You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહ અદાલતને સલાહ કેમ આપી રહ્યા છે?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બેંગલુરુથી બીબીસી માટે
આ દેશની અદાલતો માટે પણ અમિત શાહ પાસે સલાહ છે. તેમના મતે અદાલતોએ એવા ચુકાદાઓ જ આપવા જોઈએ જે વ્યવહારિક હોય અન તેનો અમલ થઈ શકે.
સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર સંદર્ભે આપેલા ચુકાદાના પરીપ્રેક્ષ્યમાં શાહે આ નિવેદન કર્યું હતું.
કેરળના કન્નુર જિલ્લામાં બીજેપી કાર્યલયના ઉદ્ઘઘાટન પ્રસંગે યોજાયેલી સભામાં શાહે આ નિવેદન આપ્યું હતું.
છેલ્લાં કેટલાક દાયકાઓ દરમિયાન કન્નુરમાં ભાજપ-સંઘ અને સીપીએમના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણમાં અનેક શખ્સોનાં મૃત્યુ થયા છે.
સબરીમાલા મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફાટી નિકળેલા વિરોધ પ્રદર્શનો અને તેના લીધે થયેલી હિંસામાં 2500થી વધુ લોકોની ધરપકડ બાદ અમિત શાહે આ નિવેદન કર્યું હતું.
ભાજપ ભક્તો સાથે
અમિત શાહે પોતાના પક્ષના કાર્યકરોને જોશીલા અંદાજમાં કહ્યું:
"અદાલતોએ એવા ચુકાદા ન આપવા જોઈએ જે વ્યવહારિક ન હોય. આખરે પાંચ કરોડ ભક્તોની શ્રદ્ઘાને કેવી રીતે તોડી શકાય? હિંદુઓ કયારેય મહિલાઓ સાથે ભેદભાવ રાખતા નથી. તમામ હિંદુ તહેવારોમાં પત્ની-પતિ સાથે જ ઉજવણી કરે છે."
અમિત શાહે કેરળ સરકાર પર અયપ્પા ભક્તોનું અપમાન કરવાનો આક્ષેપ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાહે કહ્યું "સરકારે ભક્તોને જેલમાં નાખી દીધા, જે ભક્તો મંત્રોચ્ચાર કરી રહ્યાં હતાં તેમની ઘરપકડ કેવી રીતે થઈ શકે?"
શાહે સ્પષ્ટ કર્યું કે ભાજપ અયપ્પા ભક્તો સાથે મક્કમતાથી ઊભો છે.
સુપ્રીમના નિર્ણય સામે શાહને આપત્તિ કેમ?
બીજી બાજુ કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને અમિત શાહની ટીકા કરી છે.
વિજયને કહ્યું હતું કે, અમિત શાહે દેશની સર્વોચ્ચ અદાલત, બંધારણ અને કાયદાકીય વ્યવસ્થા ઉપર હુમલો કર્યો છે.
વિજયને કહ્યું "અદાલતે વ્યવહારિક હોય તેવા જ ચુકાદાઓ આપવા જોઈએ, અમિત શાહનું આ નિવેદન એવું સાબિત કરે છે કે બંધારણે આપેલા મૂળભૂત અધિકારોનો ભંગ થઈ રહ્યો છે. અમિત શાહનું આ નિવેદન ભાજપ અને સંઘ પરિવારનું ચરિત્ર દર્શાવે છે."
મુખ્ય મંત્રીએ અમિત શાહ વિશે કહ્યું, "અમિત શાહનું નિવેદન સૂચવે છે કે તેઓ 'મનુસ્મૃતિ'માં સ્થાપિત લિંગ ભેદભાવની વિચારધારા ધરાવે છે. આપણા સમાજે આ પ્રકારની વિચારધારામાંથી બહાર આવવાની જરૂર છે."
તમે આ વાંચ્યું કે નહીં?
વિજયને વધુમાં જણાવ્યું હતું કે અમિત શાહે યાદ રાખવું જોઈએ કે, કેરળની જનતાએ ભાજપની દયાથી નહીં, પરંતુ એલડીએફને (લેફ્ટ ડોમેટ્ર) ચૂંટીને સરકાર બનાવી છે.
જ્યારે પાલક્કડના સીપીએમ સાંસદ એમ. બી. રાજેશ અમિત શાહના નિવેદનને અલગ રીતે જુએ છે.
રાજેશે કહ્યું, "અમિત શાહે હકીકતે સુપ્રીમ કોર્ટેને સલાહ નથી આપી, પરંતુ ધમકાવી છે. દેશની લોકતાંત્રિક સંસ્થાને નુકસાન પહોંચાડવાની ભાજપની આ ચાલ છે."
શનિવારે 27મી ઑક્ટોબરે તિરુવનંતપુરમ સ્થિત સ્વામી સંદીપાનંદ ગિરી આશ્રમમાં હુમલો થયો હતો. આ હુમલામાં આશ્રમમાં પાર્ક થયેલી બે કાર અને એક સ્કૂટરમાં આગચંપી કરાઈ હતી.
આ હુમલા બાદ મુખ્ય મંત્રી વિજયને આશ્રમની મુલાકાત કરી અને ત્યાં થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. વિજયને જણાવ્યું હતું કે, તેમની સરકાર રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આ રીતે સાંપ્રદાયિક તાકાતોના હાથમાં નહીં જવા દે.
વિજયને ટ્વીટ કરી કહ્યું હતું કે અમિત શાહે કન્નુરમાં જે નિવેદન આપ્યું હતું, તે સુપ્રીમ કોર્ટ અને બંધારણ પર હુમલો છે. તેમનું નિવેદન સૂચવે છે કે તેઓ બંધારણે આપેલા મૂળભૂત હક્કોની તરફેણમાં નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો