્યાંથી સલામત રીતે નીકળવું લગભગ અશક્ય હતું.

નેપોલિયને નક્કી કર્યું કે તેઓ બ્રિટિશ નૌકાદળ સમક્ષ આત્મસમર્પણ કરશે અને બ્રિટનમાં રાજ્યાશ્રય માંગશે. જોકે, બ્રિટન નેપોલિયનને કોઈ પણ જાતની રાહત આપવા માંગતું ન હતું.

એ. એમ. બ્રોડલી તેમના પુસ્તક 'નેપોલિયન ઇન કૅરિકેચર 1795-1821'માં લખે છે, "બ્રિટનની પ્રજાની નજરે નેપોલિયન પીડિત કરતાં વધુ અપરાધી હતા. ત્યાંના કાર્ટૂનિસ્ટ નેપોલિયનને પાંજરામાં બંધ જાનવરની જેમ જોતા હતા."

"એવો મત હતો કે જો નેપોલિયનને ઇંગ્લૅન્ડમાં રાખવામાં આવશે, તો તે દેશની સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કરશે. જો નેપોલિયનને બ્રિટનની ધરતી ઉપર કે નજીકના કોઈ પણ દેશમાં રાખવામાં આવે, તો ભાવિ બળવાનું કેન્દ્ર બને તેવી શક્યતા હતી."

નેપોલિયનને સૅન્ટ હેલેના મોકલવાનો નિર્ણય

બ્રિટિશ સરકારે નેપોલિયનને પોતાના કબજા હેઠળના પશ્ચિમ આફ્રિકાના સૅન્ટ હેલેના ટાપુ ઉપર મોકલવાનો નિર્ણય કર્યો, જે દુનિયાથી અળગો અને કપાયેલો હતો. અહીંથી મુખ્ય ભૂમિ 1200 કિલોમીટર દૂર હતી.

બ્રાયન અનવિન તેમના પુસ્તક 'ટૅરિબલ ઍક્સાઇલ, ધ લાસ્ટ ડેઇઝ ઑફ નેપોલિયન ઑન સૅન્ટ હૅલેના'માં લખે છે, "ભારત ઉપર શાસન કરનાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજો માટે સૅન્ટ હેલેના મુખ્ય વિશ્રામસ્થળ હતું."

"તે એક રીતે બ્રિટિશ છાવણી હતી, જ્યાં લગભગ પાંચ હજાર લોકો રહેતા હતા, જેમાંથી અમુક મડાગાસ્કરના ગુલામ તથા ચીનના મજૂર હતા. અહીંથી દર વર્ષે લગભગ એક હજાર જહાજ પસાર થતાં, અને આ લોકો તેની સંભાળ રાખતા."

નેપોલિયન સાથે 27 લોકો સૅન્ટ હૅલેના ગયા

31 જુલાઈ, 1815ના રોજ ઍડમિરલ લૉર્ડ કીથે નેપોલિયનને જણાવ્યું કે તેમને યુદ્ધબંદી તરીકે સૅન્ટ હેલેના ખાતે રાખવામાં આવશે.

નેપોલિયને તેનો ભારે વિરોધ કર્યો અને કહ્યું કે તેમને મૂર્ખ બનાવવામાં આવ્યા છે, કારણ કે નેપોલિયનને કહેવામાં આવ્યું હતું કે તેમને ઇંગ્લૅન્ડમાં રહેવા દેવામાં આવશે.

આ વાત સાંભળીને નેપોલિયન પોતાના જહાજની કૅબિનમાં જતા રહ્યા અને ત્રણ દિવસ સુધી બહાર ન નીકળ્યા. ચોથા દિવસે તેમણે બ્રિટિશ સરકારને ઔપચારિક પત્ર લખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.

ઍડમ ઝમોઇસ્કી પોતાના પુસ્તક 'નેપોલિયન ધ મૅન બિહાઇન્ડ ધ મિથ'માં લખે છે, "કુલ 27 લોકોને નેપોલિયનની સાથે સૅન્ટ હેલેના જવાની મંજૂરી આપવામાં આવી. જ્યારે તેઓ જહાજ ઉપર ચઢ્યા, તો નેપોલિયન તથા તેમના સાથીઓનો સામાન તપાસવામાં આવ્યો."

"તેમની પાસેથી પુષ્કળ નાણાં મળી આવ્યાં. નેપોલિયનને આ વાતની આશંકા હતી, એટલે તેમણે કપડાના બૅલ્ટમાં સોનાના સિક્કા પોતાના સાથીઓની કમરે બાંધી દીધા હતા."

આ લાંબા પ્રવાસ દરમિયાન તેમણે દરિયાઈ સફરને કારણે જે મુશ્કેલીઓ પડે તેનો સામનો સારી રીતે કર્યો. તેઓ પોતાની કૅબિનમાં વાંચતા. ખલાસીઓ સાથે વાતચીત કરીને પોતાનું અંગ્રેજી સુધારવાનો પ્રયાસ કર્યો.

24 ઑક્ટોબરે તેમને પોતાની મંઝિલ સૅન્ટ હેલેના નજરે પડી, જે અમુક વર્ષો માટે તેમનું અંતિમ વિશ્રામસ્થળ પણ બનવાનું હતું.

નેપોલિયન તથા અંગ્રેજો વચ્ચે સંબંધ બગડ્યા

આ ટાપુનું ક્ષેત્રફળ 122 વર્ગ કિલોમીટર હતું. વર્ષ 1502માં પૉર્ટુગીઝોએ આ ટાપુ શોધ્યો હતો. વર્ષ 1815માં અહીં 3,395 યુરોપિયન, 218 કાળા ગુલામ, 489 ચાઇનીઝ તથા 116 ભારતીય અને મલય રહેતા હતા.

અહીં બ્રિટિશ સેનાની નાનકડી ટુકડી તહેનાત હતી અને સૈન્ય ગવર્નર દ્વારા શાસન ચલાવવામાં આવતું હતું.

નેપોલિયનને પહેલાં ઇંગ્લિશ એસ્ટેટ 'ધ બ્રાયર્સ'માં રાખવામાં આવ્યા. અમુક દિવસો પછી તેમને લૉંગવૂડ હાઉસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા.

બ્રાયન અનવિન લખે છે, "ત્યાં નેપોલિયન ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી. જો નેપોલિયન બગીચાની બહાર નીકળે, તો એક બ્રિટિશ સૈનિક હંમેશ તેમની સાથે રહેતો."

"જ્યારે હડસન લોવને સૅન્ટ હેલેના ટાપુના ગવર્નર બનાવવામાં આવ્યા, ત્યારે તેમણે નેપોલિયન ઉપરનાં નિયંત્રણો વધારી દીધાં. વર્ષ 1816 સુધીમાં નેપોલિયન તથા બ્રિટિશ કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં તણાવ વધતો ગયો."

જ્યારે બ્રિટિશરોએ નેપોલિયન માટે નવું ઘર બાંધવાનું શરૂ કર્યું, ત્યારે નેપોલિયનને અંદાજ આવી ગયો હતો કે હવે તેમણે જિંદગીના બાકીના દિવસો સૅન્ટ હેલેનામાં જ વીતાવવા પડશે.

લૉંગવૂડ હાઉસમાં નેપોલિયનનો મોટા ભાગનો સમય અભ્યાસમાં પસાર થતો. તેઓ યુરોપ આવતાં-જતાં જહાજોની રાહ જોતા, જેથી ત્યાંથી તેમનાં માટે પુસ્તકો આવી શકે.

જે કોઈ નેપોલિયનને મળવા આવે, તેમનું સારાં ભોજન અને શરાબથી સ્વાગત કરવાનો નેપોલિયનને શોખ હતો.

નેપોલિયન વિશેનાં જીવનચરિત્રમાં જાં પૉલ બરતૂ લખે છે, "નેપોલિયન મહેમાનોની ખાતીરદારી કરવામાં હંમેશ બજેટ કરતાં વધુ ખર્ચ કરતા. તેઓ પુષ્કળ શરાબ પીતા અને પીવડાવતા."

"વર્ષ 1816માં નેપોલિયનને વાઇનની 3,700 બૉટલો મોકલવામાં આવી, જેમાં 830 બાઓડો વાઇનની બૉટલો પણ સામેલ હતી. નેપોલિયન ઘોડેસવારી કે 'ધ બ્રાયર્સ'ના બગીચામાં આંટાફેરા કરીને પોતાનાં શરીરને સ્વસ્થ રાખતા."

"કૅપ્ટન પૉપલટન હંમેશ તેમની સાથે રહેતા અને તેમને નજર રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. તેઓ સાંજે પોતાના મિત્ર બાલકૉમ્બ સાથે પત્તાં રમતાં."

સૅન્ટ હૅલેનાનું વાતાવરણ માફક ન આવ્યું

નેપોલિયનને નિર્માણાધીન લૉંગવૂડ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. ઍડમ ઝમોઇસ્કી લખે છે, "નેપોલિયને ફરિયાદ કરી કે પેઇન્ટની દુર્ગંધ તેમને બીમાર હોવાનો આભાસ કરાવે છે."

"સૅન્ટ હેલેનાનું હવામાન અને પરિસ્થિતિ નેપોલિયન તથા તેમના લોકોને ખિન્ન કરી દીધા હતા, કારણ કે તેઓ સૂકા હવામાન, સારા ભોજન અને વિલાસિતામાં રહેવા ટેવાયેલા હતા."

તેઓ લખે છે, "નેપોલિયનની સાથે આવેલા તેમના અધિકારીઓ તેમની સામે પૂર્ણ રાજકીય પ્રોટોકૉલનું પાલન કરતા. નેપોલિયન દિવસ દરમિયાન સામાન્યતઃ શિકારી કોટ તથા સફેદ લિનેનનું કોટ કે પાટલૂન પહેરતા. રાત્રિનું ભોજન પૂર્ણ સૈન્ય યુનિફૉર્મમાં કરતા."

"તેમની સાથે આવેલી મહિલાઓ દરબારી વસ્ત્રો તથા દાગીના પહેરીને રાત્રિભોજનમાં સામેલ થતી. ભોજન પછી તેઓ પત્તાં રમતાં, વાતો કરતાં અથવા તો નેપોલિયનને કોઈ પુસ્તક વાંચી સંભળાવતાં."

નેપોલિયનની દરેક પ્રવૃત્તિ ઉપર નજર

જાપ્તા હેઠળ હોવા છતાં નેપોલિયન બાગકામ કરવાનો પોતાનો શોખ પૂરો કરતા. આ કામમાં બે ચીની મજૂર તેમને મદદ કરતા. નેપોલિયન ફૂલછોડને જાતે પાણી પીવડાવતા. નેપોલિયન ખરા અર્થમાં ન તો યુદ્ધબંદી હતા કે ન તો સજા પામેલા અપરાધી.

તેમને એક હદ સુધી પગપાળા ચાલવાની કે ઘોડેસવારી કરવાની છૂટ આપવામાં આવતી. તે સમયે પણ એક બ્રિટિશ અધિકારી તેમની સાથે રહેતો. ઘરની અંદર પણ સૈનિક તેમની દરેક પ્રવૃત્તિ ઉપર નજર રાખતા.

દિવસ દરમિયાન એક અધિકારી બે વખત નેપોલિયન સમક્ષ જઈને તેઓ ત્યાં છે, એ વાતની પુષ્ટિ કરતો. સૅન્ટ હેલેનાના ગવર્નરપદે રહી ચૂકેલા સર જૉર્જ કૉકબર્ને તેમની ડાયરીમાં લખ્યું:

"બે જહાજ હંમેશ દ્વીપની આસપાસ ચક્કર મારતાં. નેપોલિયનને ક્યારેય કોઈ અખબાર વાંચવા માટે આપવામાં નહોતું આવતું. નેપોલિયને આ ટાપુ ઉપરથી બચી નીકળવા અંગે વિચાર્યું હોય, તે વાતના કોઈ પુરાવા નથી."

આથી વિપરીત, નેપોલિયને અમુક અંશે સ્થાનિક પરિસ્થિતિ મુજબ પોતાને ઢાળી લીધા હતા. એવું લાગતું હતું કે નેપોલિયન પરિસ્થિતિનો આનંદ લેવા લાગ્યા હતા. તેઓ તમામ બ્રિટિશ અધિકારીઓ સાથે વિનમ્રતાપૂર્વક વર્તણૂક કરતા.

એટલે સુધી કે બ્રિટિશ સૈનિકો ત્યાંથી અવરજવર કરતી વેળાએ નેપોલિયનની એક ઝલક મેળવવા માટે આતુર રહેતા.

નેપોલિયન તેમની સાથે પણ સારો વ્યવહાર કરતા, જેના કારણે બ્રિટિશ અખબારોમાં એવા સમાચાર છપાવા લાગ્યા હતા કે નેપોલિયનને ખૂબ જ કઠોર અવસ્થામાં રાખવામાં આવ્યા છે.

નેપોલિયન તથા ગવર્નર લોવ વચ્ચે અણબનાવ

એપ્રિલ-1816માં મેજર જનરલ સર હડસન લોવે ઍડમિરલ કૉકબર્નની જગ્યાએ સૅન્ટ હેલેનાના સૈન્ય ગવર્નર તરીકેનો કારભાર સંભાળ્યો, પરંતુ શરૂઆતથી જ નેપોલિયન અને ઍડમિરલ લોવની વચ્ચે સારા સંબંધો નહોતા સ્થપાયા.

ઍડમ ઝમોઇસ્કી લખે છે, "નવનિયુક્ત ગવર્નર આગોતરી માહિતી આપ્યા વગર લૉંગવૂડ હાઉસ પહોંચ્યા, ત્યારે નેપોલિયને તેમની સાથે મુલાકાત કરવાનો ઇનકાર કરી દીધો. સાથે જ કહેણ મોકલ્યું કે તેઓ બીજા દિવસે મુલાકાત કરશે."

"બીજા દિવસે મુલાકાત થઈ, પરંતુ નેપોલિયન એ ક્ષણથી જ નવનિયુક્ત ગવર્નરને નાપસંદ કરવા લાગ્યા. લોવે પણ નેપોલિયનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું."

જ્યારે નેપોલિયનના એક અંગ્રેજ પ્રશંસકે તેમને પુસ્તકોનાં બે કાર્ટન મોકલ્યાં, તો લોવે તેમને જપ્ત કરી લીધાં. જ્યારે નેપોલિયનનાં બહેન પોલીન તેમના વપરાશ માટે કોઈ ચીજવસ્તુઓ મોકલતાં, તો તેને નેપોલિયન સુધી પહોંચવા દેવામાં નહોતી આવતી. એમ કહીને આ ચીજવસ્તુઓને અટકાવી દેવામાં આવતી કે તેમને આટલી બધી ચીજોની જરૂર નથી.

નેપોલિયન તથા લોવની વચ્ચે તકરાર

દરમિયાન લોવ તથા નેપોલિયનની વચ્ચે બે મુલાકાતો થઈ. ટૉમ ઑબરી તેમનાં પુસ્તકમાં લખે છે, "આ મુલાકાતો દરમિયાન નેપોલિયન ઊભા જ રહ્યા, જેના કારણે લોવે પણ ઊભા રહેવું પડ્યું, કારણ કે સમ્રાટની સામે બેસવું પ્રોટોકૉલ વિરુદ્ધ હોત."

"લોવને ઉપરથી આદેશ મળ્યો હતો કે નેપોલિયન ઉપર થતો ખર્ચ ઘટાડવામાં આવે. જ્યારે લોવે આના વિશે નેપોલિયન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તો તેમણે કહ્યું કે આ અંગે મારા બટલર સાથે વાત કરો."

18 ઑગસ્ટ, 1816ના રોજ લોવ વધુ એક વખત નેપોલિયનને મળવા ગયા, ત્યારે નેપોલિયને કહ્યું કે તમે સામાન્ય ક્લાર્કથી વધુ કંઈ નથી. આમ કહીને તેમણે લોવને ઝાટકી નાખ્યા.

નેપોલિયનની જીવનકથામાં ગિલ્બર્ટ માર્ટિન્યૂ લખે છે, "નેપોલિયને લોવને કહ્યું, 'તું બિલકુલ સન્માનપાત્ર વ્યક્તિ નથી. તું એ શખ્સ છે કે જે ચોરી-છૂપે બીજાનાં પત્રો વાંચે છે. તું માત્ર જેલર છો, સૈનિક બિલકુલ નથી. મારું શરીર ચોક્કસથી તારા હાથમાં છે, પરંતુ મારી આત્મા સ્વતંત્ર છે.'"

આ સાંભળીને લોવનું મોઢું લાલચોળ થઈ ગયું. તેમણે નેપોલિયનને કહ્યું, 'તું હાસ્યાસ્પદ છે અને તારી અશિષ્ટતા દયનીય છે.' આમ કહીને લોવ ત્યાંથી જતા રહ્યા.

નેપોલિયનનું આરોગ્ય કથળ્યું

એ પછી નેપોલિયનની હયાતીમાં ક્યારેય તેમની વચ્ચે મુલાકાત ન થઈ.

એ પછી નેપોલિયનનું મનોબળ તૂટવા લાગ્યું. તેમના જીવનમાં એકરસતા, હતાશા, ખરાબ હવામાન, ખરાબ ભોજન તથા દરેક બારી-દરવાજા પર પહેરેદારની હાજરીએ તેમને અંદરથી તોડી નાખ્યા.

હરવા-ફરવામાં રોકટોક હતી અને નેપોલિયન વારંવાર બીમાર પડી રહ્યા હતા, જેના કારણે તેઓ વિચલિત થઈ ગયા હતા.

લોવે લાદેલા નિયંત્રણોને કારણે નેપોલિયને ઘોડેસવારી કરવાનું તથા હરવાફરવા જવાનું બંધ કરી દીધું.

વર્ષ 1816ના અંતભાગ સુધીમાં નેપોલિયન ખાંસી અને તાવથી પીડિત રહેવા લાગ્યા. અમુક દિવસો તો તેઓ કપડાં પણ બદલતા ન હતા અને રૂમમાંથી બહાર પણ ન નીકળતા.

ટૉમસ ઑબરી લખે છે, "જ્યારે નેપોલિયન બીમાર પડ્યા, ત્યારે ગવર્નર લોવ પહેલાં તો આ વાત સ્વીકારવા જ તૈયાર ન થયા. એ પછી તેમણે સેના અને નૌકાદળના સારા તબીબ મોકલવાની ઑફર કરી, પરંતુ નેપોલિયને તેના માટે ઇનકાર કરી દીધો."

"નેપોલિયનને આશંકા હતી કે તેઓ ગવર્નર લોવ માટે જાસૂસી કરશે. એ પછી નેપોલિયને એચ. એમ. એસ. કૉન્કરરના તબીબ જૉન સ્ટોકોને ખુદને તપાસવાની છૂટ આપી."

52 વર્ષની ઉંમરે અવસાન

જાન્યુઆરી-1819માં ડૉ. સ્ટોકોને માલૂમ પડ્યું કે નેપોલિયન હેપેટાઇટિસથી પીડિત છે. એપ્રિલ-1819માં નેપોલિયને બ્રિટનના વડા પ્રધાન લૉર્ડ લિવરપૂલને પોતાના ખરાબ આરોગ્ય સંબંધે પત્ર મોકલાવ્યો.

જોકે, લોવે વડા પ્રધાનને સમજાવી દીધા કે નેપોલિયનના આરોગ્યમાં કંઈ તકલીફ નથી.

વસંતઋતુ આવી, ત્યાર સુધીમાં ગંભીર બીમારીએ નેપોલિયનને જકડી લીધા. એ કાંતો કૅન્સર હતું અથવા પેટમાં અલ્સરને કારણે થતો રક્તસ્રાવ. એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં નેપોલિયનને લોહીની ઊલટીઓ થવા લાગી હતી.

નેપોલિયને વિનંતી કરી કે તેમના પલંગને ડ્રૉઇંગ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવે, જ્યાં સારો પ્રકાશ આવતો હતો. નેપોલિયન દિવસે-દિવસે નબળા પડી રહ્યા હતા તથા અનેકવાર બેભાન થઈ જતા.

5 મે, 1821ના સાંજે 5 વાગ્યા અને 50 મિનિટે નેપોલિયને છેલ્લા શ્વાસ લીધા. એ સમયે તેમની ઉંમર માત્ર 52 વર્ષ હતી.

પેરિસમાં ફરી દફન કરવામાં આવ્યા

નેપોલિયનના અવસાન બાદ મૃત્યુનાં કારણો અંગે વિવાદ થયો. ઍલન ફૉરેસ્ટે નેપોલિયન અંગેના જીવનચરિત્રમાં લખે છે, "તેમનાં વાળમાં આર્સેનિકના અંશ મળી આવ્યા હતા. નેપોલિયનના એક સાથી માર્ચેને યાદગીરીરૂપે નેપોલિયનના કેટલાક વાળ પોતાની પાસે રાખ્યા હતા."

"જ્યારે નેપોલિયનના આ વાળનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે માલૂમ પડ્યું કે કદાચ નેપોલિયનને ઝેર આપવામાં આવ્યું હતું."

નેપોલિયને પોતાના અંતિમ સમય દરમિયાન ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમને પૅરિસમાં દફનાવવામાં આવે, પરંતુ ત્યારે બ્રિટિશ તથા ફ્રેન્ચ સરકારને આ વાત મંજૂર ન હતી.

એવું નક્કી થયું હતું કે તેમને સૅન્ટ હેલેનામાં જ દફનાવવામાં આવે. જ્યારે 12 ગ્રેનેડિયર્સના સૈનિક નેપોલિયનનાં પાર્થિવ શરીરને દફનવિધિ માટે લઈ જઈ રહ્યા હતા, ત્યારે સૅન્ટ હેલેનાની જનતા આ દૃશ્ય જોવા માટે રસ્તા ઉપર ઊતરી આવી હતી.

નેપોલિયનના તાબૂતને નીલા મખમલી કપડામાં વીંટવામાં આવ્યું હતું તથા તેની ઉપર તેમની તલવાર અને ઘડિયાલ રાખવામાં આવ્યા હતા.

નેપોલિયનની દફનવિધિના 18 વર્ષ બાદ ફ્રાન્સના રાજા લુઇ ફિલિપના આદેશ બાદ નેપોલિયનના શબને સૅન્ટ હેલેનાની કબરમાંથી કાઢીને પૅરિસ લાવવામાં આવ્યું, જ્યાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ફરીથી દફનવિધિ કરવામાં આવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન