ઇઝરાયલે 'ગાઝામાં હમાસની મોટી ટનલ ઉડાવી દીધી', નેતન્યાહૂએ કહ્યું, 'હમાસે મોટી કિંમત ચૂકવવી પડશે'

ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનું ઘર્ષણ બીજા સપ્તાહમાં પ્રવેશી ચુક્યું છે અને હજુ પણ બંને તરફથી રૉકેટ હુમલા યથાવત્ છે. જેમાં તાજા સમાચારો અનુસાર ઇઝરાયલે ગાઝામાં હમાસની એક ટનલ ઉડાવી દીધી હોવાની છે.

તેમાં જાનહાનિના પણ મીડિયા રિપોર્ટ છે.

બીજી તરફ અમેરિકા બંને પક્ષોને આ સંઘર્ષનો અંત લાવી યુદ્ધવિરામની સ્થિતિમાં પરત ફરવા અપીલ કરી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર સોમવારે ઇઝરાયલના યુદ્ધવિમાનોએ ગાઝાપટ્ટીમાં એક ટનલને નિશાન બનાવી હતી.

ઇઝરાયલનું કહેવું છે કે ચરમપંથીઓના અહીં અડ્ડા હોવાથી તેમણે આ ટનલ ફૂંકી મારી છે.

છેલ્લા 24 કલાકમાં થયેલો ઇઝરાયલનો આ હુમલો સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે.

જેથી સામે પક્ષેથી પણ જવાબી હુમલાની સ્થિતિને પગલે ઇઝરાયલ દક્ષિણ સરહદી વિસ્તારમાં સાયરન ઍલર્ટ આપી રહ્યું છે.

ઇઝરાયલના રક્ષાવિભાગે ટ્વીટ કર્યું કે તેમણે 9.3 માઈલની એક મેટ્રો ટનલ ઉડાવી દીધી છે.

અત્રે નોંધવું કે ઇઝરાયલે તેના ઑપરેશનને 'ગાર્ડિયન ઑઉ વૉલ્સ' નામ આપ્યું છે.

જોકે યુએન સુરક્ષાપરિષદ પણ આ મામલે નિવેદન આપવાની તૈયારીમાં છે.

સંઘર્ષ બન્યો આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય?

આખા વિશ્વમાં આ સંઘર્ષ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોએ આ સમગ્ર સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

જોકે કેટલાકે ઇઝરાયલની કાર્યવાહીને વખોડી પણ છે. કારણ કે તેના હુમલામાં ઘણા પેલેસ્ટાઇનને સમર્થન કરનારા નાગરિકોનાં મોત થયાં છે.

વળી ગત રોજ ગાઝામાં ઇઝરાયલે એક ઇમારત પર રૉકેટ હુમલો કર્યો હતો તેમાં મીડિયા સંસ્થા અલ-જઝીરા અને ઍસોસિયેટ પ્રેસની ઑફિસો પણ આવેલી હતી.

તેમની ઑફિસો ફૂંકી મરાતાં તુર્કીના સરકારી મીડિયા સંસ્થા ઍન્ડલાઉએ ગાઝામાં તેની ઑફિસ આ મીડિયા સંસ્થાનો વાપરી શકે છે તેવું કહી મદદની ઑફર કરી છે.

બીજી તરફ ઇઝરાયલ કહે છે કે આ ટાવરમાં ગાઝાની ટુકડીની કચેરી હોવાથી તે એક યોગ્ય ટાર્ગેટ હતું.

નોંધનીય છે કે પ્રેસની ઑફિસો પર આ રીતે ઇઝરાયલે કરેલા કૃત્યને ભારતના એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ પણ વખોડ્યું હતું.

આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે બંને પક્ષોને સંઘર્ષ સમાપ્ત કરવા અપીલ કરી રહ્યું છે. પરંતુ ઇઝરાયલના કાર્યકારી વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂ અનુસાર ઇઝરાયલ હુમલા ચાલુ જ રાખશે. તેમનું કહેવું છે ફરી શાંતિ સ્થપાતા હવે સમય લાગશે.

તદુપરાંત ઇઝરાયલના રક્ષા વિભાગે ટ્વીટ કર્યું અને દાવો કર્યો કે અત્યાર સુધી હમાસ તરફથી ઇઝરાયલ પર 3000થી વધુ રૉકેટ છોડાયાં છે. પણ 90 ટકાથી વધુ રોકેટ આયર્ન ડોમથી નષ્ટ કરી દેવાયાં છે. વળી ઇઝરાયલનું એવું પણ કહેવું છે કે હમાસે કરેલા રોકેટ હુમલામાં 10 ઇઝરાયલી નાગરિકોનાં મોત થયાં છે.

વળી એ પણ અગત્યનું છે કે એક તરફ જ્યાં નેતાન્યાહૂએ હુમલા એકદમ મજબૂતીથી ચાલુ જ રહેશે એવું નિવેદન આપ્યું તો, બીજી તરફ હમાસ પણ દક્ષિણી ઇઝરાયલનાં શહેરો પર રૉકેટ હુમલા માટે સક્રિય રહ્યું છે.

જોકે યુએન આ વિશે નિવેદન આપે તે મામલે અમેરિકાનું વલણ કંઈક અલગ રહ્યું છે. કેમ કે બંને પક્ષનો વાંક ગણાવતાં નિવેદનને અમેરિકાએ અટકાવ્યું છે. અમેરિકા નથી ઇચ્છતું કે યુએન (સંયુક્ત રાષ્ટ્ર) આવું કોઈ નિવેદન આપે. જોકે અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટે કહ્યું હતું કે આ સંઘર્ષ અને હિંસા તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ.

સૌથી ચિંતાની વાત એ છે કે આ સમગ્ર સંઘર્ષ વિશ્વમાં કોરોનાવાઇરસની મહામારી ચાલી રહી છે એ સમયે સર્જાયો છે.

શું છે વિવાદ?

ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વધી રહેલા તણાવ પાછળનું કારણ લાંબા સમયથી ચાલી રહેલો વણઉકેલ્યો વિવાદ છે, જેના કારણે બંને દેશો એક વખત ફરી સામસામે આવી ગયા છે.

મધ્યપૂર્વના દેશો માટે આ એક એવી સમસ્યા છે જેના કારણે વારંવાર લડાઈ થતી રહે છે, પરંતુ આ વખતે મામલો રૉકેટ છોડવાં, હવાઈ હુમલો કરવા અને લોકોનાં મૃત્યુ સુધી પહોંચી ગયો છે.

ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમ જેરૂસલેમને પવિત્ર માને છે અને તેમના માટે આ જગ્યાનું ધાર્મિક મહત્ત્વ છે.

આ યહૂદી અને મુસ્લિમોના ધર્મનું ઉત્પત્તિસ્થળ છે અને એટલા માટે આ મહત્વપૂર્ણ છે. યહૂદીઓ અને મુસ્લિમો માટે આ જગ્યા રાષ્ટ્રીય પ્રતીકનો ભાગ પણ છે.

ભૌગોલિક રીતે આ બંને જગ્યાઓ પાસપાસે છે. 'ધ ચર્ચ ઑફ ધ હોલી સેપલ્કર' પણ ઇઝરાયલના ચેક પૉઇન્ટની બીજી બાજુ છે, જેમાં પેલેસ્ટાઇનને આસ્થા છે.

તણાવની શરૂઆતનું એક કારણ પેલેસ્ટાઇનવાસીઓને તેમના ઘર શેખ જરાહમાંથી હઠાવવાની ધમકી છે.

આ જૂના શહેરની દીવાલોની બહારની જગ્યા છે જ્યાં પેલેસ્ટાઈનવાસીઓ રહે છે. તેમની જમીન અને ત્યાંની પ્રૉપર્ટી પર યહૂદીઓએ ઇઝરાયલની અદાલતમાં દાવો કરીને રાખ્યો છે.

પરંતુ આ વિવાદ કેટલાંક ઘરોને લઈને જ નથી. વર્ષોથી ઇઝરાયલની સરકાર જેરૂસલેમમાં યહૂદીઓની સંખ્યા વધારવાના પ્રયત્ન કરી રહી છે અને આ મુદ્દાને લઈને પણ અહીં તણાવ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો