સરદાર પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું થયું લોકાર્પણ : અનેક ગામોએ બંધ પાળ્યો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી, નર્મદા, કરમસદથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું, આ કાર્યક્રમમાં પણ તેમણે કોંગ્રેસ પર અપ્રત્યક્ષ કટાક્ષ કર્યા હતા.

મોદીએ કહ્યું હતું કે 'અમે દેશના અલગ-અલગ વિસ્તારના આઝાદ લડવૈયા તથા મહાપુરુષોને સન્માન આપવાનું કામ કરીએ છીએ, ત્યારે અમને રાજકારણના ચશ્માથી જોવામાં આવે છે, જાણે ગુનો બની ગયો છે.'

મોદીએ કહ્યું હતું કે 'આ સ્ટેચ્યૂ દેશના યુવાનોની આકાંક્ષા તથા એન્જિનિયરિંગ કૌશલ્યનો નમૂનો છે.'

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ઉદ્ઘાટન સમયે સ્થાનિક આદિવાસી તથા ખેડૂતો દ્વારા 'રસ્તા રોકો' અને 'બંધ' જેવા સમાંતર કાર્યક્રમો આપ્યા હતા.

ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ પાસે સાધુબેટ પર 182 મીટર ઊંચી આ પ્રતિમાએ આકાર લીધો છે.

2.00 કલાકે : રજવાડાંઓનું મ્યુઝિયમ

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગ કરી હતી કે એક ભારતના સપનાને સાકાર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા તત્કાલીન રાજવી પરિવારોનું મ્યુઝિયમ બનાવવું જોઈએ.

બાદમાં શંકરસિંહે જ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે વડા પ્રધાને તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે.

1.30 કલાકે : મોરવા (હરફ)માં બંધ

સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહ જણાવે છે કે દાહોદ જિલ્લાના મોરવા હરફ ગામે બજાર બંધ રહ્યા હતા.

અહીંના આદિવાસીઓનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર તથા એક્સપ્રેસ વેના નામે આદિવાસીઓની જમીન છિનવાઈ રહી છે. જેના વિરોધમાં તેમણે બંધ પાડ્યો હતો.

બીજી બાજુ, કેવડિયા કૉલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે તસવીર ખેંચાવી હતી.

1.00 કલાકે : ટ્રાઇબલ્સ દ્વારા વિરોધ પ્રદર્શન

ટ્રાઇબલ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ પ્રફુલ વસાવાએ જણાવ્યું, "કાળા ફૂગ્ગાઓ ઉડાવીને, ઠેરઠેર રસ્તાઓ રોકીને, માતમ બનાવીને વિરોધ કરવામાં આવ્યો છે. વિકાસને નામે આદિવાસી રીત-રિવાજ-પરંપરાને તબાહ કરવામાં આવી છે અને તેમને વિસ્થાપિત કરવામાં આવ્યાં છે.

"જે વિકાસનાં કેન્દ્રમાં સ્થાનિક આદિવાસી સમુદાય નથી એનો વિકાસ અમે કબુલ નહીં જ રાખીએ. વિરોધ કરતાં જ રહીશું. "

પોતાના પ્રાસંગિક ભાષણમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા માટે લોકો આવશે, તેનાથી હજારો સ્થાનિક આદિવાસીઓને રોજગાર મળશે.

આદિવાસીઓની ઔષધી તથા ખાન-પાન લોકો સુધી પહોંચશે.

12.30 કલાકે : બંધ અને રસ્તા રોકો દ્વારા વિરોધ

બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી, જ્યાં સ્થાનિકો દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો.

આ બંધની અસર મુખ્ય બજાર તથા આજુબાજુના વિસ્તારો પર જોવા મળી હતી. સ્થાનિકોના કહેવા પ્રમાણે, પ્રતિમાને કારણે તેમને વિસ્થાપિત થવું પડ્યું છે તેમની જમીનો છિનવાઈ ગઈ છે.

ડેમની નજીક હોવા છતાં તેમને પાણી મળતું નથી, જેથી વરસાદ આધારિત ખેતી કરવી પડે છે. અને વરસાદ ન પડે ત્યારે મજૂરી કરવી પડે છે.

( પ્રતિમાને કારણે કોને કેટલો ફાયદો, વાચવા માટે અહીં ક્લિક કરો.)

તમે આ વાંચ્યું કે નહીં?

12.00 કલાકે : મોદીએ અર્પી પુષ્પાંજલિ

વડા પ્રધાન સભા સ્થળથી લગભગ એક કિલોમીટર ચાલીને સરદાર પટેલની પ્રતિમા નજીક પહોંચ્યા હતા.

એલેવેટર દ્વારા સરદાર પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની નજીક જઈને વડા પ્રધાન મોદીએ તેને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

ત્યારબાદ જળાભિષેક કર્યો હતો, આ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર થયા હતા.

(શા માટે મોદીને સરદાર ગમે છે, વાંચવા માટે અહીં ક્લિક કરો. )

11.45 કલાકે : સરદારની પ્રતિમા પર પુષ્પાર્પણ

આ દરમિયાન હેલિકૉપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

આ દરમિયાન ગુજરાત પોલીસ તથા સૈન્ય અને અર્ધ-સૈન્ય બળોના બેન્ડ્સે દેશભક્તિના ગીતોની ધૂનો વગાડી હતી.

માર્ગમાં દેશભરના સાંસ્કૃતિક વારસાની ઝાંખી દર્શાવતા નૃત્યો રજૂ થયાં હતાં.

11.35 કલાકે : વૉલ ઑફ યુનિટીનું ઉદ્ધાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સભાસ્થળના કાર્યક્રમ બાદ વૉલ ઑફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં દેશભની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી.

આ પહેલાં મોદીએ પ્રતિમાના શિલ્પી રામ સુતાર તથા તેમના પુત્ર અનિલ સુતારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

કાર્યક્રમમાં હાજર ભાજપના સાંસદ પરેશ રાવલે કહ્યું હતું કે અગાઉની સરકારોને મન એક કે બે નેતાઓ જ 'વ્હાલાં' હતાં, ગાંધીનું પ્રદાન નકારી શકાય તેમ ન હતું.

રાવલે ઉમેર્યું હતું કે 'આમંત્રણ ન આપ્યું હોય તો પણ વિરોધ ન કરવો જોઈએ.'

ઉલ્લેખનીય છે કે પરેશ રાવલે ફિલ્મ 'સરદાર'માં શિર્ષક ભૂમિકા ભજવી હતી.

11.20 કલાકે : 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'

મોદીએ કહ્યું હતું કે દેશને એક કરવાનું કામ સરદાર પટેલે કર્યું હતું, અમારી સરકાર પણ એ દિશામાં જ કામ કરી રહી છે.

અમે પણ એવા જ પ્રયાસ કરી રહ્યાં છીએ. વીજળી માટે, ફાઇબર નેટવર્ક દ્વારા, એક જ ટૅક્સ દ્વારા અમે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' માટે પ્રયાસરત છીએ.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, 'આયુષ્માન ભારતને લોકો 'મોદીકેર' કહે છે.'

11.10 કલાકે : ભારતીય એન્જિયરિંગનું પ્રતીક

આ પ્રતિમાએ દેશના એન્જિનિયરિંગ કૌશલ્યનો નમૂનો છે. વિશ્વએ દેશની ક્ષમતા જોઈ છે.

(સ્ટેચ્યૂ ઑફ યુનિટી Made In India કે China? વાંચવા માટે અહીં ક્લિક કરો. )

વડા પ્રધાન મોદીના કહેવા પ્રમાણે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીના હજારો આદિવાસીઓને રોજગાર મળશે.

દેશને અનેક રજવાડાંમાં વેંચીને તોડી નાખવાનું કાવતરું હતું પરંતુ સરદાર પટેલે તેને નિષ્ફળ બનાવ્યું.

10.55 કલાકે : ચાણક્યની કૂટનીતિ

મોદીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલમાં ચાણક્યની કૂટનીતિ તથા શિવાજીના શૌર્યનો સમન્વય હતો.

મોદીએ કહ્યું હતું કે સરદાર પટેલના પ્રયાસોથી જ દેશ એક થયો હતો. 'જો વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો ન હોત તો શિવભક્તોએ સોમનાથ જવા માટે, ગીરના સિંહોને જોવા માટે કે હૈદરાબાદના ચાર મિનારને જોવા માટે વિઝા લેવા પડતા હોત.''

(કઈ રીતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની જમીનને ભારતમાં ભેળવવામાં આવી હતી, તે વાંચવા માટે અહીં ક્લિક કરો. )

10.45 કલાકે : કોંગ્રેસની ગેરહાજરી વચ્ચે દેશ કી એકતા જિંદાબાદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'સરદાર પટેલ અમર રહે' તથા 'દેશ કી એકતા જિંદાબાદ'ના નારા સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી.

મોદીએ આ ઘટનાને 'ઐતિહાસિક પળ' જણાવીને તેના લોકાર્પણની તકને 'સૌભાગ્ય' જણાવ્યું હતું.

મોદીએ ઉદ્ધાટન કાર્યક્રમમાં તેમને મળેલી ભેટોને મ્યુઝિયમને સોંપી દીધી હતી, જેથી યાદી તરીકે ત્યાં રાખી શકાય.

(સરદાર પટેલ ખરેખર ઇચ્છતા હતા કે કાશ્મીર પાકિસ્તાનમાં જતું રહે?, વાંચવા માટે અહીં ક્લિક કરો.)

10.30 મોદીએ કર્યું લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લિવર ખેંચીને નર્મદા નદીના જળના અભિષેક દ્વારા 182 મીટર ઊંચી સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું.

ભારતીય વાયુદળની ઍરોબેટિક્સની ટીમ કિરણે તિરંગો સર્જ્યો હતો.

2013માં વડા પ્રધાન મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે તેનું ખાતમૂહુર્ત કર્યું હતું

10.15 કલાકે: વર્ચ્યુઅલ લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર પહોંચ્યા. વિજય રૂપાણી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના ઉચ્ચ નેતાઓ હાજર.

સરદાર પટેલની પ્રપોત્રી સંજના સંજયભાઈ પટેલે કહ્યું, "પરિવારનાં ત્રીસ લોકો કાર્યક્રમમાં હાજર છે અને મને ગર્વ છે કે મારા દાદાજીએ આવુ કામ કર્યું છે અને અમે ખુશ છીએ કે એમના નામે સ્ટેચ્યૂ ઑફ યુનિટી બન્યું છે. અમને ખૂબ ગર્વ છે. આ પહેલ કરવા બદલ અમે મોદીજીનો પણ આભાર માનીએ છીએ.

9.55 કલાકે : રસ્તા રોકો કાર્યક્રમ

ભારતીય ટ્રાઈબલ પાર્ટી, ભિલિસ્તાન ટાઈગર સેનાનાં કાર્યકરો દ્વારા ડેડિયાપાડાથી રાજપીપળાને જોડતો રસ્તો બારીજા ગામે બંધ કરવામાં આવ્યો હતો. (સ્થાનિક ખેડૂતોની નારાજગી અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો)

આ રસ્તો ચેલંબા, ગરુડેશ્વર, નાંદોદ, મોવી ચોકડીને ઉમરપાડાને જોડે છે. વિરોધ કરનારાઓના કહેવા પ્રમાણે, તેઓ હિંસા નહીં કરે.

ભાજપના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાએ કોંગ્રેસને આમંત્રણ આપવા અંગે કહ્યું હતું કે દેશની 'એકતા બગાડી' છે, એટલે આવી પાર્ટીને આમંત્રણ આપવાનું ન હોય. જોકે તેમણે ઉમેર્યું કે 'વ્યક્તિગત અભિપ્રાય' છે.

9.40 કલાકે : વોલ ઑફ યુનિટી પર કાર્યક્રમ

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આવેલી વૉલ ઑફ યુનિટી પર સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. અહીં દેશભરના કલાકારો અલગ-અલગ સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવી રહ્યાં છે.

આ વિશે વધુ વાંચો

9.25 કલાકે : શું કહે છે શિલ્પકાર રામ સુતાર?

કાર્યક્રમ સ્થળે પ્રતિમાના શિલ્પકાર રામ સુતારે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતા કહ્યું:

"આ 'મહત્ત્વકાંક્ષી પ્રતિમા' અમારું 'સપનું' છે. તેનું આજે લોકાર્પણ થયું છે ત્યારે ખૂબ જ ખુશી થઈ રહી છે.

92 વર્ષીય રામ સુતારના કહેવા પ્રમાણે, આ પ્રતિમાને બનતા અઢીથી ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો.

(પ્રતિમાનાં ડિઝાઇનિંગ, શિલ્પકાર તથા શિલ્પકામ અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.)

9.00 કલાકે : સોશિયલ ટ્રેન્ડ્સમાં સરદાર

સ્થાનિક આદિવાસી તથા ખેડૂતો દ્વારા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

ટ્વિટર પર #SardarVallabhbhaiPatel, #StatueOfUnity, #RashtriyaEktaDiwas, #RunForUnity, Kevadiya (આયોજન સ્થળ), Iron Man of India (સરદાર વલ્લભભાઈ પટેલનું ઉપનામ), Jayanti ટ્રેન્ડ કરી રહ્યાં છે.

ગૂગલ ટ્રેન્ડ્સ પર Vallabhbhai Patel, Statue Of Unity, Rashtriya Ekta Diwas ટોચના દસ ટ્રેન્ડ્સમાં સામેલ છે.

8.45 કલાકે: યુનિટી કાર્યક્રમમાં કોંગ્રેસને આમંત્રણ નહીં

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેલિકૉપ્ટર મારફત કેવડિયા કૉલોની ખાતે બનાવવામાં હેલિપેડ પર પહોંચ્યા હતા.

બીજી બાજુ, આ કાર્યક્રમમાં કોંગ્રેસના કોઈ નેતાને આમંત્રણ આપવામાં નથી આવ્યું, એટલે તેમની ગેરહાજરી જોવા મળશે.

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું હતું, "આ કાર્યક્રમ જાહેર જનતાના ટૅક્સમાંથી આયોજિત કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમને આશા હતી કે રાજ્યના તથા દેશના કોંગ્રેસી નેતાઓને આમંત્રણ આપવામાં આવશે.

"પરંતુ અમને આમંત્રણ મળ્યું નથી. સરદાર અને કોંગ્રેસનો ઇતિહાસ સાથે-સાથે જ ચાલ્યો છે. છતાંય કોંગ્રેસના કોઈ નેતાને આમંત્રણ મળ્યું ન હોવાથી કોઈ નેતા આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય.

(કેવા હતા સરદાર-ગાંધી અને નહેરુ વચ્ચેના સંબંધ, વાંચવા માટે અહીં ક્લિક કરો.)

કાર્યક્રમ પૂર્વે અટક

સ્થાનિક ખેડૂતો તથા આદિવાસી સમાજના લોકો દ્વારા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આદિવાસી નેતા આનંદ મઝગાંવકરના કહેવા પ્રમાણે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આજુબાજુના ગામોમાંથી લગભગ 90 લોકોની અટકાયત કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં નર્મદા જિલ્લાના કલેક્ટર આર. એસ. નિનામાએ કહ્યું હતું કે કોઈની અટકાયત કરવામાં નથી આવી. જોકે, સ્થાનિક પોલીસ અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. (આ અંગે વધુ વાંચવા માટેઅહીં ક્લિક કરો.)

આપને આ પણ વાંચવું ગમશે