નીતિન પટેલ : રખડતાં ઢોર વિશે ક્યાં ફરિયાદ કરવી અને ઉકેલ શું?

નીતિન પટેલને ગાયે શિંગડું માર્યું

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, અકસ્માત બાદ નીતિન પટેલ

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં તિરંગારેલીમાં જોડાયા હતા. જ્યાં ગાયે નીતિન પટેલ અને અન્ય કેટલાક લોકોને અડફેટે લીધા હતા.

'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશભરમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 13 ઑગસ્ટે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પણ તિરંગાયાત્રા યોજાઈ હતી. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જેમ-જેમ યાત્રા આગળ વધી રહી હતી, તે દરમિયાન અચાનક સામેની તરફથી આવેલી એક ગાયે નીતિન પટેલ અને તેમની આગળ ચાલી રહેલા એક વ્યક્તિને હડફેટે લેતા નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટનાને પગલે નીતિન પટેલ રસ્તા પર ઢળી પડ્યા હતા. જ્યાંથી તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર તેમને ઢીંચણના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે.

રાજ્યમાં અવારનવાર રખડતાં ઢોરોના કારણે અકસ્માતો સર્જાતા હોવાના અહેવાલો સામે આવતા હોય છે. ઘણા અકસ્માતોમાં લોકોએ જીવ પણ ગુમાવવો પડતો હોય છે. તેમ છતાં ઢોરોની સમસ્યાનો કોઈ નક્કર ઉપાય હજી સુધી આવ્યો નથી.

જોકે ગુજરાત સરકારે બજેટસત્ર દરમિયાન જ રાજ્યમાં રખડતાં ઢોરોને લઈને રજૂ કરાયેલા બિલને મંજૂરી આપી છે. આ બિલ શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરોની સમસ્યાને નાથવા માટે હોવાનું કહેવામાં આવ્યું હતું.

તેમ છતાં પણ વારંવાર રાજ્યભરમાં રખડતાં ઢોરના કારણે થતા અકસ્માતો ઘટવાનું નામ લેતા નથી.

line

રખડતા ઢોરોને લગતો કાયદો અને વિવાદ

નીતિન પટેલને ગાયે શિંગડું માર્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત વિધાનસભાના બજેટસત્રના છેલ્લા દિવસે ગુજરાત શહેરી વિકાસમંત્રી વિનોદ મોરડિયાએ 'ગુજરાત ઢોર નિયંત્રણ (પાલન અને હેરફેર) શહેરી વિસ્તાર' બિલ રજૂ કર્યું હતું.

બિલ રજૂ કરતી વખતે શહેરી વિકાસમંત્રીએ કહ્યું હતું કે "શહેરીવિસ્તારોમાં ગાય, બળદ, સાંઢ, ભેંસ તથા બકરી વગેરે પ્રાણીઓ રઝળતાં જોવાં મળે છે. જેના કારણે રસ્તાઓ અને જાહેરસ્થળો ઉપર ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે અને અકસ્માત સર્જાય છે, જેને નાથવા માટે આ બિલ રજૂ કરવામાં આવે છે."

આ બિલ છ કલાકની ચર્ચા બાદ વિધાનસભામાંથી પસાર થઈ ગયું હતું.

બિલ પસાર થયું ત્યારે કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો અને ભાજપમાંથી પણ બિલની કેટલીક જોગવાઈઓ સામે વિરોધના સૂર ઊઠ્યા હતા.

માલધારી સમાજે આ કાયદાને 'કાળો કાયદો' ગણાવીને ઠેરઠેર વિરોધ કર્યો હતો.

બિલ ઉપર ચર્ચા કરતી વેળાએ ગુજરાતના ભૂતપૂર્વ નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે દંડની રકમને ખૂબ જ વધુ ગણાવી હતી અને તેને ઘટાડવાનો આગ્રહ કર્યો હતો.

કૉંગ્રેસના ધારાસભ્ય તથા માલધારી સમાજના આગેવાન રઘુ દેસાઈએ વિધાનસભામાં કહ્યું હતું, "ગુજરાતમાં લગભગ 70 લાખ માલધારી છે, જેમાંથી 70 ટકા નિરક્ષર તથા ગરીબ છે. આ બિલ માલ રાખવાના તેમના મૂળભૂત અધિકાર ઉપર તરાપ સમાન છે. આ બિલ તેમને ખદેડી મૂકવાનું કાવતરું છે."

લાઇન

કાયદાની જોગવાઈઓ

લાઇન
  • કાયદો પસાર થયાના 15 દિવસની અંદર પશુ રાખવાનું લાઇસન્સ લેવું પડશે
  • લાઇસન્સ બધાને દેખાય તેમ રાખવું પડશે તથા જવાબદાર અધિકારી ગમાણનું નિરીક્ષણ કરી શકશે
  • દરેક પશુનું ફરજિયાત ટૅગિંગ કરાવવાનું રહેશે
  • ટૅગિંગ ન હોય તેવા ઢોરને જપ્ત કરવામાં આવશે તથા રૂ. 50 હજારનો દંડ લીધા બાદ જ છોડવામાં આવશે
  • પશુ રસ્તા કે જાહેરસ્થળોએ રઝળે નહીં, તે જોવાની જવાબદારી માલિકની રહેશે
  • ટૅગિંગ નહીં કરાવનારા પશુમાલિકને જેલ અથવા રૂ. 10 હજારનો દંડ અથવા બંને સજાની જોગવાઈ
  • ઢોર પકડવા માટેની ટુકડી ઉપર હુમલો કરનારને અથવા તો તેમની કામગીરીમાં અવરોધ ઊભો કરનારને એક વર્ષની જેલ તથા રૂ. 50 હજારના દંડની જોગવાઈ
  • પ્રથમ વખત રઝળતું ઢોર પકડાય એટલે માલિકને રૂ. પાંચ હજારનો દંડ, બીજી વખત પકડાય એટલે રૂ. દસ હજારનો દંડ તથા ત્રીજી વખત રૂ. 15 હજારનો દંડ તથા એફઆઈઆર
  • મૃત પશુનો જાહેર આરોગ્યને અસર ન થાય તેવી રીતે નિકાલ કરવો
લાઇન

રખડતા ઢોર વિશે ફરિયાદ ક્યાં કરવી અને તેનો ઉકેલ શું?

નીતિન પટેલને ગાયે શિંગડું માર્યું

ઇમેજ સ્રોત, YAWAR NAZIR

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રસ્તે રખડતાં પશુઓના કારણે થતા અકસ્માત ટાળવાનો સૌથી સરળ ઉપાય છે તેમના વિશે તંત્રને જાણ કરવાનો. પણ સૌથી મોટી સમસ્યા એ છે કે ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે રખડતા ઢોરની ફરિયાદ ક્યાં કરી શકાય?

આ પ્રશ્નનો જવાબ સુરતની કતારગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિધાનસભામાં 'ગુજરાત ઢોર નિયંત્રણ (પાલન અને હેરફેર) શહેરી વિસ્તાર' બિલ રજૂ કરનારા ગુજરાત શહેરી વિકાસમંત્રી વિનોદ મોરડિયા પાસેથી મેળવ્યો.

તેઓ કહે છે, "જો લોકોને રસ્તે રખડતા ઢોર દેખાય તો તેમણે આ મામલે સીધી પોલીસને જાણ કરવી જોઈએ. પોલીસ આ ઢોરના માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરશે અને કાયદેસરની કાર્યવાહી કરશે."

જોકે, કાયદાની જોગવાઈ પ્રમાણે રખડતા પશુઓ પર નિયંત્રણ મેળવવામાં પોલીસ સિવાય સ્થાનિક પાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓનો પણ મહત્ત્વપૂર્ણ ભાગ છે.

પાલિકા અને મહાનગર પાલિકા સમયાંતરે રસ્તે રખડતા ઢોરોને પકડવા દરોડા પાડે છે અને પકડાયેલા પશુઓને પાંજરાપોળમાં મોકલીને તેમના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન