હર ઘર તિરંગા : ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલાં જાણી લો આ 10 નિયમ, થઈ શકે છે સજા
દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. દેશમાં અલગઅલગ જગ્યાએ લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળી રહ્યા છે. તો સોશિયલ મીડિયામાં પણ લોકો તિરંગા સાથેની તસવીરો મૂકી રહ્યા છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતના લોકોને ટ્વીટ કરીને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર #HarGharTiranga આંદોલનના ભાગરૂપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ડીપીમાં તિરંગાનો ફોટો રાખે.
વડા પ્રધાને પણ પોતાના ટ્વિટર એકાઉન્ટના ડીપીમાં પોતાની તસવીર હઠાવીને ભારતના રાષ્ટ્રધ્વજની તસવીર મૂકી છે. આના કારણે ઘણા લોકોએ આ પહેલને વધાવી લીધી છે. ઘણાએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં પણ રાષ્ટ્રધ્વજનું બૅકગ્રાઉન્ડ મૂકી દીધું છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ જો તમે તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માગતા હો, આવું કરવા માટે અમુક નિયમો છે. અમે આપને જણાવશું કે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કઈ વાતો મગજમાં રાખવી. એ પહેલાં જાણી લઈએ કે ભારતનો ફ્લૅગ કોડ શું છે?

ફ્લૅગ કોડ શું છે?
રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ફ્લૅગ કોડ 2002 અનુસરવો અનિવાર્ય છે. આ સિવાય રાષ્ટ્રીય ચિહ્નોના બદનક્ષીવિરોધી કાયદા, 1971નું પાલન કરવું પણ ફરજિયાત છે.
આ કોડની જોગવાઈ 2.1 અનુસાર, કોઈ પણ સામાન્ય નાગરિક દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાય તે અંગે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ જે-તે વ્યક્તિએ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાનું રહેશે.
જોકે, એક જોગવાઈ અનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારને જેલની સજા પણ થઈ શકે છે, જોકે પ્રથમ ગુના માટે દંડની જોગવાઈ પણ છે.
આ કોડ 26 જાન્યુઆરી, 2002ના રોજ લાગુ કરાયો. આ પહેલાં રાષ્ટ્રીય ચિહ્નો અને નામોને લગતો કાયદો, 1950 અને રાષ્ટ્રીય ચિહ્નોની બદનક્ષીવિરોધી કાયદો 1971 અમલમાં હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કોડમાં તાજેતરમાં જ બે મોટા ફેરફારો કરાયા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
20 જુલાઈ, 2022ના એક સુધારા અનુસાર હવે રાષ્ટ્રધ્વજ રાત્રિ અને દિવસ બંને સમયે ફરકાવી શકાશે. તેમજ ખુલ્લી જગ્યાએ કે ઘર પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
જોકે, અગાઉ રાષ્ટ્રધ્વજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવી શકાતો હતો.
30 ડિસેમ્બર, 2021ના રોજથી રાષ્ટ્રધ્વજ પૉલિસ્ટરના કાપડથી બનાવવાને પણ મંજૂરી અપાઈ હતી. જોકે, અગાઉ માત્ર ખાદીનું કાપડ જ માન્ય હતું.

રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે શું ધ્યાન રાખવું?

અગાઉ સરકારી ફ્લૅગ કોડ ખૂબ જ કડક હતો. જોકે, હાલમાં તેમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. જોકે, રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે આપણે અમુક વાતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે.
1. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ.
2. ભારતનો રાષ્ટ્રધ્વજ જે ઊંચાઈએ ફરકાવવામાં આવ્યો છે, તેના જેટલી જ કે વધુ ઊંચાઈએ અન્ય કોઈ ધ્વજ ન ફરકાવવામાં આવે.
3. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
4. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું જોઈએ.
5. રાષ્ટધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ, પાન, ફૂલહાર વગેરે ન મૂકવાં જોઈએ.
6. રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ જાતનું લખાણ લખેલું ન હોવું જોઈએ. કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ.
7. રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ.
8. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેમાં જો જરૂર હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય છે.
9. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના કૉસ્ચ્યુમ માટે ઉપયોગ ન થવો જોઈએ. તેમજ તેને કમરની નીચે ન બાંધવો જોઈએ. તેનો કાપડ, રૂમાલ, સોફા કવર, નેપકિન કે આંતર્વસ્ત્ર તરીકે ન થવો જોઈએ.
10. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ.

'હર ઘર તિરંગા' કેમ્પેન ખરેખર શું હતું?

ઇમેજ સ્રોત, EPA
કેન્દ્ર સરકારે આ કેમ્પેન અંતર્ગત 20 કરોડ ઘરો પર તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ કન્ફેડરેશન પ્રમાણે, હાલમાં ભારતમાં ચાર કરોડ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ છે.
તેનો અર્થ એ હતો કે સરકારે બાકીના ધ્વજ તેમની રીતે મંગાવી તેના વેચાણ અને વહેંચણીની વ્યવસ્થા કરવી પડશે.
રાજ્ય સરકારો તેમની જરૂરિયાત અનુસાર કેન્દ્ર સરકાર પાસેથી ધ્વજ મેળવવા વિનંતી કરી શકે છે. તેમજ પોતાની જાતે જ તેની વ્યવસ્થા કરી શકે છે.
કેન્દ્ર સરકાર પ્રમાણે ધ્વજ ત્રણ સાઇઝમાં ઉપલબ્ધ હતા. તેની કિંમત નવ, 18 અને 25 રૂપિયા રાખવામાં આવી હતી.
રાષ્ટ્રધ્વજ બનાવતી કંપનીઓ પહેલાં રાજ્ય અને કેન્દ્રની સરકારોને લૉન પર તિરંગા આપશે તેવો નિર્ણય થયો હતો.

કેમ્પેનનો કુલ ખર્ચ
જો કેન્દ્ર સરકારના લક્ષ્યને ધ્યાને લઈને દરેક તિરંગાની કિંમત દસ રૂપિયા આંકવામાં આવે તો આ કેમ્પેન માટે ટાર્ગેટ અનુસાર 200 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ હતો.
આજ દિવસ સુધી આટલા મોટા પ્રમાણમાં ધ્વજને લગતો વેપાર થયો નથી. આના માટે સેલ્ફ હેલ્પ ગ્રૂપો, નાના અને મધ્યમ ટ્રેડરો અને મોટી કંપનીઓને ટેન્ડર ફાળવણી કરવામાં આવી હતી. જેથી ધ્વજ મોટા ભાગના લોકોને પૂરા પાડી શકાય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













