ગુજરાતના રાજકારણમાં વર્ષ 2024માં બનેલા એ પ્રસંગો જે લોકોને યાદ રહી ગયા

રાજકારણ એ એવો વિષય છે કે જે કારણ હોય તો પણ અને અકારણ પણ મીડિયામાં ચર્ચા રહે છે. એમાં પણ 2024નું વર્ષ લોકશાહીના મહાપર્વનું વર્ષ હતું એટલે સ્વાભાવિક રીતે દેશ ઉપરાંત ગુજરાતમાં પણ તેની અસર જોવા મળે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં હેટ્રિક મારવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, સમગ્ર અભિયાન દરમિયાન એવી ઘટના ઘટી હતી કે જેની રાજકીય વિશ્લેષકો અને ભાજપે નોંધ લીધી હતી.

આ સિવાય લોકસભાની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય રાજકારણમાં જવલ્લે જ જોવા મળતી ઘટના પણ ગુજરાતમાં જોવા મળી હતી.

વર્ષ 2015- '17 દરમિયાન ગુજરાતના રાજકારણમાંથી એક પરિબળ બાકાત થઈ ગયું હતું, જેની અસર સામાન્ય ચૂંટણીઓ દ્વારા જોવા મળી હતી.

ત્યારે કેટલાક એવા રાજકીય કિસ્સાની ચર્ચા કરીએ, જેણે લોકો અને મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું.

ચૂંટણી પહેલાં જ ભાજપે બેઠક જીતી

કેન્દ્રીય ચૂંટણીપંચના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીપ્રક્રિયાની શરૂઆત ઉમેદવારી કરવાથી થઈ.

ગુજરાત સહિત દેશભરમાં પહેલો મત પડે તે પહેલાં ભાજપે સુરતની બેઠક અંકે કરી લીધી.

પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા, કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રિજેક્ટ થયું તથા અન્ય ઉમેદવારોએ નામ પાછાં ખેંચી લેતાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

ભારતમાં લગભગ દોઢેક દાયકા પછી અને ગુજરાતમાં દાયકાઓ પછી આવી ઘટના નોંધાઈ હતી. કૉંગ્રેસ સહિતના વિપક્ષે ભાજપની કાર્યપ્રણાલી ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

હાલ આ મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હેઠળ છે.

હેટ્રિકથી ચૂકી ગયો ભાજપ

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી અને ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા, ત્યારે ગુજરાતીઓએ ખોબલે ને ખોબલે મોદી તથા ભાજપને મત આપ્યા હતા.

રાજ્યની તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.

વર્ષ 2019માં ગુજરાતી મૂળના અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા, ત્યારે પણ રાજ્યની તમામ બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.

આ લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યની તમામ બેઠક જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું, પરંતુ પાર્ટી 26માંથી 25 બેઠક જ જીતી શકી હતી.

બનાસકાંઠાની બેઠક ઉપરથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે ભાજપને હરાવ્યો હતો.

જોકે, ગેનીબહેન ઠાકોરે સાંસદ બનતા ખાલી કરેલી વાવની બેઠકમાં વિજય એ ભાજપ માટે આશ્વાસનરૂપ બાબત હતી.

ગુજરાત ભાજપમાં આંતરકલહ

લોકસભાની ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય સહકારી ઉત્પાદક ઇફ્કોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારના પાટીદાર નેતા જયેશ રાદડિયાએ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ચૂંટણી લડી અને જીતી હતી.

તેના કારણે ભાજપના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના નેતાઓ અને વિશેષ કરીને સહકારી અગ્રણીઓ વચ્ચે ખેંચતાણ હોવાનું બહાર આવ્યું હતું.

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે ભાજપે તેના વડોદરા અને સાબરકાંઠા બેઠક પરના ઉમેદવારોને બદલવા પડ્યા હતા.

વડોદરામાં સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મેયર પાર્ટીના સત્તાવાર ઉમેદવાર રંજનબહેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સિવાય સાબરકાંઠામાં પાર્ટીએ આંતરિક અસંતોષને કારણે ઉમેદવાર બદલવા પડ્યા હતા.

ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં આહીર અગ્રણી જવહાર ચાવડા અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા વચ્ચે શાબ્દિક ચકમક ઝરી હતી.

વર્ષના અંત ભાગમાં પણ ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય સહિતની સત્તાવાર પૅનલનો પરાજય થયો હતો અને પૅનલમાં ન હોય એવા ભાજપના જ નેતા ચૂંટાઈ આવ્યા હતા.

શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં બનેલી આ ઘટનાઓએ રાજકીય પક્ષો અને વિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું હતું.

2017 પછી ફરી જોવા મળ્યા આંદોલન

હાર્દિક પટેલે પાટીદારો માટે અનામત મેળવવાના હેતુસર વર્ષ 2015માં અમદાવાદમાં આંદોલન કર્યું હતું. જેમાં કેટલાક લોકોનાં મૃત્યુ થયાં અને તેની આગ દેશભરમાં ફેલાઈ.

આ આંદોલનના પ્રતિકાર સ્વરૂપે ઓબીસી સમાજે પોતાની અનામત મેળવવા આંદોલન હાથ ધર્યું, જેનું નેતૃત્વ અલ્પેશ ઠાકોરે લીધું, તો જિજ્ઞેશ મેવાણી દલિત સમાજના નેતા બનીને સામે આવ્યા.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ તથા મેવાણી કૉંગ્રેસના અપ્રત્યક્ષ સમર્થનથી અપક્ષ ધારાસભ્ય બન્યા. એ પછી આંદોલનોએ તેની ઉગ્રતા ગુમાવી દીધી.

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં સમીકરણો ફરી બદલાયાં. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ ભાજપની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા, તો જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય છે.

વર્ષ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજકોટની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ ટિપ્પણી કરી, જેના કારણે રાજપૂત સમાજ નારાજ થઈ ગયો હતો.

રૂપાલાને બદલવાની માગ સાથે આંદોલન હાથ ધર્યું. ભાજપે અન્ય બે બેઠક પરથી ઉમેદવારને બદલાવ્યા, પરંતુ રૂપાલાને હઠાવ્યા નહીં.

આ આંદોલનની ચૂંટણીપરિણામો પર અસર ન થઈ અને ક્ષત્રિય આંદોલનના ઍપિસેન્ટર સમાન રાજકોટમાંથી રૂપાલાનો વિજય થયો.

પરંતુ સમગ્ર ઘટનાક્રમને કારણે રાજપૂત સમાજે તેની રાજકીય તાકત વધારવા માટે એક મંચ પર આવ્યા. ચૂંટણી પછી પણ તેમની બેઠક મળી.

ક્ષત્રિય આગેવાન અને પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ડિસેમ્બર મહિનામાં પ્રજા ડેમૉક્રૅટિક પાર્ટીની સ્થાપના કરી.

ગુજરાતના રાજકારણની અન્ય કેટલીક નોંધપાત્ર ઘટનાઓ ઉપર નજર કરીએ તો લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો.

વિવાદને કારણે રૂપાલાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન નહોતું મળ્યું. જોકે, ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલ, નીમુબહેન બાંભણિયા અને મનસુખ માંડવિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. પૂર્વ કૅબિનેટમાં મંત્રી દર્શનાબહેન જરદોશ તથા ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા ટિકિટ મેળવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.

અમિત શાહ, એસ. જયશંકર અને જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય નેતા છે, પરંતુ ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય બન્યા છે.

ચાલુ વર્ષે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક ખાલી પડી હતી અને એ તમામ પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.