You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની રિઝર્વ બૅન્ક પોતાના પાસે રહેલું સોનું કેમ વેચી રહી છે?
ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ) પોતાના પાસે અનામત રહેલું સોનું વેચી રહી છે એવું મીડિયા અહેવાલોના આધારે જાણવા મળી રહ્યું છે.
'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલમાં આરબીઆઈના સાપ્તાહિક સપ્લિમૅન્ટ ડેટાના આધારે લખ્યું છે કે આરબીઆઈએ આ વર્ષે 1.15 અબજ ડૉલરનું સોનું વેચી દીધું છે.
સોનું વેચવાની આ વાત એવી વખતે બહાર આવી છે જ્યારે ચોફેર આર્થિક મંદીની બૂમો પડી રહી છે અને બજારોમાં ઘણા અંશે દેખાઈ પણ રહી છે.
7 ઑગસ્ટ 2019ના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે અર્થતંત્રમા મંદી વધી રહી છે.
30 વર્ષ બાદ વેંચ્યું સોનું
આરબીઆઈના રિપોર્ટને ટાંકીને અહેવાલમાં એવું પણ લખ્યું છે કે એની સામે બૅન્કે 5.1 અબજ ડૉલરનું સોનું જુલાઈ 2019 પછી ખરીદ્યું છે.
સામાન્ય રીતે આર્થિક કટોકટી સર્જાય ત્યારે સોનું વેચવામાં આવે છે. આરબીઆઈ પોતાના રિઝર્વ્સમાંથી પહેલી વખત સોનું વેચી રહી છે એવું નથી.
ઇકૉનૉમિક ટાઇમ્સ અને નેશનલ હેરાલ્ડના અહેવાલ પ્રમાણે 30 વર્ષ પછી આ રીતે આરબીઆઈ સોનું વેચી રહી છે.
1991માં થયેલા ખાડીયુદ્ધ બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડઑઇલની કિંમતો વધી હતી. બીજી તરફ આંતરિક રાજનીતિની અનિશ્ચિતતા વચ્ચે ભારતને વિદેશી મુદ્રાની ભારે ખેંચનો સામનો કરવો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે ભારતની આર્થિક સ્થિતિ એવી થઈ ગયેલી કે અમુક અઠવાડિયાં સુધી જ તે માલની આયાત કરી શકે તેમ હતું.
આ સ્થિતિમાં વિદેશી મુદ્રા મેળવવા માટે ભારતે 67 ટન સોનું ગીરવી મૂકવું પડ્યું હતું.
અર્થશાસ્ત્રી રૂપા સુબ્રમણ્યે ટ્વીટ કર્યું છે કે આ અગાઉ આરબીઆઈને 1991માં સોનું વેચવાની જરૂર પડી હતી, જ્યારે મંદીની સ્થિતિ સર્જાઈ હતી.
તેમણે ટ્વીટમાં એવું પણ લખ્યું છે કે એ વખતે ભારતમાં નાણાંની તંગી સર્જાઈ હતી.
તેઓ લખે છે, "શું ખરેખર અત્યારે આપણા અર્થતંત્રની સ્થિતિ બહુ ખરાબ છે?"
'મોદી સરકારની નાદારી?'
આરબીઆઈ સાથે નરેન્દ્ર મોદીના સંઘર્ષના અહેવાલો અવારનવાર પ્રકાશિત થતા આવ્યા છે અને કેટલાક વિવાદો બાદ આરબીઆઈના ગવર્નરો સહિતના પદાધિકારીઓએ રાજીનામાં આપ્યાં છે.
વર્ષ 2018ના અંતમાં નરેન્દ્ર મોદી સરકારે આરબીઆઈ પાસેથી 3.61 લાખ કરોડ માગ્યા હતા, જેને લઈને વિવાદ સર્જાયો હતો.
હવે સોનું વેચવાના મામલે રાજકીય પક્ષો મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(માર્ક્સવાદી)ના સીતારામ યેચુરીએ મીડિયા અહેવાલને ટ્વીટ કર્યું, "શું મોદી સરકાર નાદાર થવા જઈ રહી છે? પોતાના દુરાચાર અને પ્રચાર માટે લોકોની સંપત્તિ વેચી રહ્યા છે."
કૉંગ્રેસના નેતાઓ પણ આ મામલે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
સરકાર સોનું વેચી કેમ રહી છે?
એક તરફ રાજકીય પક્ષો અને અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે આર્થિક મંદીને પગલે સોનું વેચવા જેવાં પગલાં લેવાની ફરજ પડી રહી છે.
તો બીજી તરફ એક મત એવો પણ છે કે સોનાના ટ્રેડિંગથી સરકારને લાભ થશે.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમા0ણે આરબીઆઈ પાસે ઑગસ્ટ મહિનાના અંત સુધી 1.987 કરોડ ઔંસ જેટલું સોનું હતું.
11 ઑક્ટોબરે ફૉરેક્સ રિઝર્વમાં 26.7 અબજ ડૉલરને સમકક્ષ સોનું હતું. આરબીઆઈના રિઝર્વમાં સોનાનું મહત્ત્વ સૌથી વધારે રહેલું હોય છે.
રિઝર્વ બૅન્કે જ્યારથી બિમલ જાલાન કમિટીની ભલામણો સ્વીકારી હતી ત્યારથી સોનાનું ટ્રેડિંગ સક્રીય રીતે કરાઈ રહ્યું છે.
આરબીઆઈની સરપ્લસ ઇન્કમ સરકારને આપવા મામલે સર્જાયેલા વિવાદ બાદ જલાન કમિટીનું ગઠન સરકારની રેવન્યૂ ડેફિસિટ દૂર કરવા માટે કરવામાં આવ્યું હતું.
કમિટીએ એવું પણ કહ્યું હતું કે આરબીઆઈએ સોનાના ટ્રેડિંગમાંથી થતો પ્રૉફિટ સરકાર સાથે શૅર કરવો પડશે. આનાથી આર્થિક દૃષ્ટિએ ફાયદો થશે એવું કહેવાય છે.
સરવાળે આરબીઆઈના સોનું વેચવા અંગે બે મત પ્રવર્તી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો