બપ્પી લાહિરીનું મૃત્યુ : Obstructive Sleep Apnoea કોને અને ક્યારે થઈ શકે?

વિખ્યાત સંગીતકાર બપ્પી લાહિરીનું 69 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના મૃત્યુના કારણ તરીકે ઓપીએ (ઑબ્સટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા) નામની બીમારીને જવાબદાર ગણવામાં આવી છે, જે ઊંઘ સંબંધિત બીમારી છે.

બપ્પી લાહિરી મુંબઈની ક્રિટિકેયર હૉસ્પિટલમાં દાખલ હતા અને મંગળવારે રાત્રે 11.45 કલાકે તેમણે અંતિમશ્વાસ લીધા હતા.

ગત વર્ષે તેમને કોવિડ-19નો ચેપ લાગ્યો હતો, પરંતુ બાદમાં તેમને રજા આપી દેવાઈ હતી. ગત વર્ષનના અંતભાગથી એવી ચર્ચા હતી કે તેઓ અવાજ ગુમાવી રહ્યા છે.

'ડિસ્કો કિંગ' તરીકે ઓળખાતા લાહિરીએ હિંદી ઉપરાંત બંગાળી તથા અન્ય કેટલીક પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું.

ઓએસએના કારણે અવસાન

મુંબઈની ક્રિટિકેયર હૉસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર દીપક નામજોશીએ સંગીતકારના નિધન અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં જણાવાયું હતું :

"બપ્પી લાહિરી ઓએસએ અને છાતીમાં ચેપથી પીડિત હતા. આને કારણે તેઓ જૂહુસ્થિત ક્રિટિકેયર હૉસ્પિટલમાં 29 દિવસ દાખલ રહ્યા હતા. તેમની તબિયત સામાન્ય થઈ ગઈ હતી અને તેમને તા. 15મી ફેબ્રુઆરીના રજા આપી દેવામાં આવી હતી. પરંતુ એક દિવસ પછી ફરી એક વખત તેમની તબિયત કથળી ગઈ હતી અને તેમને ફરી હૉસ્પિટલે લાવવામાં આવ્યા હતા. આ બીમારીને કારણે રાત્રે લગભગ 11.45 કલાકે તેમનું દેહાવસાન થયું હતું."

નિવેદનમાં જણાવવામાં આવ્યું, "ગત વર્ષે તેમને કોવિડનો ચેપ લાગ્યો હતો. ગત એક વર્ષથી તેઓ ઓએસએથી પીડાતા હતા. આ પહેલાં પણ અનેક વખત તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી અને દરેક વખતે તેમની તબિયતમાં સુધાર જોવા મળ્યો હતો."

શું છે ઓએસએ?

બ્રિટનની સંસ્થા બ્રિટિશ લંગ ફાઉન્ડેશન (બીએલએફ)ના નિવેદન અનુસાર, ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા અથવા તો ઓએસએ શ્વાસ સંબંધિત બીમારી છે, જે ઊંઘતી વખતે થાય છે. ઓએસએમાં શ્વાસનળીમાં અવરોધ (Obstructive), ઊંઘ દરમિયાન થતી બીમારી (Sleep) તથા કેટલાક સમય માટે શ્વાસ અટકી જવો (Apnoea) સમાવિષ્ટ છે.

આ બીમારી આબાલવૃદ્ધ સૌ કોઈને થઈ શકે છે અને તેનો ઉંમરની સાથે કોઈ સંબંધ નથી.

ઓએસએ થાય એટલે...

બીએલએફના મતે, જ્યારે આપણે ઊંઘીએ છીએ, ત્યારે આપણા ગળાની માંસપેશીઓનો તણાવ ઓછો થાય છે અને હવા આપણાં ફેફસાં સુધી પહોંચે છે.

પરંતુ જો ઓએસએ થઈ ગયું હોય તો તે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને હવાનો પ્રવાહ અટકી જાય છે. આ સંજોગોમાં થોડા સમય માટે શ્વાસ બંધ થઈ જાય છે.

જો તે દસ સેકંડ કે તેથી વધુ સમય માટે થાય તો તેને એપ્નિયા કહે છે. આને કારણે લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી શકે છે.

બીમારીની અસર

આ બીમારી થવાને કારણે અમુક સમય માટે શ્વાસ અટકી જાય છે, ત્યારે મગજ ફરીથી શ્વાસ શરૂ કરે છે.

મોટાભાગે એક ઊંડા શ્વાસ અથવા તો હલચલ પછી શ્વાસ ફરી શરૂ થઈ જાય છે. આ પછી વ્યક્તિ ઊંઘી જાય છે અથવા તો આરામ કરે છે અને થોડા સમય પછી ફરી આ ક્રમ શરૂ થઈ જાય છે.

કેટલાક લોકો અમુક સમય માટે જાગી જાય છે, પરંતુ ઘણા લોકોને એ સમજાતું નથી કે તેમની સાથે શું થઈ રહ્યું છે. આ બીમારી જો ગંભીર સ્વરૂપ ધારણ કરે તો એક જ રાતમાં અનેક વખત થઈ શકે છે.

આને કારણે ઊંઘમાં વારંવાર વિક્ષેપ ઊભો થાય, તેવું પણ બની શકે છે. જે દિવસે આવું વારંવાર થયું હોય ત્યારે વ્યક્તિ અનિંદ્રાનો અનુભવ કરે છે. જો સમયસર તેની સારવાર કરાવવામાં ન આવે તો વ્યક્તિના જીવન ઉપર તેની મોટી અસર થઈ શકે છે.

કોને થઈ શકે છે બીમારી?

બ્રિટિશ લંગ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, આ બીમારી આબાલવૃદ્ધ, સ્ત્રી-પુરુષ સૌ કોઈને થઈ શકે છે. છતાં નીચે જણાવ્યા મુજબની વિશિષ્ટ પરિસ્થિતિઓમાં ઓએસએ થવાનું જોખમ વધી જાય છે.

મધ્યમ ઉંમરના પુરુષ

રજોનિવૃત્તિમાંથી (મોનોપોઝ) પસાર થઈ ચૂકેલી મહિલા

વજન વધારે હોય તથા મેદસ્વિતાનો ભોગ બનેલા લોકો

ગળાનો આકાર અસામાન્ય રીતે મોટો હોય

ડાઉન્સ સિન્ડ્રોમ જેવી અસામાન્ય તબીબી પરિસ્થિતિમાં

ટાઇપ-2 ડાયાબિટીસ હોય

હૃદયની બીમારી હોય

સિગારેટ કે શરાબનું સેવન કરનાર કે

વધુ પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ખાનારને પણ આ બીમારી થવાની શક્યતા રહે છે.

ઓએસએનાં લક્ષણ

બીએલએફ દ્વારા ઓએસએનાં લક્ષણોને જાગૃતાવસ્થાનાં લક્ષણ તથા નિંદ્રાવસ્થાનાં લક્ષણ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યાં છે.

નિંદ્રાવસ્થાનાં લક્ષણ

મોટા અવાજે ભારે નસકોરાં બોલાવવાં

શ્વાસ અટકી જવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી

ગળે ટૂંપા જેવું લાગવું અથવા તો ઝાટકા સાથે ઝડપભેર શ્વાસ લેવો

વારંવાર હલનચલન

અચાનક જ શરીરમાં આંચકો

રાત્રે અનેક વખત ઊઠવું

જાગૃતાવસ્થાનાં લક્ષણ

અનિંદ્રા જેવું લાગવું તથા તાજગીનો અભાવ લાગવો

જાગૃતાવસ્થામાં માથામાં દુખાવો

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી

નબળી યાદશક્તિ

દુ:ખી અથવા ચીડિયાપણાનો અનુભવ

સંકલનનમાં સમસ્યા

જાતીય ઉત્તેજના ઘટી જવી

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો