You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકામાં હિંસા અને પ્રદર્શનો વચ્ચે રનિલ વિક્રમસિંઘેએ સંભાળી દેશની કમાન, બન્યા નવા વડા પ્રધાન
શ્રીલંકામાં રાજકીય સંકટ બાદ હવે નવા વડા પ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. રનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા વડા પ્રધાન બન્યા છે.
શ્રીલંકામાં અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક કટોકટીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રીલંકામાં રાજપક્ષે પરિવારમાં વડા પ્રધાન રહેલા મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.
જે બાદ હવે શ્રીલંકામાં નવા વડા પ્રધાનની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકા હાલ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈંધણની આયાત માટે જરૂરી વિદેશી હૂંડિયામણની કમીને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
કોલંબોના ગૉલફેસમાં ગત એક મહિનાથી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગ સાથે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં હતાં.
જે બાદ મહિંદા રાજપક્ષેના સમર્થકો પણ કોલંબોમાં તેમના ઘર પાસે જમા થઈ ગયા અને તેમને રાજીનામું ન આપવા માટે કહ્યું હતું.
આમાંથી કેટલાંક લોકોએ મહિંદા રાજપક્ષે સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાત પણ કરી. પછી તે ત્યાંથી નીકળીને ગૉલ ફેસ ખાતે પ્રદર્શનસ્થળ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી.
જોકે, રાજધાની સહિત દેશમાં પ્રદર્શનો અને હિંસા વધતા આખરે મહિંદા રાજપક્ષેએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન અને સાંસદોનાં ઘરો સળગાવી દીધાં
શ્રીલંકા આર્થિક સંકટ સામે મથી રહ્યું છે અને સરકારવિરોધી પ્રદર્શનો હિંસક થઈ ગયાં છે. પ્રદર્શનકારીઓએ વડા પ્રધાનના પૈતૃક ઘર અને સત્તાધારી પક્ષના 15 કરતાં વધારે સભ્યોનાં ઘરો અને ઑફિસોને આગ ચાપી દીધી હતી.
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ વધી રહેલી હિંસાને પગલે ગઈ કાલે રાત્રે બે દિવસ માટે કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો.
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં હજારો પ્રદર્શનકારીઓ રાજપક્ષે પરિવારને સત્તામાંથી બહાર કાઢવા માટે પ્રદર્શનો કરી રહ્યા છે.
દેશભરમાં હિંસા ફેલાયેલી છે, હિંસા દરમિયાન થયેલા ગોળીબારમાં વર્તમાન સાંસદ સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાજધાની કોલંબોમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના ઘરની બહાર ફાટી નીકળેલી આ હિંસામાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે. સાથે જ સત્તાધારી પાર્ટીના એક નેતાઓ કથિત રીતે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી હતી અને પછી આપઘાત કર્યો હતો.
સત્તાધારી પાર્ટીના સમર્થકોએ પોલીસના બૅરિકેડ તોડીને લાકડીઓથી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો ત્યારે પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા હતા અને વૉટર-કેનનનો ઉપયોગ પણ કર્યો હતો.
માર્ચ મહિનાની શરૂઆતથી ભાવવધારા અને પાવરમાં કાપના કારણે લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો