You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબ વિધાનસભા ચૂંટણી : 22 ખેડૂત સંગઠનોએ બનાવી રાજકીય પાર્ટી, ચૂંટણી લડવાનું એલાન - BBC Top News
સંયુક્ત કિસાન મોરચામાં સામેલ રહેલા પંજાબનાં 32માંથી 22 ખેડૂત સંગઠનોએ રાજકીય પાર્ટી બનાવીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ખેડૂતનેતાઓએ કહ્યું છે કે આ નવી પાર્ટીનું નામ સંયુક્ત સમાજ મોરચો (યુનાઇટેડ સોશિયલ ફ્રન્ટ) હશે અને આ પાર્ટી આવનારા સમયમાં ખેડૂતનેતા બલબીરસિંહ રાજેવાલના નેતૃત્વમાં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે.
મીડિયાને સંબોધિત કરતાં રાજેવાલે કહ્યું કે પંજાબમાં પરિવર્તનની જરૂર છે અને વ્યવસ્થાને ઠીક કરવાની પણ જરૂર છે.
તેમણે કહ્યું કે પાર્ટીમાં માત્ર સામાન્ય લોકો જ હશે. તેમાં મૂડીપતિઓને જગ્યા નહીં આપવામાં આવે. આ પાર્ટી પંજાબની તમામ વિધાનસભાની 117 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા કરવા માટે તૈયાર છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરવા માટે ખેડૂત સંગઠનોએ સંયુક્ત કિસાન મોરચો નામે એક સંગઠન બનાવ્યું હતું.
આ સંગઠનના નેતા એક વર્ષ કરતાં વધુ સમય સુધી દિલ્હીની સીમાએ વિરોધપ્રદર્શન કરતા રહ્યા. બાદમાં સરકારે આ શિયાળુ સત્રમાં જ ત્રણેય કાયદા પાછા ખેંચી લીધા.
કૃષિકાયદા પરત લેવાયા બાદથી એ વાતની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે ખેડૂત સંગઠન રાજકારણમાં ઊતરી શકે છે.
ઓમિક્રૉન વૅરિયન્ટના વધતાં સંક્રમણને પગલે ક્રિસમસના દિવસે હજારો ફ્લાઇટ રદ
ઓમિક્રૉન વૅરિયન્ટના વધતાં સંક્રમણને પગલે દુનિયાભરમાં ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને સલામતી નિયંત્રણો કડક બનાવવામાં આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓમિક્રૉન વૅરિયન્ટ ડેલ્ટા કરતાં હળવો હોવા છતાં વૈજ્ઞાનિકો ઝડપથી વધી રહેલા સંક્રમણને લઈને ચિંતિત છે.
ગુરુવારે યુકે, ફ્રાન્સ અને ઇટાલીમાં રેકર્ડ સંખ્યામાં ઓમિક્રૉનના કેસ જોવા મળ્યા હતા.
યુ.એસ.માં દૈનિક ઓમિક્રૉનના કેસ ડેલ્ટાની લહેર કરતાં પણ આગળ વધી ગયા છે અને દેશભરમાં હૉસ્પિટલોમાં ભરાવો થઈ રહ્યો છે.
ફ્લાઇટ અવેયર વેબસાઇટ અનુસાર, વિશ્વભરમાં હજારો ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
નાતાલની પૂર્વ સંધ્યાએ યુએસ ઍરલાઇન્સે જણાવ્યું હતું કે તેઓ ફ્લાઇટ ક્રૂના પૉઝિટિવ પરીક્ષણને લઈને અથવા આઇસોલેટ થવાની ફરજ પડી હોવાને કારણે સ્ટાફની અછતથી પીડાય છે.
યુનાઇટેડ ઍરલાઇન્સે જણાવ્યું હતું કે ઓમિક્રૉનના કેસની વધતી સંખ્યાની "અમારા ફ્લાઇટ ક્રૂ પર સીધી અસર પડી છે.
ઑસ્ટ્રેલિયામાં પણ શુક્રવારે સિડની અને મૅલબર્નથી અન્ય શહેરોની 1000 થી વધુ ડૉમેસ્ટિક ફ્લાઇટ રદ થતાં હજારો મુસાફરોને અસર થઈ હતી.
જોકે ઑસ્ટ્રેલિયાવાસીઓ માટે એ વાતનું આશ્વાસન લેવા જેવું છે કે તેઓ બે વર્ષમાં પ્રથમ વખત રજાઓમાં રાજ્યો વચ્ચે મુસાફરી કરી શકે છે.
યુકેમાં નાતાલની પૂર્વસંધ્યાએ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હડતાલને પગલે ટ્રેનની મુસાફરીમાં વિક્ષેપ પડી શકે છે.
લોચન સેહરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના સચિવ લોચન સેહરાની અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થઈ છે.
શુક્રવારે સાત આઈએએસ અધિકારીની બદલીની જાહેરાત થઈ હતી.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારનું સ્થાન લોચન સેહરા લેશે.
અન્ય બદલીઓમાં મુકેશ પુરીની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડ (જીએસએફસી)ના ફુલટાઇમ એમડી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આયોજનમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશકુમારને શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના એમડી કે. સી. સંપત સુરેન્દ્રનગરના ડીડીઓ બનાવવામાં આવ્યા છે.
ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કુલ 415 કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકોમાં કોરોનાના 7,189 કેસ નોંધાયા તથા 7,286 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું છે કે એક દિવસમાં કોરોના સંક્રમણને કારણે ભારતમાં 387 લોકોનાં મૃત્યુ થયાં છે.
ત્યારે દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 415 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.
હાલ દેશમાં 77,032 ઍક્ટિવ કેસ છે.
ઑમિક્રોન વૅરિયન્ટથી સંક્રમિત 91 ટકા દર્દીઓએ રસીના ડબલ ડોઝ લીધા હતા
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે શુક્રવારે ઓમિક્રૉન સંક્રમિત 183 વ્યક્તિઓના વિશ્લેષણનાં પરિણામોને જાહેર કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે "મહામારીને નાથવા માટે એકલી રસી પર્યાપ્ત નથી."
કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં 183 ઑમિક્રોન કેસોનું વિશ્લેષણ દર્શાવે છે કે 87 લોકોએ રસીના બંને ડોઝ લીધેલા હતા, જેમાંથી ત્રણને બૂસ્ટર ડોઝ પણ આપેલા હતા.
ઑમિક્રોનથી સંક્રમિત 183 વ્યક્તિઓ પૈકી માત્ર સાત લોકોને રસી આપવામાં આવી ન હતી, જ્યારે બેને એક-એક ડોઝ આપવામાં આવ્યો હતો. કેન્દ્રે આપેલી માહિતી પ્રમાણે, ઑમિક્રોનથી સંક્રમિત 73 લોકોની રસીકરણની સ્થિતિ જાણી શકાઈ નથી અને 16 રસીકરણ માટે લાયક નથી. આમ ઑમિક્રોનથી સંક્રમિત 91 ટકા લોકોને રસી આપવામાં આવી હતી.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા બહાર પાડવામાં આવેલ વિશ્લેષણ દર્શાવે છે કે 27 ટકા કેસોમાં વિદેશપ્રવાસનો ઇતિહાસ નથી - જે કૉમ્યુનિટિમાં ઑમિક્રોનની હાજરી દર્શાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો