You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટોક્યો ઑલિમ્પિક 2020 : બીજા દિવસે ભારતે કઈ રીતે કર્યો પ્રારંભ?
ટોક્યો ઑલિમ્પિકના બીજા દિવસે ભારતનાં ઇલાવેનિલ વલારિવન મહિલાઓની 10 મિટરની રાઇફલ ક્વૉલિફિકેશનમાં અસફળ રહ્યાં.
જોકે, એ બાદ તીરંદાજી માટે ભારતીય મિક્સ્ડ ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ભારતનાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવ હવે ક્વાર્ટર ફાઇનલમાં નિશાન તાકશે.
એક સારા સમાચાર હૉકીના મેદાનમાંથી આવ્યા. ભારતીય પુરુષ ટીમે ન્યૂઝીલૅન્ડની ટીમને 3-2થી હરાવી.
આ ઉપરાંત આજના દિવસે ભારતના ખેલાડીઓ ટેબલ ટેનિસ, ટેનિસ, બૉક્સિંગ, વૅઇટલિફ્ટિંગમાં ભાગ લેશે.
ખાલી સ્ટેડિયમમાં ટોક્યો ઑલિમ્પિકનો શુભારંભ
આ પહેલાં કોરોનાકાળમાં વિવાદાસ્પદ બનેલા ટોક્યો ઑલિમ્પિકનો અધિકૃત શુભારંભ થયો.
કોરોનાને કારણે આ અધિકૃત શુભારંભ કાર્યક્રમ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવ્યો અને એક હજારથી પણ ઓછી સંખ્યામાં દર્શકોને સમારોહમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવી.
સ્ટેડિયમમાં ઑલિમ્પિક મશાલ પ્રજ્વલિત કરનાર ખેલાડીનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.
એક વાર રમત શરૂ થશે પછી ઑલિમ્પિકના આયોજનને લઈને થઈ રહેલી ટીકાઓ ઘટશે એવી આયોજકો આશા રાખે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનથી 36નાં મૃત્યુ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકા હેઠળ આવતા તલિયે ગામ ખાતે ભૂસ્ખલન થવાથી 32 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે અન્ય એક ગામમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે, આ સાથે જ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતી વખતે રાયગઢ જિલ્લાના કલેક્ટર નિધિ ચૌધરીએ તલિયેની ઘટનાની પુષ્ટિ કરી હતી. રાયગઢના પ્રધાન અદિતી તટકરેએ ખાનગી ન્યૂઝ ચેનલ એબીપી માઝા સાથે વાત કરતાં જણાવ્યું:
"તલિયે ખાતે 30થી 32 મૃતદેહ મળ્યા છે. ભારે વરસાદને કારણે ત્યાં હાલાકી પડી રહી છે, ત્યાં કાદવ અને કળણ છે. તમામ મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. સાંજે પાંચ-છ વાગ્યા પછી અંધારું થયા બાદ મુશ્કેલી સર્જાઈ હોત."
NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ) તથા અન્ય રાહત અને બચાવ એજન્સીઓ ઘટનાસ્થળે ધસી ગઈ છે.
રાયગઢ જિલ્લાની જ અન્ય એક ઘટનામાં સુતારવાડી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે વધુ ચાર લોકો દબાયેલા હોવાની પુષ્ટિ થઈ છે, જેમને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાયગઢ અને રત્નાગિરિમાં પ્રવર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે ભારતીય નૌકાદળની ટીમોને વિનંતી કરી હતી, જેને ધ્યાને લઈને સાત ટીમોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે. આ સિવાય સેનાની પણ મદદ માગવામાં આવી છે.
પેગાસસ : અનિલ અંબાણીની પણ જાસૂસી થઈ?
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા એક અહેવાલ પ્રમાણે ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને CBIના પૂર્વ નિદેશક આલોક વર્માના ફોન નંબર પણ પેગાસસ જાસૂસી યાદીમાં સામેલ છે.
અખબારે આ રિપોર્ટ સમાચાર વેબસાઇટ ધ વાયરના આધારે પ્રકાશિત કર્યો છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જેમની જાસૂસી કરાઈ છે એ ફોન નંબરોની યાદીમાં સીબીઆઈના પૂર્વ વિશેષ નિદેશક રાકેશ અસ્થાના અને પૂર્વ એડિશનલ ડિરેક્ટર એ. કે. શર્માના નંબર પણ સામેલ હતા.
બની શકે છે કે આ બધાની જાસૂસી પણ પેગાસસ દ્વારા કરવામાં આવી હોય.
આ યાદીમાં અનિલ અંબાણીના કર્મચારી ટોની જેસુડાન અને ફ્રાન્સની કંપની દાસો એવિયેશનના ભારતમાં પ્રતિનિધિ વેંકટ રાવ પોસીનાનો નંબર પણ સામેલ છે.
રિપોર્ટ મુજબ આલોક વર્માના પરિવારજનોના નંબર પણ તે યાદીમાં સામેલ છે.
ફ્રાન્સની ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરતી સંસ્થા ફૉરબિડેન સ્ટોરીઝે દુનિયાની 16 મીડિયા સંસ્થાઓ સાથે મળીને પેગાસસ પ્રોજેક્ટ હેઠળ તે નંબરોની યાદી પ્રકાશિત કરી છે, જેમની જાસૂસી કરવામાં આવી હોવાની શંકા છે.
ધ વાયરે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે યાદીમાં નંબર હોવાનો અર્થ એ છે કે તેની જાસૂસીની શંકા છે, જાસૂસી સફળ રહી કે નહીં તે મોબાઇલની ફોરેન્સિક તપાસથી સ્પષ્ટ થઈ શકશે.
દુનિયાભરમાં ડાઉન થયું ઇન્ટરનેટ, અનેક મોટી વેબસાઇટ ઠપ રહી
ટેકનિકલ ખામીના કારણે ગુરુવારે દુનિયાભરના અનેક દેશોમાં ઇન્ટરનેટ અચાનક બંધ થઈ ગયું હતું, જેના કારણે અનેક વેબસાઇટ અને મોબાઇલ ઍપ બંધ થઈ ગયાં હતાં.
આ વેબસાઇટ પર ડીએનએસ ઍરર આવતી હતી, જેનો મતલબ છે કે તેમના કમાન્ડ વેબસાઇટ્સ સુધી પહોંચી રહ્યા નહોતા.
જે વેબસાઇટ અને ઍપની સેવામાં આવરોધ આવ્યો હતો, તેમાં પેટીએમ, ડિઝ્ની હૉટસ્ટાર, એરબીએનબી, એચએસબીસી બૅંક, બ્રિટિશ ઍરવેઝ અને પ્લેસ્ટેશન નેટવર્ક સામેલ છે.
છેલ્લા બે મહિનામાં એવું બીજી વખત થયું છે કે આટલા મોટા સ્તરે ઇન્ટરનેટ સેવામાં ખલેલ પડી હોય.
ગુજરાતમાં ધોરણ 9 અને 11ના વર્ગો 26 જુલાઈથી શરૂ થશે
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ગુજરાત સરકારે ગુરુવારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે 26 જુલાઈથી 50 ટકા ક્ષમતા સાથે સ્કૂલો ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સરકારે કહ્યું છે કે ઑફલાઇન વર્ગોમાં ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પોતાનાં માતાપિતાનો સહમતિપત્ર જમા કરાવવો પડશે.
કોરોનાના કેસોમાં ઘટાડો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 15 જુલાઈથી જ શાળાઓ શરૂ થઈ ગઈ છે, જો કે ફિઝિકલ હાજરી ફરજિયાત કરવામાં આવી નથી.
કાર્ગોશિપ એમ.વી.કંચનમાં 12 ક્રૂ મેમ્બરને ગુજરાતના દરિયાકિનારેથી બચાયા
એનડીટીવી ડોટકોમના અહેવાલ મુજબ બુધવારે ઉમરગામમાં ફસાયેલી એમ. વી. કંચન શિપમાંથી 12 ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા.
ગુરુવારે ભારતીય કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર ઈંધણમાં અશુદ્ધિ આવી જવાના કારણે એમ. વી. કંચન અટવાયું હતું. જેના કારણે એન્જિન બંધ થઈ ગયું અને ઇલેક્ટ્રિક પાવર પણ ન હતો.
ભારતીય કોસ્ટગાર્ડે ગુરુવારે સવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, એમ. વી. હરમીઝે બહાદુરીથી 21 જુલાઈ 2021ના રોજ એક ભયંકર ઑપરેશનમાં એમ. વી. કંચનના તમામ ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા.
આદિવાસી યુગલને ઝાડ સાથે બાંધીને માર મારવાનો બનાવ
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી યુગલને ઝાડ સાથે બાંધી માર મારવાનો મામલો નોંધાયો છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર છોટાઉદેપુરના એક ગામમાં એક આદિવાસી યુગલનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું અને એક ઝાડ સાથે બાંધી તેમને લાકડીથી માર મારવામાં આવ્યો.
પોલીસ અધિક્ષક એ. વી. કટકડે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસસ્ટેશન વિસ્તારમાં ચિલિયાવંત ગામમાં મંગળવારે થયેલા કથિત હુમલામાં પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે.
પોલીસે કહ્યું કે ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં કેટલાક લોકો એક યુગલને ઝાડ સાથે બાંધીને અન્ય ગ્રામજનોની હાજરીમાં માર મારતા જોવા મળ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે વીડિયોના માધ્યમથી ઘટનાની જાણકારી મળતાં પોલીસ બુધવારે ગામમાં પહોંચી હતી અને પીડિત યુવતીની ફરિયાદના આધારે રાયોટિંગ, અપહરણ અને ગેરકાયદે બંધક બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
ડીએસપીએ જણાવ્યું કે "યુગલ 18 જુલાઈએ લગ્ન કરવાના ઇરાદે ભાગી ગયું હતું. જોકે ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ તેમને પાડોશના ગામમાંથી શોધી કાઢ્યાં અને મંગળવારે સવારે તેમને ચિલિયાવાટ લઈ આવ્યા."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો