You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામ મંદિર પર વિહિપ કે શિવેસેનામાંથી કોનો ‘કબ્જો’
- લેેખક, શરત પ્રધાન
- પદ, વરિષ્ઠ પત્રકાર
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માગ સાથે રવિવારે યોજાયેલું વિશ્વ હિંદુ પરિષદનું સંમેલન હવાઈ ગયેલા ફટાકડા જેવું સાબિત થયું હતું.
ના તો વિહિપ આ કાર્યક્રમમાં દાવા પ્રમાણે બે લાખ લોકોને ભેગા કરી શકી ના તો ભાજપ વિધાનસભા મતવિસ્તારમાં નવો સંદેશ આપી શક્યો.
ભાજપ-વિહિપ માટે સૌથી ખરાબ બાબત એ રહી કે તેમના હરીફ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ કાર્યક્રમના એક દિવસ અગાઉ અયોધ્યા પહોંચી ગયા.
ઉદ્ધવ સાથે વિહિપના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓનો દસમો ભાગ પણ નહોતો તેમ છતાં લોકોનું ધ્યાન ખેંચવામાં ઉદ્ધવ સફળ થયા.
વિહિપના નારા "રામ લલ્લા હમ આયેંગે મંદિર વહીં બનાયેંગે" કરતાં ઉદદ્ધવે આપેલો નારો "હર હિંદુ કી યહી પુકાર, પહેલે મંદિર ફિર સરકાર" વધારે લોકપ્રિય થયો હતો.
અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણની તારીખ જાહેર કરવાની ચીમકી ઉચ્ચારી.
તમે આ વાંચ્યું કે નહીં?
રાજ્યના ખૂણે ખૂણેથી વિહિપના કાર્યક્રમ માટે આવેલી ભીડને આ વાત વધારે પસંદ પડી કારણ કે લોકો એ અપેક્ષા લઈને આવ્યા હતા કે વિહિપ મંદિર નિર્માણ અંગે કંઈક નક્કર વાત કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદ્ધવે વડા પ્રધાન પર આડકતરો હુમલો કરતા કહ્યું, "ખાલી 56 ઈંચની છાતી હોવાથી કંઈ નહીં થાય. 65 ઈંચની છાતી સાથે મરદનું કાળજું પણ હોવું જોઈએ"
વિહિપ અને શિવસેના વચ્ચે એક જ કૉમન વાત છે. આ વાત એ છે કે બનેં મંદિર માટે કાયદો ઘડવાની તરફેણમાં છે.
આ બંને સંગઠનોને કોર્ટમાં આઠ વર્ષથી પડતર રહેલા કેસથી કોઈ ફરક પડતો નથી.
કંઈ નક્કર પરિણામ ન આવ્યું
વર્ષ 2010માં અલાહબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને ત્રણ સરખા ભાગમાં વહેંચવાનો ચુકાદો આપ્યો હતો.
કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે જમીનના બે ભાગ મંદિરના ફાળે જશે અને એક ભાગ મસ્જીદના ફાળે જશે.
આ ચુકાદાની વિરુદ્ધમાં બંને પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
વિહિપે અયોધ્યાની ધર્મસભા માટે અનેક જગ્યાએથી સાધુ સંતોને બોલાવ્યા હતા. આ સભામાં લાખો લોકો ઊમટી પડે તેવી અપેક્ષા હતી.
જોકે, લોકો સભા છોડીને પરત જઈ રહ્યા હોવાના કારણે નિયત સમયના એક કલાક પહેલાં જ કાર્યક્રમ સમાપ્ત કરવાની ફરજ પડી હતી.
કાર્યક્રમ પરથી સ્પષ્ટ જણાતું હતું કે સાધુ-સંતો, સંઘ કે વિહિપ પાસે કહેવા માટે કંઈ નવું નહોતું.
તમામ લોકોએ મંદિરના નિર્માણ માટે કાયદો અથવા સંસદમાં ખરડો પસાર કરવાની ફરી માગ કરી હતી.
ધર્મસભાના આયોજક વિહિપે એક ઔપચારિક પ્રસ્તાવ પાસ થવાની પણ દરકાર કરી નહીં.
જ્યારે સંઘના મોટા નેતાઓએ તો ચેતવણી આપી હતી કે જ્યાં સુધી મંદિર નિર્માણ નહીં થાય ત્યાં સુધી જંપીશુ નહીં.
જોકે, સંઘે ક્યારેય સ્પષ્ટતા નહોતી કરી તેમણે આ પડકાર કોને ફેંક્યો છે.
મોદી માટે કૂણું વલણ
વિહિપ, આરએસએસ અને સાધુ સંતોએ ફરી એ જ વાત કરી કે મંદિરના નિર્માણમાં માટે બધી જ જમીન મળવી જોઈએ.
સભામાં ઉપસ્થિત અનેક વક્તાઓએ કહ્યું કે જમીનની ત્રણ ટુકડામાં વહેંચણી તેમને સ્વીકાર્ય નહોતી.
સૌથી મહત્ત્તવની બાબત એ હતી કે અયોધ્યાના સૌથી વધુ સન્માનિત મહંત નૃત્ય ગોપાલદાસનું વડા પ્રધાન મોદી માટે કૂણું વલણ હતું.
તેમણે પોતાની માગ મૂકવાના સ્થાને વડા પ્રધાનને અપીલ કરી.
તેમણે કહ્યું, " લોક લાગણીને માન આપીને વડા પ્રધાને વહેલી તકે શ્રી રામ જન્મ ભૂમિમાં મંદિર નિર્માણનો માર્ગ સરળ કરવો જોઈએ."
ચિત્રકૂટની હિંદુ સભાના પ્રમુખ મહંત રામભદ્રચાર્યે ભીડને એવો વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો કે નરેન્દ્ર મોદી મંદિરના નિર્માણ માટે શક્ય હશે તે બધા જ પ્રયત્નો કરશે.
તેમણે એવું કહ્યું કે મોદી સરકારના એક કૅબિનેટ મંત્રીએ તેમને ખાનગી માહિતી આપી હતી કે સરકાર આગલા સત્રમાં સંસદમાં મંદિરના નિર્માણ માટે મજબૂત પગલું ભરશે.
અન્ય એક સંત સ્વામી હંસ દેવાચાર્યે વડા પ્રધાન મોદીનાં વખાણ કરતા કહ્યું, " હું દાવો કરી શકુ છું કે સારા દિવસો આવ્યા છે."
"જો કેન્દ્રમાં અને રાજ્યમાં અલગ અલગ પક્ષની સરકાર હોત તો આજે આપણે અહીંયા એકઠા ન થઈ શક્યા હોત."
"જો રાજ્યમાં અને કેન્દ્રમાં જુદી જુદી સરકાર હોત તો આજે આપણે જેલમાં હોત. આ અચ્છે દિન નથી તો શું છે?"
આ કાર્યક્રમ પરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની કાર્યક્રમ માટે સંમતિ હતી.
અમુક ભગવાધારી નેતાઓએ આપેલી ચેતવણી માત્ર દેખાડો હતો.
ઉદ્ધવ ઠાકરે સામે સવાલ
નરેન્દ્ર મોદી સામે ફકત શિવસેના જ ધાર્યા મુજબ નિશાન તાકી શકી હતી. એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેએ તો મોદીને કુંભકરણ કહી દીધા જે પાછલાં ચાર વર્ષથી ઊંઘમાં હતા.
જોકે, ઠાકરેના ટીકાકારોના મતે આ સવાલ તેમને પણ પૂછાવો જોઈએ કે સાડા ચાર વર્ષથી તેઓ ક્યાં હતા? કારણ કે સાડા ચાર વર્ષથી તેઓ પણ કેન્દ્ર સરકાર સાથે સત્તામાં ભાગીદાર છે.
હકીકત એ છે કે શિવસેના અને ભાજપ બંનેએ લોકસભાની ચૂંટણી પૂર્વે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે.
પાછલાં સાડા ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર કે અન્ય કોઈ પણ હિંદુત્વવાદી સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં જલદી સુનાવણી કરવાની અપીલ નહોતી કરી.
જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશે આ કેસની સુનાવણી જાન્યુઆરીમાં કરવાનો નિર્ણય લીધો ત્યારથી કેસની જલદી સુનાવણી કરવાનો સૂર ઊઠવા લાગ્યો હતો.
અનેક લોકોના મતે વિહિપની આ ધર્મસભા હિંદુત્વવાદી સંગઠનોની તાકાત દેખાડવા માટે નહીં પરંતુ સુપ્રીમ કોર્ટને એ સંદેશ આપવા માટે હતી કે મંદિર નિર્માણ માટે હિંદુઓની ધીરજ ખૂટી છે.
આ જ કારણોસર હિંદુ સંગઠનો વારંવાર બાબરી મસ્જિદ વિધ્વંસ જેવી સ્થિતિ નિર્માણ થવાની ચેતવણી આપતાં હતાં.
આ ધમાલની શરૂઆત ત્યારથી થઈ જ્યારે સુપ્રીમ કોર્ટે આ કેસને પ્રાથમિકતા આપવાનો ઇન્કાર કરી દીધો.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આવેશમાં અયોધ્યા મુલાકાતની જાહેરાત કરી દીધી હતી.
આ સાથે વિશ્વ હિંદુ પરિષદે ધર્મ સભાનું એલાન કરી દીધુ હતું.
જોકે, ઉત્તર પ્રદેશ સરકારે ઠાકરેને સભા સંબોધવાની પરવાનગી નહોતી આપી. તેમ છતાં એવી અપેક્ષા હતી કે વિહિપના કાર્યક્રમથી ઠાકરેનો કાર્યક્રમ ફિક્કો પડી જશે.
ઉદ્ધવ ઠાકરેને લક્ષ્મણ કિલા નામની હિંદુ સંસ્થાની મુલાકાત કરી ત્યાં સંતો સાથે એક બેઠક કરવી હતી.
ઉદ્ધવે આ સંસ્થાની મુલાકાત કરી અમુક શિવસૈનિકો અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
તેમણે સરિયું નદીના કિનારે આરતી કરી અને રામ જન્મભૂમિના દર્શન કર્યાં હતાં.
સાંજ પડી ત્યાં સુધીમાં શિવેસેના પ્રમુખનો રાજકીય ઍજન્ડા વિહિપ અને ભાજપ પર ભારે પડ્યો.
જ્યાં સુધી સવાલ રામ મંદિરના નિર્માણનો છે તો બંને પક્ષો ખાલી હાથે પરત ફર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો