રોપ-વેની સાથે નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં ત્રણ મહત્ત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે.

જૂનાગઢ જિલ્લામાં ગિરનારમાં સાકાર થયેલા એશિયાના સૌથી મોટા રોપ-વેનું નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયું છે.

આ ઉપરાંત વડા પ્રધાન મોદી કિસાન સૂર્યોદય યોજના અને પીડિયાટ્રિક હાર્ટ હૉસ્પિટલનું લોકાપર્ણ કર્યું હતું.

હાલમાં કોરોના મહામારીનો કેર ચાલુ હોવાથી વડા પ્રધાને વીડિયો કૉન્ફરન્સિંગથી આ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું છે.

ગિરનાર રોપ-વે

જૂનાગઢના ગિરનાર પર્વતની ટોચે સાકાર થઈ રહેલા 'એશિયાના સૌથી મોટા' રોપ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, ભગવાન દત્તાત્રેયની ટૂક-અંબાજીધામ જવા-આવવા માટે રોપ-વેનું નિમાર્ણ કરવામાં આવ્યું છે, જેની કુલ લંબાઈ 2.3 કિલોમિટર છે. રોપ-વે દ્વારા યાત્રિકો પગથિયાં ચડ્યાં વગર ગિરનારની ટોચે પહોંચી શકશે.

રોપ-વેમાં 25 ટ્રોલી કૅબિન હશે અને અને પ્રત્યેક ટ્રોલી કૅબિનમાં 8 વ્યક્તિ બેસી શકશે. એક કલાકમાં 800 મુસાફરો અવરજવર કરી શકશે. માત્ર 7થી 8 મિનિટની અંદર યાત્રિકો તળેટીથી અંબાજી સુધી પહોંચી જશે.

જૂનાગઢના વહીવટીતંત્ર દ્વારા ગિરનાર રોપ-વેનું તમામ પ્રકારનું ટેસ્ટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

રોપ-વે દ્વારા ગિરનારનાં જંગલને ઊંચાઈએથી જોવાનો અનેરો લહાવો પ્રવાસીઓને મળશે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે આનાથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અને સ્થાનિકકક્ષાએ રોજગારીનું સર્જન થશે.

પીડિયાટ્રિક હાર્ટ હૉસ્પિટલ

470 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કાર્યરત્ યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટરને વધુ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે.

હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હૉસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન દ્વારા કરવામાં આવ્યું.

નવી સુવિધા મળતાં હૉસ્પિટલમાં પથારીની સંખ્યા 450થી વધીને 1251 થઈ જશે.

નાનાં બાળકો અને જન્મતાંની સાથે અથવા જન્મ્યા બાદ હૃદયની બીમારીવાળાં નવજાતની અહીં સારવાર કરવામાં આવશે.

નવી જે સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, તેમાં ભારતની પ્રથમ આધુનિક કાર્ડિયાક આઈ. સી. યુ. ઑન વ્હીલ્સ, 14 ઑપરેશન થિયેટર અને 7 કૅથેટિરાઇઝેશન લૅબ સામેલ છે.

તેમજ આઈ.સી.યુ. ઑન વ્હીલ્સમાં વૅન્ટિલેટર અને ઑપરેશન થિયેટરની સુવિધા પણ હશે.

સુવિધાઓથી સજ્જ થયા બાદ યુ. એન. મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતની મોખરાની હાર્ટ હૉસ્પિટલ બનવાની સાથેસાથે વિશ્વની સૌથી મોટી સુપર સ્પેશિલાલિટી કાર્ડિયાક હૉસ્પિટલોમાંની એક હશે, જે અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ હશે.

કિસાન સૂર્યોદય યોજના

રાજ્યના ખેડૂતોને દિવસમાં વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું

યોજનાના પ્રથમ તબક્કામાં દાહોદ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં 1570 ગામોના ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે.

ગુજરાત સરકારે આ યોજના માટે બજેટમાં 3500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બજેટનો ઉપોયગ ટ્રાન્સમિશન લાઇનો નાખવા માટે થશે, જેનું કામ 2023 સુધી પૂર્ણ કરવામાં આવશે.

યોજના અંતગર્ત રાજ્ય સરકાર 66 કિલોવૉટની 234 ટ્રાન્સમિશન લાઇનો નાખશે, જેની કુલ લંબાઈ 3940 સર્કિટ કિલોમિટર હશે.

દેશના ખેડૂતોનો દિવસમાં વીજળી આપી શકાય તે માટે ભારત સરકાર દ્વારા 2022 સુધી 175 ગીગાવૉટ વીજળી સૌરઊર્જા અને પવનઊર્જા દ્વારા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

હાલમાં ગુજરાતની સૌરઊર્જાની ઉત્પાદનક્ષમતા 3128 મેગાવૉટ છે, જેને 2021ના અંત સુધી 10750 મેગાવૉટ સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.

31 ઑક્ટોબરે સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન

વડા પ્રધાન 31 ઑક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્ચૂ ઑફ યુનિટી સુધી સી-પ્લેન સેવાનું ઉદઘાટન કરવા માટે ગુજરાત આવવાના છે.

ઉદ્ઘાટન માટે હાલમાં અમદાવાદ રિવરફ્રન્ટ અને કેવડિયા કૉલોની ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ઉદ્ઘાટન થનાર સી-પ્લેન સુવિધા ભારતની પ્રથમ સેવા ગણાવાઈ રહી છે, જે ખાનગી ઍરલાઇન કંપની સ્પાઇસ જેટ દ્વારા ચલાવવામાં આવશે.

19 સીટર વિમાનનો સેવા માટે ઉપયોગ કરવામાં આવશે, જેમાં 12 મુસાફરો બેસી શકશે.

અમદાવાદ રિવરફ્રન્ટ અને કેવડિયા વચ્ચે દરરોજ 4 ફ્લાઇટ જશે અને એક ટિકિટની કિંમત 4500-5000 રૂપિયા હશે.

સી-પ્લેન દ્વારા એક કલાકમાં રિવરફ્રન્ટથી કેવડિયા કૉલોની પહોંચી શકાશે. હાલમાં અમદાવાદથી કેવડિયા પહોંચતાં અંદાજે ચાર કલાક કરતાં વધુ સમય લાગે છે.

ઉદ્ઘાટન વેળાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સભાને પણ સંબોધી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો