You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રયાન-3ના સૉફ્ટ લૅન્ડિંગ બાદ હવે રૉવરે ચંદ્રની સપાટી પર ફરવાનું શરૂ કર્યું
ચંદ્રયાન-3એ બુધવાર સાંજના ચંદ્રના દક્ષિણ ધ્રુપની પાસે સૉફ્ટ લૅન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે.
ત્યાર બાદ સૌથી મહત્ત્વપૂર્ણ હતું લૅન્ડરમાંથી પ્રજ્ઞાન રૉવરનું બહાર નીકળવું.
ઇસરોએ જણાવ્યું છે કે હવે લૅન્ડરથી નીકળી ગયું અને તેણે ચંદ્ર પર ફરવાનું શરૂ કરી દીધું છે.
ઇસરોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (ટ્વિટર) પર લખ્યું- “ચંદ્રયાન-3નું ભારતમાં બનેલું રૉવર હવે ચંદ્ર પર પહોંચી ગયું છે. રૉવર લૅન્ડરથી અલગ થઈ ગયું છે. અને ચંદ્ર પર ફરવાનું શરૂ કરી દીધું છે.”
ઇસરો પ્રમાણે ચંદ્રયાન-3 માટે મુખ્ય ઉદ્દેશ ચંદ્રની રોઝેલિશ કહેવાતી સપાટી લૅન્ડરનું ઉતારવું અને ફરવું અને લૅન્ડર તથા રૉવરથી ચંદ્રની સપાટી પર શોધ કરવાનું છે.
ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડ થયા બાદ ઇતિહાસ રચી દીધો છે.
ચંદ્રયાન-3ની ચંદ્ર પર સફળ લૅન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના પ્રમુખ એસ. સોમનાથે અભિયાન સફળ થયાની જાહેરાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદ્ર પર વિક્રમ લૅન્ડરના સૉફ્ટ લૅન્ડિંગ બાદ પ્રજ્ઞાન રોવર તેમાંથી નીકળશે અને ચંદ્રની સપાટી પર ઘૂમીને શોધ કરશે અને માહિતી એકત્ર કરશે.
ઇસરો ચીફે વડા પ્રધાન મોદીનું અભિવાદન કરતાં તેમને આ ઉપલબ્ધિ અંગે બોલવા આમંત્રિત કર્યા.
તેમણે કહ્યું, “હું આપણા પીએમને આપણને આશીર્વાદ આપવા કહીશ.”
બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલી દેશવાસીઓને સંબોધિત કર્યા.
વડા પ્રધાન મોદીએ કહ્યું, “પરિવારજનો, જ્યારે આપણે નરી આંખે આવો ઇતિહાસ રચાતા જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય થઈ જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ એક અભૂતપૂર્વ પળ છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓનો મહાસાગર પાર કરવાની છે. આ ક્ષણ જીતના ચંદ્રપથ પર ચાલવાની છે. આ ક્ષણ 140 કરોડ ધબકારાના સામર્થ્યની છે. આ ક્ષણ ભારતમાં નવી ઊર્જા, નવી ચેતનાની છે.”
તેમણે કહ્યું, “ઇસરોએ વર્ષો સુધી આ પળ માટે ખૂબ પરિશ્રમ કર્યો છે. હું 140 કરોડ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.”
“આપણા વૈજ્ઞાનિકોનાં પરિશ્રમ અને પ્રતિભાથી દેશ ચંદ્રના એ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યો છે, જ્યાં વિશ્વનો કોઈ પણ દેશ નથી પહોંચી શક્યો. હવે ચંદ્ર સાથે જોડાયેલાં મિથ બદલાઈ જશે, નવી પેઢી માટે કહેવતો પણ બદલાશે.”
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ચંદ્રયાન-3ની સફળતા પર ઇસરોને અભિનંદન પાઠવ્યાં છે.
તેમણે એક ટ્વીટમાં કહ્યું કે "આજની સફળતા માટે ઇસરોને અભિનંદન. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લૅન્ડિંગ વૈજ્ઞાનિક સમાજનું વર્ષોની મહેનતનું પરિણામ છે."
ભારતના ચંદ્રયાન-3એ સફળ લૅન્ડિંગ કરતા કૉંગ્રેસ પાર્ટીએ પણ ઇસરો અને દેશવાસીઓને અભિનંદન આપ્યાં છે.
કૉંગ્રેસ પાર્ટીએ પોતાના અભિનંદન સંદેશમાં કહ્યું કે "ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લૅન્ડિંગ પર ઇસરો સહિત બધા ભારતીયોને અભિનંદન. ભવિષ્યમાં અંતરિક્ષ અનુસંધાનની જરૂરિયાતને જોતા જ પંડિત નેહરુએ ઇસરોનો પાયો નાખ્યો હતો. આ તેમની દૂરદર્શિતાનું પરિણામ છે કે આજે ભારત આખા વિશ્વમાં અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં નવો કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે."
ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ
ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યા બાદ ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. 5 ઑગસ્ટના રોજ ચંદ્રયાન-3એ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
ચંદ્રયાન-3માં એક લૅન્ડર, એક રૉવર અને એક પ્રૉપલ્શન મૉડ્યુલ લાગેલાં છે. જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે.
ચંદ્રયાન-3 ભારતના ચંદ્ર-અભિયાનનું ત્રીજું અવકાશયાન છે. 17 ઑગસ્ટના રોજ બંને મૉડ્યૂલ રૉવર અને લૅન્ડર સ્પેસક્રાફ્ટથી અલગ થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે રશિયાનું ચંદ્ર-અભિયાન 'લૂના-25' નિષ્ફળ ગયા બાદ ચંદ્રયાન-3 અભિયાન પર વિશ્વ આખું મીટ માંડીને બેઠું હતું.
ચંદ્રયાન-3 મિશનનું બજેટ રૂ. 615 કરોડનું હોવાનું કહેવાય છે. ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-3 મિશનના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. (1) ચંદ્ર પર સફળ ઉતરાણ (2) ચંદ્રની સપાટી પર સંચાર કરી શકવાની રોવરની ક્ષમતાનું પ્રદર્શન (3) વૈજ્ઞાનિક અવલોકનની નોંધ.
ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ એક લૅન્ડર (એક વાહન, જે ગ્રહ પર ઊતારવામાં આવશે) અને એક રૉવર(ગ્રહની સપાટી પર સંચાર કરનાર યાન)નો સમાવેશ થાય છે. આ લૅન્ડર તથા રૉવરને ચંદ્ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે.
ભારતે ચંદ્રયાન-2 મિશન વખતે યાનને ચંદ્ર પર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 'વિક્રમ' લૅન્ડર ચંદ્ર પર તૂટી પડ્યું હતું. તે નિષ્ફળતામાંથી પાઠ ભણીને ચંદ્રયાન-3માં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. આ મિશન ચંદ્રની સપાટી પરની રાસાયણિક તથા કુદરતી સામગ્રી, માટી અને પાણીનો અભ્યાસ કરીને ચંદ્ર વિશેના આપણા જ્ઞાનમાં વધારાનો પ્રયાસ કરશે.
આ યાન પર સિસ્મોમીટર (ભૂકંપની તીવ્રતા માપવાનું યંત્ર) જેવાં ઉપકરણો પણ લગાવવામાં આવ્યાં છે. આ સાધનો ચંદ્રની સપાટીની ઊર્જા અને વાતાવરણની રચનાનો અભ્યાસ કરશે તેમજ મિશનના કેટલાંક અન્ય સાધનો ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરશે.
ચંદ્રયાન-3નું મહત્ત્વ
રશિયાનું ચંદ્ર-અભિયાન 'લૂના-25' નિષ્ફળ રહેતાં ચંદ્રયાદન-3ને લઈને વિશ્વની ઉત્સુકતા વધી હતી. ચંદ્રયાન-3 ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ વિજ્ઞાન માટે મહત્ત્વપૂર્ણ છે.
આ મિશનમાં લૅન્ડરને ચંદ્રની સપાટી પર એવી જગ્યાએ ઉતારવામાં આવ્યું છે, જ્યાં પહેલાં કોઈ પહોંચ્યું નથી.
ચંદ્રયાન-3 ઇસરોનું 'ઇન્ડિયન લ્યુનર ઍક્સપ્લોરેશન પ્રોગ્રામ' એટલે કે ચંદ્ર-સંશોધન કાર્યક્રમનું ત્રીજું મિશન છે. ભારતે 2008માં ચંદ્રયાન-1 મોકલ્યું હતું અને એ સાથે ચંદ્ર-અભિયાન આદરનારાં રાષ્ટ્રોમાં ભારતનો સમાવેશ થઈ ગયો હતો.
ચંદ્રયાન-1 મિશનમાં એક ઑર્બિટર એટલે કે ભ્રમણકક્ષામાં ફરનાર એક કૃત્રિમ ઉપગ્રહ અને ઇમ્પેક્ટર એટલે કે ચંદ્રની સપાટી પરના નાનાં અવકાશયાનનો સમાવેશ થતો હતો.
તે ઈમ્પેક્ટર ચંદ્ર પરના શેકટલન ક્રેટર સાથે અથડાયું ત્યારે ભારત ચંદ્ર પર ઝંડો ફરકાવનારો ચોથો દેશ બન્યો હતો. 312 દિવસ પછી ઑગસ્ટ, 2009માં ચંદ્રયાન-1 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, પરંતુ ઇસરોએ જાહેર કર્યું હતું કે મિશનનો 95 ટકા ઉદ્દેશ સફળ થઈ ગયો છે.
જોકે, ભારત માટે આ મિશ્ર સફળતા એક મોટો કૂદકો હતી. ચંદ્રયાન-1 મિશને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓનું અસ્તિત્વ શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 10 વર્ષ પછી 2019ની 22 જુલાઈએ ચંદ્રયાન-2 અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું.
એ મિશનમાં ઑર્બિટરની સાથે વિક્રમ નામનું લૅન્ડર ચંદ્ર પર ઉતારવાનું અને પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટીના અભ્યાસનું આયોજન હતું, પરંતુ 2019ની 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણનો પ્રયાસ કરતી વખતે વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેના અવશેષ ત્રણ મહિના પછી મળી આવ્યાની જાહેરાત અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાએ કરી હતી.
વિક્રમ લૅન્ડર નિષ્ફળ રહ્યું હતું, પરંતુ ઑર્બિટરે તેનું કામ સારી રીતે કર્યું હતું. તેનાથી ચંદ્ર અને તેના વાતાવરણ વિશે નવી વૈજ્ઞાનિક માહિતી મળી હતી.