ભારત સાથેના તણાવ વચ્ચે ચીને તિબેટ અંગે શું જાહેરાત કરી?

ઇમેજ સ્રોત, XINHUA
ભારત સાથે સરહદ પર તણાવ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક 'નવા આધુનિક સમાજવાદી' તિબેટના નિર્માણની કોશિશ કરવાનું આહ્વાન કર્યું છે.
આ પહેલાં ચીનના વિદેશમંત્રી વાંગ યીએ તિબેટનો પ્રવાસ કર્યો હતો અને ભારત સાથે જોડાયેલી સીમા પરનાં નિર્માણકાર્યો પર પણ નજર કરી હતી.
ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ અને ચીનના સૅન્ટ્રલ મિલિટરી કમિશનના ચૅરમૅન શી જિનપિંગે બીજિંગમાં તિબેટને લઈને થયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ ટિપ્પણી કરી હતી.
તેમણે કહ્યું કે ચીનને તિબેટમાં સ્થિરતા જાળવવા માટે અને રાષ્ટ્રીય એકતાના રક્ષણ માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે.
ચીને વર્ષ 1950માં તિબેટ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું હતુ.
નિર્વાસિત આધ્યાત્મિક નેતા દલાઈ લામાનો સાથ આપનારા ટિકાકારોનું કહેવું છે કે, “ચીને તિબેટના લોકો અને ત્યાંની સંસ્કૃતિનું ખરાબ કર્યું છે.”
તિબેટના ભવિષ્યના શાસન અંગે કૉમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ સભ્યોની આ બેઠકમાં શી જિનપિંગની ઉપલબ્ધિઓની પ્રશંસા કરાઈ અને ફ્રંટલાઇન પર કામ કરી રહેલા અધિકારીઓની પણ પ્રશંસા કરાઈ.
પરંતુ તેમણે કહ્યું કે આ ક્ષેત્રની એકતામાં વધારો કરવા માટે, તેને ફરીથી જીવંત અને મજબૂત કરવા માટે અને વધુ પ્રયાસો કરવાની જરૂરિયાત હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તિબેટના લોકો પર પકડ મજબૂત કરવા માગે છે ચીન?

ઇમેજ સ્રોત, XINHUA
સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, શી જિનપિંગે બેઠકમાં કહ્યું, “તિબેટની શાળાઓમાં રાજકીય અને વૈચારિક શિક્ષા પર વધુ જોર અપાય તેવી જરૂરિયાત છે જેથી ત્યાંના પ્રત્યેક યુવાનના હૃદયમાં ચીન માટે પ્રેમની ભાવના પેદા કરી શકાય.”
શીન જિનપિંગે કહ્યું કે તિબેટમાં કૉમ્યુનિસ્ટ પાર્ટીની ભૂમિકાને મજબૂત બનાવવા માટે અને જાતીગત સમૂહોને બહેતર રીતે એકીકૃત કરવાની આવશ્યકતા છે.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, “આપણે એકત્રિત, સમૃદ્ધ, સભ્ય, સામંજસ્યપૂર્ણ અને સુંદર, આધુનિક, સમાજવાદી તિબેટના નિર્માણ માટે સંકલ્પ કરવો પડશે.”
તેમણે કહ્યું કે, “તિબેટી બૌદ્ધ ધર્મને પણ સમાજવાદ અને ચીની પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવાની જરૂર હતી.”
પરંતુ ટીકાકારોનું કહેવું છે કે, “જો ચીનથી તિબેટને ખરા અર્થમાં એટલો લાભ થયો હોત, જેટલો શી જિનપિંગે બેઠકમાં દાવો કર્યો, તો ન ચીનને અલગાવવાદનો ડર લાગી રહ્યો હોત કે ન ચીને તિબેટના લોકોમાં શિક્ષણ વડે ‘નવી રાજકીય ચેતના’ ભરવાની વાત કરી હોત.”
અમેરિકા અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ દરમિયાન પણ તિબેટ અંગેની વાત ઊઠી હતી.
જુલાઈ માસમાં, અમેરિકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિઓએ કહ્યું હતું કે, “અમેરિકા તિબેટમાં ‘રાજદ્વારી પહોંચની રોકથામ અને માનવાધિકારના હનનમાં લિપ્ત’ કેટલાક ચીની અધિકારીઓના વીઝા પર પ્રતિબંધ લાદશે.”
તેમણે એ પણ કહ્યું હતું કે અમેરિકા તિબેટની ‘સાર્થક સ્વાયત્તતા’નું સમર્થન કરે છે.

ચીનના કબજામાં તિબેટ ક્યારે અને કેવી રીતે આવ્યું?

ઇમેજ સ્રોત, SEAN CHANG
મોટા ભાગે બૌદ્ધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકોવાળા આ દુર્ગમ વિસ્તારને ‘દુનિયાનું છાપરું’ પણ ગણવામાં આવે છે. ચીનમાં તિબેટનો દરજ્જો એક સ્વાયત્તશાસી ક્ષેત્રનો છે.
ચીનનું કહેવું છે કે આ વિસ્તાર પર સદીઓથી તેનું સંપ્રભુત્વ રહ્યું છે, જ્યારે અનેક તિબેટી લોકો નિર્વાસિત આધ્યાત્મિક નેતા દલાઈ લામા પ્રત્યે વફાદાર છે.
દલાઈ લામાને તેમના અનુયાયી જીવિત ઈશ્વર માને છે, તેમજ ચીન તેમને એક અલગતાવાદી ખતરો ગણે છે.
તિબેટનો ઇતિહાસ અત્યંત ઊથલપાથલ ભરેલો રહ્યો છે. ક્યારેક તે સ્વતંત્ર ક્ષેત્ર તરીકે રહ્યું, તો ક્યારેક મંગોલિયા અને ચીનના તાકાતવર રાજવંશોએ તેના પર રાજ કર્યું.
પરંતુ વર્ષ 1950માં ચીને આ વિસ્તાર પર પોતાનો ધ્વજ ફરકાવવા માટે હજારો સૈનિકો મોકલી દીધા.
તિબેટના અમુક વિસ્તારોને સ્વાયત્તશાસી ક્ષેત્રોમાં ફેરવી નખાયા અને અન્ય વિસ્તારોને તેનાથી અલગ ચીની પ્રાંતોમાં ભેળવી નખાયા.
વર્ષ 1959માં ચીન વિરુદ્ધ થયેલા એક નિષ્ફળ વિદ્રોહ બાદ 14મા દલાઈ લામાએ તિબ્બત છોડીને ભારતમાં શરણ લેવી પડી, જ્યાં તેમણે નિર્વાસિત સરકારનું ગઠન કર્યું.
1960 અને 1970ના દાયકામાં ચીનની સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન તિબેટમાં મોટા ભાગના બૌદ્ધ વિહારો નષ્ટ કરી દેવાયા. એવું મનાય છે કે દમન અને સૈનિક શાસન દરમિયાન તિબેટના હજારો લોકોના જીવ ગયા હતા.

ચીન-તિબેટ વિવાદ ક્યારે શરૂ થયો?

ચીન અને તિબેટ વચ્ચેનો વિવાદ, તિબેટની કાયદાકીય સ્થિતિને લઈને છે.
ચીન કહે છે કે તિબેટ તેરમી સદીના મધ્ય ભાગથી ચીનનો ભાગ રહ્યું છે, પરંતુ તિબેટના લોકોનું કહેવું છે કે તિબેટ સદીઓ સુધી એક સ્વતંત્ર રાજ્ય હતું અને ચીનનો તેના પર નિરંતર અધિકાર નથી રહ્યો.
મોગલ રાજ કુબલઈ ખાને યુઆન રાજવંશની સ્થાપના કરી હતી અને તિબ્બત સહિત ચીન, વિયેતનામ અને કોરિયા સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો.
ત્યાર પછી સતરમી સદીમાં ચીનના ચિંગ રાજવંશના તિબેટ સાથે સંબંધ બન્યા.
260 વર્ષોના સંબંધ બાદ ચિંગ સેનાએ તિબેટ પર અધિકાર કરી લીધો, પરંતુ ત્રણ વર્ષની અંદર જ તિબેટના લોકો દ્વારા તેમને ત્યાંથી ખદેડી દેવાયા અને વર્ષ 1912માં તેરમા દલાઈ લામાએ તિબેટની સ્વતંત્રતાની ઘોષણા કરી.
ત્યાર બાદ વર્ષ 1951માં ચીની સેનાએ ફરી વાર તિબેટ પર પોતાનું નિયંત્રણ સ્થાપી દીધું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












