પાકિસ્તાનમાં નવો કાયદો, બળાત્કારીને નપુંસક બનાવી દેવાની જોગવાઈ TOP NEWS

પાકિસ્તાનમાં બળાત્કારના મામલાને નાથવા માટે એક નવો કાયદો લાવવામાં આવ્યો છે, જેનો હેતુ કેસની ઝડપી સુનાવણી અને કડક સજાની જોગવાઈ કરવાનો છે.

કડક સજા અંતર્ગત બળાત્કારના દોષીને કૅમિકલ કૅસ્ટ્રેશન એટલે કે કેમિકલના ઉપયોગથી નપુંસક પણ બનાવી શકાય છે.

મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આ નવા બળાત્કારવિરોધી કાયદા પર સહી કરી દીધી છે.

આ અધ્યાદેશ હેઠળ યૌનઅપરાધમાં સામેલ લોકોનું નેશનલ રજિસ્ટાર તૈયાર કરાશે અને પીડિતાની ઓળખ ગુપ્ત રાખવાનો પણ નિર્ણય કરાયો છે.

તેમજ કેટલાક અપરાધીઓને દવા આપીને નસુંપક પણ બનાવી શકવાની જોગવાઈ છે.

લાહોર શહેરની બહાર એક મહિલા સાથે થયેલી ગૅંગરેપની ઘટના બાદ દેશમાં યૌનઅપરાધ સામે જે રીતે માહોલ પેદા થયો હતો, તેને ધ્યાનમાં રાખીને આ કાયદો લાવવામાં આવ્યો છે.

'મંદિરના સંરક્ષણ માટે અલગ નિધિ રખાશે'

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે "રાજ્યમાં મંદિરના સંરક્ષણ માટે અલગથી નિધિ રખાશે અને મહારાષ્ટ્રની સંસ્કૃતિને બચાવવાની કોશિશ કરાશે. તેનાથી તમને ખબર પડશે કે અમે હિન્દુત્વ છોડ્યું નથી."

એનડીટીવીના અહેવાલ અનુસાર, મરાઠા અનામત અંગે તેઓ બોલ્યા કે કોઈની અનામત છીનવીને અન્યને નહીં આપવામાં આવે અને બધા સમાજો સાથે ન્યાય કરાશે.

"જો કોઈ સમાજમાં ઝઘડો કરાવવાની કોશિશ કરે છે, એ સફળ નહીં થાય. એક મુખ્ય મંત્રી તરીકે હું આ જવાબદારી સાથે કહી રહ્યો છે."

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બુલેટ ટ્રેનની માગ કોણે કરી હતી? તેનાથી કોને લાભ થશે? મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના માત્ર ચાર સ્ટેશન છે અને બાકીનાં અન્ય રાજ્યમાં.

"શું હું એમ કહી દઉં કે આ અમારી જગ્યા છે અને અહીં કારશૅડ બનાવી દઉં? મુંબઈકરોની ભલાઈના નામે તમે કંઈ પણ જૂઠ ન ફેલાવો."

હાર્દિક પટેલની અરજી પર રાજ્ય સરકારને નોટિસ

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની એફઆરઆઈ રદ કરવાની અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.

હાર્દિક પટેલ દ્વારા ડિસેમ્બર 2017માં રોડ શો યોજવા બદલ અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી એફઆરઆઈ રદ કરવા માટે અરજી કરી હતી. જે મામલે સરકારને નોટિસ મોકલવામાં આવી છે.

હાર્દિક પટેલ તરફથી રજૂઆત કરતાં વકીલ આનંદ યાજ્ઞિકે ભારતની ચાર કોર્ટનો હવાલો આપીને કહ્યું કે આવા કેસમાં એફઆરઆઈ રહી શકતી નથી.

આ કેસમાં ફરિયાદી રામભાઈ મકવાણાને પણ નોટિસ મોકલવામાં આવી છે.

આ મામલાની વધુ સુનાવણી 12 જાન્યુઆરી, 2021ના રોજ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 2017માં અમદાવાદમાં બોપલથી નિકોલ સુધી 15 કિલોમિટર સુધી રોડ શો યોજવામાં આવ્યો હતો.

ભાજપ હૈદરાબાદની પાર્ટીને પૈસા આપે છે- મમતા બેનરજી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ભાજપ અને અસદુદ્દીન ઓવૈસી પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) પર એકબીજાને મદદ કરવાનો આરોપ મૂક્યો છે.

ઓવૈસીનું નામ લીધા વિના મમતા બેનરજીએ જલપાઈગુડીમાં એક સભામાં કહ્યું કે "અલ્પસંખ્યકોના મતને વિભાજિત કરવા માટે તેઓએ (ભાજપ) હૈદરાબાદની એક પાર્ટીને પકડી છે. ભાજપ તેને પૈસા આપે છે અને તે અલ્પસંખ્યકોના મતને વહેંચી રહી છે. બિહાર ચૂંટણીમાં આ સાબિત થયું છે."

મમતાએ જલાપાઈગુડીમાં ભાજપ પર હુમલો કરતાં તેની તુલના ચંપલના ડાકુ સાથે કરી દીધી હતી.

મમતાએ કહ્યું કે ભાજપે 2014, 2016 અને 2019ની ચૂંટણીમાં કહ્યું હતું કે સાત ચાના બગીચાને ફરીથી ખોલાશે અને કેન્દ્ર સરકાર તેને પોતાના નિયંત્રણમાં લેશે.

મમતાએ કહ્યું કે "હવે ભાજપ નોકરીઓનો વાયદો કરી રહ્યો છે. તે હકીકતમાં લોકોને દગો આપી રહ્યો છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો