અફઘાનિસ્તાન પહોંચતી રાહતસામગ્રી અટકી પડી : WHO

અફઘાનિસ્તાનમાં રાજકીય કટોકટી શરૂ થઈ તે પહેલાં પણ માનવીય સંકટ તોળાઈ રહ્યું હતું. રવિવારથી અફઘાનિસ્તાનમાં રાજકીય અંધાધૂંધી શરૂ થઈ તે પહેલાંથી દેશમાં માનવીય સંકટ તોળાઈ રહ્યું હતું અને લાખો લોકો આંતરરાષ્ટ્રીય સહાય પર આધારિત હતા.

દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે દેશમાં પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિને કારણે તેઓ દેશો અનિવાર્ય એવી ચીજો અફઘાનિસ્તાનમાં લાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.

WHO સાથે સંકળાયેલા રિચાર્ડ બ્રેનનના કહેવા પ્રમાણે : "દુબઈ ખાતેના અમારા એકમમાં 500 મેગા ટન જેટલી દવાઓ તથા અન્ય સામગ્રી પડી છે. જે આ કે આગામી અઠવાડિયામાં પહોંચવાની હતી. હવે તેને અફઘાનિસ્તાનમાં લાવવાનું કોઈ માધ્યમ રહ્યું નથી. કાબુલ ઍરપૉર્ટ પર કોઈ કૉમર્શિયલ ફ્લાઇટને ઊતરવાની મંજૂરી નથી."

"હાલ જે હવાઈ વ્યવહાર ચાલી રહ્યો છે તે મોટા ભાગે લોકોને બહાર કાઢવા માટેનો છે અને કશું અંદર લાવવા માટે નથી."

તેમના કહેવા પ્રમાણે લગભગ 80 લાખ અફઘાનીઓને માનવીય સહાયની જરૂર છે.

તેમણે ઉમેર્યું હતું કે જરૂરિયાતમંદોની સંખ્યા વધી રહી છે અને ઉપલબ્ધતા સતત ઘટી રહી છે.

હજારા સમુદાય સાથે શું થયું એની વાત પહેલાં અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાના પાંચમા દિવસે શું સ્થિતિ છે એની પર એક નજર કરી લઈએ.

અમેરિકન વિમાન પર લટકનાર અફઘાન ફૂટબૉલ ખેલાડીનું મૃત્યુ

  • અમેરિકાના વિમાન પર લટકી દેશ છોડવાનો પ્રયાસ કરનાર યુવા ફૂટબૉલ ખેલાડી જકી અનવરનું મૃત્યુ થઈ ચૂક્યું છે. 19 વર્ષીય જકી અનવર અફઘાનિસ્તાનની નેશનલ ફૂટબૉલ ટીમના ખેલાડી હતા. ઉલ્લેખનીય છે કે તાલિબાને કાબુલ કબજે કર્યું ત્યારે મોટી અફરાતફરી સર્જાઈ હતી અને અનેક લોકોએ અમેરિકન ઍરફોર્સના વિમાન પર લટકીને દેશ છોડવાનો પ્રયાસ કર્યો હતો. જુઓ વીડિયો અહેવાલ.
  • અન્ય એક મહત્ત્વના સમાચાર એ છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં ઘરે-ઘરે જઈને નેટો સેના અને અફઘાન સરકાર સાથે કામ કરનારા લોકોની શોધખોળ કરી રહ્યું છે. આ માહિતી સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં સામે આવી છે. ઉલ્લેખનીય છે કે તાલિબાને કોઈ સાથે વેર વાળવામાં નહીં આવે એમ કહ્યું હતું પરંતુ 1990નો ક્રૂર સમયગાળો લોકોનાં માનસમાંથી ગયો નથી અને અનેક લોકો ભયભીત છે.
  • અફઘાનિસ્તાનના સ્વતંત્રતાદિન નિમિત્તે અનેક લોકોએ અફઘાન રાષ્ટ્રધ્વજ સાથે પ્રદર્શનો કર્યાં છે. ગુરુવારે અફઘાનિસ્તાનનો 102મો આઝાદદિન હતો.
  • કાબુલ હવાઈમથક પર હજી પણ અનેક લોકો છે અને અમેરિકન સેનાએ ટિયરગૅસના સેલ છોડી લોકોને વિખેરવાની કોશિશ કરી છે.

હજારા સમુદાય પર અત્યાચાર અને નરસંહારનો અહેવાલ શું છે?

માનવાધિકાર સંગઠન ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે એક અહેવાલમાં કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં લઘુમતી શિયા હજારા સમુદાયનો તાલિબાને નરસંહાર કર્યો છે.

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે, તાજેતરમાં તાલિબાને ગઝની પ્રાંતમાં હજારા સમુદાયના લોકોની કત્લેઆમ કરી છે. આ ઘટનાને નજરે જોનાર લોકોએ જુલાઈમાં થયેલા નરસંહારની વિગતો ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલને આપી છે.

હઝારા સમુદાય મધ્ય અફઘાનિસ્તાનના હઝારાજાત વિસ્તારના મૂળનિવાસી છે અને શિયા લઘુમતી છે. હજારા મુસલમાન પર પાકિસ્તાનમાં પણ અનેક અત્યાચારનો થયા છે. પાકિસ્તાનમાં તેમની વસતિ પાંચેક લાખની છે અને તેઓ બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાની આસપાસ રહે છે.

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે, ગઝની પ્રાંતમાં બનેલી ઘટનાઓ તાલિબાનના ખતરનાક શાસનનો સંકેત છે. હજારા અફઘાનિસ્તાનનો ત્રીજો સૌથી મોટો વંશિય સમૂહ છે અને શિયા ઇસ્લામને માને છે. સુન્ની બહુમતી ધરાવતા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં દાયકાઓથી તેમનું શોષણ થઈ રહ્યું છે. ગુરુવારે ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે, તાલિબાને 4થી 6 જુલાઈ વચ્ચે 9 હજારા મુસલમાન પુરુષોની હત્યા કરી. ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આ હત્યાઓ બાદ સાક્ષીઓની મુલાકાત લીધી અને તસવીરો જોઈ છે.

અહેવાલ સ્થાનિકોને ટાંકીને લખે છે કે, 'લોકોને તડપાવી તડપાવીને મારવામાં આવ્યાં. અફઘાનિસ્તાનની સરકારી સેના અને તાલિબાન વચ્ચે ઘર્ષણ શરૂ થયું એ પછી એ હજારા લોકો પહાડો તરફ જતાં રહ્યાં હતા. જ્યારે તેઓ ખાવા-પીવાની વસ્તુઓ લેવા માટે પરત આવ્યા ત્યારે તાલિબાન અગાઉથી જ તેમની તાકમાં બેઠા હતા. તાલિબાનોએ એમના ઘરો લૂંટ્યા. છ પુરુષોની હત્યા માથે ગોળી મારીને કરવામાં આવી અને ત્રણ લોકોને તડપાવી તડપાવીને મારી નાખવામાં આવ્યાં.'

આ ઘટના ગઝની પ્રાંતના માલિસ્તાનના મુંદરખ્ત ગામમાં બની છે.

લોકોની તડપાવી તડપાવીને હત્યા કરી

નજરે જોનાર એક સાક્ષીએ કહ્યું કે 'એક વ્યક્તિની હત્યા એના જ રૂમાલથી ગળુ દાબીને કરવામાં આવી. એના ખભા પરથી ચામડી ઉતરડી નાખવામાં આવી હતી અને અન્ય એકના શરીરના ટુકડા કરી દેવામાં આવ્યા હતા.'

નજરે જોનાર એક વ્યક્તિએ સવાલ કર્યો હતો કે નિર્દોષો પર આટલો જુલમ શા માટે તો એના જવાબમાં તાલિબાનો કહ્યું કે, 'જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે સૌ લોકો માર્યા જાય છે. તમારી પાસે બંદૂક છે કે નથી એનાથી કોઈ ફરક નથી પડતો.'

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલના મહાસચિવ ઍગ્નેસ કૈલામાર્ડે કહ્યું કે, ''આ બર્બર હત્યાઓ તાલિબાનની જૂની ફિતરતની નવી સાબિતી છે. આનાથી એ સંકેત મળે છે કે તાલિબાન શું-શું કરી શકે છે. નિશાન બનાવીને કરવામાં આવેલી આ હત્યાઓ એ દર્શાવે છે કે તાલિબાનના રાજમાં વંશિય લઘુમતીની સ્થિતિ શું થઈ શકે છે.''

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો દાવો છે કે તાલિબાનના નિયંત્રણ હેઠળના અનેક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક નથી અને એ કારણે જ આ હત્યાઓની જાણકારી હજી સુધી સાર્વજનિક થઈ નહોતી.

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે સંયુક્ત રાષ્ટ્ર આગળ તપાસ કરવાની માગ કરી છે.

ઉલ્લેખનીય છે તાલિબાને કાબુલ કબજે કર્યા બાદ પ્રથમ પ્રથમ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે તેમણે વિરોધીઓને માફ કરી દીધા છે અને કોઈ સાથે વેર વાળવામાં નહીં આવે. તાલિબાને એમ પણ દાવો કર્યો હતો કે તમામનું રક્ષણ કરવામાં આવશે.

જોકે, આ વચનોથી અલગ સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે તાલિબાન નેટો સેના અને અમેરિકન સેના સાથે કામ કરનારા લોકોની ઘરે-ઘરે જઈને તપાસ કરી રહ્યું છે.

શુક્રવારે કાબુલ ઍરપૉર્ટ પર અંધાધૂંધીનો માહોલ

શુક્રવારે કાબુલ ઍરપૉર્ટ પર અંધાધૂંધીનો માહોલ રહ્યો હતો. ત્યાં ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી, જેને ઍરપૉર્ટ પર સારવાર આપવામાં આવી હતી અને હવે તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકા, યુકે, જર્મની તથા પોલૅન્ડનાં વિમાન પોતાના દેશના નાગરિકો તથા તેમને મદદ કરનારા અફઘાનીઓને લઈને ઊડ્યાં હોવાના અહેવાલ છે.

આ સિવાય પાકિસ્તાન દ્વારા પણ બે વિમાન મોકલવામાં આવશે.

કાબુલ ઍરપૉર્ટ પર અમેરિકા દ્વારા પાંચ હજાર 800 સૈનિક તહેનાત કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ સંખ્યા વધારીને છ હજાર કરાશે.

બીજી બાજુ, ખીચોખીચ ભરેલા અમેરિકાના સૈન્યવિમાન મારફત 640 નહીં, પરંતુ 823 અફઘાન નાગરિકોને કાબુલમાંથી કતાર લઈ જવામાં આવ્યા છે.

અમેરિકાની સેનાનું કહેવું છે કે અગાઉની ગણતરી પ્રમાણે, 183 બાળકોની ગણતરી કરવામાં નહોતી આવી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો