You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : ‘શેર-એ-પંજશીર’નો તાલિબાનને લલકાર, કોણે ભડકાવી વિદ્રોહની ચિનગારી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મંગળવારે તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ લડનારાઓને માફી આપી દેવામાં આવી છે. નવી સરકાર અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે તથા મહિલાઓને પણ અધિકાર મળેલા હશે.
આ પત્રકારપરિષદના થોડા સમય પહેલાં અફઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે અજ્ઞાતસ્થળેથી સંદેશ આપતા કહ્યું કે "યુદ્ધ સમાપ્ત નથી થયું."
તેમણે કહ્યું કે, બંધારણ મુજબ, અશરફ ગની દેશ છોડી ગયા છે, તે પછી તેઓ હવે કાર્યવાહક રાષ્ટ્રપતિ છે.
સાલેહ ઉપરાંત બીજા કેટલાક અફઘાન નેતાઓએ તાલિબાનના નિયંત્રણની સામે અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી છે. તેમણે તાલિબાન લડાકુઓ દ્વારા દેશ પરના કબજાને 'ગેરકાયદેસર' ગણાવ્યો હતો.
1996થી 2001 દરમિયાન તાલિબાનીઓ પંજશીર પ્રાંત પર કબજો નહોતા કરી શક્યા, હવે વધુ એક વખત પંજશીર પ્રતિકાર માટે ઊભું થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
શેર પંજશીર Vs તાલિબાન
એક ફ્રેન્ચ મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં અફઘાન નેતા 'શેર પંજશીર' અહમદશાહ મસૂદના દીકરા અહમદ મસૂદે પિતાના પગલે ચાલવાની જાહેરાત કરી હતી અને તેમણે તાલિબાન સામે યુદ્ધની જાહેરાત કરી હતી.
અહમદ મસૂદ નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ઑફ અફઘાનિસ્તાનના વડા છે. એમના પિતા અહમદ શાહ મસૂદ 1992થી 2001 સુધી અફઘાનિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર હતા.
એમણે 80ના દાયકાની શરૂઆતમાં સોવિયત સંઘના અતિક્રમણ સામે લડત આપી હતી. 90ના દાયકામાં એમણે ચરમપંથીઓ સામે સરકારી લશ્કરની આગેવાની કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલિબાન શાસનમાં તેઓ વિદ્રોહનો એક મોટો અવાજ બન્યા હતા. 2001માં એમની હત્યા કરવામાં આવી હતી.
અહમદ મસૂદે ધ વૉશિગ્ટન પોસ્ટમાં એક ઓપનિયન આર્ટિકલ લખ્યો છે જેનું શીર્ષક છે 'તાલિબાન સામે મુજાહિદ્દીનનો પ્રતિકાર હવે શરૂ થાય છે પણ અમને મદદ જોઈશે.'
એમાં એમણે લખ્યું કે 'હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે મારા પિતા અને એના એમની કમાન્ડમાં સૈનિકો ફક્ત અફઘાનિસ્તાનના ભવિષ્ય માટે નહીં પણ પશ્ચિમના ભવિષ્ય માટે અલ-કાયદા અને તાલિબાન સામે લડ્યા હતા. હવે આ અંધકારભર્યા સમયમાં સહિયારો સંર્ઘષ અનિવાર્ય બની જાય છે.'
એમણે લખ્યુ કે, 'હું પંજશીરથી આ લખી રહ્યો છું અને મુજાહિદ્દીન લડવૈયાઓ સાથે મારા પિતાને પગલે ચાલવા તૈયાર છું. અમારી પાસે દારૂગોળો અને હથિયારો છે જે અમે ખૂબ જ ધીરજથી એકત્રિત કરી રહ્યા હતા, કારણ કે અમને ખબર હતી કે એક દિવસ આવો પણ આવી શકે છે.'
જોકે, એમણે એમ પણ કહ્યું કે અમારી પાસે જે સંસાધનો છે એ પૂરતા નથી.
એમણે પશ્ચિમના દેશોને અપીલ કરતાં કહ્યું કે, 'લાખો અફઘાનો તમારી જેવા જ મૂલ્યો ધરાવે છે. જ્યાં છોકરીઓ ડૉક્ટર બની શકે, પ્રેસ આઝાદ હોય, યુવાઓ નૃત્ય કરી શકે અને સંગીત સાંભળી શકે અને જે સ્ટેડિયમોમાં તાલિબાનોએ જાહેરમાં ફાંસીઓને અંજામ આપ્યો છે ત્યાં ખેલકૂદની મજા માણી શકે એવા એક મુક્ત સમાજ માટે અમે લાંબી લડત લડી છે.'
એમણે લખ્યું કે 'તાલિબાન ફક્ત અફઘાનિસ્તાનની સમસ્યા નથી. તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાન બેશક ચરમપંથી ઇસ્લામિક આતંકવાદનું ગ્રાઉન્ડ ઝીરો બની શકે છે જ્યાંથી લોકશાહીઓ માટે મોટી ઘટનાઓનો તખતો ઘડાશે.'
એમણે લખ્યું કે 'મુજાહિદ્દીન લડવૈયાઓ કોઈ પણ ભોગે પંજશીરની રક્ષા કરશે પણ અમને વધારે શસ્ત્રો જોઈશે, પુરવઠો જોઈશે.'
એમણે અમેરિકા સહિત દેશોને અપીલ કરતાં કહ્યું કે 'આપણો સહિયારા સંઘર્ષ અને મૂલ્યોનો ઇતિહાસ છે અને તમે આઝાદીની લડાઈમાં હજી વધારે કરી શકો એમ છો.'
ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલા વીડિયોમાં અહમદ મસૂદે કહ્યું હતું કે તેમણે અફઘાનિસ્તાન નથી છોડ્યું તથા તેઓ પંજશીરના લોકોની સાથે છે.
હાલમાં દેશના મોટા ભાગના વિસ્તાર તથા મહત્ત્વપૂર્ણ સરહદો પર તાલિબાનનો કબજો છે.
ઉલ્લેખનીય છે કે પંજશીર પ્રાંત કાબુલથી લગભગ ત્રણ કલાકના અંતરે આવેલો છે. તે તાલિબાનોને ટક્કર આપવા માટે પંકાયેલો છે.
1996થી 2001માં અફઘાનિસ્તાન પરના શાસન દરમિયાન પણ તેઓ પંજશીરને પોતાના તાબા હેઠળ લઈ નહોતા શક્યા. ત્યાં નૉર્ધન અલાયન્સનો કબજો હતો, જે તાલિબાનોને ટક્કર આપતું હતું.
સાલેહની સલાહ અને સંગ્રામની શરૂઆત
બીબીસી ઉર્દૂને પંજશીરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે અમરુલ્લાહ સાલેહ તથા અહમદ મસૂદે નૉર્ધન અલાયન્સના કેટલાક પૂર્વ કમાન્ડરો અને લડાકુઓનો સંપર્ક સાધ્યો છે અને તેમને આ લડાઈમાં જોડાવા માટે મનાવી લીધા છે.
રવિવારે અફઘાન રાષ્ટ્રપતિના રાજમહેલમાં શું બન્યું હતું, તેના વિશે અશરફ ગનીની નજીકની એક વ્યક્તિએ પ્રકાશ પાડ્યો હતો.
તાલિબાનો કાબુલ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે શુક્રવારે કેટલાક નજીકના લોકોએ ગનીને પદ છોડી દેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેમના પર દબાણ પણ કરવામાં આવ્યું હતું.
માત્ર સાલેહ જ એવી વ્યક્તિ હતી કે જેમણે રાષ્ટ્રપતિને કહ્યું હતું કે તેમણે રાજીનામું ન આપવું જોઈએ તથા દેશ ન છોડવો જોઈએ. સાલેહ વારંવાર કહેતા રહ્યાં કે "આપણે તાલિબાનો સામે લડીશું."
જ્યારે તાલિબાનો કાબુલના દરવાજા પર હતા અને ગની દેશ છોડી ગયા ત્યારે અમરુલ્લાહ પંજશીર માટે નીકળી ગયા અને અત્યારે પણ તેઓ ત્યાં જ છે. અફઘાનિસ્તાનના સંરક્ષણમંત્રી બિસ્મિલ્લાહ મહમદી પણ તેમની સાથે હોવાનું માનવામાં આવે છે.
દરમિયાન સાલેહનો એક ઑડિયો મૅસેજ વાયરલ થયો છે, જેમાં તેઓ ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા જણાય છે.
અમેરિકાસ્થિત અફઘાન વિશ્લેષક હાસિમ વહાદત્યારના કહેવા પ્રમાણે, સાલેહના સંદેશમાંથી બે મહત્ત્વપૂર્ણ બાબતો નીકળીને બહાર આવે છે.
જો તાલિબાન લોકશાહીની વાત કરે તો તેઓ અમુક અંશે સહમત થઈ શકે છે. પરંતુ જો તો 'અમિરાત' જેવી વ્યવસ્થાની સ્થાપનાની વાત કરશે તો તેઓ લડત આપશે.
હાલમાં એ સ્પષ્ટ નથી કે અમરુલ્લાહને દેશમાંથી જ કેટલું સમર્થન મળશે. આ સિવાય દેશમાં તાલિબાનો સામેનું અભિયાન વેગ પકડશે કે કેમ તે પણ સવાલ છે.
સત્તા, તાલિબાન અને હિંસા
તાલિબાનોએ નવી શાસનવ્યવસ્થા અંગે ખાસ સ્પષ્ટતા નથી કરી, પરંતુ પ્રથમ પત્રકારપરિષદમાં એવું કહ્યું છે કે નવી સરકારમાં સમાજના તમામ વર્ગના લોકો હશે અને તેમાં અફઘાનિસ્તાનના તમામ પક્ષકારોનું પ્રભુત્વ હશે.
વિશ્લેષક હાસિમ વહાદત્યારના કહેવા પ્રમાણે, હવે અફઘાનિસ્તાનમાં જે કંઈ થાય, તેના માટે તાલિબાન જવાબદાર છે, કારણ કે તે સત્તા ઉપર છે.
તેમના કહેવા પ્રમાણે, એવા પણ અહેવાલ છે કે તાલિબાન પોતાનું એક પ્રતિનિધિમંડળ મસૂદ તથા સાલેહ પાસે મોકલશે અને તેમને સત્તામાં જોડાવા માટે આમંત્રણ આપશે.
જોકે, છેલ્લાં 20 વર્ષ દરમિયાન એવી અનેક ઘટનાઓ ઘટી છે, જે તાલિબાનો તથા તેમના વિરોધીઓને સાથે આવતા અટકાવશે.
જેમ કે, નૉર્ધન અલાયન્સ તથા મોટા ભાગના લોકો અહમદશાહ મસૂદને 'હીરો' માને છે, શું તાલિબાનને તે મંજૂર હશે?
ઉલ્લેખનીય છે કે 9/11ના બે દિવસ પહેલાં અલ-કાયદાના બે આત્મઘાતી બૉમ્બરોએ અહમદશાહ મસૂદની હત્યા કરી નાખી હતી. ત્યારથી અત્યારસુધી દર વર્ષે તેમની મૃત્યુતિથિ ઉપર નૉર્ધન અલાન્યસ તથા મસૂદના સમર્થકો કાબુલ બંધ કરાવે છે.
વિશ્લેષક હાસિમ વહાદત્યાર માને છે કે મંગળવારે તાલિબાને જે કોઈ વાતો કહી, તેની ઉપર પાલન કરશે તો તેમની મુશ્કેલીઓ ઘટશે.
તેમણે ગત વખતની સરકાર દરમિયાન જે કંઈ કર્યું હતું, તે કરશે તો તેમની મુશ્કેલીઓ વધશે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ શું કહ્યું હતું?
અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે દાવો કર્યો છે કે તેઓ દેઓ દેશના નવા કાર્યવાહક રાષ્ટ્રપતિ છે. રવિવારે પૂર્વ નેતા અશરફ ગની દેશ છોડી નાસી ગયા હતા.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ દેશમાં જ છે અને તેઓ "સહકાર તથા સહમતી માટે દેશના તમામ નેતાઓનો સંપર્ક સાધી રહ્યા છે."
આ પહેલાં એક ટ્વીટમાં તેમણે લખ્યું કે તેમણે "જુસ્સો નથી ગુમાવ્યો" તેમણે અફઘાનોને "સાથે મળીને પ્રતિકાર કરવા" માટે આહ્વાન કર્યું હતું, જે તાલિબાનને માટે એક સંદેશ હતો.
સાલેહ અફઘાનની ગુપ્તચર સંસ્થાના પૂર્વ નિર્દેશક છે. તેમણે કહ્યું હતું કે, "કોઈ પણ સંજોગોમાં" તાલિબાનોની સામે આત્મસમર્પણ નહીં કરે.
આ પહેલાં એક ટ્વીટમાં સાલેહે ટ્વિટર ઉપર લખ્યું, "અફઘાનિસ્તાન મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દલીલ કરવી હવે બેકાર છે. તેમને રહેવા દો. આપણે અફઘાનોએ સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાન એ વિયેતનામ નથી અને તાલિબાન કોઈ પણ રીતે વિયેત કાંગ જેવું નથી."
"અમરિકા/નાટોથી વિપરીત અમે હિંમત નથી હાર્યા. અમને અપાર સંભાવનાઓ દેખાઈ રહી છે. નકામી ચેતવણીઓ આપવાનો સમય જતો રહ્યો છે. આવો અને પ્રતિશોધમાં સામેલ થાઓ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો