કોરોના વાઇરસ : ગુજરાતના એ લોકો જેઓ 'ઓક્સિજનની કમીને કારણે' મૃત્યુ પામ્યા

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં 20 જુલાઈ, 2021ની મંગળવારની સાંજ અનેક લોકો માટે 'ચોંકાવનારા' સમાચાર સાથે આવી અને એ સમાચાર હતા 'દેશમાં કોરોનાની બીજી લહેરમાં એક પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓક્સિજનની કમીથી કોઈ પણ મૃત્યુ નોંધવામાં આવ્યું નથી.'

આ વાત કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુસત્ર દરમિયાન રાજ્યસભામાં જણાવી. સરકારના આ નિવેદનનો ભારે વિરોધ પણ થયો.

સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ એમ પણ કહ્યું કે, "આંકડા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અહેવાલને આધારે આપવામાં આવ્યા છે."

નરેન્દ્ર મોદી સરકારની આ વાત પર કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'ફક્ત ઓક્સિજનની જ નહીં, સંવેદનશીલતા અને સત્યની કમી ત્યારે પણ હતી અને અત્યારે પણ છે.'

સંસદમાં જ્યારે સરકારે કહ્યું કે દેશમાં ઓક્સિજનની કમીને કારણે કોઈ મૃત્યુ નથી નોંધાયું ત્યારે અનેક લોકોને આઘાત લાગ્યો.

વિપક્ષોએ ભૂમિકા અનુસાર વિરોધ કર્યો પણ સોશિયલ મીડિયામાં પણ સરકારના આ નિવેદનને ઘાતકી બીજી લહેરની પીડા વેઠનાર અને સ્વજનો ગુમાવનાર લોકોની 'મજાક' તરીકે દર્શાવાયું.

કેન્દ્ર સરકારે બીજી લહેરમાં ઓક્સિજનની માગમાં અસાધારણ વધારો થયો હોવાની વાત તો સ્વીકારી પણ સાથે એમ કહ્યું કે વિવિધ રાજ્ય સરકારોએ જે આંકડા કેન્દ્ર સરકારને આપ્યા એમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનથી મૃત્યુ થયું હોવાની કોઈ વાત નથી.

આનો એક અર્થ એ પણ થાય કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓક્સિજનની કમીથી કોઈ પણનું મૃત્યુ થયું નથી.

સરકારની વાતથી વિપરીત ગુજરાતે કોરોનાની બીજી લહેર વખતે ઓક્સિજન અને ઇન્જેક્શનની અછતની હાલાકી ભોગવી હતી અને બીબીસી ગુજરાતીએ આ અંગે કેટલાય અહેવાલો પણ પ્રકાશિત કર્યા હતા.

એ વખતે હૉસ્પિટલોની બહાર 108ની લાંબી લાઇનો અને દમ તોડી રહેલા કોરોના દરદીઓનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.

અનેક લોકોને ઓક્સિજન બેડ ન મળવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

બીજી લહેરમાં દેશમાં અનેક સ્થળોએ વાયુદળનાં વિમાનો દ્વારા ઓક્સિજન કન્ટેનરો તથા અન્ય મેડિકલ-ઉપકરણો પહોંચાડવાની નોબત આવી હતી. દેશમાં ઓક્સિજન માટે ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી,

કોરોનાની બીજી લહેરમાં અનેક નિષ્ણાતોએ 'ગુજરાત મૉડલ'ની આકરી ટીકા પણ કરી હતી. ગુજરાતનાં અમુક ગામમાં તો ઘરેઘરે લોકો મૃત્યુ પામ્યા હોવાની ઘટના પણ ઘટી હતી.

ગુજરાતમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એમના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ માટે રસ્તા પર ફાળો ઉઘરાવવા નીકળ્યા હતા અને તેને લઈને વિવાદ થયો હતો તથા સરકારે એમની સાથે સંબંધિત ટ્રસ્ટનું બૅન્ક એકાઉન્ટ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.

બીબીસી ગુજરાતીએ એપ્રિલના મધ્યમાં ગુજરાતમાં દરદીઓને ઓક્સિજન બેડ ન મળી રહ્યા હોવા અંગેની સ્ટોરી પ્રકાશિત કરી હતી. જેમાં અનેક લોકોએ ઓકિસજનવાળા બેડ નહીં મળવાની કે આઈસીયુમાં જગ્યા નહીં મળવાની ફરિયાદ કરી હતી.

એપ્રિલના મધ્યમાં બીબીસી ગુજરાતી અહેવાલ પ્રકાશિત કર્યો હતો, એમાં પણ અનેક લોકોનાં મૃત્યુ સમયસર ઓક્સિજન કે હૉસ્પિટલમાં પ્રવેશ ન મળવાને કારણે થયાં હોવાની વાત કરવામાં આવી હતી.

તેમના કહેવા પ્રમાણે તેમની હૉસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂબ ઓછો હતો.

ઓક્સિજનની સપ્લાય કરવામાં ન આવી તો દર્દીઓનાં મોત પણ થઈ શકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

એ સમય ઓક્સિજન માટે, ઇંજેક્શનો માટે અને મૃત્યુ બાદ અંતિમવિધિ માટે સ્મશાનમાં પણ લાઇનો લાગી હતી.

કેટલાય લોકો ભારે સંઘર્ષ બાદ પણ સ્વજનોને બચાવી શક્યા નહોતા.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્સિજનની કમીને લીધે એક પણ મૃત્યુ ન થયું હોવાનું કેન્દ્ર સરકાર જણાવી રહી છે ત્યારે અહીં અનેક કિસ્સાઓ પૈકીના કેટલાક પરિવારની વાત રજૂ કરાઈ રહી છે, જે ઓક્સિજનની કમીને લીધે સ્વજનો ગુમાવ્યા હોવાનું માને છે.

'ત્રણ દિવસ સુધી ઓક્સિજન ન મળ્યો અને આખરે મૃત્યુ'

શરીફ મલિક એક સ્વયંસેવી સંસ્થામાં કામ કરે છે અને તેઓ કહે છે કે એમના કાકા અબ્દુલ રઝાક મલિકનું ઓક્સિજન લેવલ 80 પર પહોંચી ગયું ત્યાં સુધી તેમને ઓક્સિજન મળ્યો નહોતો અને એના કારણે જ એમનું મૃત્યુ થયું હતું.

શરીફ મલિક બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "તેમની તબિયત બીજી લહેરની શરૂઆતમાં જ ખરાબ થઈ ગઈ હતી. ત્યારે ઓક્સિજનની ખાનગી બૉટલ પણ તરત મળતી નહોતી અને 108ની ઍમ્બ્યુલન્સમાં બહુ વેઇટિંગ હતું. ત્રણ દિવસ સુધી મારા કાકાને ઓક્સિજન મળ્યો નહોતો."

"એકાદ બૉટલ ક્યાંકથી મળી જાય તો બીજી બૉટલ ન મળે એવી હાલત હતી. મારા કાકાને ઓક્સિજન વગર અનેક કલાકો કાઢવા પડ્યા અને તેમની તબિયત ખરાબ થતી ગઈ."

"ઍમ્બ્યુલન્સ ત્રણ દિવસ બાદ મળી હતી પણ હૉસ્પિટલમાં દાખલ થવા માટે લાંબી લાઇન લાગેલી હતી. અમને જગ્યા મળે તે પહેલાં જ ઍમ્બુલન્સની લાઇનમાં જ મારા કાકાનું મૃત્યુ થઈ ગયું હતું."

'હૉસ્પિટલમાં પહેલાં ખાટલો અને પછી વૅન્ટિલેટર ન મળ્યાં'

ધ્રાંગધ્રાનાં ધોરાલિયાના પરિવારે કોરોનાને લીધે ચોવીસ કલાકની અંદર માતા અને પુત્ર બંને ગુમાવ્યાં હતાં.

બીબીસી સાથે વાત કરતાં ધોરાલિયા પરિવારના પ્રવીણભાઈએ કહ્યું હતું, "મારાં બા સવિતાબહેનને કોરોના હોવાનું માલૂમ પડ્યું. ડૉક્ટરે તરત કહ્યું કે હૉસ્પિટલમાં દાખલ કરો. બાને ઓક્સિજનની જરૂર હતી. ધ્રાંગધ્રાની હૉસ્પિટલમાં ઓક્સિજન મળતો નથી. તેથી બાને અમે સુરેન્દ્રનગર લઈ ગયા."

"ત્યાં તેમને થોડો ઓક્સિજન આપવામાં આવ્યો. સ્થિતિ જોતાં બાને વૅન્ટિલેટર પર મૂકવા પડે તેમ હતાં, પરંતુ તેની કોઈ સગવડ નહોતી. તેથી બાનું અવસાન થયું."

સવિતાબહેન 12મી એપ્રિલે અવસાન પામ્યાં, એના 24 કલાકમાં તેમના મોટા પુત્ર શાંતિલાલ પણ કોરોનાનો ભોગ બન્યા. શાંતિલાલનું અમદાવાદની હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

'સમયસર ઓક્સિજન મળ્યો હોત તો જીવી જાત'

54 વર્ષીય રોનકજહાં મુગલ અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહેતાં હતાં.

ગત એપ્રિલમાં ચારથી પાંચ દિવસ તાવ આવ્યા બાદ તેમણે ખાનગી ડૉક્ટરની દવા લીધી. તાવ પછી આશરે પાંચમા દિવસથી જ તેમને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ.

તેમને દાખલ કરવા માટે પરિવારજનો અનેક હૉસ્પિટલોમાં ફર્યા પરંતુ કોઈ પણ હૉસ્પિટલમાં જગ્યા ન મળી. ખાનગી ડૉકટરનું કહેવું હતું કે તેમને ઓક્સિજનની જરૂર છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમના 35 વર્ષીય પુત્ર ઇરફાન મુગલ કહે છે :

"ઓક્સિજનની વધારાની બૉટલ ક્યાંય ઉપલબ્ધ નહોતી. અમે ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ અમે તેમના માટે સમયસર ઓક્સિજન લાવી ન શક્યા."

"લગભગ ત્રણ દિવસ સુધી તેમને શ્વાસ લેવામાં તકલીફ રહી. એ પછી 108 ઍમ્બ્યુલન્સ ત્રણ દિવસ પછી આવી અને એમને એસ.વી.પી, હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમને સીધા જ વૅન્ટિલેટર પર મૂકી દેવાયાં. બે દિવસ બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું."

ઇરફાન મુગલ માને છે કે એમનાં માતાનું મૃત્યુ સમયસર ઓક્સિજન ન મળવાને કારણે જ થયું છે.

તેઓ કહે છે, "જો ઓક્સિજનનો બેડ કે ઓકિસજનનો બાટલો સમયસર મળી ગયો હોત તો એમને કદાચ વૅન્ટિલેટર પર રાખવાની નોબત ન આવી હોત."

એક કમનસીબ ઘટનામાં હજારો દરદીઓની સારવાર કરનારા પાલનપુરના ડૉક્ટરને જ વૅન્ટિલેટર મળ્યું નહોતું અને તેમનું મૃત્યુ થયું હતું.

બીબીસી ગુજરાતીએ તેનો વીડિયો અહેવાલ પ્રકાશિત કર્યો હતો જે નીચે જોઈ શકાય છે.

બીબીસી ગુજરાતીના એક અહેવાલ મુજબ એવા અનેક લોકો હતા જેમને ન તો હૉસ્પિટલમાં ઓક્સિજનની પથારી મળી ન તો વૅન્ટિલેટર મળ્યું.

નવસારીના સતીશભાઈ અવાડિયાએ એ વખતે બીબીસીને જણાવ્યું હતું :

"સિવિલ હૉસ્પિટલમાં વૅન્ટિલેટર ખાલી નહોતાં. તેથી બાપુજીને વૅન્ટિલેટર મળી ન શક્યું અને તેમનું અવસાન થયું. અન્ય હૉસ્પિટલમાંથી કે ક્યાંકથી વૅન્ટિલેટર મળી શકે એ માટે પણ અમે તપાસ કરી હતી."

"વૅન્ટિલેટર માટે અમે વલસાડ, સુરત તપાસ કરી હતી પણ ક્યાંય વૅન્ટિલેટર ઉપલબ્ધ નહોતાં. બાપુજી હૉસ્પિટલમાં એક દિવસ પણ માંડ રહ્યા. સાંજે દાખલ કર્યા અને સવારે અવસાન થયું."

ઓક્સિજન ન હોવાને કારણે હૉસ્પિટલે ન આપ્યો પ્રવેશ

36 વર્ષીય પરવેઝ કુરેશી અમદાવાદમાં એક મેડિકલ સ્ટોર ચલાવે છે.

27 એપ્રિલની મધરાતે અચાનક જ એમનાં માતા બદરુનિસા કુરેશીને શ્વાસ ચઢવા લાગ્યો હતો.

તેઓ તેમને લઈને ઘર નજીકની એક હૉસ્પિટલ પહોંચ્યા પણ એમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે હૉસ્પિટલમાં ઓક્સિજન નથી એટલે દરદીને દાખલ નહીં કરી શકાય.

તેઓ એમનાં માતા લઈને બીજી હૉસ્પિટલ પહોંચ્યાં પણ ત્યાં પ્રવેશ ન મળ્યો, કારણ કે તેઓ 108 ઍમ્બ્યુલન્સમાં નહોતા ગયાં.

ઉલ્લેખનીય છે કે 108માં આવનારને જ હૉસ્પિટલ પ્રવેશ આપવા મામલે પણ ગુજરાતમાં વિવાદ થયો હતો અને હાઈકોર્ટે તેની નોંધ લીધી હતી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા પરવેઝ કુરેશીએ કહ્યું, "મારી મમ્મીની તબિયત દર કલાકે ખરાબ થઈ રહી હતી. તેમને શ્વાસ લેવામાં પડી રહેલી તકલીફ વધતી જ જતી હતી પણ અમને કોઈ પણ હૉસ્પિટલમાં કે ખાનગી જગ્યાએ પણ ઓક્સિજન ન મળ્યો."

"અમે દુઆ કરતા રહ્યા કે મમ્મી હિંમત રાખીને રાત કાઢી લે પરંતુ સવાર થતાંથતાં તેમણે દમ તોડી દીધો. "

પરવેઝ કહે છે કે, "હું ચોક્કસપણે માનું છું કે જો મારી મમ્મીને સમયસર ઓક્સિજન મળી ગયો હોત તો કદાચ તેઓ મરત જ નહીં. ખૂબ જ ટૂંકા ગાળાની માંદગીમાં તેમનું આ રીતે મૃત્યુ થયું તે માટે હું સરકારીતંત્રને જવાબદાર માનું છું."

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનો ઓક્સિજન માટે પત્ર

ગુજરાતમાં દરદી માટે ઓક્સિજનની અછત એવી ઊભી થઈ હતી કે અમદાવાદ મેડિકલ ઍસોસિયેશને મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વાકેફ કર્યા હતા.

ઍસોસિયેશને પત્ર લખીને જણાવ્યું હતું, "કોવિડ હૉસ્પિટલોમાં ઓક્સિજનની ખૂબ અછત છે. પ્રાથમિક ધોરણે એ નિવારવામાં આવે. ઓક્સિજન વગર ડૉક્ટર દરદીને સારવાર આપી શકવા સમર્થ નથી."

"ઓક્સિજનની અછત વધતી રહેશે તો મૃત્યુદર વધશે અને ડૉક્ટર પર હુમલા વધશે. નાછૂટકે ડૉક્ટરોએ ઓક્સિજનના અભાવે હૉસ્પિટલો બંધ કરવી પડશે."

બીજી લહેર ચરમ પર હતી ત્યારે સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ઉપલબ્ધ ઓક્સિજન બેડ માટે ડૅશબોર્ડ બનાવવાની નોબત પણ આવી હતી અને નવીન ઓક્સિજન પ્લાન્ટની જાહેરાત પણ કરાઈ હતી.

અનેક સ્થળોએ લોકોએ જાતે ઓક્સિજન મેળવીને સ્વજનોને બચાવવાની કોશિશ કરી તો અનેક હૉસ્પિટલોને પોતાનો ઓક્સિજન સપ્લાય જાળવી રાખવા માટે આકરી મહેનત કરવી પડી હતી.

બીબીસી ગુજરાતીના જ એક અહેવાલ મુજબ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના મતક્ષેત્રના ડૉકટરોએ આજીજી કરી હતી કે 'હૉસ્પિટલોને ઓક્સિજન આપો નહીં તો દર્દીઓ મરી જશે'

રાજકોટની હૉસ્પિટલ જેવી જ હાલત અનેક હોસ્પિટલોની પણ થઈ હતી.

અમદાવાદની અમીના ખાતુન હૉસ્પિટલના ચીફ ઑપરેટિંગ ઑફિસર ડૉ. મહમદ કેઇસ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "એક કે બે વખત નહીં પણ અનેક વાર એવું બન્યું હતું કે અમારો ઓક્સિજન સપ્લાય પૂરો થવાનો હોય અને સરકાર તરફથી કોઈ મદદ ન મળી હોય."

"અમે અમારી રીતે અલગઅલગ લોકોને મળીને ગમે તે ભોગે ઓક્સિજનનો જથ્થો લાવતા હતા."

તેઓ વધુમાં કહે છે, "અમારી પાસે ઓક્સિજન ન હોવાને કારણે અમારે ઓક્સિજનની જરૂરિયાત હોય તેવા દર્દીઓને પાછા ઘરે મોકલવા પડ્યા હોય એવું પણ અનેક વાર બન્યું હતું."

"આવા દરદીઓ માટે ઓક્સિજનનો બંદોબસ્ત કરી એમને બચાવવાની જવાબદારી એમના સ્વજનો પર આવી પડી હતી અને અમે એમને કોઈ મદદ કરી શક્યા નહોતા."

જોકે, હૉસ્પિટલમાં ઓક્સિજનની કમીને લઈને બધા ડૉક્ટરોનો મત એક નથી.

અમદાવાદના ભુયંગદેવ વિસ્તારની ગુરુકૃપા હૉસ્પિટલના ડૉક્ટર રાકેશ શર્મા કહે છે કે તેમને ત્યાં બે દર્દી વૅન્ટિલેટર પર હતા અને ઓક્સિજનની તંગી થઈ ત્યારે કૉર્પોરેશનને તરત જ ઓક્સિજનના વધારાના બાટલાની વ્યવસ્થા કરી આપી હતી.

જોકે, ડૉ. રાકેશ શર્માએ કહ્યું કે "સંસાધનો મર્યાદિત હોવાથી તેઓ ઓક્સિજનની જરૂરિયાત હોય એવા નવા દરદીઓને દાખલ કરી શકે એમ નહોતા."

"આવા દર્દીઓ પછી પોતાની રીતે જ ઓક્સિજન મૅનેજ કરી રહ્યા હતા અને તેમને કદાચ વધારે તકલીફો થઈ હશે."

સાબરકાંઠાના અગ્રણી ડૉક્ટર એમ. એમ. સુરતી પણ આવું જ માને છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, "એપ્રિલના બીજા અઠવાડિયા બાદ દરરોજના 30થી વધીને 150 કેસ આવવા માંડ્યા હતા અને મારે અનેક દરદીઓને ના પાડવી પડી હતી."

"આમાં જેમને ઓક્સિજનની જરૂરિયાત હતી એવા દરદીઓ પણ હતા. એ દરદીઓનું પછી શું થયું હશે તેની મને ખબર નથી."

કોરોનાની બીજી લહેરમાં દેશમાં ચોતરફ ઓક્સિજન અને દવાઓની અછત સર્જાઈ ત્યારે અનેક લોકો મદદ કરવા આગળ આવ્યા હતા.

રાજધાની દિલ્હીમાં શીખોએ ઓકિસજન-લંગરની વ્યવસ્થા કરી હતી તો ગુજરાતમાં પણ અનેક લોકોએ ઓક્સિજન, દવાઓ વગેરેની સખાવતની કામગીરી આદરી હતી.

કોરોનાની બીજી લહેરમાં જરૂરિયાતવાળા લોકોને ઓક્સિજન પૂરો પાડવા માટે અમદાવાદના યુવાનોએ 'ટીમ કોવીડ સેવા' નામનું એક ગ્રૂપ બનાવ્યું હતું.

આ ગ્રૂપના મુખ્ય સંચાલક ઝૂબીન આસરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "કોરોનાની બીજી લહેર વખતે ઓક્સિજનની કમીને કારણે, ખાસ તો હૉસ્પિટલમાં જગ્યા ન મળવાના કારણે દરદીને પડતી મુશ્કેલી દરમિયાન મદદ કરવા માટે અમે ઘરેઘરે ઓક્સિજનના બાટલા મફતમાં પહોંચાડ્યા હતા."

ઝૂબીનના જણાવ્યા અનુસાર કેટલાય લોકોને દવાખાનામાં સારવાર ન મળતા ઘરે ઓક્સિજનની સારવાર લેવી પડી હતી.

આવું જ કામ કરનાર એક કર્મશીલ શુફિયાન રાજપૂતે બીબીસી ગુજરાતીને કહ્યું :

"ઓક્સિજનની કમીને કારણે કોઈ મૃત્યુ નથી પામ્યું એ વાત કઈ રીતે માની લઉં એમ મને નથી સમજાઈ રહ્યું."

"મેં પોતે એવા અનેક લોકોને ઓક્સિજન માટે તડપતા જોયા છે અને તેમને ઓક્સિજન મળી જાય તે માટે દિવસ-રાત કામ કર્યું છે."

"અનેક લોકોને ઓક્સિજન આપી શકાયો હતો છતાં એવા પણ અનેક લોકો હતા જેમના સુધી અમે ઓક્સિજન પહોંચાડી શક્યા નહોતા."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો