ગુજરાતમાં હજી ચાર દિવસ સુધી ગાજવીજ સાથે પડશે વરસાદ, ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં સોમવારે અનેક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઝડપી પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયાં હતાં.
હજી પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. બીજી તરફ ભારત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે.
રાજ્યમાં ઉનાળાની વચ્ચે હાલ ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે, એક તરફ ગરમી છે અને બીજી તરફ વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં વરસાદની વચ્ચે 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે અને વરસાદ ગયા બાદ ફરીથી હજી તાપમાન વધે તેવી શક્યતા છે.
ગુજરાતમાં હજી કેટલા દિવસ અને ક્યાં પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD AHMEDABAD
હવામાન વિભાગે માહિતી આપી છે તે પ્રમાણે ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
14 મેના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.
15 મેના રોજ વરસાદનું પ્રમાણ અને વિસ્તાર ઘટે તેવી શક્યતા છે, હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ દિવસે છુટોછવાયો અને હળવો વરસાદ પડશે. ખાસ કરીને મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે.
ત્યારબાદ 16 અને 17 મેના રોજ વરસાદ ઘટશે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે પરંતુ તે હળવો વરસાદ હશે અને છુટોછવાયો વરસાદ પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ આવશે તે પહેલાં ઝડપી પવન ફૂંકાય એવી પણ શક્યતા છે, એટલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પહેલાં પવનની શક્યતા છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ પણ રાજ્યને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના નથી.
ગુજરાતમાં ચોમાસું ક્ચારે પહોંચશે?

ઇમેજ સ્રોત, IMD AHMEDABAD
ભારતમાં ચોમાસું શરૂ થવામાં હવે લગભગ 15 દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે અને 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું શરૂ થતું હોય છે.
કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે તેને 15 દિવસ લાગે છે. એટલે કે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું પહોંચે છે.
ભારતમાં ચોમાસું સૌથી પહેલાં આંદામાન અને નિકોબારના ટાપુઓ પર પહોંચે છે અને તે લગભગ 20 મે બાદ પહોંચતું હોય છે. જોકે, ચોમાસાની શરૂઆત ત્યારે જ ગણાય જ્યારે તે કેરળમાં પહોંચે.
હાલ હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું ભારત તરફ આગળ વધી રહ્યું છે અને 19 મેની આસપાસ તે આંદામાન-નિકોબારના ટાપુઓ પર પહોંચે તેવી શક્યતા છે.
જો, કોઈ નવી સિસ્ટમ કે વાવાઝોડું ન સર્જાય અને હવામાનમાં બહુ ફેરફાર ન થાય તો ચોમાસું તેની નિર્ધારિત તારીખની આસપાસ ભારત પર પહોંચે તેવી સંભાવના છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં આ વર્ષે ચોમાસું સારું રહે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગે જારી કર્યું છે. એટલે કે આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.
ચાર મહિનાના લાંબાગાળા દરમિયાન ગુજરાત સહિત દેશમાં ચોમાસામાં સારો વરસાદ પડે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગની સાથે-સાથે ભારતની હવામાન એજન્સી સ્કાયમેટે પણ કર્યું છે.
હવામાન વિભાગે જારી કરેલા પૂર્વાનુમાનમાં વિભાગના વડા મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યા અનુસાર પ્રશાંત મહાસાગરમાં રહેલી અલ નીનોની સ્થિતિ છે અને તે ઑગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં તે લા નીનામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.
અલ નીનોની સ્થિતિ જ્યારે પ્રશાંત મહાસાગરમાં સર્જાય, ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહે છે, અને દેશમાં સારા ચોમાસાં માટે લા નીનાની સ્થિતિનું નિર્માણ થવું જરૂરી છે.
અલ નીનોમાંથી લા નીના બનવાની ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં લઈએ તો 1951થી 2023ના ગાળામાં 9 વર્ષ એવાં હતાં, જ્યારે દેશમાં ખૂબ સારો વરસાદ થયો હતો.
હવામાન વિભાગે લાંબાગાળાની વરસાદની સરેરાશ દર્શાવતો જે નક્શો જાહેર કર્યો છે, તે અનુસાર ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું ખૂબ સારું રહે તેવી સંભાવના છે. નક્શા પ્રમાણે રાજ્યમાં ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશ પ્રમાણે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
નક્શા પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે.












