You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટોક્યો ઑલિમ્પિક પૂર્વે જ આયોજન સમિતિના અધ્યક્ષને હિટલર અંગેની ટિપ્પણીને લીધે હઠાવાયા
ટોક્યો ઑલિમ્પિક કાર્યક્રમના ડિરેક્ટરને ખેલ મહોત્સવની શરૂઆતના ગણતરીના કલાકો પહેલાં હઠાવી દેવામાં આવ્યા છે.
1990ના દાયકામાં હૉલોકાસ્ટ અંગે કરેલી એક ટિપ્પણી બદલ કેન્ટારો કોબાયાસીને જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
જાપાન ઑલિમ્પિકના વડા સિકો હાસિમોતોના કહેવા પ્રમાણે, "વીડિયોમાં ઇતિહાસના દર્દનાક તથ્યો પર મજાક કરવામાં આવી હતી."
ઉલ્લેખનીય છે કે હિટલર દ્વારા આચરવામાં આવેલા યહૂદીઓના નરસંહારને 'હૉલૉકાસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે.
જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ આ ટિપ્પણીઓને "ધૃણાસ્પદ તથા અસ્વીકાર્ય" જણાવીને વખોડી કાઢી છે.
બીજી બાજુ કોબાયાસીએ નિવેદન બહાર પાડીને પોતાની હકાલપટ્ટી અંગે પ્રતિક્રિયા આપી છે.
તેમણે લખ્યું છે : "મનોરંજનને કારણે લોકો અસહજ ન થવા જોઈએ. હું માનું છું કે એ સમયે મેં જે શબ્દોનો પ્રયોગ કર્યો, તે ખોટા હતા અને મને તેનો ખેદ છે."
સંસદમાં પેગાસસ અને કૃષિકાયદા મામલે હંગામો
વિપક્ષના વિરોધ વચ્ચે સંસદનાં બંને ગૃહોમાં આજે કોઈ કાર્યવાહી થઈ ન શકી. લોકસભાની કાર્યવાહી સતત ત્રીજી વખત સ્થગિત કરવી પડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
11 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ એ સાથે જ હંગામો શરૂ થઈ ગયો હતો, જે બાદ ત્રણ વખત ગૃહની કામગીરી સ્થગિત કરવી પડી હતી.
રાજ્યસભામાં પણ હંગામો થયો હતો, જે બાદ ગૃહની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે.
વિપક્ષ અનેક મુદ્દે સરકારને દાબમાં રાખવા મથે છે, જેમાં કૃષિકાયદા, પેગાસસ જાસૂસી મામલો અને દૈનિક ભાસ્કર સમાચાર જૂથ પર મરાયેલા છાપાનો મામલો સામેલ છે.
ભાજપના રાજ્યસભાના સભ્ય સ્વપન દાસગુપ્તાએ સમાચાર એજન્સી સાથે વાત કરતાં કહ્યું છે, "ટીએમસીના સાંસદો ઊભા થયા અને મંત્રીના હાથમાંથી કાગળ લઈ લીધા અને ફાડી નાખ્યા. આ અણછાજતું વર્તન છે."
અહેવાલો પ્રમાણે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, એ વખતે પેગાસસ મામલા અંગે વાત કરી રહ્યા હતા.
ખેડૂતો આજે દિલ્હીમાં ફરી કરશે કૂચ, ભરશે પોતાની સંસદ
કૃષિકાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોનું કહેવું છે કે ગુરુવારે તેઓ દિલ્હીકૂચ કરશે અને સંસદની પાસે જ પોતાની અલગ સંસદ ભરશે.
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે, કાલે (ગુરુવારે) 200 લોકો ચારથી પાંચ બસમાં સિંઘુ બૉર્ડરથી દિલ્હી જવા માટે રવાના થશે.
ટિકૈતે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, "અલગ-અલગ પ્રદર્શનસ્થેળોએ અમારા લોકો સિંઘુ બૉર્ડર ખાતે એકઠા થશે અને ત્યાંથી સાથે મળીને જંતરમંતર જવા માટે રવાના થશે. જ્યાં સુધી સંસદનું ચોમાસુસત્ર ચાલશે, ત્યાં સુધી અમે આમ કરીશું."
ખેડૂતનેતા દર્શનપાલ સિંહે એએનઆઈને જણાવ્યું, "કાલે ખેડૂતોની સંસદ બેસશે અને ખેડૂતોના મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું. સાંજે પાંચ વાગ્યા સુધી સંસદ ચાલશે. બીજા દિવસે વધુ 200 લોકો એ સંસદમાં ભાગ લેવા માટે જશે અને નહીં જવા દેવામાં આવે તો ધરપકડ વહોરશે."
એએનઆઈના રિપોર્ટ મુજબ દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટીએ જંતર-મંતર ખાતે મહત્તમ 200 લોકોને દેખાવ કરવાની મંજૂરી આપી છે તથા કોવિડ-19ના પ્રોટોકૉલનું પાલન કરવા તાકીદ કરી છે.
બુધવારે હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી અને ઇન્ડિયન નેશનલ લોકદળના નેતા ઓમપ્રકાશ ચૌટાલાએ ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે. સિંઘુ બૉર્ડર ખાતે આંદોલનકારી ખેડૂતોને મળ્યા બાદ તેમણે કહ્યું :
"કાલેથી વિપક્ષના સંસદસભ્યો સંસદનો ઘેરાવ કરશે, ધરણાં દેશે તથા એકઠા થઈને સંસદમાં જશે અને આ કાયદાઓનો વિરોધ કરશે. સરકારે મજબૂર થઈને કાયદા પાછા ખેંચવા પડે તેવી સ્થિતિ ઊભી કરીશું."
આંદોલનકારી ખેડૂતોએ અગાઉથી જ કિસાન સંસદની જાહેરાત કરી દીધી હતી અને કહ્યું હતું કે દિલ્હી જનારા ખેડૂતો પાસે ઓળખપત્ર રહેશે અને તેઓ પોલીસજાપ્તામાં જ જશે.
આ પહેલાં 26મી જાન્યુઆરીએ ખેડૂતોની લાલ કિલ્લા કૂચ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે પોલીસ સતર્ક છે.
પોલીસના ઉચ્ચ અધિકારીએ એએનઆઈને જણાવ્યું, "અમે યોગ્ય બંદોબસ્ત ગોઠવ્યો છે. ડ્રોનની મદદથી ઉપરથી નજર રાખવામાં આવશે તથા હુલ્લડવિરોધી ટુકડીને પણ તૈયાર રાખવામાં આવશે."
પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે, એક વરિષ્ઠ અધિકારી દ્વારા ખેડૂતનેતાઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે અને તેમની સાથે વાટાઘાટ ચાલી રહી છે, જેથી કરીને શાંતિનો ભંગ ન થાય.
બે તૃતીયાંશ ભારતીયોમાં બન્યા કોરોના એન્ટિબૉડી, 40 કરોડ લોકો હજી અસુરક્ષિત
ભારતમાં કોરોના વાઇરસના દૈનિક કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે પણ બીજી તરફ હજુ પણ દેશના 40 કરોડ લોકો પર કોરોનાનો ખતરો છે. આ દાવો ચોથા રાષ્ટ્રીય સ્તરના સીરો સરવેના આધારે કરવામાં આવ્યો છે.
આઈસીએમઆરના સીરો સરવે મુજબ દર ત્રણમાંથી એક વ્યક્તિ પર કોરોના વાઇરસનો ખતરો હજુ પણ છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ દેશની કુલ વસતિના બે તૃતીયાંશ લોકોમાં એટલે કે 67 ટકા વસતિમાં કોરોના સામે મહત્વપૂર્ણ એવી એન્ટિબૉડી બની ગઈ છે.
આ દરમિયાન આઈસીએમઆરના વડા બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, ભારતમાં એક વખત સ્કૂલો ખોલવાની શરૂઆત થઈ જાય તો શરૂઆત પ્રાયમરી સ્કૂલોથી કરવી જોઈએ કેમ કે બાળકોમાં કોરોનાનું ઇન્ફેક્શન લાગવાનું જોખમ પુખ્ત વયની વ્યક્તિ કરતાં ઓછું રહેલું છે.
કાશ્મીરમાં નકલી ઉગ્રવાદી હુમલાના કેસમાં ભાજપના બે કાર્યકરોની અટકાયત
નકલી ઉગ્રવાદી હુમલાના એક કેસમાં ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકર અને તેમના અંગત સુરક્ષાકર્મીઓની પોલીસે અટકાયત કરી છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકર્તાઓ અને તેમના અંગત સુરક્ષાકર્મીઓએ ઉચ્ચસ્તરીયની સુરક્ષા મેળવવા માટે કથિતરૂપે એક બનાવટી હુમલો હાથ ધર્યો હતો એવું પોલીસનું કહેવું છે.
જમ્મુ-કાશ્મીર એક સંવેદનશીલ સંઘપ્રદેશ છે. અહીં રાજકીય કાર્યકર્તાઓ-નેતાઓની સુરક્ષા મામલે કેટલીક વખત અનિચ્છનીય ઘટાનાઓ બનતી હોય છે.
ગત સપ્તાહે તેમણે કથિતરૂપે બનાવટી ઉગ્રવાદી હુમલો હાથ ધર્યો હતો.
આ કેસમાં કુપવારામાં ભાજપના આઈટી સેલના વડા ઇશ્ફાક અહમદ મીર, પાર્ટીના પ્રવક્તા બશરત અહમદ અને તેમના અંગત સુરક્ષાકર્મીઓ સામેલ છે. જોકે ભાજપે ઇશ્ફાકના પિતા મોહમ્મદ શફી મીરને સસ્પેન્ડ કરી દીધા છે. તેઓ કુપવારા જિલ્લાના ભાજપના પ્રમુખ હતા. જ્યાં સુધી કેસની તપાસ ન થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અહેવાલ અનુસાર 16 જુલાઈના રોજ ઇશ્ફાક જ્યારે કુપવારાના ગુલગામ ગામમાં રાહતસામગ્રી વહેંચી રહ્યા હતા ત્યારે તેમની પર ઉગ્રવાદી થયો હોવાનો તેમણે દાવો કર્યો હતો અને હાથમાં ગોળી વાગી હોવાનું કહેવામાં આવ્યું હતુ.
જોકે, પછી પોલીસે ઉગ્રવાદી હુમલો થયો હોવાના અહેવાલને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે ગોળી ખરેખર ઇશ્ફાકના સુરક્ષાકર્મી દ્વારા આકસ્મિક રીતે તેમને વાગી હતી. અને અન્ય સુરક્ષાકર્મીએ તેને ઉગ્રવાદી હુમલો માની ચેતવણી માટે ગોળીબાર પણ કર્યો હતો. એ પછીની પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ઇશ્ફાક, બશરત અને તેમના સુરક્ષાકર્મીઓએ આ એક બનાવટી હુમલો હાથ ધર્યો હતો.
અહેવાલ અનુસાર પોલીસ સૂત્રોનું કહેવું છે કે ભાજપના નેતૃત્ત્વનું ધ્યાન ખેંચવા અને ઉચ્ચસ્તરીય સુરક્ષા મેળવવા માટે આવો કથિત હુમલો પ્લાન કરાયો હતો.
વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે, "તેઓ આ મામલે એકાદ બે દિવસમાં વધુ વિગતો જાહેર કરશે"
કર્ણાટકમાં સરકાર ઉથલાવવામાં પેગાસસ જાસૂસીનો હાથ?
પેગાસસ સ્પાયવૅરથી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, જાણીતા રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર સહિત અનેક લોકોનાં ફોન હૅક કરી કથિત જાસૂસી કરવામાં આવી હોવાના અહેવાલોથી સંસદ સતત બીજા દિવસે પણ ઠપ રહી હતી. કૉંગ્રેસ દ્વારા આ મામલે તપાસની માગણી કરવામાં આવી છે.
કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલે શ્વેતપત્ર બહાર પાડવા અને સુપ્રીમ કોર્ટની આગેવાનીમાં તપાસની માગણી કરી છે.
'ધ વાયર' ન્યૂઝ વેબસાઇટ અનુસાર કર્ણાટકમાં તત્કાલીન કૉંગ્રેસ અને જેડીએસની સરકાર ઉથલાવવામાં પણ કથિતરૂપે પેગાસસ જાસૂસી કાંડ જવાબદાર હોવાના આરોપો સંબંધિત રિપોર્ટ સામે આવ્યો છે.
સંસદની મંગળવારે કાર્યવાહી શરૂ થતાં જ મોટા ભાગના વિરોધ પક્ષોના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પર પેગાસસની મદદથી વિપક્ષના નેતાઓની જાસૂસી કરાવવાનો આરોપ લગાવ્યો હતો.
કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમુલ કૉંગ્રેસ, ડીએમકે વગેરે સાંસદો બેનરો સાથે સંસદમાં જોવા મળ્યા હતા.
જોકે, સ્પીકર ઓમ બિરલાએ સંસદમાં આ મામલે ચર્ચાની માગણીને નકારી કાઢી હતી.
ધ વાયરના અહેવાલ અનુસાર જુલાઈ-2019માં કર્ણાટકમાં સરકાર કથિતરૂપે ઉથલાવવા માટે નાયબ મુખ્ય મંત્રી જી. પરમેશ્વરા અને મુખ્ય મંત્રી એચ.ડી.કુમારાસ્વામીના અંગત સચિવ તથા પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાના ફોન ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની વાત કહેવામાં આવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો