You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિરાટ કોહલી ટી20ની કપ્તાની છોડશે, પણ તેમની જગ્યા હવે કોણ લેશે?
ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ઑક્ટોબર માસમાં યોજાનારા T-20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટના શૉર્ટ ફૉર્મેટમાં ભારતીય ટીમની કપ્તાની ત્યાગવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.
વિરાટ કોહલીએ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં કામના ભારણને પગલે આ નિર્ણય લીધો હોવાની વાત કરી છે.
જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ વન-ડે અને ટેસ્ટમાં ભારતની કપ્તાની કરશે.
તેમણે પોતાની પોસ્ટમાં એ પણ જાહેરાત કરી છે કે તેઓ એક બૅટ્સમૅન તરીકે T-20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે.
વિરાટ કોહલીએ આ નિર્ણય અંગે વધુ જણાવતાં લખ્યું હતું કે, "આ નિર્ણય પર પહોંચવાનું તેમના માટે સરળ નહોતું. રવિભાઈ અને રોહિત સાથે વાતચીત કરીને મેં આ નિર્ણય લીધો છે કે હું T-20ની કપ્તાની T-20 વર્લ્ડકપ બાદ છોડી દઈશ."
નોંધનીય છે કે પાછલા અમુક દિવસોથી ભારતી મીડિયામાં, ક્રિકેટ ટીમની કૅપ્ટનશિપને લઈને આશંકાઓ વ્યક્ત કરાઈ રહી હતી. ટીમમાં T-20 અને વનડે માટે અલગ કૅપ્ટન અને ટેસ્ટ મૅચો માટે અલગ કૅપ્ટનની ગોઠવણ કરાય તેવા સમાચાર ચાલી રહ્યા હતા.
NDTVના એક અહેવાલ પ્રમાણે કોહલીએ વર્ષ 2017માં T-20માં ટીમની કપ્તાનીની જવાબદારી સંભાળી હતી. તે વખતે મહેન્દ્રસિંહ ધોનીએ આ પદ છોડ્યું હતું.
T-20 વર્લ્ડકપમાં કોહલી ભારતની આગેવાની પ્રથમ વખત કરવા જઈ રહ્યા છે. તેઓ વર્ષ 2017ની ICC ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ટીમને પોતાની કપ્તાનીમાં ફાઇનલ સુધી લઈ ગયા હતા. જ્યારે વર્ષ 2019માં યોજાયેલા ICC ક્રિકેટ વર્લ્ડકપમાં તેમની આગેવાનીમાં ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કપ્તાન વિરાટ કોહલીની કારકિર્દી
વિરાટ કપ્તાની છોડશે, એવો અંદાજ ઘણા વખતથી લગાવાતો હતો. એવું પણ મનાતું હતું કે તેઓ ટેસ્ટની કપ્તાની કરતા રહેશે, કેમ કે આંકડા પ્રમાણે ભારતીય ટેસ્ટ ક્રિકેટના અત્યાર સુધીના સૌથી સફળ કપ્તાન તેઓ રહ્યા છે.
વિરાટે 65 ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આ નંબર કોઈ પણ અન્ય કપ્તાનની તુલનામાં વધારે છે.
જીતના મામલે પણ તેઓ સૌથી આગળ છે, તેમના નેતૃત્વમાં ભારત 38 ટેસ્ટ મૅચ જીત્યું છે.
60 મૅચમાંથી 27 જીતીને ધોની બીજા સૌથી સફળ ટેસ્ટ કપ્તાન રહ્યા છે.
આઈસીસી વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડ સામે હારી ગઈ હતી.
આ પહેલાં ટીમ ઇન્ડિયા 2019નો વર્લ્ડ કપ અને 2017માં આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી પણ જીતી નહોતી શકી. ભારતે 2013માં એટલે કે આઠ વર્ષ પહેલાં છેલ્લી વખત આઈસીસી ટ્રૉફી જીતી હતી.
કોણ બનશે કપ્તાન?
હજી સુધી વિરાટની જગ્યાએ નવા કપ્તાનના નામની જાહેરાત કરાઈ નથી પણ સૌથી વધારે શક્યતા રોહિત શર્માની છે.
વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને વન ડે અને ટી20ની કપ્તાની સોંપવાની માગ લાંબા વખતથી કરાઈ રહી હતી. અનેક પૂર્વ ક્રિકેટર પણ આની વકીલાત કરી ચૂક્યા છે.
બે વર્ષ પહેલાં 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચમાં હાર બાદ પણ આ માગ ઊઠી હતી.
રોહિતે અત્યાર સુધી 19 ટી20 મૅચમાં કપ્તાનની ભૂમિકા નિભાવી છે, જેમાંથી 15માં જીત અને ચારમાં ભારતીય ટીમની હાર થઈ હતી.
રોહિતની બેટિંગની જો વાત કરીએ તો 111 ટી20 મૅચમાં તેમણે ચાર સદી, 22 અર્ધસદી કરી છે અને 32.54ની સરેરાશ સાથે 2,864 રન કર્યા છે.
ક્રિકેટજગતની પ્રતિક્રિયા
ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ટ્વીટ કરીને કહ્યું કે એક કૅપ્ટન તરીકે, T-20 મૅચોમાં વિરાટ કોહલીનું યોગદાન હંમેશાં યાદગાર રહેશે.
તેમણે કહ્યું કે, "આ વિરાટનો પોતાનો અંગત નિર્ણય છે અને તેઓ તેની કદર કરે છે."
વિરાટ કોહલીની આ જાહેરાત બાદ ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર વેંકટેશ પ્રસાદે તેમના ટ્વીટમાં જવાબ આપીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
જેમાં તેમણે લખ્યું હતું કે, "T-20 વર્લ્ડ કપ માટે શુભકામનાઓ. મને ખાતરી છે કે તમે દેશનું માથું ઊંચું કરશો."
આ સિવાય ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર મુનાફ પટેલ પણ ટ્વીટ કરીને વિરાટ કોહલીના આ નિર્ણયને સમર્થન જાહેર કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, "અમે આ નિર્ણયમાં તમારી સાથે છીએ. મને ખાતરી છે કે તમારી કપ્તાનીમાં અમે આ વર્લ્ડકપ જરૂર જીતીશું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
નોંધનીય છે કે વિરાટ કોહલી અત્યાર સુધી કુલ 89 આંતરરાષ્ટ્રીય T-20 મૅચ રમ્યા છે. જેમાં તેમણે 52.65 રનની સરેરાશ સાથે કુલ 3,159 રન બનાવ્યા છે.