ઓમિક્રૉન વૅરિયન્ટ : ગુજરાતના આ પાડોશી રાજ્યમાં વધુ બે કેસ, તેનો ચેપ લાગ્યો છે કે નહીં એની ખબર કઈ રીતે પડે?

ભારતમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના સંક્રમણમાં રવિવારે ઉછાળો જોવા મળ્યો, જે બાદ સોમવારે મહારાષ્ટ્રમાં વધુ બે કેસ નોંધાયા છે.

આ સાથે જ ભારતમાં ઓમિક્રૉનના સંક્રમણના કેસની કુલ સંખ્યા 23 થઈ ગઈ છે.

રવિવારે દેશની રાજધાની દિલ્હી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ અગાઉ કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ નોંધાઈ ચૂક્યા છે.

કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટે સરકારની સાથે-સાથે સામાન્ય લોકોની ચિંતા પણ વધારી દીધી છે.

સામાન્ય લોકોનાં મનમાં ઓમિક્રૉન વૅરિયન્ટ અંગે અનેક સવાલો પણ છે જેમ કે આ વૅરિયન્ટ શું છે, તે કેટલો ખતરનાક છે, તેનાં લક્ષણો શું અન્ય વૅરિયન્ટ કરતાં જુદાં છે?

આ રહ્યા ઓમિક્રૉન વૅરિન્ટ અંગેના સવાલોના જવાબ.

ઓમિક્રૉન શું છે?

સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોના વાઇરસના વૅરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા 'ઓમિક્રૉન' નામ આપવામાં આવ્યું છે. આ વૅરિયન્ટનું વૈજ્ઞાનિક નામ B.1.1.529 છે.

થોડા સમય પહેલાં જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા આ વૅરિયન્ટને 'વૅરિયન્ટ ઑફ કન્સર્ન'ની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો.

નવો વૅરિયન્ટ પેદા કેમ થાય છે?

વાઇરસ પોતાની કાર્બન કૉપી બનાવે છે, પરંતુ આ નકલો અદ્દલોઅદ્દલ સરખી નથી હોતી. નાની અમથી ભૂલ જનીની બંધારણમાં બદલાવ લાવે છે.

જેના પરિણામે વૅરિયન્ટનું નવું રૂપ અસ્તિત્વમાં આવે છે, જો આનાથી વાઇરસને અસ્તિત્વ ટકાવી રાખવામાં મદદ મળે તો નવું સંસ્કરણ પ્રસાર પામશે.

સંક્રમિત વ્યક્તિનું શરીર કોરોના વાઇરસની નકલો બનાવવા માટે અને સ્વરૂપો બદલવા માટે અનુકૂળ હોય છે.

ઓમિક્રૉન વૅરિયન્ટ કેટલો જોખમી છે?

કોરોના વાઇરસના આ વૅરિયન્ટમાં અન્ય વૅરિયન્ટ્સની સરખામણીએ 50 જેટલા ફેરફારો જોવા મળ્યા છે, તેમાં 32 સ્પાઇક પ્રોટીન છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે ઓમિક્રૉન સમગ્ર દુનિયા માટે ખતરો છે.

શરૂઆતના ડેટાથી જાણવા મળ્યું છે કે ઓમિક્રૉનમાં વ્યક્તિને સંક્રમિત કરવાની ક્ષમતા વધારે છે અને તે ઇમ્યુન સિસ્ટમ પર ભારે પડી શકે છે.

ઓમિક્રૉન વૅરિયન્ટનો ચેપ લાગ્યો છે કે કેમ? તેની ખબર કઈ રીતે પડે?

સામાન્ય રીતે કોરોનાનો કોઈ પણ વૅરિયન્ટ હોય તે જાણવા માટે આરટીપીસીઆર ટેસ્ટ અનિવાર્ય છે.

જોકે, વૅરિયન્ટની તપાસ માટે સૅમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે. જેમાં વાઇરસના બંધારણના અભ્યાસ બાદ ક્યા વૅરિયન્ટનો ચેપ લાગ્યો છે, તે જાણી શકાય છે.

આરટીપીસીઆર ટેસ્ટમાં ઓમિક્રૉન વૅરિયન્ટ પકડાઈ જાય છે?

વૈજ્ઞાનિકો માને છે કે આરટીપીસીઆર ટેસ્ટથી માત્ર એ જાણી શકાય કે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં.

વૅરિયન્ટનો પ્રકાર જાણવા માટે જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ જરૂરી બને છે, પરંતુ તમામ નમૂનાઓને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી ન શકાય.

આ ધીમી, જટિલ અને મોંઘી પ્રક્રિયા છે; રૅપિડ ટેસ્ટમાં પણ વૅરિયન્ટનો પ્રકાર જાણી શકાતો નથી.

ઓમિક્રૉનનાં લક્ષણો શું છે?

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે અન્ય વૅરિયન્ટ્સ કરતાં ઓમિક્રૉનનાં લક્ષણો જુદાં હોવા અંગે હજી સુધી પુરાવા મળ્યા નથી.

તેનો અર્થ એ કે ખાંસી થવી, તાવ આવવો કે સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતા જતી રહેવી, વગેરે લક્ષણો જ આ વૅરિયન્ટનાં પણ મુખ્ય લક્ષણો છે.

દક્ષિણ આફ્રિકામાં સૅન્ટર ફૉર એપિડેમિક રિસ્પૉન્સ ઍન્ડ ઇનોવેશનના ડિરેક્ટર પ્રોફેસર તુલિઓ ડી ઓલિવિએરાના જણાવ્યા પ્રમાણે આ વૅરિયન્ટમાં મ્યુટેશનનું અસામાન્ય સંયોજન હતું અને તે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા અન્ય વૅરિયન્ટ કરતાં ખૂબ જ અલગ છે.

ઓમિક્રૉન વૅરિયન્ટ પર રસી અસરકારક છે?

નિષ્ણાતો કહે છે કે વર્તમાન રસીઓ આદર્શ રીતે મેળ ખાતી નથી, તેથી તે જોઈએ એટલું કામ ન પણ આપે.

જોકે તેનો અર્થ એ નથી કે આ રસીનું સુરક્ષાકવચ ઝીરો થઈ ગયું છે; વૅરિયન્ટના જોખમને ઘટાડીને જીવ બચાવવા માટે રસીઓ હજુ પણ ઘણી અસરકારક છે.

ડૉક્ટરો કહે છે કે કોરોનાના પ્રવર્તમાન અને નવા આવી રહેલા વૅરિયન્ટો સામે મહત્તમ રક્ષણ માટે લોકોએ નિયત માત્રામાં રસીના ડોઝ લેવા જરૂરી છે.

અન્ય કેટલા ગંભીર વૅરિયન્ટ છે?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા વૅરિયન્ટ ઑફ કન્સર્ન તરીકે જાહેર કરવામાં આવેલા તમામ વૅરિયન્ટ ગંભીર છે. જેમાં આ વૅરિયન્ટોને સમાવવામાં આવ્યા છે.

  • ડેલ્ટા (B.1.617.2) પ્રથમ ભારતમાં જોવા મળ્યો હતો અને અત્યારે યુકેમાં જોવા મળતો સૌથી સામાન્ય વૅરિયન્ટ છે.
  • આલ્ફા (B.1.1.7) સૌપ્રથમ યુકેમાં જોવા મળ્યો હતો, પરંતુ આજે તે 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે
  • બીટા (B.1.351) સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો, પરંતુ તે યુકે સહિત ઓછામાં ઓછા 20 અન્ય દેશોમાં મળ્યો છે.
  • ગામા (P.1) સૌપ્રથમ બ્રાઝિલમાં જોવા મળ્યો, પરંતુ તે યુકે સહિત 10થી વધુ અન્ય દેશોમાં ફેલાઈ ગયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો