You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ ઇન્ડિયન્સ સામે રહાણેની વિસ્ફોટક બેટિંગ: મૅચ પહેલાં ધોનીએ રહાણેને શું કહ્યું હતું?
- લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
આઈપીએલની 12મી મૅચમાં ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને સરળતાથી સાત વિકેટથી હરાવ્યું. આ જીતમાં રવીન્દ્ર જાડેજા, મિચેલ સૅન્ટનર અને અજિંક્ય રહાણેનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું.
મૅચ બાદ રહાણેએ જણાવ્યું કે તેઓ મૅચ માટે પ્રથમ પસંદગી ન હતા. તેમને ટૉસ પહેલાં જ જાણ કરવામાં આવી હતી કે તેઓ આ મૅચ રમી રહ્યા છે.
કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પણ જણાવ્યું કે ટૉસ પહેલાં જ રહાણેને આ વિશે કહેવામાં આવ્યું હતું.
મૅચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન ધોનીએ કહ્યું, "અમે મૅચ થરૂ થતા પહેલાં તેમની સાથે વાત કરી તો તેમણે પૂછ્યું કે હું તેમની પાસેથી શું ઈચ્છું છું. પછી મેં એ કહ્યું, જે મારા દિમાગમાં ચાલી રહ્યું હતું."
82 ટેસ્ટ, 90 વનડે અને 159 આઈપીએલ મૅચમાં ચાર હજારથી વધુ રન બનાવનારા અજિંક્ય રહાણેની કાબેલિયત પર ભરોસો કોણે ન હોય?
ધોનીએ તેમના પર ભરોસો જરૂર કર્યો પરંતુ તેમને પણ આશા નહીં હોય કે રહાણે આટલી તોફાની ઇનિંગ રમશે.
2008માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઈપીએલ કરિયરની શરૂઆત કરનારા રહાણેનો સ્ટ્રાઇક રેટ આ મૅચ પહેલાં માત્ર 120નો હતો.
વળી આઈપીએલની છેલ્લી બે સિઝનમાં રહાણેએ એક પણ અડધી સદી ફટકારી નહોતી. 2021માં તેઓ દિલ્હી કૅપિટલ્સ તો 2022માં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં હતા. આ ઉપરાંત તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાંથી પણ ઘણા મહિનાઓથી બહાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધોનીએ કહ્યું, "તેઓ એવા ક્રિકેટર નથી જે સતત છગ્ગા ફટકારે પણ ટૅક્નિકલ રીતે તેઓ ઘણા મજબૂત છે. તેમણે જે રીતે બેટિંગ કરી, તેનાથી હું ખૂબ ખુશ છું."
અજિંક્ય રહાણે વિશે રસપ્રદ તથ્યો
- 2008થી આઈપીએલ રમી રહેલા રહાણે માટે ચેન્નઈ સાતમી ફ્રેન્ચાઇઝી છે.
- 2016માં ભારત માટે છેલ્લી ટી20 રમ્યા હતા.
- ફેબ્રુઆરી 2018માં છેલ્લી આંતરરાષ્ટ્રીય વનડે રમ્યા હતા.
- જાન્યુઆરી 2022 બાદથી ટેસ્ટ ટીમમાં સ્થાન પામ્યા નથી.
- છેલ્લે નવેમ્બર 2022માં અડધી સદી ફટકારી હતી.
- ચેન્નઈ માટે તમામ આઈપીએલમાં મળીને બીજી સૌથી ઝડપી અડધી સદી 19 બૉલમાં ફટકારી, આ અગાઉ સુરેશ રૈનાએ સીએસકે માટે 2014માં 16 બૉલમાં અડધી સદી ફટકારી હતી.
મુંબઈના રહાણેએ સીએસકે તરફથી રમીને એમઆઈને હરાવ્યું
મોઇન અલીની અનુપસ્થિતિમાં રહાણેને ચેન્નઈની ટીમમાં રમવાની તક મળી હતી.
ભલે આ ચેન્નઈ સુપરકિંગ્સ માટે તેમની પ્રથમ મૅચ હતી પણ તેઓ સંપૂર્ણ રીતે તૈયાર હતા.
ડેવન કૉનવે આઉટ થયા બાદ તેઓ ત્રીજા નંબરે બેટિંગ માટે આવ્યા. ત્રીજી જ ઓવરમાં છગ્ગો ફટકારીને તેમણે પોતાનો ઇરાદો વ્યક્ત કરી દીધો.
ચોથી ઓવર નાખવા આવેલા અરશદ ખાન પર પણ રહાણે વરસ્યા. પ્રથમ બૉલ પર છગ્ગો ફટકાર્યા બાદ સતત ચાર ચોગ્ગા મારીને આ ઓવરમાં 23 રન લીધા.
પાવરપ્લે પૂરો થાય એ પહેલાં જ તેમણે આ આઈપીએલની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી.
આઈપીએલમાં 2020 બાદ રહાણેની આ પ્રથમ અડધી સદી છે. સાથે જ ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી આઈપીએલમાં ફટકારવવામાં આવેલી બીજી સૌથી ઝડપી અડધી સદી છે.
મોઇન અલીએ પણ ગત સિઝનમાં આટલા જ બૉલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રૅકોર્ડ સુરેશ રૈના પાસે જ છે. રૈનાએ 2014માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 16 બૉલમાં અડધી સદી ફટકારી હતી.
રહાણેએ 27 બૉલની પોતાની ઇનિંગમાં 225.92ના સ્ટ્રાઇક રેટથી સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 61 રન બનાવ્યા. તે સમયે ટીમનો સ્કોર માત્ર 82 રન હતો.
મૅચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન રહાણેએ કહ્યું હતું કે તેમને ટૉસ દરમિયાન જ ખબર પડી હતી કે તેઓ આજની મૅચ રમી રહ્યા છે.
તેમણે કહ્યું, "મોઇન અસ્વસ્થ હતા. ઘરેલુ સિઝનમાં મારું પ્રદર્શન સારું રહ્યું છે અને નેટ્સમાં પણ હું સારી બેટિંગ કરી રહ્યો હતો. મને કહેવામાં આવ્યું હતું કે હું મારી તાકત અને તૈયારીઓ પર ફોકસ કરું."
ધોનીનો 'મિડાસ ટચ', કોણે શું કહ્યું?
ધોની એવું તો શું કરે છે કે તેમની સાથે રમનારા ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપે છે?
તેનો ટૂંકમાં જવાબ અજિંક્ય રહાણે આપે છે, "માહીએ ખેલાડીઓને પોતાની ગેમ રમવા માટે પૂરેપૂરી આઝાદી આપી છે."
મૅચમાં ત્રણ વિકેટ લઈને 'પ્લેયર ઑફ ધ મૅચ' બનેલા રવીન્દ્ર જાડેજાએ પણ ધોની વિશે કહ્યું કે તેઓ ખેલાડીઓ પર સંપૂર્ણ ભરોસો રાખે છે.
જાડેજાએ કહ્યું, "માહી કોઈ વધારે ફેરફાર કરતા નથી. જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી તેઓ એક જ કૉમ્બિનેશન સાથે ચાલે છે. તેઓ શાંત રહે છે અને પ્લેયરને એ કૉન્ફિડન્સ દેખાડે છે કે જો તેઓ એકાદ બે મૅચમાં પ્રદર્શન નહીં આપે તો ચાલશે. આમ કરવાથી જ્યારે નૉકઆઉટ મૅચ કે કોઈ મહત્ત્વપૂર્ણ મૅચ હશે ત્યાં ખેલાડી મન મૂકીને યોગ્ય પ્રદર્શન કરશે. ટી20માં તેની ઘણી જરૂર હોય છે અને માહી એવું જ કરે છે."
2010માં ચેન્નઈ સુપરકિંગ્સે પહેલી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ત્યારે લક્ષ્મીપતિ બાલાજી પણ ટીમમાં સામેલ હતા. હવે તેઓ ચેન્નઈ સુપરકિંગ્સના બૉલિંગ કોચ છે.
મૅચ દરમિયાન કૉમેન્ટરી બૉક્સમાં હાજર બાલાજીએ ધોનીની યોગ્યતાઓ ગણાવી. તેમણે કહ્યું, "ધોની ખરેખર શાંત રહે છે. તેઓ પ્રયત્નો કરવાની તક આપે છે. તેમની ઑલરાઉન્ડ ક્ષમતા છે. તેમની ક્ષમતા 2007થી ઓછી થઈ નથી પણ વધી છે. તેમની પાસે વિશ્લેષણાત્મક મગજ છે."
ધોની સાથે રમી ચૂકેલા પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર હરભજન સિંહ કહે છે, "ધોની જબરદસ્ત કપ્તાન છે. મેદાનમાં ઘણા શાંત રહે છે અને તેમનું સંપૂર્ણ ધ્યાન મૅચ પર હોય છે. પણ તેમાં ઘણું બધું ચાલતું હોય છે."
આ દરમિયાન સુનીલ ગાવસ્કરે ઋતુરાજ ગાયકવાડના એક અદભુત કૅચ અને મૅચના અંત સુધી આઉટ ન થવા પર કહ્યું, "ઋતુરાજ ગાયકવાડ એક યુવાન ખેલાડી છે. તેમની પાસે મૅચ અવેરનેસ છે. મહેન્દ્રસિંહ ધોની સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરે છે. તો એવી મૅચ અવેરનેસ આવશે જ."
સૂર્યકુમાર પણ ધોનીની સલાહ લેતા જોવા મળ્યા
છેલ્લા કેટલાક મહિનાથી સૂર્યકુમાર યાદવનું બૅટ સંપૂર્ણ શાંત છે. આ મૅચમાં જ્યારે તેઓ બેટિંગ કરવા આવ્યા તો દર્શકોને ફરી એક વખત આશા હતી, પણ ધોનીએ તેમનો કૅચ પકડી પાડ્યો.
જોકે, ફીલ્ડ અમ્પાયરે તેમને આઉટ ન આપ્યા. ધોનીએ ડીઆરએસ લીધું અને ટીવી અમ્પાયરે રિવ્યૂ બાદ સૂર્યકુમારને આઉટ જાહેર કર્યા.
સૂર્યકુમાર યાદવ સ્પિન બૉલને ઘણી સારી રીતે રમે છે પરંતુ આ મૅચમાં તેઓ મિચેલ સૅન્ટનરના બૉલ પર આઉટ થઈ ગયા.
મૅચ બાદ કૉમેન્ટરી કરી રહેલ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું, "આઉટ ઓફ ફૉર્મ ખેલાડીઓએ જો એ વાત જાણવી હોય કે તેઓ ક્યાં ભૂલ કરી રહ્યા છે, તો તેમની ભૂલો જણાવી શકનાર સૌથી યોગ્ય બે વ્યક્તિ હોય છે, સામેની ટીમનો વિકેટકીપર અને અમ્પાયર. આ બંને જ તેમને કહી શકે છે કે તેઓ ક્યાં ભૂલ કરે છે. એટલે તેમણે આ બંને સાથે વાત કરવી જોઈએ."
મૅચ બાદ સૂર્યકુમાર યાદવ ઘણા સમય સુધી મહેન્દ્રસિંહ ધોની સાથે વાત કરતા જોવા મળ્યા. ધોની પણ તેમને ઘણું બધું સમજાવતા જોવા મળ્યા.
સદાબહાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા
આ મૅચમાં સીએસકેની બૉલિંગ દરમિયાન રવીન્દ્ર જાડેજા અને મિચેલ સૅન્ટનરે ભેગા મળીને પાંચ વિકેટ લીધી.
જાડેજાએ મૅચ બાદ જણાવ્યું, "જ્યારે અમે બૉલિંગ કરી રહ્યા હતા તો પીચ સ્પિનને મદદ આપી રહી હતી. મેં અને સૅન્ટનરે વાત કરી કે અમારે યોગ્ય એરિયામાં બૉલ નાખવાના છે. તેમની પાસે પાવર હિટર છે એટલે તેઓ સરળતાથી રન બનાવી શકે છે."
જાડેજાએ મૅચ દરમિયાનની પોતાની રણનીતિ વિશે જણાવ્યું, "જે પણ પહેલાં બૉલિંગ કરવા જાય છે (સૅન્ટનર અને જાડેજામાંથી) બીજો તેની સાથે રણનીતિને લઈને ચર્ચા કરે છે. અમે સતત એકબીજા સાથે વાત કરતા રહીએ છીએ."
મૅચ બાદ રોહિત શર્માએ શું કહ્યું?
ચેન્નઈ વિરુદ્ધ હાર્યા બાદ પ્રેઝન્ટેશન દરમિયાન રોહિત શર્માએ જણાવ્યું કે મૅચમાં તેમનાથી ક્યાં ભૂલ થઈ.
તેમણે કહ્યું, "મૅચની વચ્ચે જ અમે અમારી લય ગુમાવી દીધી હતી. આ એક સારી પીચ હતી પણ અમે 30-40 રન ઓછા કર્યા."
રોહિતે ચેન્નઈના બૉલર્સના વખાણ કરતા કહ્યું, "તેમણે સારી બૉલિંગ કરી અને અમારા પર સતત દબાણ બનાવી રાખ્યું. અમે તેમનો સારી રીતે સામનો કર્યો નહીં. અમારે આક્રમક રહેવું જોઈતું હતું પણ અમે એ ન કરી શક્યા."
"ટીમમાં કેટલાક યુવાન ખેલાડીઓ છે. જેમને થોડોક સમય આપવાની જરૂર છે, તેમની કાબેલિયત પર ભરોસો કરવાની જરૂર છે. મારા જેવા સિનિયર ખેલાડીઓએ આગળ આવીને આ જવાબદારી લેવી પડશે."
સતત બે મૅચ હારવા વિશે રોહિતે કહ્યું, "અમને આઈપીએલનો મિજાજ ખબર છે. અમારે લય બનાવવી પડશે. જો એમ નહીં થાય તો આગળ ઘણી મુશ્કેલીઓ પડશે. હજી માત્ર બે મૅચ થઈ છે પણ સિનિયર ખેલાડીઓએ આગળ આવીને સારું પ્રદર્શન કરવું પડશે. અમે ડ્રેસિંગ રૂમમાં જે ચર્ચા કરીએ છીએ, તેનો મેદાનમાં અમલ કરી શકતા નથી."
આઈપીએલ રૅકર્ડ બુક
- ચેન્નઈ સુપરકિંગ્સની સતત બીજી જીત, મુંબઈ ઇન્ડિયન્સની સતત બીજી હાર થઈ છે.
- ચેન્નઈ માટે ઋતુરાજ ગાયકવાડે 40 રન બનાવ્યા. આ મૅચ બાદ ડેવિડ વૉર્નર પાસેથી ઑરેન્જ કૅપ તેમની પાસે આવી ગઈ છે.
- દિવસની પ્રથમ મૅચમાં જ ઑરેન્જ કૅપ ડેવિડ વૉર્નરને મળી હતી.
- વૉર્નરે આઈપીએલમાં છ હજાર રન પૂરા કર્યા. આ ક્લબમાં વિરાટ કોહલી, શિખર ધવન પહેલેથી છે.
- સારી ઇકૉનોમીના કારણે પર્પલ કૅપ હવે યુજવેન્દ્ર ચહલ (આઠ વિકેટ) પાસે આવી ગઈ છે.
- રાજસ્થાન રૉયલ્સની ટીમ હવે પૉઇન્ટ ટેબલમાં આ ટીમ નંબર-1 પર પહોંચી ગઈ છે.
રાજસ્થાન રૉયલ્સે દિલ્હીને આપી માત
શનિવારે ગુવાહાટીમાં રમાયેલી દિવસની પ્રથમ મૅચમાં રાજસ્થાન રૉયલ્સે દિલ્હી કૅપિટલ્સને 57 રનથી હરાવ્યું.
રાજસ્થાન રૉયલ્સે પ્રથમ બેટિંગ કરી અને 199 રનનો પહાડ ઊભો કરી દીધો. યશસ્વી જયસ્વાલે 31 બૉલમાં 60 રન બનાવ્યા. જૉસ બટલરે 51 બૉલમાં 79 રન બનાવ્યા. દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 142 રન બનાવ્યા.
ડેવિડ વૉર્નરને 55 બૉલમાં 65 રન બનાવીને ઑરેન્જ કૅપ (થોડાક સમય માટે) તો મળી પરંતુ સાથે જ આઈપીએલ 2023માં સતત બીજી હાર પણ મળી.
વૉર્નરે કહ્યું, "અમે 175-180 રનના સ્કોરની આશા રાખી રહ્યા હતા, પરંતુ તેનાથી ઘણા વધારે રન બન્યા. અમારે વધારે મહેનત કરવી પડશે. આગામી મૅચ મુંબઈ સામે છે. અમે તેમાં પણ સારા પ્રદર્શનની આશા રાખીએ છીએ."
યશસ્વી જયસ્વાલને તેમની ઇનિંગના કારણે 'પ્લેયર ઓફ ધ મૅચ' તરીકે નવાજવામાં આવ્યા. તેમણે 25 બૉલમાં અડધી સદી ફટકારીને રાજસ્થાન માટે મજબૂત આધાર ઊભો કરી દીધો.
યશસ્વીએ ભલે જોરદાર બેટિંગ કરી હોય પણ પોતાની પ્રથમ ઓવરમાં જ બે ક્રિકેટરોને પેવેલિયનભેગા કરનારા ટ્રૅન્ટ બોલ્ટ ગેમ ચેન્જર ઓફ ધ મૅચ બન્યા.
પૃથ્વી શૉને વિકેટ પાછળ ડાઇવ મારીને કૅચ આઉટ કરનારા સંજુ સૅમસનને કૅચ ઓફ ધ મૅચ આપવામાં આવ્યો.
મૅચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન તેમણે કહ્યું કે તેમને લાગી રહ્યું હતું કે કોઈ જોરદાર કૅચ પકડવાની તક મળશે.
સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેમના બૅટથી રન ન બની શક્યા. જે તેમની યોજના મુજબ ન હતું.