ક્લાઇમેટ ચેન્જ રિપોર્ટની એ પાંચ ખાસ વાતો જે દુનિયાનું ભવિષ્ય નક્કી કરશે

    • લેેખક, મૅટ મૅકગ્રૉ
    • પદ, પર્યાવરણ સંવાદદાતા

જળવાયુ પરિવર્તન ખૂબ વ્યાપક સ્તરે અને ઝડપથી થઈ રહ્યું છે. પરંતુ ભવિષ્યમાં શું થશે, એ આપણા પર નિર્ભર છે.

જે લોકો પશ્ચિમમાં રહે છે, તેમના માટે આપણો ગ્રહ ગરમ થવાથી ઊભા થઈ રહેલા જોખમની અસર હવે વધારે દૂર નથી અને આ ફક્ત દૂરના વિસ્તારના લોકોને જ અસર નહીં કરે.

જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રના આઈપીસીસીના અનેક લેખકોમાંથી એક એવા ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના ડૉ. ફ્રાઇડેરિક ઓટો કહે છે, "જળવાયુ પરિવર્તન ભવિષ્યની સમસ્યા નથી, આ વર્તમાન સમસ્યા છે અને સમગ્ર વિશ્વને અસર કરી રહી છે."

ડૉ. ફ્રાઇડેરિક ઓટોનો આ વિશ્વાસ સાથે દાવો કરવો જ આ નવા રિપોર્ટની ખરી તાકાત છે.

યુનિવર્સિટી કૉલેજના પ્રોફેસર આર્થર પીટરસને બીબીસીને કહ્યું, "મને લાગે છે કે એક પણ પ્રકારની નવી આશ્ચર્યજનક બાબત સામે આવી નથી, અતિશય દ્રઢતા છે જે તેને અત્યાર સુધીનો સૌથી મજબૂત આઈપીસીસી રિપોર્ટ બનાવે છે."

પ્રો.પીટરસન આઈપીસીસીમાં ડચ સરકારના પૂર્વ પ્રતિનિધિ છે, અને આ રિપોર્ટને તૈયાર કરનારા મંજૂરીસત્રમાં નિરીક્ષક હતા.

તેઓ કહે છે કે, "આ આરોપ નથી લગાવી રહ્યું, આ ફક્ત એક પછી એક સ્પષ્ટ મુદ્દો છે."

તેમાંથી સૌથી સ્પષ્ટ મુદ્દો જળવાયુ પરિવર્તન માટે માનવતાની જવાબદારી વિશે છે.

'હવે કોઈ જવાબદાર નથી'

1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારાની મર્યાદા લાઇફ સપોર્ટ પર છે.

જ્યારે જળવાયુ પરિવર્તનના વિજ્ઞાન પર છેલ્લો આઈપીસીસી રિપોર્ટ 2013માં પ્રકાશિત થયો હતો, ત્યારે 1.5 ડિગ્રી સેલ્સિયસની સુરક્ષિત મર્યાદા પર વિચાર કરવામાં આવ્યો હતો.

પરંતુ રાજકીય ચર્ચાઓમાં અનેક વિકાસશીલ દેશો દ્વારા કે ટાપુ રાષ્ટ્રો દ્વારા ઓછા તાપમાન વધારા પર ભાર મુકાયો, એ તર્ક આપતાં કે આ તેમના અસ્તિત્વનો મુદ્દો છે.

વર્ષ 2018માં 1.5 ડિગ્રી સેલ્સિયસ પર એક ખાસ રિપોર્ટે દર્શાવ્યું કે 2 ડિગ્રીના વધારાની મર્યાદાની સરખામણીમાં અનેક ફાયદા છે.

પરંતુ આને પ્રાપ્ત કરવા માટે ફરજિયાતપણે વર્ષ 2030 સુધી કાર્બન ઉત્સર્જનને અડધું કરવું પડશે અને વર્ષ 2050 સુધી નેટ ઝીરો ઉત્સર્જન સુધી પહોંચવું પડશે.

આ નવો રિપોર્ટ એ વાતની પુષ્ટિ કરે છે કે, જો ઉત્સર્જન પર કાબૂ મેળવવામાં નહીં આવે, તો લગભગ એક દાયકામાં 1.5 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે.

નેટ ઝીરો સુધી પહોંચવા માટે ક્લીન ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને જેટલું બની શકે તેટલું ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન ઓછું કરવું પડશે, વૃક્ષો વાવવા જેવા ઉપાય કરવા પડશે.

પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, પરંતુ આપત્તિ હજુ આવી નથી

લીડ્સ વિશ્વવિદ્યાલયના ડૉ. અમાંડા મેકૉક, જે નવા રિપોર્ટના લેખકમાંથી એક છે, તેમણે જણાવ્યું, "1.5 સેલ્સિયસ થ્રેશહોલ્ડ રાજકીય રીતે એક મહત્ત્વપૂર્ણ મર્યાદા છે, પરંતુ જળવાયુના દૃષ્ટિકોણથી, આ એક શિખરનો અંત નથી કે એક વખત આપણે 1.5 ડિગ્રીથી વધારે પર પહોંચીશું તો અચાનક બધુ જ વિનાશકારી થઈ જશે."

"આ રિપોર્ટમાં જ્યારે સૌથી ઓછા ઉત્સર્જનની સ્થિતિનું મૂલ્યાંકન કરીએ તો જણાય છે કે બાદની સદીમાં વૉર્મિંગનું સ્તર 1.5 ડિગ્રીની આસપાસ અથવા નીચે સ્થિર થઈ જાય છે. જો આપણે યોગ્ય પગલાં લઈશું તો ખરાબ અસરથી ઘણી હદ સુધી બચી શકાશે."

માઠા સમાચાર : આપણે કઈ પણ કરી લઈએ, સમુદ્રનું જળસ્તર વધશે

પહેલાં સમુદ્રના જળસ્તરમાં વૃદ્ધિના જોખમનું મૂલ્યાંકન યોગ્ય રીતે નહીં કરવાને લઈને આઈપીપીસીની ટીકા કરવામાં આવી હતી.

સ્પષ્ટ શોધના અભાવથી પાછલા અહેવાલોમાં ગ્રીનલૅન્ડ અને ઍન્ટાર્કટિકમાં બરફની ચાદરો પીગળવાની સંભવિત અસરોને બહાર કરી દીધી, પરંતુ આ વખતે એવું નથી.

રિપોર્ટથી જણાય છે કે વર્તમાન સ્થિતિમાં સમુદ્રનું સ્તર સંભવિત મર્યાદાથી ઉપર ઊઠી શકે છે, આ સદીના અંત સુધી 2 મીટર સુધી અને 2150 સુધી 5 મીટર સુધી પહોંચી શકે છે.

જોકે, એવું થવાની શક્યતા ઓછી છે, પરંતુ આટલા ઓછા સમયમાં વધતાં ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જન વચ્ચે તેને નકારી શકાય નહીં.

જો આપણે ઉત્સર્જન પર નિયંત્રણ કરી લઈ છે અને 2100 સુધી તાપમાનના વધારો 1.5 ડિગ્રીની આસપાસ સુધી રાખીએ તો પણ ભવિષ્યમાં પાણીનું સ્તર વધવાનું ચાલુ રહેશે.

સારા સમાચાર : વૈજ્ઞાનિકોને ખબર છે કે શું કરવાનું છે

ચેતવણીઓ સ્પષ્ટ અને વધારે ભયાનક છે, પરંતુ આ રિપોર્ટમાં આશાનું કિરણ પણ છે.

વૈજ્ઞાનિક લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે કાર્બન ડાયૉક્સાઇડની અસર અત્યાર સુધી જેટલી પણ વિચારવામાં આવી છે તેનાથી વધારે હોય શકે છે.

તેઓ એક વાક્યનો ઉપયોગ કરે છે, 'સમતોલ જળવાયુ સંવેદનશીલતા' એટલે કે વૉર્મિંગની મર્યાદાને કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ બમણું હોવાની સ્થિતિમાં સમજવી.

વર્ષ 2013ના રિપોર્ટમાં 1.5 ડિગ્રીથી 4.5 ડિગ્રી સુધીની વાત કહેવામાં આવી હતી, પરંતુ કોઈ સચોટ અનુમાન નહોતું.

આ વખતે, મર્યાદા ઓછી થઈ ગઈ છે અને વૈજ્ઞાનિકોના અનુસાર સૌથી સંભવિત આંકડો 3 ડિગ્રી છે.

આ મહત્ત્વ પૂર્ણ કેમ છે?

યુનિવર્સિટી ઑફ લીડ્સના પ્રોફેસર અને રિપોર્ટના લેખકોમાંથી એક એવા પિયર્સ ફૉર્સ્ટરે કહે છે, "હવે અમે નિશ્ચિતતા સાથે એ કહેવામાં સક્ષમ છીએ કે આ રીતે નેટ ઝીરો સુધી પહોંચવાથી પરિવર્તન આવશે."

રિપોર્ટમાં વધુ એક મોટી આશ્ચર્યજનક વાત પૃથ્વીને ગરમ કરવાવાળા મીથેન ગૅસની ભૂમિકા વિશે છે.

આઈપીસીસી અનુસાર, પહેલાંથી જ દુનિયાનું જે 1.1 ડિગ્રી તાપમાન વધી ચૂક્યું છે, તેમાં લગભગ 0.3 ડિગ્રીનું યોગદાન મીથેનનું છે.

ઑઇલ અને ગૅસઉદ્યોગ, કૃષિ અને ચોખાની ખેતથી થતાં આ ઉત્સર્જન પર કાબૂ મેળવવાથી ઘણા ફાયદા થઈ શકે છે.

'યુએસ ઍન્વાયરમેન્ટલ ડિફેન્સ' ફંડના ફ્રેડ ક્રુપે કહ્યું, "રિપોર્ટ મીથેન પ્રદૂષણથી જોડાયેલી કોઈ પણ શંકાને દૂર કરે છે, ખાસ કરીને ઑઇલ અને ગૅસ જેવાં ક્ષેત્રોથી, જ્યાં તેને સૌથી ઝડપથી અને ઓછા ખર્ચે ઘટાડી શકાય છે."

"જ્યારે આપણા અતિશય ગરમ થનારા ગ્રહની વાત આવે છે, તો ડિગ્રીનો દરેક અંશ મહત્ત્વ રાખે છે - વૉર્મિંગના દરને ઘટાડવા માટે મીથેનના ઉત્સર્જનમાં ઘટાડો કરવાથી વધુ સારો કોઈ રસ્તો નથી."

રાજનેતા ગભરાશે, કોર્ટ વ્યસ્ત રહેશે

ગ્લાસગોમાં મહત્ત્વપૂર્ણ COP26 જળવાયુ સંમેલનના કેટલાક મહિના પહેલાં આ રિપોર્ટ આવવાનો મતલબ છે કે સંભવતઃ ચર્ચા આના પર આધારિત હશે.

વર્ષ 2013 અને વર્ષ 2014ના મૂલ્યાંકને પેરિસ જળવાયુ સમજૂતીનો રસ્તો બતાવ્યો હતો.

આ નવો અભ્યાસ ઘણો વધારે મજબૂત, સ્પષ્ટ છે અને એ વિશે જણાવે છે કે જો રાજનેતા કાર્યવાહી નહીં કરે તો શું થશે.

જો તેઓ ઝડપથી પૂરતાં પગલાં નહીં ભરે અને COP26 એક અસંતોષજનક રૂપથી સમાપ્ત થાય, તો કોર્ટની ભૂમિકા વધશે.

હાલનાં વર્ષોમાં, આયરલૅન્ડ અને નેધરલૅન્ડમાં પર્યાવરણ-પ્રચારક કોર્ટમાં ગયા છે, જેથી સરકારો અને કંપનીઓને જળવાયુ પર કામગીરી કરવા માટે મજબૂર કરી શકાય.

ગ્રીનપીસ નૉર્ડિકનાં વરિષ્ઠ રાજકીય સલાહકાર કૅસા કોસોનને કહ્યું, "અમે નિષ્ક્રિયતાથી આ રિપોર્ટને બાજુ પર નહીં મૂકીએ, એના બદલે અમે તેને પોતાની સાથે કોર્ટમાં લઈ જઈશું."

"માનવ ઉત્સર્જન અને હવામાન વચ્ચે વૈજ્ઞાનિક પૂરાવાને મજબૂત કરીને, આઈપીસીસીએ દરેક જગ્યાએ ફૉસિલ ફ્યુલઉદ્યોગ અને સરકારોને જળવાયુ કટોકટી માટે સીધા જવાબદાર ઠેરવવા માટે નવાં, શક્તિશાળી સાધનો પૂરાં પાડ્યાં છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો