મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટ્રી પરેડ, ચાહકોની ભીડ ઊમટી

ટી20 વર્લ્ડકપ જીતીને પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમની આજે મુંબઈમાં વિક્ટ્રી પરેડ યોજાઈ રહી છે.

નક્કી થયેલા કાર્યક્રમ મુજબ આ પરેડ સાંજે પાંચ વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ તેમાં મોડું થયું હતું અને હવે શરૂ થઈ ગઈ છે.

આ પરેડ નરીમાન પૉઇન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી જશે.

ક્રિકેટ ટીમની વિક્ટ્રી પરેડ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી બસમાં ખેલાડીઓનું ચાહકો અભિવાદન ઝીલી રહ્યા છે.

મુંબઈના રસ્તાઓ પર ક્રિકેટચાહકોની ભારે ભીડ છે. જુઓ ટીમ ઇન્ડિયાની વિજયી પરેડ.

મુંબઈના દરિયાકાંઠેથી પસાર થઈ રહેલી ભારતીય ટીમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઊમટી પડી છે.

ક્રિકેટરસિકો પોતાના મનપસંદ ખેલાડીઓની ઝલક માટે આતુર બન્યા છે.

બ્રિટન : વડા પ્રધાનની ચૂંટણી, સુનક કે સ્ટાર્મર - કોણ બનશે વડા પ્રધાન?

બ્રિટનમાં વર્ષ 1945 પછી પ્રથમ વખત જૂલાઈમાં ચૂંટણી થઈ રહી છે. ચાર જૂલાઈએ થઈ રહેલી સામાન્ય ચૂંટણીમા લાખો મતદાતાઓ મત કરશે.

સ્થાનિક શાળાઓ અને કૉમ્યુનિટી હૉલ જેવી ઇમારતોમાં મતદાનમથ કો બનાવવામાં આવ્યાં છે, મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે દસ વાગ્યા સુધી યોજાશે.

બ્રિટનમાં આજે લગભગ 4.6 કરોડ મતદારો 650 હાઉસ ઑફ કૉમન્સના સભ્યોને ચૂંટવા માટે 40 હજાર મતદાનમથકો પર મતદાન કરશે.

દરેક બેઠકનાં ચૂંટણીપરિણામો ગુરુવારે રાત્રે અથવા મોડામાં મોડા શુક્રવારે સવાર સુધીમાં જાહેર કરવામા આવશે.

બ્રિટનમાં સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 326 બેઠકોની જરૂર હોય છે.

વડા પ્રધાન ઋષિ સુનકે મે મહિનામાં ચૂંટણીની જાહેરાત કરી હતી. બ્રિટનમાં હાલમાં જ સીમાંકન થયું હતું. મતવિસ્તારોની સીમામાં ફેરફાર થયો હતો. સીમાંકન પછીની આ પહેલી ચૂંટણી છે. સીમાંકનની પ્રક્રિયામાં 10 મતવિસ્તાર ક્ષેત્રો વધારવામાં આવ્યાં છે અને ઇંગ્લૅન્ડમાં કુલ બેઠકો વધીને 543 થઈ ગઈ છે.

વૅલ્સમાં આઠ બેઠકો ઘટાડવામા આવી છે અને ત્યાં બેઠકોની સંખ્યા હવે 32 છે. સ્કૉટલૅન્ડમાં બેઠકોની સંખ્યા 59માંથી ઘટીને 57 થઈ ગઈ છે. નૉર્ધન આયરલૅન્ડમાં બેઠકોની સંખ્યા 18 છે.

લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બુધવારે કથળી હતી અને તેમને દિલ્હીની અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.

હૉસ્પિટલનું કહેવું છે કે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.

અપોલોમાં વરિષ્ઠ ન્યૂરોલૉજિસ્ટ ડૉક્ટર વિનીત સૂરીની દેખરેખ હેઠળ અડવાણીની સારવાર ચાલી રહી છે.

અડવાણીની બીમારી અંગે કોઈ જાણકારી સામે આવી નથી.

લાલકૃષ્ણ અડવાણીને 30 માર્ચ 2024ના રોજ ભારતરત્નથી સમ્માનિત કરવામા આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અડવાણીના નિવાસસ્થાને જઈને તેમને આ સમ્માન આપ્યું હતું.

અડવાણી 1998થી 2004 સુધી વાજપેયી સરકારમાં ગૃહમંત્રી રહ્યા અને 2002થી 2004 સુધી નાયબ વડા પ્રધાન પણ રહ્યા હતા. અડવાણી 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી વડા પ્રધાનપદના ઉમેદવાર પણ હતા.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડ કપ જીતીને ભારત પહોંચી, વડા પ્રધાન મોદી સાથે કરશે મુલાકાત

ટી20 વર્લ્ડકપની ટ્રૉફી જીતનારી ટીમ ઇન્ડિયા બારબાડોઝથી ભારત પહોંચી ગઈ છે. ટીમ 16 કલાકની લાંબી ફ્લાઇટ પછી ભારત પહોંચી હતી.

ટીમને બેરીલ વાવાઝોડાને કારણે બારબાડોઝમાં રોકાવાની ફરજ પડી હતી. વાવાઝોડાને કારણે બારબાડોઝનું ઍરપૉર્ટ બંધ કરી દેવું પડ્યું હતું.

ટીમનું દિલ્હી ઍરપૉર્ટ પર ભવ્ય સ્વાગત કરવામા આવ્યું. પ્રશંસકો પહેલાંથી જ સ્વાગત માટે ઍરપૉર્ટ પર હાજર રહ્યા હતા.

ટીમ ઍરપૉર્ટથી દિલ્હીની આઈટીસી મૌર્યા હોટલ પહોંચી છે. મીડિયાના અહેવાલો પ્રમાણે, ટીમ આજે બપોરે વડા પ્રધાન મોદીને મળશે.

કૅપ્ટન રોહિત શર્માએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ચાર જૂને સાંજે પાંચ વાગ્યે ટીમ મુંબઈના મરીન ડ્રાઇવ અને વાનખેડે સ્ટેડિયમમાં જીતની ઉજવણી કરશે.

રોહિતે એક્સ પર લખ્યું, “અમે તમારી બધાની સાથે આ ખાસ ક્ષણની ઉજવણી કરવા માંગીએ છીએ. ચાર જૂલાઈના રોજ સાંજે પાંચ વાગ્યે મરીન ડ્રાઇવ અને વાનખેડે સ્ટેડિયમમાં.”

29 જૂને બારબાડોઝમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપના ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યું. રોહિત શર્માની કૅપ્ટનશિપ હેઠળ ભારતે 17 વર્ષ પછી ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો.

ઓલીની પાર્ટીએ પ્રચંડ સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો, સરકાર લઘુમતીમાં

નેપાળના રાજકારણમાં આ સમયે ઘણી ઉથલપાથલ થઈ રહી છે. પુષ્પકમલ દહાલ 'પ્રચંડ'ની સરકારમાંથી કે.પી. શર્મા ઓલીની પાર્ટી સીપીએન-યુએમએલએ પોતાનો ટેકો પાછો ખેંચ્યું હતું. આ સાથે જ ઓલી સરકાર લધુમતીમાં આવી ગઈ છે.

સીપીએન-યુએમએલ પ્રચંડ સરકારની સૌથી મોટી સહયોગી પાર્ટી હતી. આ સમર્થન નેપાળમાં બનેલા નવા ગઠબંધનનું પરિણામ હતું.

શેર બહાદુર દેઉબાની નેપાળી કૉંગ્રેસ અને ઓલીની સીપીએન-યૂએમએલ પાર્ટીએ નવું ગઠબંધન બનાવ્યું છે.

બંને પાર્ટીઓ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે શરૂઆમાં ઓલી સરકારનું નેતૃત્વ કરશે અને ત્યારબાદ દેઉબા સરકારનું નેતૃત્વ કરશે.

આ વર્ષે 20 મેના રોજ જ્યારે સમાજવાદી પાર્ટી-નેપાળે જ્યારે સરકારનો ટેકો પાછો ખેંચ્યો હતો ત્યારે સરકારને ફ્લોર ટેસ્ટમાં 275 સભ્યો વાળી પ્રતિનિધિ સભામાં 157 મતો મળ્યા હતા.

યૂએમએલ પાસે 77 બેઠકો છે અને તેમને ટેકો પાછો ખેંચતાની સાથે જ સરકારની બહુમતી ખતમ થઈ ગઈ છે.

નેપાળના વડા પ્રધાને ફરી એક વખત ફ્લોર ટેસ્ટ આપવો પડશે. વડા પ્રધાન પાસે વિશ્વાસમત મેળવવા માટે 30 દિવસનો સમય છે. નેપાળના રાજકારણની પરિસ્થિતિ જોતા પ્રચંડને બહુમતી માટે ટેકો મેળવવો લગભગ અશક્ય છે.