પાકિસ્તાનનો જૂનાગઢ અને માણાવદર પર દાવો, શું છે વિવાદ?

પાકિસ્તાનની કૅબિનેટે પાકિસ્તાનના નવા રાજકીય નકશાને મંજૂરી આપી દીધી છે. આ નકશામાં પાકિસ્તાને જૂનાગઢ અને માણાવદરને પોતાના હિસ્સા તરીકે દર્શાવ્યા છે.

ઉપરાંત પાકિસ્તાને તેમાં જમ્મુ, કાશ્મીર અને લદ્દાખને પણ પોતાના હિસ્સામાં દર્શાવ્યા છે. પાકિસ્તાન અને કચ્છની સરહદે આવેલા સરક્રિક વિસ્તારને પણ પોતાના નકશામાં દર્શાવ્યો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ખુદ ટ્વીટ કરીને આ નકશાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેબિનેટના આ નિર્ણયનો વિપક્ષે અને કાશ્મીરના નેતૃત્વે સ્વીકાર કર્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ભારતીય સરકારે પાકિસ્તાનના 'રાજકીય નકશા' પર જવાબ આપ્યો છે.

ભારત સરકારે કહ્યું, "અમે ઇમરાન ખાન દ્વારા જાહેર કરાયેલો પાકિસ્તાનનો કહેવાતો 'રાજકીય નકશો' જોયો. રાજકીય બેવકૂફીની આ કવાયત છે, જેમાં ભારતના ગુજરાત રાજ્ય તથા જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશો અને લદ્દાખના પ્રદેશો પર દાવા કરવામાં આવ્યા છે."

આ પહેલાં નેપાળે પણ પોતાનો નવો નકશો જાહેર કર્યો હતો, જેને લઈને પણ વિવાદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારત-નેપાળની સરહદ મામલે પણ વિવાદ ઉદ્ભવ્યો હતો, નેપાળે તેમના નવા રાજકીય નકશામાં લિમ્પિયાયાધૂરા, કાલાપાનીને પોતાના વિસ્તાર ગણાવ્યા હતા.

પાકિસ્તાનની સરકારે પણ તેમના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી નવો રાજકીય નકશો ટ્વીટ કર્યો હતો.

ઇમરાન ખાનનું કહેવું છે કે પાકિસ્તાનનો નવો રાજકીય નકશો પાકિસ્તાનની જનતાના ઉમંગોનું પ્રતિનિધિત્વ કરે છે. પાકિસ્તાન અને કાશ્મીરના લોકોની સૈદ્ધાંતિક વિચારધારાનું સમર્થન કરે છે.

ભારત સરકારે કલમ 370 હઠાવી તેનું એક વર્ષ પૂર્ણ થાય તેના એક દિવસ પહેલાં જ પાકિસ્તાને આ નવા નકશાને મંજૂરી આપી છે.

આર્ટિકલ 370 હઠાવીને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા હતા.

આ નકશાને મંજૂરી આપ્યા બાદ પાકિસ્તાના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ભારતે ગયા વર્ષે 5 ઑગસ્ટના રોજ જે ગેરકાનૂની પગલું ભર્યું હતું તેને આ રાજકીય નકશો નકારે છે.

ઇમરાન ખાનના કહેવા મુજબ હવે પાકિસ્તાનની સ્કૂલ, કૉલેજ અને બધી સરકારી ઓફિસમાં આ જ નકશો હશે જેને કેબિનેટે મંજૂરી આપી છે.

જૂનાગઢમાં શું થયું હતું?

ઉપમહાદ્વીપના ભાગલા પડ્યા, ત્યાર પહેલાં બ્રિટનની સરકારે 262 રાજ્યો અને દેશી રજવાડાંઓને માટે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો અથવા સ્વતંત્ર રહેવાનો વિકલ્પ રજૂ કર્યો હતો.

આ દેશી રજવાડાંઓમાં જૂનાગઢ પણ સામેલ હતું, જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે ભળી જવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાતનું જૂનાગઢ સાડા ત્રણ હજાર કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલું હતું જેનો એક ભાગ અરબી સાગરના કિનારે આવેલો છે.

જૂનાગઢ હિંદુ બહુલતાવાળો વિસ્તાર હતો જેનું શાસન મુસ્લિમ પરિવારના હાથમાં હતું.

પાકિસ્તાન સાથે જવાનો નિર્ણય

ભારતના ભાગલા પડ્યા ત્યારે જુનાગઢના નવાબ મોહમ્મદ મહાબત ખાને પાકિસ્તાન સાથે ભળી જવાનો નિર્ણય કર્યો અને 15 સપ્ટેમ્બર 1947ના દિવસે પાકિસ્તાને અધિકૃત ગૅઝેટિયર રજૂ કર્યું હતું, જેમાં તેની સીમામાં આવતાં સ્થળોનું વર્ણન હતું.

જોકે, પાકિસ્તાનની સરહદ જૂનાગઢને ક્યાંય અડતી નહોતી.

જૂનાગઢના સ્થાનિક લોકોએ નવાબના નિર્ણયનો વિરોધ કર્યો હતો, જેના આધારે ભારતીય સૈનિકોએ જૂનાગઢમાં પ્રવેશ કર્યો હતો.

પ્રિન્સલી અફેયર્સના લેખક યાકૂબ ખાન બંગશ કહે છે કે સર શાહનવાઝ ભુટ્ટો જૂનાગઢના નવાબના દીવાન હતા.

નવાબે દીવાનને કહ્યું હતું કે તેમને જે ઠીક લાગે તે પ્રમાણેનો નિર્ણય તેઓ લે.

દીવાને રિજનલ કમિશનરને પત્ર લખીને સંપત્તિનું નુકસાન અને ખૂનખરાબો રોકવા માટે પ્રશાસનની મદદ કરવા કહ્યું.

9 નવેમ્બર, 1947ના ભારતે કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ જાળવવા જૂનાગઢને કબજે કરી લીધું.

પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાને ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરૂને ટેલિગ્રામ મોકલીને વિરોધ દર્શાવ્યો કે ભારતનું આ પગલું પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

જવાહરલાલ નેહરૂએ ભારતીય સેનાને જૂનાગઢની હઠાવવાનો ઇનકાર કર્યો અને લોકોની ઇચ્છા જાણવાનો વાયદો કર્યો હતો.

આ અંગે જનમત લેવામાં આવ્યો જેમાં ભારતની તરફેણમાં 19 હજાર મત આવ્યા અને પાકિસ્તાનની તરફેણમાં માત્ર 91 મત હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો