ગુજરાતમાં ચાર કેસ આવ્યા, કોરોનાનો એ નવો પ્રકાર કેટલો ખતરનાક?

ગુજરાતમાં કોરોના વાઇરસના નવા પ્રકારથી ચાર વ્યક્તિ સંક્રમિત થઈ છે, તે ચારેય યુકેથી પ્રવાસ કરીને આવી હતી.

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસનો નવો પ્રકાર જૂના કરતાં વધુ ચેપી છે.

તેમાં જણાવાયું છે કે વાઇરસનું આ નવું સ્વરૂપ રિપ્રોડક્શન (પ્રજનન) નંબર કે આર નંબરને 0.4થી 0.7 વચ્ચે વધારી દેશે.

અનુમાન છે કે બ્રિટનમાં આર નંબર 1.1થી 1.3ની વચ્ચે છે. જો ત્યાં કોરોના વાઇરસના મામલાઓની સંખ્યા ઘટાડવાની હશે આર નંબરને 1.0ની નીચે લાવવાનો રહેશે.

શું છે આર નંબર?

આર નંબરનો અર્થ છે કે એક સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. એટલે કે વાઇરસમાં પ્રસારની કેટલી ક્ષમતા છે. જો આ નંબર એક કરતાં વધારે હોય તો મહામારી વધશે.

ઇમ્યુનિટી વગર આબાદીમાં શીતળાના રોગનો આર નંબર 15 છે. તેનો અર્થ એ છે કે શીતળાથી સંક્રમિતિ એક વ્યક્તિ સરેરાશ 15 લોકોને સંક્રમિત કરી શકે છે.

જો તેને રોકવાના કોઈ ઉપાય અપનાવવામાં ન આવે તો, કોરોના વાઇરસ, આધિકારિકપણે સાર્સ કોવિડ-2, નો આર નંબર ત્રણની નજીક છે.

આર નંબર કાઢવા માટે કોઈ વાઇરસથી મરનાર, હૉસ્પિટલમાં ભરતી કે વાઇરસથી પૉઝિટિવ આવનારા લોકોની સંખ્યાનો ઉપયોગ થાય છે અને વાઇરસની પ્રસાર ક્ષમતાનું અનુમાન લગાવવામાં આવે છે.

જો આર નંબર એક કરતાં વધુ હોય તો તેનો અર્થ છે કે સંક્રમણના મામલા વધશે. એટલે કે કોઈ સંક્રમિત વ્યક્તિ ઓછામાં ઓચી એક વ્યક્તિને તો ચેપ લગાડશે.

પરંતુ, જો આર નંબર એક કરતાં ઓછો હોય તો તેનો ફેલાવો રોકી શકાય છે કારણ કે ત્યારે તે કોઈ પણ વ્યક્તિમાં સંક્રમિત નહીં થઈ રહ્યો હોય.

લંડનની ઇમ્પીરિયલ કૉલેજના પ્રોફેસર એક્સલ ગૅંડી જણાવે છે કે વાઇરસના બંને પ્રકાર વચ્ચે “ઘણો વધારે” ફરક છે.

તેઓ કહે છે કે, “વાઇરસનો નવો પ્રકાર જેટલી સરળતાથી ફેલાઈ શકે છે, તે એક મોટો ફરક છે. જ્યારથી આ મહામારીની શરૂઆત થઈ છે ત્યારથી સામે આવેલ આ સૌથી ગંભીર ફેરફાર છે.”

ઇમ્પીરિયલ કૉલેજનો અભ્યાસ કહે છે કે ઇંગ્લૅન્ડના નવેમ્બર માસના લૉકડાઉનમાં નવા પ્રકારનું સંક્રમણ ત્રણગણું થઈ ગયું હતું અને પાછલા વેરિયંટનું સંક્રમણ ઘટીને એક તૃતિયાંશ થઈ ગયું હતું.

બીજી લહેર દરમિયાન કોવિડ-19ના મામલા ઝડપથી વધવા લાગ્યા અને ગુરુવારે એક દિવસમાં કોરોના વાઇરસના નવા મામલાંની સંખ્યા રૅકર્ડ સ્તરે પહોંચી ગઈ.

તમામ વયના લોકોમાં ઝડપી સંક્રમણ

શરૂઆતનાં પરિણામો પરથી ખબર પડી છે કે વાઇરસ 20 વર્ષ કરતાં ઓછી ઉંમરના લોકોમાં વધુ ઝડપથી ફેલાય છે. ખાસ કરીને માધ્યમિક સ્કૂલે જતાં બાળકોની ઉંમરવાળા વયજૂથમાં.

પરંતુ પ્રોફેસર ગૈંડી પ્રમાણે તાજા ડેટા જણાવે છે કે તે તમામ ઉંમરના લોકોમાં ઝડપથી ફેલાય છે. પ્રોફેસર ગૈંડી શોધ કરનાર ટીમના સદસ્યા હતા.

પ્રોફેસર જણાવે છે કે, “બંને ડેટામાં ફરકનું કારનું એ હોઈ શકે છે કે શરૂઆતનો ડેટા નવેમ્બરના લૉકડાઉન દરમિયાન એકઠો કરાયો હતો જ્યારે શાળાઓ ખુલ્લી હતી અને વયસ્કો સાથે જોડાયેલાં કામકાજ પર પ્રતિબંધ લાગેલા હતા. હવે અમે જોઈ રહ્યા છે કે નવો વાઇરસ દરેક વયજૂથની વ્યક્તિમાં ફેલાઈ રહ્યો છે.”

કડક પ્રતિબંધોની જરૂર

ઑક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જિમ નાએસ્મિથ જણાવે છે કે તેમને લાગે છે કે નવી જાણકારીઓને જોતાં જલદી જ નવા કડક પ્રતિબંધ મૂકવાની જરૂરિયાત હશે.

તેઓ કહે છે કે, “ઇમ્પીરિયલનો ડેટા આજ સુધીનું સૌથી બહેતરીન વિશ્લેષણ છે જે સંકેત કરે છ કે અત્યાર સુધી આપણે જે ઉપાયો અપનાવ્યા છે તે વાઇરસના નવા પ્રકાર સામે આર નંબરને એક કરતાં નીચે લાવવામાં સફળ નહીં સાબિત થાય.”

પ્રોફેસર નાએસ્મિથ પ્રમાણે, “સરળ શબ્દોમાં કહીએ તો જ્યાં સુધી આપણે કંઈક અલગ નહીં કરીએ ત્યાં સુધી વાઇરસનો નવો પ્રકાર ફેલાતો રહેશે. સંક્રમણ વધશે, વધારે લોકો હૉસ્પિટલમાં દાખલ થશે અને વધુને વધુ મૃત્યુ થતાં રહેશે.”

બીબીસીના વિજ્ઞાન સંવાદદાતા, પલ્લ્વ ઘોષનું વિશ્લેષણ

આ સંશોધનની સૌથી બિહામણી વાત એ છે કે ઇંગ્લૅન્ડમાં નવેમ્બરમાં જે લૉકડાઉન લાદવામાં આવ્યો હતો, ભલે તે લોકો માટે કડક હોય પરંતુ તેનાથી કોરોના વાઇરસનો નવો પ્રકાર ફેલાતા નહીં રોકાય.

એ પ્રતિબંધોમાં જ્યાં જૂના વાઇરસના મામલા ઘટીને એક તૃતિયાંશ થઈ ગયા ત્યાં જ નવા પ્રકારના મામલા ત્રણ ગણા થઈ ગયા. આ જ કારણે દેશમાં અચાનક નવા પ્રતિબંધ લગાવાયા છે.

એ સ્પષ્ટ નથી કે હાલના પ્રતિબંધો વાઇરસના નવા પ્રકારને નિયંત્રિત કરી શકશે કે કેમ. વાઇરસના જૂના પ્રકારને રોકવા માટે બે લૉકડાઉનની જરૂર પડી હતી એ વાતને જોતાં ઘણા વૈજ્ઞાનિક ગભરાઈ રહ્યા છે કે નવા પ્રકાર માટે વધાર કડકાઈની જરૂરિયાત હશે.

પર્યાપત્ લોકોને વૅક્સિન મળ્યા બાદ સંક્રમણનું સ્તર ઘટવા લાગશે પરંતુ ત્યાં સુધી લોકો માટે એ વધુ જરૂરી બની ગયું છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના દિશા-નિર્દેશોનું પાલન કરે, માસ્ક પહેરે અને પોતાના હાથ ધોતા રહે.

શું વૅક્સિન અસરકારક રહેશે?

નવું વર્ષ આવનારા મહિનાઓમાં જીવન સામાન્ય થવાની આશા લઈને આવ્યું છે પરંતુ વાઇરસના આ નવા પ્રકારથી આપણે આવનારા દિવસોમાં લડવાનું રહેશે.

વૉરવિક યુનિવર્સિટીના પ્રોફેસર લૉરેન્સ યોંગ કહે છે કે શરૂઆતના સંકેતોથી ખબર પડે છે કે વાઇરસના આ પ્રકાર પર વૅક્સિન અસરકારક હશે.

તેઓ કહે છે કે, “વાઇરસના આ પ્રકારો મહામારીની શરૂઆતથી જ રહ્યા છે અને તે પ્રાકૃતિક પ્રક્રિયાનો એક ભાગ છે જેમાં વાઇઈરસ વિકસિત થાય છે અને પોતાના મેજબાનના શરીરની અનુકૂળ બને છે.”

“વાઇરસમાં થયેલા મોટા ભાગના ફેરફારોની તેની પ્રકૃતિ પર કોઈ અસર નથી થતી પરંતુ ક્યારેક ક્યારેક આ ફેરફાર સંક્રમિત કરવાની અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતાથી લડવાની વાઇરસની ક્ષમતાને વધારી દે છે.”

એ સમજવા માટે વધુ શોધની જરૂરિયાત છે કે વાઇરનસો નવો પ્રકાર આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ રહ્યો છે. પરંતુ શરૂઆતના સંકેત અનુસાર વૅક્સિન તેના પર અસરકારક સાબિત થવી જોઈએ.

કોવિડ-19નો આ નવો પ્રકાર નવેમ્બરમાં સામે આવ્યો હતો અને મનાઈ રહ્યું છે કે તેની શરૂઆત દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડમાં સપ્ટેમ્બરથી થઈ હતી.

એ વાતના કોઈ પુરાવા નથી કે તે વધુ ઘાતક છે પરંતુ તે મામલાની સંખ્યાને વધારશે જેથી દેશની સ્વાસ્થ્યપ્રણાલી પરનું દબાણ વધશે.

વાઇરસનો આ નવો પ્રકાર ઉત્તર-આયરલૅન્ડ સિવાય સમગ્ર બ્રિટનમાં જોવા મળ્યો છે પરંતુ લંડન, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ ઇંગ્લૅન્ડમાં તેની સૌથી વધુ અસર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો