You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડે તેની જમીન : એ કાયદો જેના થકી ગુજરાતના ખેતમજૂરો ખેતમાલિકો થઈ ગયા
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ અને ગાંધીજી સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ બને તેવું ઇચ્છતા હતા. ભાવનગરના મહારાજા અને જામનગરના જામસાહેબ સૌરાષ્ટ્રનું એક જ એકમ બને તે માટે રાજી થયા અને યુનાઇટેડ સ્ટેટ ઑફ કાઠિયાવાડ બને તે માટે સંમતિ સધાઈ.
સ્વરાજ પહેલાં સૌરાષ્ટ્ર 25 હજાર ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલો હતો.
15 એપ્રિલ, 1948ના રોજ વિધિવત્ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. સરદાર પટેલે જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજીને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને મુખ્ય મંત્રી તરીકે ઘોષિત કર્યા.
સૌરાષ્ટ્રમાં એ વખતે 4415 ગામ-શહેરો હતાં. તેની જમીન પર 222 રાજાઓનો કબજો હતો. આ રાજ્યો જ્યારે સૌરાષ્ટ્રમાં વિલીન થયા ત્યારે તેમની જમીન સૌરાષ્ટ્ર રાજ્યને મળી. પણ તેમાં 51,700 ગરાસદારોનો કબજો પણ હતો. આ ગરાસદારોની જમીન તેમને ન મળી. સૌરાષ્ટ્રમાં ત્રીજાભાગની જમીન આ ગરાસદારો પાસે હતી.
તે વખતે સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉછંગરાય ઢેબરની ઇચ્છા હતી કે જે જમીન ખેડતા હોય તેને જ તેનો હક મળવો જોઈએ. ગરાસદારોને સમજાવીને તેમણે ગણોત પ્રવૃત્તિ નાબૂદ કરી અને ખેડૂતોને ખેતર ખેડવાનો અધિકાર મળ્યો.
શું છે ગણોતધારો?
ગુજરાતી વિશ્વકોશમાં જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં મધ્યસ્થીઓના દરેક પ્રકારનો ભોગવટો ધરાવનારા માટે જુદા જુદા કાયદા ઘડવાને બદલે માત્ર ત્રણ કાયદા ઘડાયા. એક કાયદો ત્યાંના ગરાસદારી પ્રકાર માટે સૌરાષ્ટ્ર લૅન્ડ રીએન્ફૉર્સમૅન્ટ ઍક્ટ(1951) ઘડાયો અને બીજો કાયદો બારખલી સત્તા પ્રકાર ધરાવતા બારખલીદારો માટે બારખલી ઍબોલિશન ઍક્ટ(1951) ઘડાયો.
બંને કાયદામાં ખેતીની જમીન પરત્વે હકો આપવાની બાબત હતી. જ્યારે ત્રીજો કાયદો ગરાસદારો તથા બારખલીદારોની બિનખેતીની બાબતો સંપ્રાપ્ત કરવા માટે સૌરાષ્ટ્ર જાગીર ઉપાર્જન કાયદો ઘડાયો.
1952ના આ કાયદાથી ગરાસદારો અને બારખલીદારોની ખેતી સિવાયની સંપત્તિ જેવી કે નદી, નાળાં, તળાવ, વૃક્ષો, સર્તા વગેરે સંપ્રાપ્ત કરાઈ. આમાં જાહેર મિલ્કતો હોય તેના માટે કશું વળતર ન અપાયું. બીજી મિલકતો માટે આકારના પટના ધોરણે રાજ્ય તરફથી વળતર અપાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 4થી ઑક્ટોબર, 1951ના રોજ તમામ મુખ્ય મંત્રીઓને લખેલા પત્રમાં આ મામલે ઉછંગરાય ઢેબરને અનુસરવા માટે નિર્દેશ આપ્યો.
સૌરાષ્ટ્રના કાયદાની ધ્યાન ખેંચે તેવી જોગવાઈ એ હતી કે તેમાં ગરાસદાર પાસે પોતાની જાતખેતી માટે જમીન ન હોય કે અપૂરતી હોય તો તેને ચોક્કસ ઠરાવેલ પ્રમાણમાં જમીન પહેલાં ગણોતિયા પાસેથી લેવામાં આવે તે પછી જ ગણોતિયો પોતાની બાકી રહેતી જમીન પરત્વે કબજેદાર બની શકતો. આમ ત્યાં આ કાયદો સમાન ભાગના સિદ્ધાંત પર ઘડાયો અને પરિણામે ત્યાં નાબૂદીના કારણે ઓછો અસંતોષ થયો.
જ્યારે ગુજરાત, મુંબઈ રાજ્યનું અંતર્ગત ભાગ હતું ત્યારે મુંબઈ રાજ્યે સમગ્ર રાજ્યમાં એક જ જમીનવહીવટ-પ્રથા અને પદ્ધતિ દાખલ થાય તે માટે આ જમીનધારણના પ્રકારોની નાબૂદી જરૂરી માની હતી.
ભારતમાં તે વેળા મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો હિન્દુ, મુસ્લિમ, તથા મરાઠા રાજ્યવહીવટ દરમિયાન રાજકીય હેતુઓ માટે ઊભા કરાયા હતા.
તેના પરિણામે જમીન ઉપરના હકોમાં મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીન ધારણના પ્રકાર રાજ્ય અને ખેડૂતોના અસ્તિત્વમાં હતા.
મુંબઈ રાજ્યે 1949થી 1960 દરમિયાન એટલે કે ગુજરાત રાજ્ય રચાયું ત્યાં સુધીમાં મધ્યસ્થીઓ અંગેના ઘણાબધા જમીનધારણના પ્રકારો કાયદા દ્વારા નાબૂત કર્યા.
મે, 1960માં ગુજરાતની રચના બાદ પણ આ નાબૂદી કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો.
આજે આ કાયદાના સ્વરૂપ વિશે વાત કરતા કાયદાવિદ રાજેન્દ્રભાઈ શુક્લ બીબીસીને જણાવે છે, “ગણોતધારા અંતર્ગત પાણીપત્રકમાં જેનું નામ ચાલે છે તે જમીનનો કબજો બતાવવા માટે ઘણુ ઉપયોગી થઈ પડે છે. ગણોતધારા અંતર્ગત જેને જમીન મળી છે તે નફા માટે તેની જમીન ન વેચી શકે અને જો વેચે તો સરકાર જે પ્રિમિયમ નક્કી કરે તે ભરવું પડે. જે ખેડૂતો ન હોય તેને પણ ન વેચી શકાય. જો વેચે તો ક્યાં તો જમીન મૂળ માલિકને પરત કરી દેવી પડે ક્યાં સરકાર પોતાના હસ્તક કરી લે.”
તેઓ વધુમાં કહે છે, “રાજવી પરિવારો પાસે ઘણી જમીનો હતી અને તેથી તેમણે આ જમીનો તેમના મહત્ત્વના દરબારીઓને કે વ્યક્તિઓને આપી હતી. તેઓ આ જમીનોના માલિકો બની બેઠા હતા જે ગરાસદાર બન્યા. ગણોતધારાને કારણે તેમની જમીનો જતી રહી અને બાકી રહ્યું તે જમીન ટોચમર્યાદાના કાયદાએ પૂરું કર્યું. તેને કારણે ખેતમજૂરો માલિક બન્યા.”
ખેડે તેની જમીન
જમીન વાવીને રીતસરની વેઠિયાની જિંદગી વ્યતીત કરતા અને વારંવાર હિજરત કરવી પડે તેવી સ્થિતિમાં ખેતમજૂરો રહેતા હતા.
સૌરાષ્ટ્ર રાજ્યની પહેલી કૅબિનેટની બેઠક 15 એપ્રિલ, 1948ના રોજ મળી હતી.
'ખેડે તેની જમીન' સૂત્રને સૌરાષ્ટ્રના પહેલા મુખ્ય મંત્રી ઉછંગરાય ઢેબરે સાકાર કર્યું. પહેલી જ કૅબિનેટની બેઠકમાં તેમણે લીધેલા નિર્ણયને કારણે ગુલામીપ્રથાનો અંત આવ્યો અને ગણોતિયાઓ જમીનના માલિક બની શક્યા.
આઝાદી પહેલાં લગભગ 222 રજવાડાં ધરાવતા સૌરાષ્ટ્રમાં જમીન રાજ્યની માલિકીની ગણાતી હતી. રાજા ઇચ્છે તો ગમે ત્યારે ગણોતિયા જેવા ખેડૂત પાસેથી જમીન છીનવી શકતા હતા. ભોગવટાની દૃષ્ટિએ જમીન ત્રણ ભાગમાં વહેંચાતી હતી. ખાલસા, ગરાસદારી અને બારખલી.
ખાલસા જમીન એ હતી જે રાજવીઓએ આ પ્રદેશમાં વિજય દ્વારા અને પછી વંશપરંપરાની રીતિથી મેળવી હતી. ખેડૂતોને તે ખેડવા અપાતી. ખેડૂત સીધા રાજ્યને જમીન મહેસૂલ ભરતા હતા. માત્ર ગોંડલ રાજ્યએ ખેડૂતોને જમીનના સંપૂર્ણ કબજા હક આપેલા.
ગરાસદારી જમીન એ હતી જે નાના તાલુકેદારો, મૂળ ગરાસિયા તથા ભાગીદારોને અપાયેલી હતી.
બારખલીમાં તેમની જમીનની ખેતપેદાશ ખળામાં(અનાજ સાફ કરવાની જગ્યા) જમા કરાવવાને બદલે ખળાની બહાર રખાતી હતી તેથી તેઓ બહાર ખલીદાર કહેવાતા અને તેમનો જમીન માલિકીનો હક નહોતો પણ ઊપજનો હક હતો.
ઉછંગરાય ઢેબરના કાયદાને કારણે જાગીરદારી-ગિરાસદારી કે બારખલી પ્રથા નાબૂદ થઈ કારણકે સૌરાષ્ટ્રમાં ત્રીજા ભાગનાં ગામો ગિરાસદારી કે જાગીરદારી હતાં. જેમાં ખેડૂતો પાસેથી વેઠિયા તરીકે કામ લેવાતું હતું. ઉછંગરાય ઢેબરે આ પ્રથા નાબૂદ કરીને ખેતમજૂરોને કે ખેડૂતોને જમીનમાલિક બનાવ્યા.
બધી ખાલસા જમીનના ખેડૂતોને જમીન કબજા હક્કની બક્ષિસ આપી. જમીન મહેસૂલ સિવાયના 90થી વધારે ન્યાયી, અન્યાયી અને હાસ્યાસ્પદ કરવેરા નાબૂદ કર્યા અને વેઠની ગુલામી પ્રથાને સદંતર દેશવટો આપ્યો.
ખેડે તેની જમીનના કાયદાથી પટેલોને ફાયદો
જાણકારો કહે છે કે સૌરાષ્ટ્રમાં તેનો સૌથી વધુ સારો અમલ થયો અને તેનો સૌથી વધુ ફાયદો પાટીદાર એટલે કે પટેલોને થયો. આ જમીન મહદંશે રાજપૂતો પાસે હતી.
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “સૌથીવધુ ફાયદો લેઉવા અને કડવા પટેલોને થયો.”
જોકે ગૌરાંગ જાનીનું એમ પણ કહેવું છે કે જે પ્રકારે સૌરાષ્ટ્રમાં રાજપૂતોની જમીનો ગઈ તે પ્રકારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં જે જમીનદારો હતા તેની જમીનો ન ગઈ.
તેઓ જણાવે છે, “મધ્ય ગુજરાતમાં અમીન અને પટેલ જમીનદારો પાસે જમીન હતી તે ઓબીસી ક્ષત્રિય કે ઠાકોરને મળવી જોઈતી હતી પણ તેમને ન મળી.”
તેનું કારણ જણાવતાં ગૌરાંગ જાની કહે છે, “અંગ્રેજો વતી જેઓ ટૅક્સ ઉઘરાવતા હતા તેમને લોકો પટેલ કહેતા હતા, દેસાઈ પણ હતા. કદાજ તેમને કારણે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેનો વ્યવસ્થિત અમલ ન થયો.”
આમ સૌરાષ્ટ્રમાં પટેલોને રાજપૂતોની જમીન મળી અને જ્યાં પટેલો જમીનદાર હતા ત્યાં તેમની જમીન મહદંશે અન્યોને ફાળે ન ગઈ.
જોકે મધ્ય ગુજરાતના પટેલો આ વાત માનવા તૈયાર નથી.
આણંદ જિલ્લાના પટેલ આગેવાન બિપીન વકીલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “ઊલટું પાટીદારોને એ કાયદાથી નુકસાન થયું. ચરોતર પ્રદેશમાં પટેલોની જમીન ક્ષત્રિયો કે ઠાકોરોને મળી પણ દક્ષિણ ગુજરાતમાં જે અનાવિલો હતા તેમની જમીન ત્યાંના આદિવાસી કે કણબી પટેલોને મળવી જોઈતી હતી તે ન મળી. મોરારજી દેસાઈએ અનાવિલોની જમીનો ન જાય તેવા ફાયદા પહોંચાડવાનું કામ કર્યું.”
“બાગાયત ખેતી કરતા હોવાને લઈને ઘણા અનાવિલોની જમીનો આ કાયદા હેઠળ બીજાને નહોતી આપવામાં આવી.”
જોકે દક્ષિણ ગુજરાતના અનાવિલ આગેવાન મેહુલ વશી આ આરોપોને નકારે છે.
તેઓ કહે છે, “અનાવિલો પાસે ચીકુવાડી અને આંબાવાડી હતી તેમાં ખેતી થતી જ નહોતી. તેમાં કોઈ ગણોતિયા નહોતા. અનાવિલો પોતે જ બાગાયત સંભાળતા હતા તેથી તેવી જમીનો બચી. એવું નથી કે અનાવિલોની જમીનો નથી ગઈ. તેમની પણ જમીનો આદિવાસીઓને ફાળે ગઈ છે.”
રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “મોરારજી દેસાઈ રૂલ બુકના માણસ હતા. ઊલટું ગણોતધારાનો અનાવિલોએ વિરોધ કર્યો હતો અને તેને કારણે 1952માં મુંબઈ ધારાસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી તેમની અમૂલ દેસાઈ સામે હાર થઈ હતી.”
પટેલ અને રાજપૂતો વચ્ચેનો સંઘર્ષ
ગૌરાંગ જાની કહે છે, “સિંચાઈનું પ્રમાણ વધતાં પટેલો રોકડિયો પાક લેતા થયા અને તેમાંથી કમાયેલા પૈસાને તેમણે વિવિધ ઉદ્યોગોમાં રોક્યા. તેઓ વિદેશમાં પણ સ્થાયી થયા. જેને કારણે ગુજરાતમાં પટેલોનો આર્થિક, સામાજિક અને રાજકીય પ્રભાવ વધ્યો.”
ગૌરાંગ જાની એમ પણ કહે છે, “રાજપૂતોની જમીનો મહદંશે પટેલોને ફાળે જતા બંને જ્ઞાતિ વચ્ચે અંતર વધ્યું હતું. પણ ભાજપની હિન્દુવાદી નીતિને કારણે તમામ જ્ઞાતિઓ એક છત્ર હેઠળ આવી. જોકે વિવિધ જ્ઞાતિઓની ઓળખ મહત્ત્વની બની.”
જાણકારો કહે છે કે ગણોતધારાનો અમલ સહેલાઈથી થયો નહોતો.
ઢેબરભાઈની સરકારના ક્રાંતિકારી નિર્ણયનો કેટલાક ગરાસદારોએ વિરોધ કર્યો અને કેટલાકે હિંસક માર્ગ પણ અપનાવ્યો.
જાણકારો એમ પણ કહે છે કે કેટલાક ગરાસદારોએ બહારવટિયાઓને પોષ્યા અને ગણોતિયાઓને જમીન અપાવવાનું કામ કરતા કર્મશીલોને મારવાનું કાવતરું પણ રચ્યું.
જાણીતા કર્મશીલ અને રાજકીય વિશ્લેષક સુખદેવ પટેલ કહે છે, “ઝાલાવાડના મુંજપુર ખાતેના આશ્રમના સ્વામી શિવાનંદજી ગરાસદારોના વિરુદ્ધમાં અને ખેડૂતોના સમર્થનમાં પ્રચાર કરતા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની હત્યા કરી નાખી. ગણોતિયાઓએ તેમના દ્વારા ખેડવામાં આવતી જમીનો મળે તે માટે તેમણે અરજી કરવાની રહેતી. આ અરજી ગણોતિયાઓ ન કરે તે માટે ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.”
“ઘણા ખેડૂતોના ખૂન પણ થયા.”
કેટલાક ગરાસદારો પર ભૂપત બહારવટિયાને પોષવાનો આરોપ
1950ના દાયકામાં ભૂપત બહારવટિયો ગુજરાત અને રાજસ્થાનમાં કુખ્યાત થયો હતો. જુલાઈ 1949થી ફેબ્રુઆરી 1952 સુધીમાં ભૂપતની ટોળીએ 82 લોકોની હત્યા કરી હોવાનું કહેવાય છે.
સુખદેવ પટેલ કહે છે કે કેટલાક ગરાસદારો પર ભૂપત બહારવટિયાને પોષવાનો આરોપ લાગ્યો હતો.
તેઓ કહે છે, “ઢેબરભાઈ વિશે લખાયેલાં પુસ્તકોનાં લખાણમાં જોવા મળે છે કે ભૂપત બહારવટિયાએ ખેતરનો કબજો લેનારા ગણોતિયા સામે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. કેટલાક ગરાસદારોનું તેને પીઠબળ પણ હતું. ભૂપત બહારવટિયો નાક-કાન કાપી લેતો હતો. ડર એટલો હતો કે ખેડૂતો સંતાઈને રહેતા. જોકે તેના વિશે લખાયેલી વાર્તાઓમાં કહેવાય છે કે તે મહિલાઓને હેરાન નહોતો કરતો.”
“સૌરાષ્ટ્રના ગૃહ મંત્રી રસિકલાલ પરીખે તેની સામે કડક જાપ્તો ગોઠવ્યો. સકંજો વધતા તે પાકિસ્તાન ભાગી ગયો અને પછી તેણે ધર્મપરિવર્તન પણ કર્યું અને નિકાહ પણ કર્યા.”
જાણકારો માને છે કે તે એક મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે પરણવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. આ તેનાં બીજા લગ્ન હતાં જ્યારે કે તેની પહેલી પત્ની ભારતમાં જ હતી.
ધર્મપરિવર્તન કર્યા બાદ તેણે તેનું નામ અમીન યુસૂફ રાખ્યું હતું.
જાણકારોના મત મુજબ માત્ર ભૂપત એક જ ડાકુ નહોતો પરંતુ અન્ય ડાકુઓએ પણ લોકોમાં હાહાકાર મચાવ્યો હતો.
નામીચા ડાકુઓમાં ભૂપત ઉપરાંત રામ બસીયો, કાળુ વાંક, લખુ માંજરિયો, મંગળસિંહ, દેવાયત, મેસુર, ભગુ પરમાર, વશરામ કાળા અને માવજી ભાણા પણ હતા.
એક સમયે ધારાસભાની ચૂંટણી વખતે થઈ રહેલા હત્યાકાંડને કારણે મુખ્ય મંત્રી ઢેબરે ચૂંટણીમાંથી ખસી જવાનું નક્કી કર્યું. પરંતુ તેમના સાથી અને વાસાવડના તાલુકદારના પરિવારના દેવેન્દ્રકુમાર દેસાઈએ તેમને સમજાવ્યા હતા.
દેવેન્દ્રકુમાર દેસાઈએ બાદમાં સૌરાષ્ટ્રના ઘડવૈયા-ઢેબરભાઈ નામનું પુસ્તક લખ્યું.
આ પુસ્તકમાં દેવેન્દ્રકુમાર દેસાઈ લખે છે, “રસિકભાઈ પરીખ (તત્કાલીન ગૃહ મંત્રી) અને ઢેબરભાઈનો જાન લેવા આ ડાકુ ટોળકીએ જે પ્રયાસો કર્યા તે પણ નિષ્ફળ રહ્યા. તેનો ઉલ્લેખ રસિકભાઈ પરીખની લેખમાળામાં મોજૂદ છે.”
“ભૂપતને ઝાલાવાડમાં પણ ઠીક ઠીક આશ્રય મળતો. એક વખત તેને તાવી ગામમાં રાખવામાં આવેલો. ઝાલાવાડના જ એક દરબારની મોટરમાં તેને ત્યાં લઈ જવાયો હતો. હું તે વખતે ખેતીવાડીનાં શ્રેષ્ઠ ઉત્પાદન કરનારાને ઇનામો પહેંચવા ગયો હતો. તે વખતે મારી પર હુમલો કરવાનો વિચાર હતો પણ તે મેળ ખાધો નહીં.”
“સોમનાથની પ્રાણપ્રતિષ્ઠાના સંબંધમાં ઢેબરભાઈ જૂનાગઢ જવા માટે રાજકોટ સ્ટેશનથી ટ્રેનમાં બેઠેલા તેમના ડબ્બાની બાજુમાં મૂળી ગામના એક જુવાન દરબારને બીજા બેની સાથે બેસાડવામાં આવ્યો હતો. ત્રણેય પાસે હથિયાર હતા. જોકે જૂનાગઢ પહોંચ્યા સુધી તેમને ઢેબરભાઈને મારવાની તક નહોતી મળી.”
જોકે ઘણા રાજપૂતો એ વાતનો ઇનકાર કરે છે કે તેમણે ભૂપતને પોષ્યો હતો.
લીંબડી તાલુકામાં એક સમયે જેમના વડવાઓ ગરાસદાર હતા તેવા ભરતસિંહ ઝાલા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “અમારી 30 વિઘા જમીન ગઈ. ક્ષત્રિયોએ પ્રેમથી જમીન આપી છે. આખાં રાજ-રજવાડાં આપી દીધાં તો જમીન આપવામાં અમને શો વાંધો હોઈ શકે? અમે જો જમીન ન આપવાના હોત તો અમારી પાસે જ હથિયારો હતાં, અમારે ભૂપત બહારવટિયાની શી જરૂર પડે?”
ભરતસિંહ ઝાલાના વડવાઓની લીંબડી તાલુકાના ખંભલાવ તથા ચરમાડી ગામમાં જમીનો હતી.
મનુ રાવળના 'ઉ. ન. ઢેબર: લોકાભિમુખ રાજપુરુષ' પુસ્તકમાં લખવામાં આવ્યું છે, “ગરાસદારો સાથેના અશુભ ગઠબંધનને લીધે, નિર્દય અને ભીષણ બહારવટિયાઓની હારમાળાએ આખા પ્રદેશમાં સ્તબ્ધતા ફેલાવવાનું ભયજનક વાતાવરણ સર્જવા ઉપરાંત સેંકડો ખેડૂતોના જાનમાલને હાનિ પહોંચાડી અને પ્રજા અને રાજ્યતંત્રની કપરી કસોટી કરી.”
“બહારવટિયાઓનો દીર્ઘકાળનો કાળો કેર સર્જવામાં અને નિભાવવામાં સૌરાષ્ટ્રનાં અનેક અનિષ્ઠ સામંતશાહી પરિબળો, કેટલાક દરબારો, ભાયાતો અને કુંવરોએ નપાવટ ભાગ ભજવ્યો. અંતે રાજ્યે આવાં તત્ત્વો જેર કર્યા અને પછી અસામાજિક વિદ્રોહની ભૂતાવળનો અંત આવ્યો.”
ગણોતધારાની અસર
ભલે ગરાસદારોની જમીનો ખેડૂતોને મળી હોય પરંતુ કેટલીક સ્થિતિમાં ગરાસદારો પણ કંગાળ થઈ ગયા.
લીમડી તાલુકાના ક્ષત્રિય આગેવાન ભરતસિંહ ઝાલા કહે છે, “મારે અમદાવાદ જઈને વિમલ મિલમાં કામ કરવું પડ્યું. ઘણા કિસ્સામાં જે કાયદા વિશે અજાણ હતા કે જેમને તેના વિશે ખબર નહોતી તેવા ક્ષત્રિયો કંગાળ થઈ ગયા. તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી ગયું.”
ક્ષત્રિય આગેવાન પી. ટી. જાડેજાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “ગણોતધારાની અસર માત્ર સૌરાષ્ટ્રના રાજપૂતોને જ નહોતી થઈ. દક્ષિણ ગુજરાતમાં અનાવિલોની અને પારસીઓની પણ જમીનો ગઈ અને તે કોળી, કણબી અને આદિવાસીઓને મળી. ગાયકવાડ રાજ અંતર્ગત આવતા અમરેલી, ઇડરના સુબેદારોની જમીન પણ ઠાકોરો અને પટેલોને મળી. સુરત પાસે આવેલા સચીનના નવાબની જમીન કોળીઓને મળી.”
ગણોતધારાને કારણે રાજપૂતોની જમીનો ગઈ તેને કારણે પટેલો અને રાજપૂતો વચ્ચે સંઘર્ષનાં બીજ રોપાયાં હોવાની વાતોને બંને સમાજના આગેવાનો નકારે છે.
પી. ટી. જાડેજા કહે છે, “અમને જમીનો જવાનો કોઈ અફસોસ નથી. રાજપૂતોએ તો ગણોતધારાના કાયદાને માન આપ્યું છે. પટેલો સાથે કોઈ વેર-વૈમનસ્ય નથી. ભારતને એક બનાવવા માટે ક્ષત્રિયોએ બલિદાનો આપ્યાં છે.”
ભાવનગરમાં પાટીદાર આગેવાન અને ભાવનગર ડાયમન્ડ ઍસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ બીબીસીને જણાવે છે, “આજે પટેલ અને રાજપૂતો સંપીને રહે છે, પટેલોએ કંઈ મનમાં રાખ્યું નથી.”
ગાંધીનગર જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અને અલુવાના તત્કાલીન ઠાકોરસાહેબ અર્જૂનસિંહ રાઠોડના પૌત્ર અજિતસિંહ રાઠોડ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “અમે સ્વેચ્છાએ અમારી જમીનો આપી છે. પરંતુ આજે ખેડૂતોને જે હેતુથી આ જમીનો આપવામાં આવી હતી તે હેતુ મરી પરવાર્યો છે. જમીનોનો કારોબાર થઈ રહ્યો છે. નવી શરતોમાં પરિવર્તન કરેલા કાયદાને કારણે સરકારી ઢીલી નીતિનો લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે.”
સુખદેવ પટેલ કહે છે, “આજે એક જમાનામાં જે ગણોતિયાઓ હતા તે ગરાસદારો બની ગયા છે. આજે કયા સમૃદ્ધ ખેડૂતો ખેતી કરે છે?”
રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ બીબીસી ગુજરાતીને કહે છે, “પહેલાં જે ખેતપેદાશોના દામ મળતા હતા તે પ્રમાણમાં આજે નથી મળી રહ્યા. આજે નેગેટિવ ખેતી થઈ રહી છે. ઉપજનું યોગ્ય મૂલ્ય મળતું નથી. જેને કારણે જ પટેલોએ એક સમયે અનામત માગવા આંદોલન ચલાવવું પડ્યું હતું.”