અમદાવાદમાં માતાનાં ગર્ભાશય તેમની દીકરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયાં, કેવી રીતે થઈ સર્જરી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુશીલાસિંહ અને ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી સંવાદદાતા

- ગુજરાતના અમદાવાદમાં બે મહિલાએ પોતાની દીકરીઓને યૂટેરસ અથવા ગર્ભાશય આપ્યાં.
- આ બંને દીકરીઓનાં ગર્ભાશયમાં સમસ્યા હતી.
- 27 સપ્ટેમ્બરે બે માતાનાં ગર્ભાશય કાઢીને દીકરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં.
- દુનિયાનું સૌપ્રથમ યૂટેરસ ટ્રાન્સપ્લાન્ટ સ્વીડનમાં થયું હતું.

અમદાવાદના ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં એક જ દિવસમાં આ યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં. આ સર્જરી કરવામાં 12થી 14 ક્લાક લાગે છે.
જૂનાગઢની રીના વઘાસિયાએ પોતાના યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ બાદ બીબીસી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "મારી માતાએ મને યૂરેટસ આપ્યું છે. જે ગર્ભાશય થકી હું જન્મી હતી, તેનાથી જ મારું બાળક પણ જન્મ લેશે."
તેમણે કહ્યું, "જન્મ બાદ જ મારું ગર્ભાશય બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. લગ્ન બાદ મને આ જાણકારી મળી હતી. હું બાળકને જન્મ આપી શકતી ન હતી. જ્યારે મેં તેની સારવાર કરાવવાનું શરૂ કર્યું તો ખબર પડી કે હું જીવનભર માતા બની શકું નહીં."
રીનાના પતિ પણ ટ્રાન્સપ્લાન્ટ બાદ ઘણા ખુશ છે.
તેઓ કહે છે કે, "અમને જાણ થઈ કે યૂરેટસનું ટ્રાન્સપ્લાન્ટ પુણેમાં થાય છે પરંતુ તેનો ખર્ચ લાખોમાં થતો હતો. મારા પિતા ખેડૂત છે અને હું નાનું-મોટું કામ કરું છું. પરંતુ અમદાવાદની આ સરકારી હૉસ્પિટલમાં અમને આ સુવિધા મળી ગઈ અને મારાં સાસુએ મારી પત્નીને પોતાની કૂખ આપી દીધી."
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટરના ડૉ. વિનીત મિશ્રાનું કહેવું છે, "અમે પહેલી વાર બે મહિલાનું સફળતાપૂર્વક યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. પહેલાં અમને મંજૂરી આપવામાં આવી ન હતી પરંતુ હવે જે મહિલાઓને આવી સમસ્યા છે તેમની મદદ અમે કરી શકીશું."
ડૉ. શૈલેશ પુણતાંબેકર કૅન્સર વિશેષજ્ઞ છે અને ભારતમાં કરવામાં આવેલા પ્રથમ યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા છે.
તેઓ જણાવે છે કે, સ્વીડન અને અમેરિકા બાદ ભારત ત્રીજો દેશ છે જ્યાં યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને ભારત જ પ્રથમ દેશ છે જ્યાં લેપ્રોસ્કૉપી દ્વારા આવું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, એટલે કે આ ટ્રાન્સપ્લાન્ટ ડૉનરના પેટમાં મોટો ચીરો પાડીને જ કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેવી રીતે કરવામાં આવે છે ટ્રાન્સપ્લાન્ટ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ડૉક્ટરોનું કહેવું છે ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ એ જ યુવતીઓ અથવા મહિલાઓમાં કરવામાં આવે છે જેના શરીરમાં જન્મ બાદ જ યૂરેટસ ન હોય અથવા જેના યૂરેટસમાં સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ હોય અથવા કોઈ કારણસર યૂરેટસ કાઢી નાખવામાં આવ્યું હોય, પરંતુ તેમાં ઓવરી અને અંડાશય સામાન્ય હોય છે.
ડૉ. શૈલેશ પુણતાંબેકરે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે, યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ માત્ર માતા અને દીકરીમાં જ થઈ શકે છે, કારણ કે તેમનાં જિન સરખાં હોય છે. આમાં માતા ડૉનર હોય છે અને દીકરી રેસિપિઍન્ટ હોય છે.

કોણ ડૉનર માતા હોઈ શકે છે?
- માતાની ઉંમર 49-50 હોવી જોઈએ
- તેમને માસિક આવતું હોવું જોઈએ
- જો માસિક ન આવતું હોય તો દવા આપીને શરૂ કરવામાં આવે છે
રેસિપિએન્ટ યુવતીઓ કોણ હોઈ શકે છે?
- યુવતીનાં લગ્ન થયેલાં હોવાં જોઈએ
- યુવતીની ઉંમર 18થી 35 વર્ષની હોવી જોઈએ
- ક્રોમોસોમ અથવા ગુણસૂત્ર 46XX હોવા જોઈએ અટલે કે એ જિનેટિકલી અથવા આનુવંશિક રીતે મહિલા હોવી જોઈએ


શું છે પ્રક્રિયા?

ઇમેજ સ્રોત, DEV IMAGES
ડૉ. શૈલેશ પુણતાંબેકર આ બધા માપદંડો તપાસ્યા પછી આગળની પ્રક્રિયા સમજાવતાં કહે છે કે, "માતાના પેટના સૌથી નીચા ભાગમાં લેપ્રોસ્કોપ દ્વારા બે ઇંચનો કાપો મૂકવામાં આવે છે અને રિટ્રેક્શન દ્વારા યૂરેટસને કાઢવામાં આવે છે. સાથે જ રક્તવાહિનીઓ (સપ્લાય અને બહાર જનારી બંને)ને પણ કાઢવામાં આવે છે."
"કિડની અથવા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જેમ જ આની પ્રક્રિયા થાય છે, જે બાદ તેની સફાઈ કરવામાં આવે છે. બાદ યુવતીના પેટમાં કાપો મૂકીને યૂરેટસ નાખવામાં આવે છે અને રક્તવાહિનીઓને વજાઇના સાથે જોડવામાં આવે છે."
ડૉ. શૈલેશ કહે છે કે, ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ 30થી 35 દિવસમાં જે રેસિપિએન્ટને પિરિયડનો અનુભવ થવા માંડે છે, તેની શરૂઆત થઈ જાય છે. જોકે પિરિયડનાં લક્ષણ સામાન્ય જ રહે છે. પરંતુ જે મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમને પિરિયડ્સ દરમિયાન દુખાવો થતો નથી અને સાથે જ તેઓ 'કંસિવ' કરી શકે છે એટલે કે માતા બની શકે છે.
ડૉ. શૈલેશ અનુસાર, "જે ગર્ભાશયથી માતાએ દીકરીને જન્મ આપ્યો એ જ ગર્ભાશયથી દીકરી પોતાના બાળકને જન્મ આપે છે. હાર્ટ અને કિડની જેવા ટ્રાન્સપ્લાન્ટ દ્વારા લોકોને નવું જીવન આપીએ છીએ એ જ યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટથી આપણે એક નવી જિંદગીને દુનિયામાં લાવીએ છીએ."
જોકે ડૉક્ટર કહે છે કે ગર્ભધારણ પહેલાં જે ભ્રૂણ તૈયાર કરાય છે તે મહિલાઓના અંડાણુ અને પુરુષના શુક્રાણુથી તૈયાર કરાય છે અને ત્યાર બાદ યૂરેટસમાં સ્થાપિત કરવામાં આવે છે.

એક જ જિન

માતાના શરીરમાંથી કાઢવામાં આવેલું યૂરેટસ જ દીકરીના શરીરમાં કેમ નાખવામાં આવે છે?
આ સવાલોના જવાબમાં ડૉ. માનસી ચૌધરી જણાવે છે કે, "માતા અને દીકરીમાં એક જેવા જ જિન હોય છે. એવામાં સેલ અથવા કોશિકાઓ એકસરખી જ હોય છે. શરીર તેને ફૉરેન પાર્ટિકલ અથવા બાહ્ય કણ માનતું નથી, એવામાં માતાનું યૂરેટસ જે દીકરીના શરીરમાં નાખવામાં આવે છે જે તેને આનુવંશિક રીતે રિજેક્ટ કરતું નથી."
વિજ્ઞાને ઘણી શોધ કરી છે. આધુનિક મશીનો દ્વારા ગર્ભવતી મહિલાઓનું સ્ક્રિનિંગ અથવા તપાસ કરી શકાય છે અને ગર્ભમાં કોઈ પણ પ્રકારની આનુવંશિક અસામાન્યપણા અંગે ખબર પડી શકે છે પરંતુ આવામાં સવાલ એ થાય છે કે શું આવી તપાસો દરમિયાન એક યુવતીમાં ગર્ભાશય ન હોવાની ખબર પડી શકતી નથી?
આ અંગે ડૉક્ટરોનું કહેવું છે કે, કોઈ બાળકીમાં યૂરેટસ છે કે નહીં તેની જાણકારી મેળવવી એ લિંગતપાસની જેમ માનવામાં આવે છે, એવામાં આ અંગેની જાણાકારી મેળવવી એ કાયદા વિરુદ્ધ છે.

ઇમેજ સ્રોત, SEBASTIAN KAULITZKI
ભારતમાં દીકરાની ઇચ્છામાં ભ્રૂણના લિંગની જાણકારી મેળવીને, ગર્ભપાત કરાવવાના ચલણને રોકવા માટે 1994માં પીસીપીએનડીટી કાયદો લાવવામાં આવ્યો હતો. જે અંગે 2003માં સંશોધન પણ કરાયું છે.
સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉ. માનસી ચૌધરી જણાવે છે કે, "મહિલાઓના શરીરમાં યૂરેટસ હોતું નથી એવી મહિલાઓ ઓવરી, અંડાણુ તો બનાવે છે પણ જ્યારે તે ફર્ટિલાઇઝ થતા નથી, ત્યારે યૂરેટસમાં લાઇનિંગ ઝરવા લાગે છે અને ત્યાર બાદ મહિલાઓ પિરિયડ્સમાં આવે છે પરંતુ જ્યારે કોઈ મહિલામાં યૂરેટસ હોતાં નથી તો તેઓ પિરિયડ્સમાં પણ થતાં નથી. આ મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોન જ મળી રહે છે."
ડૉ. શૈલેશ જણાવે છે, "દર વર્ષે 5,000 બાળકો જન્મ લે છે, તેમાંથી એકાદ બાળકી યૂટેરસ વગર જન્મ લે છે. કોઈ યુવતી અથવા મહિલામાં યૂરેટસનું ન હોવું આનુવંશિક અસામાન્યપણું માનવામાં આવે છે પરંતુ ઘણી વાર સિસ્ટ હોવા અથવા યૂરેટસ ખરાબ થવાના કારણે પણ તેને કાઢી નાખવામાં આવે છે. એવા કેસ પણ જોવા મળે છે, જેમાં કૅન્સરના કારણે યૂરેટસ કાઢવામાં આવ્યું હોય."

ડૉ. શૈલેશ સલાહ આપે છે કે, યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ માત્ર ગર્ભધારણ માટે કરાય છે અને તેઓ આવું ટ્રાન્સપ્લાન્ટ કરાવનારી મહિલાઓને પાંચ વર્ષ બાદ યૂરેટસ કાઢવાની સલાહ આપે છે.
જેનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, "જે મહિલાઓમાં યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમને ઇમ્યૂન-સપ્રેસેન્ટ આપવામાં આવે છે. આ દવા આપવાથી રેસિપિએન્ટનું શરીર યૂરેટસ રિજેક્ટ કરતું નથી."
"કિડની અથવા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ઇમ્યૂન-સપ્રેસેન્ટ દવાઓ જરૂરી હોય છે, કારણ કે જિંદગી એના પર નિર્ભર કરે છે પરંતુ જ્યારે બાળક જન્મે છે, ત્યારે યૂરેટસ ટ્રાન્સપ્લાન્ટની કોઈ જરૂર ઊભી થતી નથી. દવા ન લેવાથી યૂટેરસ પર તેની અસર થવા લાગે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













